વસ્તુસંખ્યાકોશ/સંગ્રાહકનું નિવેદન

Revision as of 09:12, 24 March 2023 by Shnehrashmi (talk | contribs)

સંગ્રાહકનું નિવેદન

મને કાષ્ઠ અને પિત્તળનાં શિલ્પ બનાવવાનો પચીસ વર્ષોથી આજેય શોખ. શિલ્પશાસ્ત્રનાં પુસ્તકમાંથી વિવિધ જાતનાં દેવદેવીઓ અને તેમનાં આભૂષણો, વાહનો, આયુધો, મુગટ, પીઠિકાઓ વગેરેને લગતી સંખ્યાત્મક માહિતી મળી. તે ઉપરાંત ‘કુમાર’ માસિકમાંથી અને અન્ય પુસ્તકમાંથી ટુકડે ટુકડે જુદી જુદી બાબતોની સંખ્યા મળી. આમ, આ બાબતોની સંખ્યાત્મક માહિતીનો સંગ્રહ કરવાનો વિચાર સ્ફુર્યો. એટલે લગભગ ૧૯૮૦માં આ અંગે સંગ્રહ કરવો શરૂ કર્યો. મારો આવેલો સંગ્રહ ‘કુમાર’ના તંત્રી શ્રી બચુભાઈ રાવતના જોવામાં આવ્યો. એટલે તેમણે ‘કુમાર’માં જૂન ૧૯૮૩થી મે ૧૯૮૪ સુધીમાં એકથી સત્તર સુધીની સંખ્યાના લગભગ ૬૦૦ વિષયો છાપ્યા. એક શોખ તરીકે શરૂ કરેલા મારા અલ્પ સંગ્રહને છપાયેલો જોઈ મને ઘણું પ્રોત્સાહન મળ્યું. અને આ કામ બને એટલું વિસ્તૃત કરવાનો નિશ્ચય બંધાયો. પછી તો ઘણા વિષયો ઉપર માહિતી એકઠી થતી ગઈ. આવી જુદા જુદા વિષયની સંખ્યાત્મક માહિતી કોઈ અમુક જ પુસ્તકમાં હોતી નથી. આથી કહેવતો, સુભાષિતો, દોહરાઓ, સંગીત, કાવ્ય, નાટ્ય, ન્યાય, વૈદક, જ્યોતિષ, શિલ્પ, વ્યાકરણ, ખગોળ, ક્રિયાકાંડ, યોગ, શૃંગાર તથા જૈન, બૌદ્ધ અને હિન્દુ શાસ્ત્રનાં પુસ્તકો અને બીજાં અનેક પુસ્તકો ફંફોસ્યાં, આ બધાં પુસ્તકમાંથી જે કંઈ માહિતી મળી તે ભેગી કરી.

આ પછી કવિ નર્મદના ‘નર્મકથાકોશ’માં ૧૪૪ વિષયો, કવિ દયારામના ‘વસ્તુવૃંદદીપિકા’માં ૪૦૪ વિષયો અને રતનજી ફરામજી શેઠનાનું ‘સંખ્યાદર્શક કોશ’માં ૫૧૫ વિષયો મને સંગ્રહાયેલાં મળ્યાં. આ પુસ્તકોએ મારા સંગ્રહમાં વધારો કર્યો. આ ઉપરાંત ભગવદ્દગોમંડલ, હેમકોશ, અમરકોશ અને અન્ય કોશોમાંથી પણ પુષ્કળ સામગ્રી મળી. આમાં ભગવદ્ગોમંડલે સૈાથી વધુ સામગ્રી પૂરી પાડી તેને ઉલ્લેખ ખાસ કરવો ઘટે. આ બધાં પુસ્તકોનું હું ઋણ સ્વીકાર કરું છું. અને પુસ્તકના સંપાદનનું કામ મેં શ્રીમતી ડૉ. ભારતીબહેન ભગતને સોંપ્યું જે તેમણે સ્વીકાર્યું અને મારા સંગ્રહમાં ઘણાં સુધારાવધારા કરી સંપાદનકાર્ય પૂરું કરી મને ઋણી કર્યો. ભાઈશ્રી જયંત કોઠારીએ મને કિંમતી સલાહસૂચન આપ્યા અને પુસ્તકની હસ્તપ્રત તૈયાર કરવામાં ઘણી મદદ કરી. તેમનો હું જેટલો આભાર માનું તેટલો ઓછો છે.

૫, પ્રતિમા સોસાયટી
– રતિલાલ હ. નાયક
 
નવરંગપુરા,
અમદાવાદ–૯ તા. ૩૦-૩-૧૯૯૦