સત્યના પ્રયોગો/ગ્રામપ્રવેશ

૧૮. ગ્રામપ્રવેશ

ઘણે ભાગે દરેક નિશાળમાં એક પુરુષ અને એક સ્ત્રી એમ ગોઠવણ થઈ હતી. તેમની મારફતે જ દવાનાં ને સુધરાઈનાં કામો કરવાનાં હતાં. સ્ત્રીઓની મારફતે સ્ત્રીવર્ગમાં પ્રવેશ કરવાનો હતો. દવાનું કામ બહુ સહેલું કરી મૂક્યું હતું. એરંડિયું, ક્વિનીન અને એક મલમ એટલી જ વસ્તુઓ દરેક નિશાળમાં રાખવામાં આવતી હતી. જીભ તપાસતાં મેલી જોવામાં આવે અને બંધકોશની ફરિયાદ આવે તો એરંડિયું પાઈ દેવું. તાવની ફરિયાદ હોય તો એરંડિયું આપ્યા પછી આવનારને ક્વિનીન પિવડાવવું, અને જો ગૂમડાં હોય તો તેમને ધોઈ તેમની ઉપર મલમ લગાડી દેવો. ખાવાની દવા કે મલમ સાથે લઈ જવાને ભાગ્યે જ આપવામાં આવતાં. ક્યાંય જોખમકારક કે ન સમજાય એવું દર્દ હોય તો તે દાક્તર દેવને દેખાડવા ઉપર મુલતવી રહેતું. દાક્તર દેવ જુદે જુદે ઠેકાણે નીમેલે વખતે જઈ આવતા. આવી સાદી સગવડનો લાભ લોકો ઠીક પ્રમાણમાં લઈ જતા હતા. વ્યાપક રોગો થોડા જ છે અને તેમને સારુ મોટા વિશારદોની જરૂર નથી હોતી એ ધ્યાનમાં રખાય, તો ઉપર પ્રમાણે કરેલી યોજના કોઈને હાસ્યજનક નહીં લાગે. લોકોને તો ન જ લાગી.

સુધરાઈનું કામ કઠિન હતું. લોકો ગંદકી દૂર કરવા તૈયાર નહોતા. પોતાને હાથે મેલાં સાફ કરવાની તૈયારી જેઓ ખેતરની મજૂરી રોજ કરતા તેમની પણ નહોતી. દાક્તર દેવ ઝટ હારે એવા નહોતા. તેમણે પોતે જાતે અને સ્વયંસેવકોએ એક ગામના રસ્તા સાફ કર્યા. લોકોનાં આંગણાંમાંથી કચરા કાઢયા, કૂવાની આસપાસના ખાડા પૂર્યા, કાદવ કાઢયો. ને ગામલોકોને સ્વયંસેવકો આપવાનું પ્રેમપૂર્વક સમજાવતા રહ્યા. કેટલેક ઠેકાણે લોકોએ શરમને માર્યે કામ કરવાનું શરૂ કર્યું, ને કેટલેક ઠેકાણે તો લોકોએ મારી મોટર પસાર થવાને સારુ સડકો પણ જાતમહેનતથી કરી. આવા મીઠા અનુભવની સાથે જ લોકોની બેદરકારીના કડવા અનુભવો પણ ભળતા હતા. સુધારાની વાત સાંભળી કેટલીક જગ્યાઓએ લોકોને અણગમો પણ પેદા થયેલો મને યાદ છે.

આ અનુભવો દરમિયાન, એક અનુભવ જેનું વર્ણન મેં સ્ત્રીઓની ઘણી સભાઓમાં કર્યું છે, તે અહીં કરવું અસ્થાને નથી. ભીતિહરવા એક નાનકડું ગામડું છે. તેની પાસે તેનાથી પણ નાનકડું ગામડું છે. ત્યાં કેટલીક બહેનોનાં કપડાં બહુ મેલાં જોવામાં આવ્યાં. આ બહેનોને કપડાં ધોવાબદલવાનું સમજાવવાનું મેં કસ્તૂરબાઈને સૂચવ્યું. તેણે બહેનોને વાત કરી. એમાંથી એક બહેન તેને પોતાની ઝૂંપડીમાં લઈ ગઈ ને બોલીઃ ‘તમે જુઓ, અહીં કંઈ પેટીકબાટ નથી કે જેમાં કપડાં હોય. મારી પાસે આ મેં પહેરી છે તે જ સાડી છે. તેને હું કઈ રીતે ધોઈ શકું? મહાત્માજીને કહો કે તે કપડાં અપાવે એટલે હું રોજ નાહવા ને રોજ કપડાં બદલવા તૈયાર થઈશ.’ આવાં ઝૂંપડાં હિંદુસ્તાનમાં અપવાદરૂપે નથી. અસંખ્ય ઝૂંપડાંમાં રાચરચીલું, પેટીપટારા, લૂગડાંલત્તા નથી હોતાં અને અસંખ્ય માણસો માત્ર પહેરેલાં કપડાં ઉપર પોતાનો નિર્વાહ કરે છે.

એક બીજો અનુભવ પણ નોંધવા યોગ્ય છે. ચંપારણમાં વાંસનો ને ઘાસનો તોટો નથી હતો. લોકોએ ભીતિહરવામાં જે નિશાળનું છાપરું બાંધ્યું હતું એ વાંસનું અને ઘાસનું હતું. કોઈએ તેને રાતના બાળી મૂક્યું. શક તો આસપાસના નીલવરોના માણસો ઉપર ગયો હતો. ફરી વાંસ ને ઘાસનું મકાન બનાવવું એ યોગ્ય ન લાગ્યું. આ નિશાળ શ્રી સોમણ અને કસ્તૂરબાઈના તાબામાં હતી. શ્રી સોમણે ઈંટોનું પાકું મકાન બાંધવાનો નિશ્ચય કર્યો ને તેમની જાતમહેનતનો ચેપ બીજાઓને લાગ્યો, તેથી પળવારમાં ઈંટોનું મકાન ઊભું થયું. અને ફરી મકાન બળવાનો ભય ન રહ્યો.

આમ નિશાળો, સુધરાઈ અને દવાનાં કામોથી લોકોમાં સ્વયંસેવકોને વિશે વિશ્વાસ અને આદર વધ્યાં, ને તેમની ઉપર સારી અસર બેઠી.

પણ મારે દિલગીરીની સાથે જણાવવું જોઈએ કે આ કામ કાયમ કરવાની મારી મુરાદ બર ન આવી. સ્વયંસેવકો જે મળ્યા હતા તે અમુક મુદતને જ સારુ મળ્યા હતા. નવા બીજા મળવામાં મુશ્કેલી આવી અને બિહારમાંથી આ કામને સારુ યોગ્ય કાયમી સેવકો ન મળી શક્યા. મને પણ ચંપારણનું કામ પૂરું થયું તેવામાં બીજું કામ જે તૈયાર થઈ રહ્યું હતું, તે ઘસડી ગયું. આમ છતાં છ માસ લગી થયેલા કામે પણ એટલે લગી જડ ઘાલી કે એક નહીં તો બીજા સ્વરૂપમાં તેની અસર આજ લગી નભી રહી છે.