હરીશ મીનાશ્રુની કવિતા/તિર્યગ્ગીતિ

From Ekatra Wiki
Revision as of 02:42, 26 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
તિર્યગ્ગીતિ


(એક અષ્ટમપષ્ટક



(Teenager કવિ, એક લૅન્ડસ્કેપ)


         ચંબેલીને પાંદે
ઝાકળનાં વલ્કલ પ્હેરીને બેઠી ગઝલ રૂપાંદે

કમલપત્રમાં વલય, કીડીને ચરણે નેપુર બાજે
ઝૂલે મુદામય મલય, કવિવર સરવે કાન વિરાજે

         કલરવ કોમળ ટીપે ટીપે
         મોતી છણકો કરતાં છીપે
         પાંદડીઓમાં ગંધ પ્રવર્તી
         સંવેદનની સાવ સમીપે

સિંજારવની વ્યથા સમેટી છંદ વડે શું છાંદે
         ચંબેલીને પાંદે

ખરતું પીછું સહે, સ્વજન! વિશ્રંભકથા વ્યાકુળ
લીલો વાયુ વહે, વીંટાળી પોપટનાં પટકૂળ

         વાચા રમ્ય વિલસતી નભની
         ચુંબનમાં છાયા સૌરભની
         ધ્રિબાંગસુંદર ભરી સભામાં
         લાજ લૂંટે કોમલ રિષભની

કાગળ મધ્યે કુમુદિનીનો સ્પર્શ સજાવ્યો ચાંદે
         ચંબેલીને પાંદે