સિગ્નેચર પોયમ્સ/હરિનાં દર્શન – કવિ ન્હાનાલાલ

From Ekatra Wiki
Revision as of 02:25, 19 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
હરિનાં દર્શન

કવિ ન્હાનાલાલ


મ્હારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિને જરી :
એક મટકું ન માંડ્યું રે, ન ઠરિયાં ઝાંખી કરી.
શોકમોહના અગ્નિ રે તપે, ત્હેમાં તપ્ત થયાં :
નથી દેવનાં દર્શન રે કીધાં, ત્હેમાં રક્ત રહ્યાં.
પ્રભુ સઘળે વિરાજે રે, સૃજનમાં સભર ભર્યા :
નથી અણુ પણ ખાલી રે, ચરાચરમાં ઊભર્યા.
નાથ ગગનના જેવા રે, સદા મ્હને છાઈ રહે :
નાથ વાયુની પેઠે રે સદા મુજ ઉરમાં વહે.
જરા ઊઘડે આંખલડી રે, તો સન્મુખ તેહ તદા :
બ્રહ્મ બ્રહ્માંડ અળગાં રે ઘડી યે ન થાય કદા.
પણ પૃથ્વીના પડળો રે, શી ગમ ત્હેને ચેતનની?
જીવે સો વર્ષ ઘુવડ રે, શી ગમ ત્હો યે કંઈ દિનની
સ્વામી સાગર સરીખા રે, નજરમાં ન માય કદી :
જીભ થાકીને વિરમે રે ‘વિરાટ’ ‘વિરાટ’ વદી.
પેલાં દિવ્ય લોચનિયાં રે પ્રભુ ક્ય્હારે ઊઘડશે?
આવાં ઘોર અંધારાં રે પ્રભુ! ક્ય્હારે ઊતરશે?
નાથ! એટલી અરજી રે, ઉપાડો જડપડદા :
નેનાં! નીરખો ઊંડેરું રે, હરિવર દરસે સદા.
આંખ! આળસ છાંડો રે, ઠરો એક ઝાંખી કરી :
એક મટકું તો માંડો રે, હૃદય ભરી નીરખો હરિ.