હનુમાનલવકુશમિલન/હનુમાનલવકુશમિલન

હનુમાનલવકુશમિલન


પૂર્વે અજોધા નગરી ને રાજા રામનું રાજ. રાણી સતી સીતા. એક સમે મે’લના ગોખે બેઠાં છે ને નીચેથી જોષીડો જાય. રાણીએ સાદ દીધો, ‘જોષીડા, જોષીડા, જો મારી હથવાળી ને જોષ વરત.’ જોષીડે એકવાર ઊંચું જોયું ને મોં આડું લઈ લીધું. ‘રાણી, રાણી, તને જોયેં તો હાથીએ ઘલાવ, જોયેં તો ઘોડો ચલાવ, તને જોયેં તો ગામપાર કરાવ, દેશપાર કરાવ; જોયેં તો જલાદ બોલાવી ફાંસીના દોયડે ઝલાવ. પણ હું ના આવું.’ ત્યારે સીતારાણી પૂછે છે કે ‘કેમ?’ ત્યારે જોષી કહે છે કે, ‘હું જોષી. સામદરિક શાસ્ત્ર મારા મોંએ. મારા ગુરુ સૂવૈ નૈ, આખો દિ’ જલપાન કરે, ફળનો આહાર કરે અને રાતે સામદરિક શાસ્ત્રના પાઠ ભણાવે. મેં’યે નીમ લીધું – દિ’ આખો વનવગડો રખડું, ગુરુને કાજે પાકાં–મીઠાં ફળ વીણું, માટીને ઘડે જળ ભરું, ને ગુરુનું દીધું ખાઉં–પીઉં ને રાતે સામદરિક શાસ્ત્રની પોથી ભણું. એમ બાર વરસ લગી પાઠ પઢ્યા ને જોષી થયો તે રાણી તારું મોં મને ક્યે છ કે તારું ભાયગ રૂડું નથી.’ ત્યારે સીતારાણીએ કહ્યું કે, ‘જોષીડા, જોષીડા, કુળને કાજે દીકરો રહેશે કે?’ જોષી ક્યે, ‘રહેશે.’ સીતા ક્યે, ‘સમરથાઈ કેટલી રહેશે?’ જોષી ક્યે, ‘બાપ સમાણી.’ તે સીતારાણી તો ફૂલી ના સમાણી. પછી ક્યે, ‘મારા ભાયગનું કો.’ જોષીએ તો આંગળીએ વેઢા માંડ્યા, સાતે ગ્રહને સમર્યા ને પછી કહ્યું, ‘રાણી, રાણી, તારું ભાયગ રૂડું હતું પણ તેં તલસીમાને દુભાવ્યાં છે. તેં પાંચ દીવા કીધા. એક દીવો મે’લના ટોડલે મેલ્યો, બીજો દીવો મે’લના ઉંબરે મેલ્યો, ત્રીજો દીવો કૂવાને ગોખલે મેલ્યો, ચોથો દીવો પીપળને થડિયે મેલ્યો, ને પાંચમો ગામને દેરે મેલ્યો. પણ તલસીમા ભુલાણાં તે રાત આ આખી અંધારિયામાં આથડ્યાં ને દુભાણાં.’ રાણી સીતા મૂંઝાણી, ‘જોષીડા, જોષીડા, ભ્રામણ છે તે તું જ મારો તારણિયો. દોષ કીધા તો પ્રાછતયે કે’તો જા.’ જોષીડો ક્યે, ‘રાણી, તમે તલસીમાનું વરત લો. એક મસવાડાનાં બે પખવાડાં. એમાં એક અજવાળિયું, એક અંધારિયું. એમાં અજવાળિયું લઈએ ને અંધારિયું મે’લી દઈએ. એમ સોળ અજવાળિયાં લઈએ. ધાનનો દાણો પેટે ના મેલીએ. વાળ કોરા કરીએ ને સાંજ પડે તલસીમાનો દીવો મેલી પ્રાછત કરી, નમન કરી, પતરાળે બેસીએ. બેસતાં પરથમ ત્રણ ભૂખ્યાંને જમાડીએ ને પછી રાતી ગાયનું દૂધ ને ઝાડથી ગરેલાં ફળ ખાઈએ.’ સીતાએ વરત કરવાનું માથે લીધું ને પછી જોષીડાને કહ્યું, ‘જોષીડા, ભાયગમાં બીજું કાંક ચીતર્યું હોય તે બોલી દે.’ જોષીડો ક્યે કે, ‘રાણી, બીજું તો શું ચીતર્યું હોય પણ ભોંયે કાંટા-કાંકરા છે, ચો પા’ ઝાળાં-ઝાંખરાં છે; કોઠાં-બાવળાં ને આવળાનાં ઝાડવા છે ને વચ્ચે બે પારણાં ઝૂલતાં ચીતર્યાં છે.’ પછી સીતા સાદ કરતી રહી ને જોષીડો ચાલ્યો ગયો. સીતાએ પરધાન તેડ્યા. પરધાન કયે, – ‘ક્યો.’ સીતાએ જોષીડાની સમસા કીધી — ‘ભોંયે કાંટા-કાંકરા છે; ચો પા’ ઝાળાં-ઝાંખરા છે; કોઠાં-બાવળાં ને આવળાનાં ઝાડવાં છે ને વચ્ચે બે પારણાં ઝૂલતાં છે; એનો અરથ શો?’ ચતુર પરધાન ઉત્તર કળી ગયો – ‘કોઠાં-બાવળાં ને આવળાનાં ઝાડવા ગામમાં ન્હોય; ચો પા ઝાળાં-ઝાંખરાં ગામમાં ન્હોય; ભોંયે કાંટા-કાંકરા ગામમાં ન્હોય – કાં પાદરે હોય, કાં તો વનમાં હોય. પણ પાદરે હોય તો ભેળા નદી ચીતરી હોય; માટે વન.’ સીતા કહે, ‘હવે પારણાંની સમસા ઉકેલો.’ ચતુર પરધાન હાર્યો. ક્યે, ‘એ મારું કામ નૈ.’ બાજુમાં પાંજરે પોપટ બેઠેલો, બેઠો બેઠો પેરુ કાતરે ને વાત સાંભળે. તે ચાંચ ઊંચી કરી ક્યે, ‘એ મારું કામ. સામદરિક વિદ્યાનું પરમાણ છે કે આવી એંધાણ અસ્ત્રીને કપાળે જડે, સૌભાગવંતી નારના ચાંદલાની જમણી પા’ જડે. એ એંધાણે પારણું એટલે ઓધાન – જો રાતું પારણું હોય તો દીકરો ને રંગ વિનાનું સાવ કોરુંધપાટ હોય તો દીકરી.’ રાણી સીતાએ ચતુર પરધાનને કહ્યું, ‘પરખાણું?’ પરધાન ક્યે કે – ‘પરખાણું. આ એંધાણવાળી બાઈને વનમાં ઓધાન રહેશે ને ઓધાને દીકરો અવતરશે, નીકર દીકરી અવતરશે. રાતે પારણે દીકરો ને રંગ વનાનું સાવ કોરુંધાગોડ હોય તો દીકરી.’ પરધાન તો ચાલ્યો ગયો ને રાણીએ જોષીડાના બોલે બોલ તોલ્યા. રાત પડી ને દિ’ થાતામાં સૂરજદાદા નીકળતા વેંતમાં જ વાત વીસરાણી... વરત ભુલાણું. અંધારિયું જાતાં ચાંદો બેઠો પણ સીતા તો વાળમાં તેલ-ફૂલેલ ચોળે છે. તણ ધાન ને તેર પકવાનને ભાણે બેસે છે. ભાણે બેઠાં પરથમ સનાન કરી, નીતરતે લૂગડે પારવતીની, ચામુંડાની, કાળકાની, અંબા ભવાનીની, વડુચીની સ્તુતિ આદરે છે પણ તલસીમા યાદ આવતાં નથી. ભૂખ્યા લોકો સદાવરતમાં જાય છે, સીતારાણીને બારણે ઢૂંકતા નથી ને શેરી – સદાવરતમાં શોધવાનું સતીને યાદ આવતું નથી. દૂધ નીત પીએ છે પણ ધોળી, કાળી, કાબરી ગાયનું. ફળ નીત ખાય છે પણ રામની વાડીમાંથી માળીડો તોડી લાવ્યો હોય તે. અંધારિયે ને અજવાળિયે નીત સાંજરે દીવા કરે છે. દીવો મે’લને ટોડલે મેલે, દીવો મે’લને ઉંબરે મેલે, દીવો કૂવાને ગોખે મેલે, દીવો પીપળને થડિયે ને ગામને દેરે મેલે પણ તલસીમાને ક્યારે મેલવાનું ચૂકે ને તલસીમા પાંદડે પાંદડે દુભાય. એક વાર ચતુર પરધાન ને રાજા રામ ગામનાં સખદખ જોવા નીસર્યા. પરધાન અને રામ લવારને ત્યાં ગયા, સુથારને ત્યાં ગયા, મણિયારાને ત્યાં ગયા, કુંભારને ત્યાં ગયા, દોશીડાને ઘેર ગયા, ખેડુને ઘેર ગયા, સરવેને કયું : ‘સખી છો ને?’ લવાર કે’ કે — ‘સખી છૈએ.’ સુથાર કે’ કે – ‘સખી છૈએ.’ મણિયારા કે’ કે – ‘બાપ, સખી છૈએ.’ કુંભાર કે’ કે – ‘કિરપા છે તે સખી છૈએ.’ દોશી કે’ કે- ‘દખ નથી.’ ત્યાં તલસીમાએ ગુણકાનું રૂપ લીધું ને ઘર વસાવ્યું. પરધાનને ક્યે કે, ‘રાજાજીને મારે ત્યાં પધરાવો.’ પરધાન ક્યે કે ‘ના. અસ્તરીની જાતમાં તું ભૂંડામાં ભૂંડી ગણાય. પહેલાં તારું સત બતાવ.’ ગુણકા ક્યે કે – ‘સત કોણે બતાડ્યું છે?’ પરધાન ક્યે કે – ‘રાણી સીતાએ.’ ગુણકા ક્યે કે – ‘એ સત ન્હોય, અસ્તરીચરિત.’ પરધાન ક્યે કે – ‘એ અસ્તરીચરિત હોય, પણ સત.’ ગુણકા ક્યે કે – ‘એ સતનાં પારખાં લેવાં હોય તે આજ એના જમણા હાથનો ચૂડલો માગજો.’ પરધાને રાજા રામને વાત કરી. રામ રાતે મેડીએ ગયા. સતી સીતા ઘૂમટો તાણીને બેઠાં’તાં. રામે ક્યું, ‘હેવાતણ છો તો સોભાગીની રખ્ખા કરો છો?’ સતી ક્યે કે ‘હા.’ રામ ક્યે કે ‘તમારા ચૂડલાની જોડ બતાવો.’ સીતા બે હાથ ધરીને ક્યે કે – ‘લો, જુઓ.’ જુએ તો ડાબે હાથે ચૂડલો મઢ્યો છે; હાથીડાના અસલી દાંતની સુગંધી આપે છે ને ઉપર જડેલી રૂપાની ઘૂઘરી રણકે છે. પણ જમણો હાથ સાવ અડવો. સીતા મૂંઝાણાં. સીતા સનાન કરે, ભોજન કરે, રામને પડખામાં લ્યે, નીંદરે ચડે, પણ ચૂડલો હાથમાંથી બહાર ન કાઢે ને ચાંદલો કપાળેથી ભૂંસી ના નાખે. વાળ હોળતાં–ગૂંથતાં–અંબોડો લેતાં સેંથીનું કંકુ આઘુંપાછું થાય એટલે રોજ સનાન કરી, વાળ ઓળી, સેંથીમાં કંકુ પૂરીને તાજી લાલચટ્ટક બનાવી દ્યે ને આજ આ જમણો હાથ અડવો કેમ પડ્યો? સીતા ક્યે કે, ‘ઊભા ’ર્યો, પટારે શોધું.’ પટારે દીઠું – ના મળે. દાબડાઓ ખોલ્યા – પણ ના મળે. સીતા મૂંઝાણાં. રામ મૂંઝાણા. રામ સીતાને પારખે પણ ગુણકા ના પારખે એટલે રામે ક્યું કે, ‘હું પારખું પણ ગુણકા ના પારખે. માટે તું જા.’ સીતા ક્યે કે, ‘ગુણુકા કોણ?’ એટલે રામે ક્યું કે, ‘તારા સતનાં પારખા કાજે ચૂડલા જોવા કયું’તું તે.’ સીતા ક્યે કે, ‘ભૂંડું થયું. એ ગુણકાએ અસ્તરીચરિત કર્યું.’ રામ ક્યે કે, ‘હું બધું પારખું પણ ગુણકાને પરખાવાનું નથી. માટે તું જા.’ સીતા તો ચાલ્યાં. ચાલતાં ચાલતાં પગે ચીરા પડ્યા તે પીલૂડા પાસે બેઠાં. ત્યાં એક અસ્તરી ભોજનનો થાળ લઈને આવી ને સામે મૂક્યો. ભૂખે ભાવતાં ભોજન મળ્યાં એટલે સીતાએ કોળિયા ભરવા માંડ્યા ને પૂછ્યું કે, ‘બાઈ તમે કોણ છો? ને શા માટે મને ભેજન દ્યો છો?’ બાઈએ ક્યું કે, ‘હું તલસીમાનું પ્રાછત કરું છું.’ એક મસવાડાનાં બે પખવાડાં. તેમાં એક અજવાળિયું ને એક અંધારિયું. એમાં અજવાળિયું લઈએ ને અંધારિયું મેલી દઈએ. એમ સોળ અજવાળિયાં લઈએ. ધાનનો દાણો પેટે ના મેલીએ. વાળ કોરા કરીએ ને સાંજ પડે તલસીમાને દીવો મેલી, પ્રાછત કરી, નમન કરી, પતરાળે બેસીએ. બેસતાં પરથમ ત્રણ ભૂખ્યાંને જમાડીએ ને પછી રાતી ગાયનું દૂધ ને ઝાડથી ગરેલાં ફળ ખાઈએ.’ એટલે સીતા ક્યે કે, ‘બાઈ, મારે પ્રાછત કરવું છે. મેં રોજ એક દીવો મે’લને ટોડલે મેલ્યો. એક કૂવાને ગોખે ને એક પીપળને થડિયે મેલ્યો. બાકી એક ર્યો તે ગામને દેરે મેલ્યો પણ તલસીમાને ના મેલ્યો. એ ના મેલ્યાનું પ્રાછત કરવાનું માથે લીધું ને પછી વિસારી દીધું.’ બાઈએ ક્યું કે, ‘ત્રણ ભૂખ્યાને જમાડવામાં આજ છેલ્લાં તમે. હવે તલસીમાના વરતની વારતા સાંભળો.’ સીતાએ ક્યું કે, “કો’.” બાઈએ વાત માંડી— “પૂરવે અજોધા નગરીમાં પોપટનું રાજ હતું. પોપટ સામદરિક વિદ્યા જાણતો હતો. એક સમે એક ગુણકા એ પોપટના ચતુર પરધાનને ત્યાં આવી. રાજા ત્યાં બેઠો’તો. પરધાન આઘોપાછો થયો એટલે ગુણકાએ કહ્યું કે, ‘તને હાચો સામદરિક જાણું પણ ક્યે કે હું કોણ છઉં?’ રાજાએ કહ્યું કે, ‘તું ગુણકાવેશે તલસીમા છો.’ ને ચાલતો થયો. ચતુર પરધાને આ સાંભળ્યું એટલે આવીને પગે પડ્યો. તલસીમાએ કહ્યું કે, ‘તારી અસ્તરીને દેશવટો દે.’ પરધાન કહે કે ‘દઉં, પણ દોષ કો’.’ તલસીમા ક્યે કે, ‘પહેલાં દે, પછી દોષ કઉં.’ પરધાને અસ્તરીને દેશવટો દીધો એટલે તલસીમાએ કીધું કે, ‘એક દિવસ એણે સનાન કીધા પહેલાં જ મારું પાન મોંમાં મેલ્યું’તું.’ પરધાને કીધું કે, ‘અસ્તરી વિના મન ઉદાસ રહે છે ને રાતે આંખ ગળે છે, ભોજન ભાવતાં નથી. માટે દોષનું પ્રાછત કો’.’ તલસીમાએ કીધું કે ‘એક મસવાડાનાં બે પખવાડાં. તેમાં એક અજવાળિયું ને બીજું અધારિયું. એમાં અજવાળિયું લઈએ ને અંધારિયું મેલી દઈએ. એમ સોળ અજવાળિયાં લઈએ. ધાનનો દાણો પેટે ના મેલીએ. વાળ કોરા કરીએ ને સાંજ પડે તલસીમાને દીવો મેલી, પ્રાછત કરી, નમન કરી, પતરાળે બેસીએ. બેસતાં પથમ ત્રણ ભૂખ્યાંને જમાડીએ ને પછી રાતી ગાયનું દૂધ ને ઝાડથી ગરેલાં ફળ ખાઈએ. આટલું તારી અસ્તરી કરે તે પ્રાછત કીધું કે’વાય.’ ‘વનમાં વનદેવી જોગણવેશે રહેતી હતી. એણે ચતુર પરધાનની અસ્તરી મેનાને ઝાડ પર માળો બનાવી દીધો હતો. તેમાં તે રહેતી હતી. તલસીમાએ તેને દરશન દીધાં ને ક્યું કે – ‘મારું પ્રાછત કર.’ મેનાએ બહુ ભાવથી એ કીધું ને વરસ પર ચાર મસવાડાં વરત પૂરું થતાં પરધાન પોપટ ને અસ્તરી મેના ભેળાં મળ્યાં. મન ઉદાસ ના રયાં ને બેયની આંખ ગળતી મટી ગઈ. વરસો પછી રાજા પોપટ, પરધાન પોપટ ને અસ્તરી મેના રાજા રામના મહેલમાં લવાણાં. ઘણાં વરસો બંને સાથે જીવ્યાં ને અંતે સાથે મર્યાં.’ ‘જેવી એમની મનખા પૂરી એવી તલસીમા સૌની પૂરજો ને રૂડી આશિષ દેજો.” – બાઈએ વાત પૂરી કરી એટલે સીતા આગળ ચાલી. ચાલતાં ચાલતાં વન આવ્યું. વનમાં સાધુવેરાગીની ઝૂંપડી આવી. ઝૂંપડીના બહારના ભાગે ગાયના છાણનું લીંપણ હતું ને એમ આંગણું કર્યું હતું. આંગણાની વચ્ચે આંબો મ્હોર્યો’તો ને આંગણાને બેય છેડે તલસીમા બેસાર્યા’તાં. સીતાએ તલસીમાને દીઠાં ને નમી પડ્યાં, ‘જે તલસીમા, દીકરીને ખમ્મા કરો. જ્યાં તારું થાનક ત્યાં મારું ઘર.’ આંબા હેઠે હરણનું ચામડું ને ઉપર સાધુ-વેરાગી બેઠો બેઠો એકતારા પર ભજન લલકારે. સીતા તો ગઈ ને ક્યે, ‘બાપજી, પાય લાગું. આજ થકી તમે મારા બાપ ને હું તમારી દીકરી. અહીંયાં રૈશ ને તમારી સેવા-ચાકરી કરીશ. માટે ના ન કે’શો.’ સાધુવેરાગી ક્યે, ‘દીકરી, દીકરી, શી તારી ઉંમર ને શી તારી ગતિ? એવા તે શા દુઃખના પહાડ પડ્યા કે વનમાં ભમવું પડે છે! ભરથાર ભૂંડો મળ્યો છે કે સાસુ કભારજા છે?’ સીતા ક્યે કે, ‘બાપજી, એવું ના બોલશો. મુને મળ્યા છે એવા ભરથાર ને મુને મળ્યાં છે એવાં સાસુ જગતમાં થાવાં નથી. પણ મેં તલસીમાને દુભવ્યાં તે અવળદશા બેઠી છે. સમો આવ્યે તમને સરવે કૈશ.’ આમ આ તરફ સીતા રયે છે. એક દીવો વનની વાટે મેલે. એક દીવો નદીનાં કાંઠે મેલે, એક દીવો ઝૂંપડીની માંયલો મેળે, એક દીવો આંબાને થડિયે મેલે ને બે તલસીમાના થાનકે મેલે. એક મસવાડાનાં બે પખવાડાં આવે, અંધારીએ ચાંદે રામ વન્યા સરખી નિંદ ના’વે. ખાતાં મોંમાં મોળ લળે. સપને રામને શિરામણ કરાવે પણ સખ ના વળે. રોજ વૈરાગી ચંત્યા કરે. ત્યાં અજવાળિયું ઢૂંકે ને સીતારાણી વાળ કોરા કરી દ્યે. ધાન તરછોડે ને વનમાં સૂડાસમડાએ ડાળ હલાવી પાડેલાં, ચાંચ મારેલાં ફળ લાવે. સાધુ-સંન્યાસી, બાવા, અભ્યાગત, વટેમાર્ગુ ભૂખ્યા હોય તો તેડી આવે. પેટ ટાઢાં કરે. પછી સૌને તલસીમાની વારતા ક્યે ને પતરાળે બેસે. ભરવાડનાં ટોળાં ધણ ચારવા આવે એમાં ગાયનાં ધણ ગોતી માંયથી રાતી ગાય ખોળી કાઢે ને એનું દૂધ પીએ. તલસીમાના ક્યારે નિત પ્રાછત કરે ને અજોધાને યાદ કરે. કોક દિ’ અભ્યાગત વટેમાર્ગુ ના મળે, કોક દિ’ મળે પૂરા ત્રણ ન હોય તો સીતા નયણામુખી રયે ને એમ મસવાડા વહેતા જાય ને તલસીમાની ક્રપાએ પેટમાંનો ઓળ વધતો જાય. અજવાળિયે, વાટે સાધુ–સંન્યાસી, બાવા, અભ્યાગત, વટેમાર્ગુ મળે, નદીને કાંઠે હોડીવાળા મળે, વનમાં ભરવાડ ને રબારી મળે, કદીક ખેતરના ખેડુ મળે. સૌને સીતા ક્યે કે, ‘ક્યાં જાવ છો? અજોધા જાવ છો? ક્યાંથી આવો છો? આજોધાથી આવો છો? અજોધા સખી તો છે ને? નગરીનો રાજા સખી તો છે ને?’ ખેતરના ખેડુ ક્યે કે, ‘લીલાલહેર છે. સૌને લીલાલહેર છે.’ સાધુ–સંન્યાસી ક્યે, ‘વાં સબ અચ્છા છે.’ વટેમાર્ગુ કે’ કે, ‘બાઈ, અજોધા જેવી સખી બીજી નગરી નથી. ધન છે એના રાજાને. ધન છે એની પરજાને. એનું રાજ અમ્મર તપો ને એ રાજા જુગ જુગ જીવો.’ ને સીતા ટેરવાં જેવડો નેહાયો મેલે. આ તરફ સીતાના દિ’ આમ વીતે છે ને પેલી તરફ રામને જપ નથી. ગલાબનાં પાણીડે અસનાન કરે છે, સો મણ રૂની તળાઈમાં પોઢે છે, ઘેર ચારણ, બારોટ ને દશોંદી મલાવી મલાવીને વારતા માંડે છે, કસુંબા થાય છે ને ગલોફે તંબોળ લેવાય છે, પણ રામને ચેન નથી. ચતુર પરધાન એ કળી ગયો. એણે ભરત ને લખમણને બોલાવ્યા. માંડીને બધી વાત કીધી. રાજાને નબળો દેખે ને વાટપાડુ અને ધાડપાડુ જાગે. દશમન રાજાનાં સેન જાગે ને રાજનું ધનોતપનોત નીકળી જાય – પાદરે પાળિયા ઊભરાતા થાય. એટલે ચતુર પરધાને કહ્યું કે, ‘ભાયા લખમણ ને ભાયા ભરત, તમે બેય ભેરુ લાવો લેખણ ને હું અગશર પાડું છું.’ કાગળિયો ચીતરી ઉપર પરધાને મ્હોર લગાડી ને બેયને ક્યે, ‘લ્યો રામની પવનપાવડી ને જાવ હડમાન ક્ને. એને આ કાગળિયાં વંચાવજો.’ કાગળિયો વાંચતાંકને હડમાન બેઠા થઈ ગયા. કછોટો ભીડ્યો ને બેય ભાઈઓને ખાંધલે લેતાકને પવનપાવડી ભેળા ઊડ્યા તે આવી પડ્યા અજોધામાં. ક્યે કે, ‘ભો કોનો છે? ધાડપાડુ આવો. વાડપાડુ આવો. દશમનના સેન આવો. અગનની આગ આવો. જમડાની પોઠ્ય આવો. પણ હડમાનને રામનાં રખવાળાં છે’, કહીને હડમાને છાતી ચીરી ને કીધું – ‘માંય જુઓ. માંય એકલા રામ બેઠા છે.’ – ને પછી હડમાને અજોધા નગરીની રખવાળી માથે લીધી. પરધાન ક્યે કે, ‘તું રખવાળી કર પણ રામને મોંએ ચડીશ મા. તને જોશે ને દખી થશે. એમને દખી કરીશ મા.’ પરધાનનો બોલેબોલ ને હડમાનનો તોલેતોલ. હડમાન ક્યે કે – ‘ભલે.’ આ તરફ હડમાનની રખવાળી ચાલે છે ને ઓ તરફ તલસીમાની ક્રપા વધતી જાય છે. એમ નવ મસવાડા પૂરા થયા ને રાણી સીતાએ ચંદરમા જેવા બે દીકરા જણ્યા. નામ લવ ને કશ. દીકરા દિ’એ ન વધે એટલા રાતે વધે છે. રાણી સતી દિ’ને રાત સળેખડું થતી જાય છે. એમ પ્રાછત પૂરું થવાને બે મસવાડા રયા. બે અજવાળિયાંમાંથી પહેલું અજવાળિયું આવ્યું ને પાર ઊતર્યું. પછી તલસીમાએ સોણામાં દરશન દીધાં ને કીધું કે, “તે મારી પૂરણભાવે ભગતિ કીધી તો જા તારા કોડ હું પૂરા કરું. કાલ સવારે સવાશેર ચોખા લેજે. એને ચૂલે ચડાવજે. પાકા થાય એટલે એના ત્રણ ભાગ કરજે. વચલા ભાગમાં ગોળ નાખજે ને આગલા-પાછલામાં ઘી નાખજે. ઘીવાળા ભાગમાંથી ગાયને દેજે, ચકલાંને દેજે, પારેવાંને દેજે, રાજા રામને ઘેર પાંજરે સામદરિક પોપટ છે તેને દેજે.’ સીતા ક્યે કે, ‘એ શેં?’ તલસીમા ક્યે કે, ‘વચલો ભાગ તારા બેય દીકરાને દેજે. એ ખાતાંવેંત બેયને જુવાનીનું જોર આવશે; જુવાનીની સાન ને જુવાનીનો વાન આવશે; ઘાંટો કેસરી જેવો થાશે ને પડછંદ કાયા થાશે; મૂછના દોરા ફૂટશે ને નવ મસવાડાના છોરું મટી સોળ વરસના જોધમલ ફાટફાટ કુમાર થાશે. એમને અજોધાની વાટ બતાવી કે’વું કે – ‘આજોધા જાવ ને રાજાને મળો. કો’ કે ‘અમે તારા કુંવર.’ ઘીવાળા ભાતનો ભાગ તેમને દેજે ને કે’જે કે એ ભાત રાજાને દે ને ક્યે કે – રાજા, રાજા, તલસીમાનું વચન છે તે તલસીમાની અવધ છે. તારો આ પોપટ સામદરિક છે. એને આ ભાત ખવાડ પછી એ જેમ ક્યે તે કર્ય.’ સીતા તો બીજે દિ’ ઊઠ્યાં ને સવાશેર ચોખા લીધા. ચૂલે માંડ્યા ને પાકા થતા ભેળા ઉતારી એના ત્રણ ભાગ કીધા. આગલા ને પાછલા ભાગમાં ઘી મેલ્યું ને વચલા ભાગમાં ગોળ નાખ્યો. પછી ઘીવાળો ભાગ ગાયને ખવાડ્યો, ચકલાંને અને પારેવાંને ખવાડ્યો, વધ્યો એટલે બાજુએ રાખ્યો, ને પછી પારણે જઈને બેય કુંવરને કીધું કે – ‘કુંવરજી, જાગો.’ બંને કુંવર તો જાગ્યા ને માને પૂછવા લાગ્યા કે, ‘મા, મા, શીદ જગાડ્યા.’ માએ કહ્યું કે, ‘ઊઠો ને આ ભાત ખાઈ લો. તલસીમાનાં વચન છે ને તલસીમાની આણ છે.’ બેય કુંવરે ગોળવાળા ભાત ખાધા ને જોતજોતામાં છોરું મટીને કેસરિયા જવાન બનીને માને પ્રણામ કરતાક ને ઊભા. સીતાએ બેયને ઊભા કીધા. ને કહ્યું કે, ‘બેટા લવકશ. આ ભાત લ્યો ને વનની દખણાદી વાટે જાવ. જાતાં જાતાં નદી આવશે. એને કાંઠે કાંઠે ઊગમણી કોર જાવ. વચમાં વન આવશે. ત્યાં વનદેવી રયે છે. એનો જોગણનો વેશ છે ને લીમડા હેઠ ઝૂંપડી છે. રાતે અંતરધાન બની વનની રખવાળી કરે છે ને દિ’એ જોગણ બનીને ધ્યાન ધરે છે. એ વનની દેવીને કે’જો કે – ‘તલસીમાની આણ છે. તલસીમાનાં એંધાણ છે. ચતુર પરધાનની મેનાના નગરની વાટ બતાડો.’ એટલે એ વાટ કહેશે, એ વાટે જતાં બીજી એક નદી આવશે. એને કાંઠે ઘાટ આવશે. એમાં પહેલો ઘાટ છોડો, બીજો ઘાટ છોડો ને ત્રીજે ઘાટે અજોધા નગરી. નગરીનો કિલ્લો ને કિલ્લાનાં કમાડ સોનાનાં ને નગરી બહાર માણસ ન મળે ને મુડદાં ના બળે એ એંધાણે જજો. જઈને રાજા રામનો મહેલ પૂછ્જો ને રામને કે’જો કે – ‘તલસીમાની આણ છે, આ ભાત લ્યે ને તારા સામદરિક પોપટને ખવાડ. પછી એ જેમ કયે એમ કર્ય, અમે તારા કુંવર છૈએ.’ લવકશ તો માને પગે લાગીને ચાલ્યા જાય છે. ઝાડ હેઠે બપોરાં ખાય છે; નદી-તળાવ ને વાવ-કૂવાનાં પાણી પીએ છે; લણેલાં ખેતરની ભોંય પરથી ધાનના દાણા એકઠા કરે છે; કંદમૂળ લાવે છે ને ફળ લાવે છે; લાકડે-લાકડું ઘસી અગ્નિ પ્રગટાવે છે; અગ્નિદેવને નમન કરે છે ને ધાન ચડાવે છે. રાતે નદીને ઘાટે, તળાવની પાળે, વડલાના થડિયે, ધરમશાળાએ, ગામને ચોરે કે પછી ગામપટેલને ડેલે વાસો કરે છે ને એમ અજોધા ઢૂંકડું આવતું રે’ છે. સૂરજ ઊગે છે ને ચંદર આથમે છે. ચંદર ઊગે છે ને સૂરજ આથમે છે. ચંદર ધીરે ધીરે બટુકડો બટુકડો થતાં સાવ બુઝાઈ ગયો ને એમ અંધારિયું ગયું ને અજવાળિયું બેઠું. અજવાળિયે જોગણનું વન આવ્યું. વનની જોગણે વાટ ચીંધી. અજવાળિયે સીતાના પ્રાછતની અવધ બેઠી. સાધુવેરાગીને ચિંતા પેઠી. સીતાને તણ સોણલાં આવે છે. એક સોણલે લવકશ બિરાજે છે, તો બીજે સોણલે રામ ને તીજે તલસીમા બિરાજે છે. એની ચંપકવરણી કાયા કરમાણી છે. મરઘાનેણીનાં નેણ ઊંડાં ઊતર્યાં બીંબાફળાં અધર ફિક્કાં થયાં છે. ગાલે ખંજનની જગાએ ખાડા થયા છે. સઘળે રાતાં-પીળાં જુએ છે ને ચકળવકળ ઘૂમે છે ત્યાં તલસીમા આકરાં થયાં. વનમાં ગાયો ચારવા ભરવાડ આવતા નથી. વનની વાટે ઘાસ-ઘાસ થઈ ગયાં. વાટ ભૂંસાણી. વાટપંથી સાધુ-સંન્યાસી, બાવા-અભ્યાગતે આવણાં છાંડ્યાં. દિ’ આખો સીતા તાકતી બેઠી રયે પણ કોઈ આવે નૈ. પતરાળે બેસે નૈ. રાંધ્યા ધાન રઝળે. લાવ્યાં ફળ સડે. એક દિ’ એક ભરવાડ આવ્યો. સાથે રાતી ગાયનાં ટોળેટોળાં લાવ્યો. ગાયોને દૂધની સેડ્યો ફૂટવા માંડી. ભરવાડ સીતાને ક્યે કે, ‘પી બોન, પી. મારી ગાયોને તુંને દીઠાંવેંત પોરહાં ચડ્યાં છે તે દૂધ માતું નથી.’ પણ સળેખડી સીતા ક્યે કે, ‘ના રે ભઈ, મારે તલસીમાનો પ્રાછતવિધિ છે.’ બીજે દિ’ બે વટેમાર્ગુ આવ્યા. સીતાએ એમને ભાવતાં ભોજન દીધાં. વળી પાછો પેલો ભરવાડ આવ્યો. સીતાએ એનું પેટ ઠાર્યું ને પછી વનમાં ફળ ઢૂંઢવા નીકળી. જુએ તો વનને ઝાડે ઝાડે કોઠાં ને રાયણાં, આંબા ને પીલુડા, અંકોલાં ને સીતાફળાં ઝૂમે છે; પણ વાયરો વાતો નથી. પંખીડાં ઊડતાં નથી ને ફળ ગરતાં નથી. ભરવાડ ક્યે કે, ‘કાલ ગાયો લાયો’તો, આજ ભેંસો લાયો છું. લ્યે આ દૂધ પી.’ સીતા ક્યે, ‘ના રે ભાઈ, મારે તલસીમાનું વરત છે.’ ને સીતા નયણામુખી બેસી રઈ. વળી દંન ઊગ્યો ને સીતા વનમાં ફળ વીણવા ચાલી. ડાળે ડાળે ને ઝાડે ઝાડે મજાનાં ફળની લૂમેલૂમ. પણ વાયરો વાયો ને ફળ હેઠે ગર્યાં ને સીતા જુએ તો સડેલાં ને માંય કીડા પડેલા. બે સાધુ-સંન્યાસી આવ્યા. એમને નમન કરી ભાવે ભોજન કરાવ્યાં. ને પાછો પેલો ભરવાડ આવ્યો. સીતાએ એનું પતરાળું માંડ્યું. ભરવાડે હરખનો ઓટકાર ખાધો ને કીધું કે, ‘બાઈ, તારે તલસીમાનું વરત છે એટલે આજ ફરી ગાયોનું ધણ લાયો છું. આજ મારું દૂધ પી.’ સીતા તો ગાયના ચરાણ કને આવી. જુએ છે તો કોઈ ગાય ધોળી છે તો કોઈ કાળી છે, કોક કાબરી છે, પણ એકે ગાય રાતી નથી. સીતા ક્યે કે, ‘ના રે ભૈ, રાતી ગાય વન્યા બીજી મારે ખપે નૈ.’ વળી દંન ઊગ્યો ને પંખી બોલ્યાં; વાયરા ડોલ્યા ને સરસ ને મજેનાં પાકાં ફળ ગર્યાં. ભરવાડ આવ્યો ને રાતી-માતી ગાયોનાં ટોળકાનાં ટોળકાં લાવ્યો. પણ બે ભાણાં ભર્યાં પડ્યાં છે ને કોઈ ખાનારું આવતું નથી. સીતા તલસીમાને સમરે છે – ‘જે તલસીમા, તું રાખે તેમ રૈએ.’ રામને સમરે ને બેય દીકરાઓની ચંત્યા કરે. તલસીમા બધું નીરખે ને સતીની પુનાઈ જોઈ ત્રૂઠે. એમ કરતાં પૂનેમનો દિ’ થયો. રામ સુકાઈને પોયણપાનશા થઈ ગયા છે. આજ દિ’ છે ને ચતુર પરધાને એક તુક્કો ગોઠવ્યો છે. ડાયરો બેઠો છે; રામ બેઠા છે; ઠૂંગા–પાણી હાલે છે ને એક વહીવંચો બેઠો બેઠો ડોકું ધુણાવે છે. પરધાન ક્યે કે, ‘વહીવંચાજી, આજ આવ્યા છો ને કાલ તો વે’તા થાશો; તો પછી સરસતીમાનો પરસાદ અમને આજ દેતા જાવ.’ બારોટે તો પગ ભેળા લઈને ભેટ બાંધી, કસુંબે આંખો લાલઘૂમ કીધી ને વાત માંડી દીધી... — એક રાજાને એક રાણી. રાજા તલસીમાના પરતાપને પીછાણે. નગર આખામાં પડો વજડાવ્યો ને ઘેર ઘેર તલસીમા પધરાવ્યાં. આખી પ્રજા નિત ઊઠી મોં પખાળે; સનાન કરે; તલસીમાને ક્યારે પાણી રેડી અરઘ આલે; એને નમે ને પછી સઘળાં કાજ હાથમાં લ્યે. તે તલસીમાને એકવાર થયું – લાવ, રાજા-રાણીનાં પારખાં લઉં. રાજાની મેડીએ ઢોલિયો. ઢોલિયાની પાંગતે બે કળાયેલા મોરલા. તલસીમા એક રાતે પોઢેલી રાણી કને ગ્યાં ને એના જમણા હાથનો ચૂડલો ઝાલ્યો પણ એમ કરતાં ચૂડલાની ઘૂઘરી રણકી તે રાણી નિંદરમાં બોલી કે, ‘કુણ છે?’ એટલે તલસીમાએ ઢોલિયાને કીધું કે - ‘લે મારી થાપણ.’ ઢોલિયો જરીક ચીરાડો થયો. ચૂડલો અંદર મેલ્યો ને પાછી ચીરાડ પુરાણી, તલસીમા અંતરધાન થઈ ગયાં. એક પહોર વીત્યો ને રાજાને સોણે આવ્યાં. ક્યે કે – ‘તારી રાણીનાં સતનાં પારખાં લે. એનો જમણા હાથનો ચૂડલો કાલ માંગી જોજે.’ રાજા પરભાતે ઉઠ્યો. ઊઠતાં ભેળી રાણીને ઢમઢોળી ને રાણીએ આંખ ખોલી એટલે પૂછ્યું, ‘રાણી, રાણી, હેવાતણ છો તો ચૂડલાની રખ્ખા કરો છો?’ રાણી ક્યે – ‘વારુ સ્તો.’ રાજા ક્યે – ‘તમારા ચૂડલાની જોડ બતાડો.’ રાણીએ તો બે હાથ ધરી દીધા. ક્યે કે – ‘લો જુઓ.’ જુએ તો ડાબે હાથે ચૂડલો મઢેલો છે. હાથીડાના અસલી દાંતની સુગંધ આવે છે ને ઉપર જડેલી ઘૂઘરી રણકે છે, પણ જમણો હાથ સાવ અડવો છે. રાણી મૂંઝાણાં. સનાન કરે, ભોજન કરે, રાજાને પડખે બેસે, નિંદરે ચડે પણ ચૂડલા હાથથી બહાર ના કાઢે ને ચાંદલો કપાળથી ભૂંસી ના નાખે; તો આજ આમ કેમ? પટારે દીઠું. ના મળે. દાબડાઓ ખોલ્યા. ના મળે. ને એકદમ રાણીને રાતનાં ઓસાણ આવ્યાં. કોક જમણો હાથ ઊંચો કરે છે ને ચૂડલાની ઘૂઘરી રણકે છે. નિંદરને હિલોળે રાણી ક્યે છે – ‘કુણ છે?’ રાજાને બધી વીતક કીધી. રાજા ઝટ દૈને ક્યે કે, ‘એ તલસીમા...’ ... આમ આયાંકણે વહીવંચે વાત માંડી છે ને ન્યાં સીતા તરણે-ઢાંકી વાટ ફંફોસે છે; આંખે નેજવાં ધરે છે ને લાલ-પીળાં આવતાં હોય એને ઢાંકે છે. પણ ક્યાંય કોઈ કળાતું નથી. તાજાં-મીઠાં ફળ ટપટપ ગરે છે, પણ નથી પેલો ભરવાડ કે નથી ગોધણ કે નથી વાટખેડુનાં પગલાં. ચૌદ દિ’ના અપવાસ પેટે પડ્યા છે. સીતા ને વેરાગી બાવા બેયને આજે પંદરમો દિ’ ઊગ્યો છે ને પરોણાનાં પગલાં નથી. એમ થતાં સાંજ ઢળી ને સૂરજ આંધળો થવા બેઠો. લવકશે જોગણે બતાવેલી વાટે નદીકાંઠે પે’લો ઘાટ મેલ્યો, બીજો મેલ્યો ને જ્યાં ત્રીજો ઘાટ દેખાણો કે સામે સોનાનો કિલ્લો ઝળાંહળાં થાય; ઉપર રાતા સૂરજનું તેજ ઢળે, એની ચારેકોર એક આંટો દીધો, પણ ના મળે મસાણ કે ના મળે એક મડદું. લવ-કશને ક્યે કે, ‘આ જ અજોધા. આજ રાત ગામબા’ર નદીના ઘાટે પડ્યા રૈએ. સવારે નગરીમાં જાશું.’ પણ કશે હઠ લીધી, ‘મારે તો રામબાપુ ભેળા આજ જ થાવું છે. અધીરપ ઊભરાણી છે. હું તો આ હાલ્યો. ચાલ, ભેળો થા.’ કચવાતે મને લવ ભેળો થયો. વહીવંચાની વાતે આજ રામમાં રસ જાગ્યો. ક્યે કે – ‘હેં, પછી?’ વહીવંચે રંગ ઝીલ્યો. ક્યે કે — ...રાજા ક્યે કે, ‘એ તલસીમા. એણે આપણાં પારખાં લેવાં છે. એટલે ચૂડલો હર્યો. તો હાલ આપણે પારખાં દૈએ. તારું સત હું પારખું પણ તલસીમા ના પારખે. માટે તું જા.’ રાણી તો હાલી... આ તરફ રાજા રોજ ઢોલિયે પોઢે છે પણ એને સખ નથી. રોજ પડખાં ઘસે છે. રોજ ડેલે બારના ડંકા પડે ને કાંકથી અવાજ આવે, ‘લ્યે લ્યે, તારી થાપણ પાછી લ્યે, તને ભીડ પડે મેં રખોપાં કીધાં. હવે ભીડ ઢળ્યે હું ના રાખું. લ્યે, લ્યે, તારી થાપણ પાછી લ્યે.’ રાજા ઊઠે ને ઢોલિયા હેઠે જુએ, મેડીને ઓરડે દીવો કરીને શોધે પણ કશું ના જડે. બે દિ’ થયા, ત્રણ દિ’ થયા પણ રોજ બારના ડંકે કાંકથી અવાજ આવે છે. ‘લ્યે, લ્યે, તારી થાપણ પાછી લ્યે. તને ભીડ પડ્યે મેં રખોપાં કીધાં. હવે ભીડ ટળ્યે હું ના રાખું.’ વળી ત્રણ દિ’ એમ ગયા ને બોલ બદલાણો. બારના ડંકા થાય ને બોલ પડે, ‘ફાટું? ફાટું? થાપણ લ્યે છે કે ફાટું!’ રાજા વિમાસે કે આ કોતક કેવું? આમ વાત જામી છે, રંગ જામ્યો છે ને બેઠેલા ડાયરા ઊઠતા નથી. દિ’ ઢળ્યો છે, સૂરજ ઢળવા પર છે, પણ જામેલા ડાયરા ભાંગતાં સૌ ખચકાય છે. ને વાતમાં લેરિયાં લે છે. સૂરજને ઢળતો દીઠો ને સીતાએ પાંચ કોડિયાં લીધાં, માંય ઘી મેલ્યું ને ઘીમાં ઝબોળેલી દીવેટ મેલી, દીવા પ્રગટાવ્યા. એક દીવો નદીના ઘાટે મેલ્યો. એક દીવો વનની ઘાસછાયી વાટે મેલ્યો. એક દીવો ઝૂંપડીની માંયલો મેલ્યો. એક દીવો આંબાને થડિયે મેલ્યો ને જ્યાં બે દીવા તલસીમાને મેલવા જાય ત્યાં આભમાં ચાંદો ખીલ્યો. પૂનમનો ચાંદો ખીલે ને અજોધાની નદી ખળભળ ખળભળ કરતીકને રેલાવા માંડે. મહેલની મેડીની બારીએથી સીતા તે જુએ ને રામને ખભે બાઝીને ક્યે કે, ‘ઓય મા.’ અતારે રામ ને લવકશ બેઠા હશે ને સખદખની વાતો...પોપટે ભાત ખાધા...નદી ખળખળે ને લવકશ સોનાનાં કમાડ ખોલી નગરીમાં જાય... ચાંદને દીઠો ને સીતાનો દરિયો ચૂપ ના રયો. ‘તલસીમા, તારા રાખેલ રૈએ છૈએ.’ કૈને તલસીમાને દીવા ધાર્યા ને જ્યાં ચાંદ પરથી નજર તલસીમાના દીવા પર પડી ત્યાં આંખે જામેલ પાણીડાં દીવે પડ્યાં – ટપક્...ટપ્ ને દીવો હોલવાણો. સીતા હાં...હાં કરે ને ફરી ટપક્...ટપ્ ને બીજો દીવો હોલવાણો. તુલસીમા કોપ્યાં. રાજાને ખબર નથી કે રોજ રાત્રે ઢોલિયો બોલે છે ને થાપણની વાત ક્યે છે – ‘ફાટું? ફાટું? થાપણ લે છે કે ફાટું?’ હવે કરવું શું? તલસીમા મૂંઝાણાં. જો ફાટે તો તલસીમાની લાજ ઊઠે ને ના ફાટે ને થાપણ પાછી લ્યે તો મેલવી ક્યાં? વાતનો રંગ જામ્યો ને આભે અંધારાં ભેદીને ચાંદાનાં તેજ રેલાણાં. લવકશે ચાંદાને જોઈને જલદી કરી. કિલ્લાને દરવાજે આવ્યા. દરવાજે હડમાન ઊભેલો. ક્યે કે, ‘હુપહુપા હુપ, એલા છોકરાવ, કોણ છો ને રાત પડવા આરે શીદ આવ્યા છો?’ લવકશ ક્યે કે, ‘અમે રામજીના કુંવર છૈએ. અમારાં નામ લવકશ. જાવ ને રાજાજીને વાત ક્યો કે, ‘તમારા કુંવર આવ્યા છે.’ હનુમાન ક્યે કે, ‘ના, હું ના જાઉં. કેવા કુંવર ને કે કેવી વાત! રાજાને કુંવર તે ક્યાંથી? ટાઢા પો’રના ના મેલો ને આવી જાવ રણમાં. વાટપાડુ છો કે ધાડપાડુ છો? દશમનની સેનાની ચાકરીમાં છો કે પછી જમડાની પોઠ્યના પોઠી છે? આવી જાવ રણમાં.’ લવકશ ક્યે કે, ‘અમને સીતામાએ મોકલ્યા છે.’ હડમાન ક્યે કે, ‘ક્યાં સીતામા ને ક્યાં અજોધા ને ક્યાં તમે! સોળમે મસવાડે સોળ વરહ વળોટી થૈ ગ્યા એના દીકરા! માટે થાવ સાબદા!’ લવકશ આમ ઊભા છે; સાબદા થવા કરે છે. હડુડુડુ હડમાન ધસે છે. ‘રામનાં રખવાળાં ને રામની આણ.’ સેવક સીતામાનોય ને સેવક રામનોય. તોય સેવક રામનો. લવકશ ઊભા છે. દીકરા રામનાયે ને દીકરા સીતાનાયે. તોયે દીકરા સીતાના. આણી પા’ રામ બેઠા છે. ઢોલિયો ફાટે ને ચૂડલો નીકળે ને પારખાં... પેલી પા’ સીતાની આંખથી ડળક... ડળક... જે તલસીમા, જેવાં રામસીતાએ દીઠાં એવાં કોઈને ના દેખાડજો, જેવી એમની વાંછત ઢાળી દીધી એવી કોઈની ના ઢાળજો.