સુરેશ જોષી

From Ekatra Wiki
Revision as of 02:03, 13 June 2021 by Atulraval (talk | contribs)
Jump to navigation Jump to search

સુરેશ જોષીનું આગમન ગુજરાતી સાહિત્યમાં એક મહત્ત્વની ઘટના પુરવાર થઈ – આ ઘટના માત્ર ઐતિહાસિક પુરવાર થઈ હોત તો તો એ બહુ જલદીથી ભુલાઈ જાત પરંતુ એમના દ્વારા ગુજરાતી સાહિત્યને જે ઘાટ અને દિશા પ્રાપ્ત થયાં તેને કારણે તેમનું અર્પણ ગુજરાતી સાહિત્યનાં આગામી વર્ષોમાં પણ વિશિષ્ટ લેખાશે. તેમનામાં વિલક્ષણ સંવેદનાશીલતા હતી અને આ સંવેદના દ્વારા માનવીને એક વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોવા તેઓ મથતા રહ્યા; તેમનો પ્રયત્ન સતત રૂપથી અરૂપ, સાધારણથી અસાધારણ, ક્ષણિકથી શાશ્વત સુધી જવાનો રહ્યો. પોતાની સામે જે અસીમ અને ભયાનક વાસ્તવિકતા હતી તેને પોતાની રચનાઓમાં કંડારવા માટે જેટજેટલી યુક્તિપ્રયુક્તિઓ લેખે લગાડી શકાય તે બધી જ કામે લગાડવા માટે તેઓ આતુર હતા. એટલે જ તેઓ વાસ્તવથી માંડીને અસંગતિ, કપોલકલ્પિતને પોતાની રચનાઓમાં સમાવવા મથ્યા. આ જ રીતે એક બાજુ તેઓ મુગ્ધતાનો અને બીજી બાજુ વિદગ્ધતાનો પુરસ્કાર કરતા રહ્યા. જે કોઈ પોતાની જાતને સર્જક તરીકે ઓળખાવે છે તેને બૃહદ્, અપરિમેય વાસ્તવને પામવા માટે આવું કરવું પડે એ સ્પષ્ટ છે. સુરેશ જોષીએ પોતાના નિબંધોમાં પ્રગટ રીતે અને વાર્તાઓમાં અપ્રગટ રીતે અખંડનો મહિમા કર્યો હતો. આ અખંડને પામવા માટે આપણી સમગ્ર સંવેદનાને કામે લગાડવી પડે. એટલે જ એમની રચનાઓમાં સમગ્ર ઇન્દ્રિયગોચર વિશ્વની સંકુલ છબિ આપણને જોવા મળે છે. કોઈ પણ યુગના સર્જકે સમગ્ર પરિવેશની સાથે પળેપળનો સંબંધ અખંડ રીતે પ્રગટાવવો હોય તો પોતાની સમગ્ર આકલનક્ષમતાને કામે લગાવવી પડે, પરોક્ષને બદલે અપરોક્ષને સ્વીકૃતિ આપવી પડે, પોતાના ઇન્દ્રિયજગતને બધિર બનતાં અટકાવીને જીવંત વ્યક્તિતાની પ્રતીતિ કરાવવી પડે. આમ કરતા જતાં જીવનવિષયક, સાહિત્યવિષયક પરંપરાઓને પડકારવાનું સાહસ પણ સર્જકે કરવું જોઈએ. નહીંતર તો પરંપરાના અનુસરણમાં અને પછી તો પરંપરાના યાંત્રિક અનુકરણમાં સરી જવાનો વારો આવે. ઇતિહાસના જે તબક્કે સ્થગિતતા, બંધિયારપણું જોવા મળે તે વખતે કોઈએ સાહસ કરીને અસ્વીકૃતિનાં જોખમોનો મુકાબલો કરીને પણ આગળ આવવું પડે, અચલાયતનો પર આક્રમણો કરવાં પડે. વિવાદો છેડવા પડે, ઊહાપોહ કરવો પડે. સુરેશ જોષી સ્પષ્ટ રીતે માનતા હતા કે સાહિત્યકાર નબળો હોય તો એક આખી પેઢીને વેઠવાનો વારો આવે, એટલે સંસ્કારિતાના રક્ષણસંવર્ધન માટે કોઈ પણ પ્રકારનાં સમાધાનો કરવાનાં ન હોય, લોકપ્રિયતાની પરવા કરવાની ન હોય. સ્વતંત્રતા પૂર્વે ગુજરાતી સાહિત્યકારને, ભાવકને – કેટલાક અપવાદોને બાદ કરતાં – વિશ્વસાહિત્યનો પ્રત્યક્ષ પરિચય બહુ ઓછો હતો. સુરેશ જોષીએ સાહિત્યને વિશ્વસાહિત્યના વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જોતાં-મૂલવતાં શિખવાડ્યું. આનું એક સ્વાભાવિક પરિણામ એ આવ્યું કે કૃતિને મૂલવવાનાં ધોરણો આકરાં બનવા માંડ્યાં. સાહિત્યકૃતિ અનેક રીતે જો સમૃદ્ધ ન હોય તો કાળના પ્રવાહમાં ખતમ થઈ જાય. આથી સમૃદ્ધિનો આગ્રહ સુરેશ જોષી રાખતા રહ્યા અને પોતાની રચનાઓને એવી સમૃદ્ધિ આપતા રહ્યા. આ પ્રક્રિયાના એક ભાગ રૂપે જ ઘટનાના તિરોધાનની વાત ગુજરાતી સાહિત્ય સમક્ષ ધરી. જ્યાં ઘટના સૂક્ષ્મને બદલે સ્થૂળ ભૂમિકાએ પ્રયોજાય છે ત્યાં એ કાળની સામે કદી ટકી શકતી નથી, માનવસંદર્ભની કશી સંકુલ છબિ ઉપસાવી શકતી નથી; સાહિત્યકૃતિ જે માધ્યમ અને પ્રકારમાં ઢાળવામાં આવી હોય છે તેની શક્યતાઓને તાગી શકતી નથી. આવી ઘણીબધી શક્યતાઓનો અસ્વીકાર કરવો એટલે આપણા જગતને હ્રસ્વ બનાવવું. સાચો સર્જક ક્યારેય પોતાના જગતને હ્રસ્વ બનાવવા તૈયાર ન થાય. સુરેશ જોષીને હંમેશા આવા સર્જકો જ આકર્ષતા હતા; સતત આવા સર્જકો વિશે જ લખતા-વિચારતા હતા. સુરેશ જોષીએ સાહિત્યવિવેચનમાં રૂપરચનાનો મહિમા હંમેશા પુરસ્કાર્યો, રૂપરચનાવાદી અભિગમ દરેક કૃતિને સંપૂર્ણ, સ્વાયત્ત માનીને ચાલે છે. પરંતુ સર્જનક્ષેત્રે સુરેશ જોષીએ આ અભિગમ પુરસ્કાર્યો નથી. આ એક વિરોધાભાસ સતત તેમના સર્જનવિવેચનમાં જોવા મળ્યો છે. આ દૃષ્ટિએ જોઈશું તો એમની કૃતિઓ અરસપરસમાં ગૂંથાઈ ગયેલી છે. વાર્તાઓ જ અરસપરસ ગૂંથાયેલી છે એવું નથી, વાર્તા-નિબન્ધ-કવિતા-નવલકથા : આ બધાં સ્વરૂપો અરસપરસ અપૃથક્‌ભાવે ભળી જાય છે. આને કારણે એમની સમગ્ર સર્જનસૃષ્ટિ અખંડિતતા પ્રગટાવે છે. એક કૃતિને પામવા માટે એમની અન્ય કૃતિઓ પાસે જવું આમ અનિવાર્ય થઈ પડે છે. આવી રીતે જ્યારે આપણે તેમના સમગ્ર જગતમાંથી પસાર થઈએ છીએ ત્યારે પ્રતીતિ થાય છે કે સમકાલીન વાસ્તવિકતાનો નવો પરિચય પ્રાપ્ત થાય છે. દરેક સર્જકે પોતાના યુગની વાસ્તવિકતાને આત્મસાત્ કરવી પડે, એટલું જ નહીં, એને નવા રૂપે કંડારવી પડે. જો આ વાસ્તવિકતા ભયાવહ, ભીષણ લાગતી હોય તો એનાથી પરાઙ્‌મુખ થવાને બદલે એનો મુકાબલો કરતાં શીખવું પડે. એ વાસ્તવજગતનાં કદર્ય, છિન્નભિન્નતા, શૂન્ય, હતાશાને સમજવા માટે સર્જનાત્મકતાની બધી જ શક્તિઓને કામે લગાડવી પડે; માધ્યમરૂપે પ્રયોજાતી ભાષાની કાયાપલટ કરવી પડે, એમાં નવો પ્રાણ પૂરવો પડે, જેથી કરીને એ ભાષા પુરોગામીઓએ કદી પ્રયોજી ન હોય એવી અપૂર્વ બની જાય. સુરેશ જોષીના સર્જનનો આ સંદર્ભ છે. તેમણે નિબંધ, ટૂંકી વાર્તાનાં સ્વરૂપો વિલક્ષણ રીતે ખેડીને ગુજરાતી ભાષાને વિસ્તારી છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. આ સંચયમાંથી પસાર થનારને એની પ્રતીતિ થશે. એમના સર્જનાત્મક વ્યક્તિત્વની આગવી મુદ્રા વાચક ઉપર ઘણા લાંબા સમય સુધી અંકાઈ જશે. અહીં એમના સમગ્ર સર્જનાત્મક વ્યક્તિત્વને પામવામાં સહાયરૂપ થાય એ રીતે કૃતિઓને પસંદ કરવામાં આવી છે. એમાં મતભેદને અવકાશ હોઈ શકે; પૃષ્ઠસંખ્યાની મર્યાદાને ધ્યાનમાં રાખવા જતાં આપોઆપ કેટલાંક નિયંત્રણો અમારે પણ અમારી જાત ઉપર લાદવા પડ્યાં હતાં. તેમનાં બધાં જ લખાણો જ્યારે ગ્રંથસ્થ થઈ જશે ત્યારે આ સંચયની નવી આવૃત્તિમાં એનો ઉપયોગ કરવાની તક મળશે. સુરેશ જોષી વિશે અનેક અભ્યાસીઓએ ઘણું ઘણું લખ્યું છે, આ સંપાદકોએ પણ અવારનવાર લખ્યું છે. એટલે આ તબક્કે પુનરાવર્તન કરવાને બદલે સુરેશ જોષીની કૃતિઓમાં જ ભાવકને વિહરવા દઈએ. આ ગ્રંથમાં પ્રગટ કરવા માટે સુરેશ જોષીની કૃતિઓનો ઉપયોગ કરવાની સંમતિ ઉષાબહેન જોષી અને તેમના પરિવારે આપી એ બદલ અમે તેમના આભારી છીએ. આ ગ્રંથ નિર્ધારિત સમયમાં અને સુઘડ રીતે મુદ્રિત કરી આપવા બદલ શારદા મુદ્રણાલયનો અને ખાસ તો આ પ્રકાશનમાં અંગત રસ લેવા બદલ રોહિત કોઠારીનો આભાર માનતાં આનંદ અનુભવીએ છીએ. આ ગ્રંથના વિતરણની જવાબદારી સંવાદ પ્રકાશન વતી યુયુત્સુ પંચાલે ઉપાડી લીધી એ બદલ તેમનો તથા ગ્રંથને સાકાર બનાવવામાં પ્રત્યક્ષ રીતે-પરોક્ષ રીતે મદદ કરનાર સૌ મિત્રોનો પણ આભાર માનીએ છીએ. શિરીષ પંચાલ – જયંત પારેખ

| નામ: = સુરેશ હરિપ્રસાદ જોષી | image = Suresh Joshi in 1955.jpg | caption = Joshi in 1955, Mumbai | જન્મતારીખઃ = ૩૦, મે ૧૯૨૧ | જન્મસ્થળ: = વાલોડ, ગુજરાત | વતન: = વાલોડ, ગુજરાત | અવસાન: = 6 September 1986(1986-09-06) (aged 65) | અવસાન સ્થળ: = Nadiad, Gujarat, India | અભ્યાસઃ = Master of Arts | પ્રવૃત્તિ = novelist, short-story writer, critic, poet, translator, essayist | નોંધપાત્ર કૃતિઓ: = {{plainlist|

| spouse = | children =

| નોંધપાત્ર એવોર્ડ: =

નામ: સુરેશ હરિપ્રસાદ જોષી જન્મતારીખઃ ૩૦, મે ૧૯૨૧ જન્મસ્થળ: વાલોડ, ગુજરાત અવસાન: સ્થળ અભ્યાસઃ પ્રવૃત્તિ: સરનામું: વિશેષ નોંધઃ નોંધપાત્ર કૃતિઓ: નોંધપાત્ર એવોર્ડ: વતન: