Alexander the Great

From Ekatra Wiki
Revision as of 00:52, 16 January 2024 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

‘એકત્ર' સંકલિત શ્રેણી

Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ


Alexander the Great-title.jpg


Alexander the Great

Philip Freeman

મહારાજાધિરાજ એલેકઝાન્ડ્ર


ફિલિપ ફ્રીમેન


મેકેડૉનીઅન જે વિશ્વવિજેતા બન્યા.


ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: લતા બક્ષી


લેખક પરિચય:

ફિલીપ ફ્રીમેન અમેરિકાના આયોવા રાજ્યમાં ડેકોરાહની લ્યૂથર કૉલેજમાં શાસ્ત્રીય શિક્ષણના પ્રાધ્યાપક છે. તેઓ આદરણીય અને પ્રખ્યાત લેખક છે. તેઓને હાર્વડ વિદ્યાપીઠમાંથી ડૉકટરેટની પદવી એનાયત થઈ છે. તેમના વિવિધ પુસ્તકોમાં જુલિયસ સીઝર અને આયર્લેન્ડના સેંટ પેટ્રીકસનો સમાવેશ છે.

પુસ્તક વિશે:

વિશ્વના મહાન નામી લશ્કરી વડા તરીકે ‘એલેક્ઝાન્ડ્ર’ પ્રખ્યાત છે. ગ્રીસથી એકવીસમે વર્ષે પ્રયાણ કરી પર્શિયાના એકેમેન્ડીસનો સતત અગિયાર વર્ષની ઝુંબેશ બાદ પરાજય કર્યો અને ફળશ્રુતિ રૂપે વિશ્વમાં મહાસામ્રાજ્યની સ્થાપના કરી. યુરેશિયામાં ગ્રીક સંસ્કૃતિ અને ભાષાના પ્રસાર અને પ્રચારથી તેમનો વારસો સદીઓ બાદ પણ સુસંગત પ્રભાવશાળી અને અકબંધ છે.

પરિચય:

ઈતિહાસમાં વિશ્વના પ્રસિદ્ધ લશ્કરી વડા અને વિજેતા એલેક્ઝાન્ડ્રની જિંદગી અને સિદ્ધિઓ વિશે ફિલીપ ફ્રીમેન લિખિત જીવન ચરિત્ર છે. આ પુસ્તકમાં પ્રાચીન વિશ્વમાં ટૂંકા સમયગાળામાં મહાન સામ્રાજ્યની રચનાની અદ્ભૂત રૂપરેખા આલેખવામાં આવી છે. ‘મેકેડૉન’ જે એલેકઝાન્ડ્ર તરીકે ઓળખાય છે. તેમના વ્યક્તિત્વની બારીક લાક્ષણિકતા અને પ્રાચીન વિશ્વમાં તેઓના વિજયની દૂરોગામી અસરની ફિલીપ ફ્રીમેન લિખિત જીવનચરિત્ર ઝાંખી કરાવે છે.

આ પુસ્તકમાં મને શું ઉપયોગી છે? મહાન એલેકઝાન્ડ્રની મહતા વિશે જાણીએ.

જૂજ ગ્રીક પ્રાચીન રાજવી તરીકે એલેક્ઝાન્ડ્રાની માહિતી આજના જમાનામાં ઘણાખરા નાગરિકોને છે. તેઓએ એલેક્ઝાન્ડ્રા વિશે ચલચિત્ર જોયું હોય કે સુસંગત વિષયની ચર્ચામાં ઉલ્લેખ જાણ્યો હોય. તમે એલેકઝાન્ડ્રાના વ્યક્તિત્વ અને મહત્તા વિશે જાણો છો?

એલેકઝાન્ડ્રાના નિધન સમયે તેઓ વિશ્વના એક માત્ર પ્રથમ મહાન સામ્રાજ્યના રાજવી હતા. યુરોપમાં મેકેડૉનીઆથી અફઘાનિસ્તાનને આવરી લેતા રાજ્યો પર જીત મેળવવી તે વર્તમાન માપદંડ મુજબ પણ અમાપ અને અદ્વિતીય છે. આ સિદ્ધિઓએ વિજેતા મહારાજ તરીકે તેમને આદર્શ રૂપે અંકિત કર્યા છે. એલેકઝાન્ડ્રાના સામ્રાજ્યની રચનાના સાહસિક અભિયાનના સંજોગો વિશે જાણીએ. આ ધગશ અને સાહસ કોઈ પણ વ્યક્તિને મહાનતા બક્ષે છે.

આગામી પ્રકરણમાં તમે જોશો :
• એલેકઝાન્ડ્રાના પર્શિયા વિરુદ્ધના જંગમાં ‘ઈસસ ના યુદ્ધ’નું મહત્ત્વ
• ઈજીપ્તના કાર્યકાળ દરમ્યાન એલેકઝાન્ડ્રામાં દુરોગામી પરિવર્તન આવવાના કારણો
• એલેકઝાન્ડ્રાના વિજયની ખ્રિસ્તી ધર્મના પ્રચાર પરની મુખ્ય અસરો વિશે.

મુખ્ય મુદ્દાઓ:

૧. મેકેડૉનિયાના રાજવી ઘરાનાના કુંવર મહાન એલેકઝાન્ડ્રાની પ્રતિભાની બાળપણથી નોંધ લેવામાં આવી હતી.

ગ્રીસના ઉત્તરીય ક્ષેત્રોમાં મેકેડૉનિયામાં ૩૫૬ બી.સી.માં એલેકઝાન્ડ્રાનો જન્મ થયો હતો.

તેમના પિતાશ્રી મેકેડૉનિયાના ફિલીપ-દ્વિતીય સુપ્રસિદ્ધ રાજા હતા. તેઓએ લગભગ બધા ગ્રીસના રાજ્યોને તાબામાં લેવાનું કાર્ય કર્યું હતુ. ફિલીપ સ્વયં કુલીન અને મુત્સદ્દી પિતા હતા પરંતુ તેઓ એલેકઝાન્ડ્રાની વિદ્વત્તાથી પ્રભાવિત થયા હતા. એક દિવસ ઘોડાના વેપારીએ અકલ્પનીય ઊંચા ભાવે સર્વોતમ ઓલાદના ઘોડાને વેચવાનો ફિલીપને પ્રસ્તાવ કર્યો, આ ઘોડાને તાલીમ આપી શકાય તેમ ન હોવાથી ફિલીપે પ્રસ્તાવ નકાર્યો. આ સમયે માત્ર તેર વર્ષની વયના એલેકઝાન્ડ્રાએ તેના પિતાને આ તક ન ગુમાવવાનો અનુરોધ કર્યો. એલેકઝાન્ડ્રાએ જાહેરમાં કરેલ અનુરોધથી ફિલીપને ગુસ્સો આવ્યો છતાં પણ તેઓએ શરત મૂકી કે જો એલેકઝાન્ડ્રા ઘોડા પર સવારી કરશે તો તેઓ ખરીદશે. એલેકઝાન્ડ્રા બુદ્ધિમાન હતો. તેણે નોંધ્યું કે ઘોડો તેના પડછાયાથી ગભરાય છે, તેથી એલેકઝાન્ડ્રા એ ઘોડાને સૂર્યપ્રકાશમાં લઈ જઈ શાંત કર્યો અને ચતુરાઈથી સવાર થયો. ઈતિહાસના આ સુપ્રસિદ્ધ ઘોડાનું નામ ‘બુસેફેલસ’ રાખવામાં આવ્યું. તેમના પિતા સહિત સર્વ સ્તબ્ધ થઈ ગયા. ફિલીપે ગર્વથી જાહેર કર્યું ‘બેટા મેકેડૉનીઆ તારે માટે છીછરું છે તારા કૌશલ્ય અને જ્ઞાનને યોગ્ય રાજ્ય તું પ્રાપ્ત કર.’ જો કે ફીલીપનું ગૌરવ ક્ષણજીવી નીવડ્યું. યુવા એલેકઝાન્ડ્રાની પ્રતિભાથી પિતા લઘુતાગ્રંથિ અનુભવવા લાગ્યા. જ્યારે યુદ્ધ મેદાનમાં એલેકઝાન્ડ્રાએ પોતાની સર્વોપરિતા સ્થાપી ત્યારે પિતાનો તેજોવધ થયો અને પુત્રની પ્રચલિતતા અસહ્ય બની. એલેકઝાન્ડ્રાને સજા આપવા પોતાની પત્ની ‘એલ્મિપિઆસ’- એલેકઝાન્ડ્રાની માતાને ફિલીપે છૂટાછેડા આપ્યા અને તુરંત પુનઃલગ્ન કર્યા. શાંતિના દાવા રૂપે લગ્નના શાહી સભારંભમાં એલેકઝાન્ડ્રાને આમંત્રણ આપ્યું. પ્રથા મુજબ સર્વ આમંત્રિતોએ અતિશય અધિક માત્રામાં મદિરાનું સેવન કર્યું. એક મહેમાને નવયુગલનું અભિવાદન કરવા અને ભાવિ વારસદારના જન્મ માટે શુભેચ્છા આપવા એલેકઝાન્ડ્રાને અનુરોધ કર્યો, ત્યારે ગુસ્સાના આવેશમાં એલેકઝાન્ડ્રાએ તેનો જામ ટેબલ પર ફંગોળ્યો. ફિલીપે તેની તલવાર મ્યાનમાંથી બહાર કાઢી પણ મદિરાના અતિ સેવનને કારણે તે જમીન પર ગબડી પડ્યો. વિપદાઓથી બચવા એલેકઝાન્ડ્રા તથા તેની માતાએ વતન છોડી ‘એપિરસ’ પર્વતમાળામાં આશ્રય લીધો. પરસ્પર વાટાઘાટોને સુખદ સફળતા મળી અને તેઓ વતન પાછા આવ્યા.

૨. ગ્રીસમાં શાસનને સુદૃઢ કરી એલેકઝાન્ડ્રાએ પર્શિયા પર હુમલો કરવા પ્રયાણ કર્યું.

એલેકઝાન્ડ્રા ઘેર પાછો ફર્યો તેના એક વર્ષની અંદર જ તેના પિતા ફિલીપની હત્યા થઈ. વિરોધીઓને મહાત કરી, પ્રભાવશાળી છટાદાર વ્યક્તિત્વથી લશ્કરને જેર કર્યું અને એલેકઝાન્ડ્રાએ મેકડૉનીયાનું સિંહાસન ગ્રહણ કર્યું.

નોંધનીય છે કે માત્ર વીસ વર્ષની ઉંમરે મહત્વાકાંક્ષી એલેકઝાન્ડ્રાએ સત્તા સૂત્રો ગ્રહણ કર્યા. ખ્યાતિ મેળવવા પિતાના અધુરા કાર્યો પૂર્ણ કરવાના સપના એલેકઝાન્ડ્રાએ જોયાં. આ લક્ષ્યપૂર્તિ માટે ગ્રીસની આંતરિક બાબતોમાં પર્શિયાના હસ્તક્ષેપને નાબૂદ કરવાનું અત્યંત જરૂરી હતું. તેથી એલેકઝાન્ડ્રાએ પર્શિયા પર હુમલો કર્યો. પણ પ્રથમ ઘરઆંગણે ગ્રીસના દક્ષિણ રાજ્યોમાં ઉદ્ભવેલ બળવાને અસરકારક રીતે દાબવા એલેકઝાન્ડ્રાએ ધ્યાન આપ્યું. દક્ષિણ ગ્રીસના ‘થીબીસ’ શહેરમાં એક બળવાખોર નેતાએ એલેકઝાન્ડ્રાને ‘જુલ્મી’ વર્ણવ્યો હતો. આવી ધૃષ્ટતા કોઈ ભવિષ્યમાં કરવા ના વિચારે અને એમાં સફળ થઈ શકે એવા દિવાસ્વપ્ન જુએ તે ડામવા હિંસક હુમલો કરી એલેકઝાન્ડ્રાએ એ શહેરનો જ નાશ કર્યો. આ હુમલામાં ૬,૦૦૦ નાગરિકોનો વધ કર્યો. આ નિર્દયતાનું ધાર્યું પરિણામ આવ્યું. ગ્રીસના અન્ય શહેરોમાં સૈન્યએ બળવાનો વિચાર ત્યાગી દીધો. મેકેડૉનીયામાં સત્તા મજબૂત કર્યા બાદ એલેકઝાન્ડ્રા પર્શિયા વિરુદ્ધ લશ્કરી હુમલો કરવા સજ્જ થયો. તેથી એલેકઝાન્ડ્રાએ તેના વિશાળ લશ્કર સાથે ૩૩૪ બી.સી.માં મેકેડૉનિયા છોડ્યું. ‘મે’ મહિનામાં ટ્રોય શહેર નજીક ગ્રેનીકસ નદીના તટમાં એલેકઝાન્ડ્રાએ પર્શિયા પર પ્રથમ ઘા કર્યો. આ યુદ્ધમાં એલેકઝાન્ડ્રાની લશ્કરી કુનેહ અને વ્યૂહરચનાનું જ્ઞાન પ્રદર્શિત થયું. એલેકઝાન્ડ્રાના સહુથી અનુભવી સરદાર પરમેનિઓને નદીના તટમાં યુદ્ધ ન કરવાની સલાહ આપી હતી કારણ જળપ્રવાહને લીધે લશ્કરની વ્યુહાત્મક ગોઠવણ પર વિપરિત અસર પડી શકે પરંતુ એલેકઝાન્ડ્રાએ આ અવરોધ પોતાના લાભમાં ફેરવ્યો. યુદ્ધની શરૂઆતમાં પર્શિયાનો હાથ ઉપર રહ્યો. એલેકઝાન્ડ્રાએ હયદળની બે ટુકડી દ્વારા દુશ્મન પર વિવિધ દિશામાંથી હુમલો કરી બાજી પલટી નાખી. એલેકઝાન્ડ્રાએ પર્શિયાના રાજાના જમાઈનો વધ કર્યો અને પર્શિયાના સૈન્યએ પારોઠના પગલાં ભર્યા.

૩. એલેકઝાન્ડ્રાને તેના ચકોર અને નિર્ણાયક લશ્કરી જ્ઞાનથી એશિયા માયનોર વિસ્તારમાં ઝડપી કબજો મેળવવામાં મદદ મળી.

વિજયની ઉજવણીમાં સમય બરબાદ કરવામાં એલેકઝાન્ડ્રાને રસ ન હતો. પ્રથમ એલેકઝાન્ડ્રાએ ‘સારડીસ’ અને ‘એફેસસ’ શહેર પર કબજો મેળવ્યો. પછી હાલમાં ટર્કીમા દક્ષિણ પશ્ચિમ સ્થિત ‘માલિટસ’ શહેર પર હુમલો કર્યો.

‘માયલિટસ’ પર્શિયાના નૌકાદળનું પાયાનું મથક છે તેથી એલેકઝાન્ડ્રાની યોજનામાં તે મહત્વનું સ્થાન ધરાવે છે. શરુઆતમાં ‘માયલિટસ’ શહેરે પ્રત્યાર્પણ કર્યું તેથી એમ લાગ્યું કે શહેર પર કબજો કરવામાં આસાની મળશે પરંતુ ટૂંક સમયમાં સમાચાર આવ્યા કે પર્શિયાનું નૌકાદળ ઝડપથી પાછું આવી રહ્યું છે અને પુનઃ યુદ્ધ શરૂ થયું. પુનઃ એલેકઝાન્ડ્રાએ સરદાર પરમેનિઅનના સૂચનને અવગણીને વ્યૂહ ઘડ્યો વ્યૂહની રચના કરતા એલેકઝાન્ડ્રાને ધ્યાનમાં આવ્યું કે પર્શિયાના જહાજ પર ગરુડ આરૂઢ હતું. પરમેનિઅનના મત પ્રમાણે ઈશ્વર દરિયાઈ હુમલાની તરફેણ કરે છે અને તેથી તેઓએ પહેલાં પર્શિયાના નૌકાદળને મહાત કરી ‘માયલિટસ’ શહેર પર કૂચ કરવાની સલાહ આપી. પરંતુ એલેકઝાન્ડ્રાએ આ ચિહ્નનું ભિન્ન અર્થઘટન કર્યું. ગરુડ શહેરની દિશાભિમુખ હતું તેથી એલેકઝાન્ડ્રાએ પ્રથમ શહેર પર આધિપત્ય સ્થાપી બાદમાં પર્શિયાના નૌકાદળને તાબે કરવાનો નિર્ણય લીધો. આ પગલાથી નિર્ણાયક જીત મળી શહેરનું પતન એટલું ઝડપી થયું કે પર્શિયાનું નૌકાદળ શહેરના બારામાં જહાજો લાંગરી શકવા અસમર્થ હતું. ‘માયલિટસ’ના કબજા બાદ એલેકઝાન્ડ્રાએ ગ્રીસના નૌકાદળને વિખેરી નાખવાનો વિચિત્ર નિર્ણય લીધો જે વિશે ઈતિહાસકારો તે સમયથી ચર્ચા કરે છે. એલેકઝાન્ડ્રાના સમકાલીન ઈતિહાસકાર એરિયસે સુચવ્યું કે એલેકઝાન્ડ્રા જાણતો હતો કે પર્શિયાના નૌકાદળ સમકક્ષ તેનો કાફલો નથી તેથી તેણે ઘર્ષણ સદંતર ટાળ્યું અને તેને બદલે ભૂમધ્ય સમુદ્રના પૂર્વીય તટને જેર કરવા ધ્યાન આપ્યું. આ વ્યૂહથી જહાજો બારામાં લાંગરવા પર્શિયા પાસે કોઈ અવકાશ ન રહ્યો. ચીલાચાલુ લશ્કરી વિચારસરણીને તિલાંજલિ આપી એલેકઝાન્ડ્રાએ ૩૩૪ બી.સી.ની કાતિલ ઠંડીમાં વિજયની પરંપરા અવિરત ચાલુ રાખી. સમુદ્ર તટના શહેર ‘ટેલેમેસસ’ને કબજામાં લેવા એલેકઝાન્ડ્રાએ અસાધારણ નીતિ અજમાવી. શહેરમાંથી આંતરિક સહાય બાદ મહિલા નર્તકીઓનો પર્શિયાના સૈનિકોના મનોરંજન માટે પ્રવેશ કરાવ્યો. દારૂની જયાફત, ખાણીપીણી અને જલસા બાદ નશાની અસર હેઠળ સૈનિકો શિથિલ થયા અને સતર્કતા ગુમાવી સંપૂર્ણ દુર્ગ સૈન્યની નર્તકીઓએ હત્યા કરી આમ એલેકઝાન્ડ્રાએ શહેર પર કબજો મેળવ્યો.

૪. આકસ્મિક માંદગી અને અણધાર્યા મૃત્યુના બનાવોને લીધે ભારે ખુવારી થઈ, તેથી ઈતિહાસની તવારીખ બદલાઈ ગઈ.

છતાં એલેકઝાન્ડ્રાનું અભિયાન ચાલુ રહ્યું અને વર્ષ ૩૩૩ બી.સી.ની વસંત ઋતુમાં લશ્કર મધ્ય એન્ટોલિયા પહોંચી ગયું હતું.

શૂરવીર પર્શિયન સરદાર મેમનોનનું દળ દક્ષિણ ગ્રીસ તરફથી હુમલો કરવાની પેરવીમાં છે એવા ચિંતાજનક સમાચાર એલેકઝાન્ડ્રાને મળ્યા. ગત સદીમાં પર્શિયાએ ગ્રીસ પર ઘાતક હુમલા કર્યા હતા પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં નાગરિકો મેકેડૉનીયામાં શાસનથી ત્રસ્ત હતા આથી પર્શિયન સરદારની ગતિવિધિને મોટે અંશે આવકારે એ સંભાવનાથી એલેકઝાન્ડ્રા માહિતગાર હતો. એલેકઝાન્ડ્રા વિમાસણમાં હતો : વિજયકૂચ ચાલુ રાખવી કે ઘેર પાછા ફરવું ? જો પર્શિયાનું સૈન્ય પોતાના વતનનો કબજો લઈ શકે તો વર્તમાન અભિયાનની સાર્થકતા શું? કદાચ એલેકઝાન્ડ્રા પર ઈશ્વરની મહેરબાની હશે. ગ્રીસના ‘લેસબોસ’ ટાપુ પર તબિયત લથડતાં મેમનોનનું અચાનક મૃત્યુ થયું. પર્શિયાના રાજા દરાયુસ માટે મહત્વના નિર્ણયની ઘડી હતી. પોતાના વફાદાર સરદારના મૃત્યુ બાદ ગ્રીસનો હુમલો બંધ કરી દળને વતન પાછુ બોલાવવું, જેથી ઘરઆંગણે એલેકઝાન્ડ્રાને સીધી લડત આપી શકાય. આ સમયે એલેકઝાન્ડ્રાના સમયના વળતાં પાણી થયાં. દક્ષિણ ટર્કી પહોંચતા આકરી ગરમીથી એલેકઝાન્ડ્રાનું દળ ત્રસ્ત હતું. કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા એલેકઝાન્ડ્રાએ કપડાં કાઢી સાયડનસ નદીમાં ઝંપલાવ્યું. હાડ ધ્રુજાવી દે તેવું ઠંડુ પાણી હતું તેથી એલેકઝાન્ડ્રાને તાવ ચઢ્યો. માંદગીની તીવ્રતા એટલી હદે પહોંચી કે એલેકઝાન્ડ્રાના અસ્તિત્વ વિશે સૈન્યના અધિકારીઓને ભીતિ થઈ. સૈન્યમાં સારા નસીબે એલેકઝાન્ડ્રાનો બાળપણનો મિત્ર ડોકટર ફિલીપ હતો, ડોક્ટર ફિલીપે પ્રયોગાત્મક તબીબી સારવારની ભલામણ કરી. મૃત્યુને ખાળવા એલેકઝાન્ડ્રાએ આ ભલામણનો સ્વીકાર કર્યો. સારવાર શરૂ થાય તે પહેલાં જ પર્શિયાના લશ્કર દ્વારા એલેકઝાન્ડ્રાને ઝેર આપીને મારી નાખવાની લાંચ ડોકટર ફિલીપને આપી હોવાની ચેતવણી મળી. એલેકઝાન્ડ્રાને ફરી મુંઝવણ થઈ—ફિલીપ પર વિશ્વાસ મુકવો કે દવા ન લઈને મૃત્યુને નોતરવું? એલેકઝાન્ડ્રાએ ડહાપણભર્યો નિર્ણય લીધો તેણે દવા લીધી થોડાં દિવસોમાં પુનઃ સ્વસ્થ થઈ અભિયાન ચાલુ રાખવા સજ્જ થયો.

૫. અલેક્ઝાન્ડ્રાએ સન ૩૩૩ બી.સી. વર્ષમાં નવેમ્બરમાં ‘ઈસસ’ યુદ્ધમાં દરાયુસનો સામનો કર્યો.

આ સમયે ત્રેવીસ વર્ષના અલેક્ઝાન્ડ્રા અને પર્શિયાના રાજા દરાયુસના સૈન્ય વચ્ચે ટર્કીની નાની પર્વતમાળા હતી.

ખુલ્લા મેદાનમાં સામનો કરી પોતાના સર્વોપરી હયદળ વડે અલેક્ઝાન્ડ્રાને મહાત કરવાની દરાયુસની નેમ હતી પણ તેને બદલે ‘પીનારસ’ નદી નજીક સાંકડી પટ્ટીમાં બંને દળ વચ્ચે ઘર્ષણ થયું. આ યુદ્ધ ઇતિહાસમાં સર્વોત્તમ યુદ્ધ તરીકે અંકિત થયું છે. શરૂઆતમાં એલેકઝાન્ડ્રાના સૈન્યને પાછા હઠવું પડયું પરંતુ વળતા ઘાતકી હુમલામાં એલેકઝાન્ડ્રાના સૈન્યની જમણી શાખાએ પર્શિયાના સૈન્યને વચમાંથી ચીરીને દરયુસના દળને પાછળથી હુમલો કરવાની સરળતા એલેકઝાન્ડ્રાને કરી આપી. આ વ્યૂહથી બાજી પલટાઈ ગઈ. એલેકઝાન્ડ્રા બે તરફથી હુમલો કરતો હતો તેથી પર્શિયાનું સૈન્ય વેરવિખેર થવા માંડ્યું અને પોતાના પરાજયની પ્રતીતિ દરાયુસને થઈ. એલેકઝાન્ડ્રા અને દરાયુસ સામસામે ટકરાયા અને એલેકઝાન્ડ્રાએ ભીષણ હુમલો કર્યો. પોમ્પેઈ શહેરના એક લાદીચિત્રમાં આ રોમાંચક ક્ષણ કોતરાઈને અમર થઈ ગઈ છે. આ લાદીચિત્રમાં યુદ્ધમેદાનમાં વિખરાયેલ શબ અને મહાવિનાશ બંને રાજા પરસ્પરને ઘુરતા દર્શાવવામાં આવ્યા છે. અને ગુસ્સાને બદલે દરાયુસના ચહેરા પર આશ્ચર્ય દેખાય છે. ઐતિહાસિક મુકાબલા છતાં દરાયુસના જીવ બચાવીને યુદ્ધ મેદાનમાંથી ભાગવા સફળ થયો. વિજય બાદ એલેકઝાન્ડ્રાના કબજામાં પર્શિયાના બંદીઓ આવ્યા. આ સમુહમાં દરાયુસના માતા અને પુત્રનો સમાવેશ હતો. આ બંનેને ખાત્રી હતી કે તેઓની હત્યા કરવામાં આવશે. જોકે દરાયુસના માતાશ્રીનું એલેકઝાન્ડ્રાએ સન્માન કર્યું અને મહાન રાજવીના પુત્રને પોતાના દીકરાની જેમ ઉછેરવાનું વચન આપ્યું. ટૂંક સમયમાં દરાયુસે શાંતિ પ્રસ્તાવ મોકલ્યો. આ પ્રસ્તાવ મુજબ સમગ્ર એશિયા માયનોરનો વિસ્તાર અને બંદી બનાવેલ પરિવાર તરફથી મોટી ખંડણી એલેકઝાન્ડ્રાને મળ્યાં. આ પ્રસ્તાવ લાભદાયક હતો. એલેકઝાન્ડ્રાને વિશ્વાસ હતો કે તેના સરદારો પ્રસ્તાવ સ્વીકારવાની સલાહ આપશે પણ હવે એલેકઝાન્ડ્રા રોકાય તેમ ન હતો. એલેકઝાન્ડ્રાએ દરાયુસના પ્રસ્તાવની પોતે સુધારેલ અન્ય આવૃત્તિ મોકલી. આ આવૃત્તિમાં અપમાનજનક ભાષા વાપરવામાં આવી હતી તથા દરાયુસને અપેક્ષિત રાહતનો ઉલ્લેખ ન હતો. એલેકઝાન્ડ્રાના સલાહકારોએ સુધારેલ આવૃત્તિને બહાલી આપી. સમગ્ર પર્શિયા પર વિજય મેળવવાના અભિયાનમાં એલેકઝાન્ડ્રાને કોઈ અવરોધ નડ્યો નહીં.

૬. ઈજિપ્તનો કાર્યકાળ એલેકઝાન્ડ્રાના જીવનમાં મહત્વનો વળાંક પુરવાર થયો.

‘ઈસસ’ના યુદ્ધ બાદ ભૂમધ્ય સમુદ્રના પૂર્વીય તટમાં એલેકઝાન્ડ્રાએ વિજયકૂચ ચાલુ રાખી અને એક વર્ષ બાદ ઈજિપ્ત પહોંચ્યો. આ કૂચ દરમ્યાન સ્થાનિક નાગરિકોએ કોઈ વિરોધ ન દર્શાવ્યો. સદીઓથી ઈજિપ્તના શાસનમાં નાગરિકો પીડિત હતા તેથી પર્શિયા પ્રત્યે વફાદારીનો અભાવ હતો. ઈજિપ્તના નાગરિકોની જીવનશૈલીને માન આપનાર પોતે પરોપકારી રાજવી છે તેવો વિશ્વાસ એલેકઝાન્ડ્રાએ આપ્યો. ઈજિપ્તના ગીઝામાં પ્રાચીન પિરામિડની મુલાકાત લઈ ગ્રીસ સાથે કાયમી કડી સ્થાપી શકાય તેવા શહેરની શોધ કરવાનું નક્કી કર્યું. ઈજિપ્તના ભૂમધ્ય તટમાં નાના મોટા બંદરો હતા. વેપાર-વાણિજ્યના વિકાસ માટે તથા લશ્કરી જહાજોને સલામત લાંગરવા માટે વ્યુહાત્મક રીતે વિશાળ શહેરની બાંધણીની જરૂરિયાત છે એમ એલેકઝાન્ડ્રાએ સ્વીકાર્યું. એલેકઝાન્ડ્રાને સપનામાં ‘ફારોસ’ના ટાપુ પર વયસ્ક પુરુષ સાથે વાર્તાલાપ કર્યો. આ વાર્તાલાપ એલેકઝાન્ડ્રા માટે પ્રેરણાદાયી નીવડ્યો. સવારે જાગીને ફારોસ ટાપુની સામે એલેકઝાન્ડ્રાએ ઈજિપ્તના તટ પર શહેર બનાવવાનું નક્કી કર્યું. શહેરના સીમાંકન માટે એલેકઝાન્ડ્રાના સૈનિકોએ જમીન પર જવની વાવણી કરી. પરંતુ આ વાવણી પર ભૂખ્યા પક્ષીઓનું ધાડું ઉતરી આવ્યું. આ ઈશ્વરી સંકેત દુર્દૈવી છે એવી ભીતિ એલેકઝાન્ડ્રાને થઈ પણ તેના ભવિષ્યવેત્તાએ આશ્વાસન આપ્યું કે શહેરની ભવિષ્યની સમૃદ્ધિ અને વિશ્વ માટે અન્નકોશ પૂરો પાડવાના સામર્થ્યની આ પક્ષીઓ ભવ્ય નિશાની છે. અહીંથી ઉજ્જડ સહારાના રણમાં લાંબી મજલ કાપી એમોનના મઠમાં મહંત સાથે દૈવી સંવાદ કરવા એલેકઝાન્ડ્રા પહોંચ્યો. આ બનાવની એલેકઝાન્ડ્રાના જીવન પર નોંધપાત્ર અને ગહન અસર થઈ છે. આ જોખમી અભિયાનના હેતુ વિશે ઈતિહાસકારોમાં ભિન્ન મત છે. જીંદગીના આ પડાવે એલેકઝાન્ડ્રાને કેટલાક ઉત્તર મેળવવા હતા અને પોતાના અભિયાનનું મહત્ત્વ સમજવું હતું તે સ્પષ્ટ છે. પોતે વિશ્વવિજયી બનવા નિર્મિત છે એમ મહંત પાસેથી એલેકઝાન્ડ્રાને જાણવું હતું. મહંતે હકારમાં માથું ધુણાવ્યું અને તેને જણાવ્યું તે નિશ્ચિત ઈતિહાસની દિશા બદલશે.

૭. દરાયુસને ફરીથી હરાવ્યા બાદ એલેકઝાન્ડ્રાએ પ્રાચીન ‘મેસોપોટેમીયા’ના બેબીલોન શહેર પર વિજય પ્રાપ્ત કર્યો.

એલેકઝાન્ડ્રાએ ઈજિપ્તથી પ્રાચીન શહેર બેબીલોન તરફ કૂચ કરી. દરાયુસના સૈનિકોએ ગોગમીલાના તટપ્રદેશમાં છાવણી નાખી હતી. એલેકઝાન્ડ્રાએ યુક્રેટીસ અને ટીગરીસ નદી ઓળંગી અને દરાયુસના સૈનિકોનો સામનો કરવો પડ્યો. આમ ઈતિહાસનાં ભીષણ યુદ્ધના મંડાણ થયાં. દરાયુસના લશ્કરમાં ભારતના યુદ્ધોપયોગી હાથીઓનો સમાવેશ થયો હતો. જે એલેકઝાન્ડ્રાએ પહેલાં ક્યારેય નિહાળ્યા ન હતા. દરાયુસનું સૈન્યબળ એલેકઝાન્ડ્રાના લશ્કર બળ કરતાં વધુ સજ્જ હતું. દરાયુસના ભારી પલડા વિશે એલેકઝાન્ડ્રાને ખ્યાલ આવી ગયો હતો. ગોગમીલાના યુદ્ધની આગલી રાતે એલેકઝાન્ડ્રાએ સાહસિક હિંમતભર્યો વ્યૂહ ઘડ્યો. એલેકઝાન્ડ્રાએ વિચાર્યું કે તે દરાયુસના સૈન્યના મોખરાની હરોળને સમાંતર કૂચ કરશે જેથી દરાયુસે તેની રચનાની મધ્યમાંથી સૈનિકો ખસેડવા પડશે. આ ખાલી જગ્યાનો લાભ લઈ તે સીધો હુમલો કરશે. આ એક ગણત્રીપૂર્વકનું સાહસ હતું - પરંતુ પર્શિયાના સૈન્યની મધ્યને ચીરીને દરાયુસ પર હુમલો કરવામાં એલેકઝાન્ડ્રા સફળ રહ્યો. એલેકઝાન્ડ્રા દરાયુસ સુધી પહોંચે તે પહેલાં પર્શિયાના સૈનિકોએ તેના હુમલાને ખાળી તેના સૈનિકોનો વધ શરૂ કર્યો છે એવા ખબર એલેકઝાન્ડ્રાને મળ્યા ત્યાંથી દરાયુસને ભાગી જવા દેવા સિવાય એલેકઝાન્ડ્રાની પાસે અન્ય કોઈ વિકલ્પ ન હતો. એટલે એલેકઝાન્ડ્રાએ તેના દળને સહાય કરવા માંડી અને બાકી રહેલા પર્શિયાના લશ્કરને હાર આપી. અંતે બેબીલોન તરફ કૂચ કરવાનો માર્ગ મોકળો થયો. બેબીલોન નજીક પહોંચતા એલેકઝાન્ડ્રા આ અકલ્પનીય શહેર જોઈ ચકિત થયો. એક સમકાલીન અંદાજ મુજબ શહેરને આરક્ષિત કોટની દિવાલ ૩૦૦ ફીટ ઊંચી હતી. આયોજનપૂર્વક શહેરની બાંધણી હતી. પ્રવેશ માટે અસંખ્ય કાંસ્ય દ્વારો રચવામાં આવ્યા હતા. આ સમયે કોઈ યુદ્ધ કે રક્તપાત ન થયો બેબીલોનના નાગરિકોએ સંગીત, ફુલો, તથા ભેટસોગાદો દ્વારા એલેકઝાન્ડ્રાનું સ્વાગત કર્યું. ઈજિપ્તના નાગરિકોની જેમ બેબીલોનના રહેવાસીઓ પર્શિયાના જુલ્મી શાસનથી મુક્ત થતાં આનંદિત હતા. બેબીલોનના વિજય બાદ એલેકઝાન્ડ્રાનું સામ્રાજ્ય ત્રણ ખંડોમાં વિવિધ વંશીયતાને આવરી લઈ ફેલાયું.

૮. પ્રગતિમાં ક્ષોભજનક વિઘ્ન બાદ અંતે પર્શિયાની રાજધાની પર્સેપોલીસ પર એલેકઝાન્ડ્રાએ વિજય મેળવ્યો.

બેબીલોનથી પર્શિયાના હિમાચ્છાદિત પહાડો ઓળંગી રાજધાનીના દરવાજે પહોંચ્યો. આ માટે સાંકડો પર્વત માર્ગ ઓળંગવાનો હતો. અહીં બાકી રહેલ પર્શિયાના લશ્કરે એલેકઝાન્ડ્રાના સૈન્યને ઘેરી, ઓચિંતો હુમલો કરી ભારે નુકસાન પહોંચાડ્યું. સૈનિકોને પુનઃ ભેગા કરી એલેકઝાન્ડ્રાએ પહાડમાંથી પર્શિયાના લશ્કરની પાછળથી રાતના અંધારામાં પહોંચી શકાય તેવો વૈકલ્પિક માર્ગ શોધી કાઢ્યો. અને પર્શિયાના બાકી રહેલ સૈનિકોનો વધ કર્યો. હવે પર્સેપોલીસનો માર્ગ એલેકઝાન્ડ્રા માટે સંપૂર્ણપણે મોકળો થયો. વર્ષોથી મુસાફરી અને હત્યાકાંડ બાદ એલેકઝાન્ડ્રાના બેચેન સૈનિકોએ પર્સેપોલીસ શહેરના કબજાને તેમના પ્રયાસોથી ચરમસીમા માની. આથી શહેરે શરણાગતિ સ્વીકારી ત્યારે એલેકઝાન્ડ્રાના સૈનિકોએ નીચ લૂંટફાટ આચરી. એલેકઝાન્ડ્રાએ સૈનિકોને વાર્યા નહીં. સૈનિકોની આ વર્તણૂક એલેકઝાન્ડ્રાના ચરિત્રની વિરુદ્ધમાં હતી પણ જો તે સૈનિકોને રોકે તો તેમના બળવાની પૂરી શક્યતા હતી, અને સઘળું ગુમાવી દેવાનો વખત આવે તે એલેકઝાન્ડ્રાને ખબર હતી. પણ પર્સેપોલીસમાં એલેકઝાન્ડ્રાએ પોતે એક ગંભીર મૂર્ખામી કરી. બનાવના એક અહેવાલ મુજબ પર્સેપોલીસના મહાલયમાં એલેકઝાન્ડ્રા દારૂના નશામાં ધૂત હતો, ત્યારે એથેન્સની મહિલાએ આખા મહેલને આગ ચાંપવા ઉશ્કેર્યો. પર્શિયાએ સદીઓ પહેલાં એથેન્સનો આગ દ્વારા સંપૂર્ણ નાશ કર્યો હતો તે માટે એલેકઝાન્ડ્રાનું હાલનું કૃત્ય વાજબી ગણાય એમ મહિલાએ સમજાવ્યું. નશાની અસર હેઠળ એલેકઝાન્ડ્રા સહમત થયો તેણે પ્રથમ મશાલ સળગાવી ને ફેંકી. આગ પૂર ઝડપે ફેલાઈ અને તુરંત જ એલેકઝાન્ડ્રાને ભાન થતાં જ્વાળા ઠારવાનો પ્રયાસ કર્યો પણ ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું. ઘણા ઈતિહાસકારો આ ઘટનાથી વ્યથિત થયા હતા. આ કુકર્મનો દોષ મદિરા અને મહિલા પર ઢોળવામાં આવ્યો. ભૂતકાળમાં ટ્રોયના અત્યાચાર માટે ગ્રીસના નાગરિકોએ હેલનને જવાબદાર ઠેરવી હતી એ ઘટનાની યાદ તાજી થઈ. પર્સેપોલીસના દુષ્કર્મ બાદ અંતે દરાયુસને પકડવા એલેકઝાન્ડ્રાએ પ્રયાણ કર્યું. પર્શિયામાં સફળ બળવા બાદ દરાયુસના એક સગા બેસસે સત્તા ગ્રહણ કરી દરાયુસને બંદી બનાવ્યો હતો. એલેકઝાન્ડ્રા ત્યાં પહોંચ્યો તે પહેલાં જ બેસસે પોતે પલાયન થતાં પહેલાં દરાયુસનો વધ કર્યો. એલેકઝાન્ડ્રાએ દરાયુસને યોગ્ય વિરોધી ગણી માન આપ્યું હતું. તેથી આ દુષ્કર્મથી એલેકઝાન્ડ્રાને ખૂબ દુઃખ થયું.

૯. બેસસની પાછળ પડતાં એલેકઝાન્ડ્રાએ જોખમોથી ભરપૂર માર્ગ અપનાવ્યો. આ માર્ગ દ્વારા તે અંતે ભારત પહોંચી શકશે.

એલેકઝાન્ડ્રાની દરાયુસ પ્રત્યેના ઔદાર્યની ભાવનાનો અનાદાર કરી તેનું સૈન્ય આનંદિત હતું કારણ સૈનિકોને વતન પાછા ફરવું હતું. અને યુદ્ધ પૂરું થયું છે એવી તેમની માન્યતા હતી. બેસસે છળકપટથી કાયરની જેમ દરાયુસનો વધ કર્યો. આ હીચકારા કૃત્ય માટે તેને સજા કરવાનો એલેકઝાન્ડ્રાએ મક્કમ નિર્ધાર કર્યો. દૂર પૂર્વીય દિશામાં સામ્રાજ્યના વ્યાપની એલેકઝાન્ડ્રાને અપાર ધગશ હતી. એલેકઝાન્ડ્રાએ તેના સાથી સૈનિકોને પ્રેરણાદાયી જોશભેર હાકલ કરી અને કૂચ ચાલુ રાખવા ચમત્કારિક રીતે મનાવી લીધા. જો કે આ સમયે સૈનિકો બેસસને જેર કરવાનો છે તે વિશે અંધારામાં હતા. હાલના અફઘાનિસ્તાનમાં મુશ્કેલીથી ભરપૂર હિંદુકુશ પર્વતમાળાઓ તેઓએ પાર કરવાની હતી. જો કે એલેકઝાન્ડ્રાએ પર્વતમાળાઓ ઓળંગવાનો ઘણો અનુભવ લીધો હતો. પરંતુ હિંદુકુશ પર્વતમાળાઓ એક અનેરો પડકાર હતી. હિમાલય પર્વતની સરેરાશ ઊંચાઈ પંદર હજાર ફીટ છે, ભરશિયાળામાં એક એક સૈનિક જ પસાર થઈ શકે એટલી સાંકડી કેડી હતી. સારા નસીબ જોગે બેસસને સપનામાં પણ ખ્યાલ ન હતો કે એલેકઝાન્ડ્રા આ પર્વતમાળા ઓળંગવાનું આંધળું સાહસ કરવાનો પ્રયાસ કરશે તેથી પર્વતમાળાના બીજા છેડે બેસસે સૈન્ય ગોઠવ્યું જ નહીં. પાંચ દિવસની કપરી કૂચ બાદ પર્વતમાળાના બીજા છેડેથી ‘બેક્ટ્રીયા’માં એલેકઝાન્ડ્રાએ પ્રવેશ કર્યો. છેવટે વર્ષ ૩૨૯ બી.સી.ના ઉનાળામાં બેસસ જે ગામમાં છુપાયો હતો ત્યાં એલેકઝાન્ડ્રા પહોંચી ગયો. ઝડપથી ગામવાસીઓએ મેકેડૉનિયાના સૈન્યને બેસસની સોંપણી કરી. બેસસે કપટથી તેના સગા અને રાજવી દરાયુસનો વધ કરેલ-આનું કારણ જાણવા એલેકઝાન્ડ્રા આતુર હતો. બેસસના આ કૃત્યની એલેકઝાન્ડ્રા પ્રસંશા કરશે. તેવી તેની માન્યતા હતી. આ જાણી એલેકઝાન્ડ્રા આંચકો લાગ્યો. એલેકઝાન્ડ્રાએ બેસસને કોરડા વીંઝીને અત્યાચાર કર્યો અને દરાયુસના પરિવારજનોને સોંપી દીધો. દરાયુસના પરિવારે બેસસનો વધ કર્યો.

૧૦. ભારતમાં ગંગા નદીના તટે પહોંચ્યા બાદ એલેકઝાન્ડ્રાને પ્રતીતિ થઈ કે તેના સૈનિકો આગળ વધવાની સ્થિતિમાં નથી.

વર્ષ ૩૨૭ બી.સી. સુધી એલેકઝાન્ડ્રા અને તેના સૈનિકો મેકેડૉનિયાથી સાત વર્ષ બહાર હતા. એલેકઝાન્ડ્રાએ તો સ્થાનિક ઉમરાવની પુત્રી રોક્સાના સાથે લગ્ન પણ કર્યા હતા. હજી એલેકઝાન્ડ્રાનું કાર્ય બાકી હતું. હવે તેને ભારત પર વિજય મેળવવો હતો. અને તે ઇતિહાસમાં વિશ્વના મહારાજાધિરાજ તરીકે ઓળખાશે એવો તેને વિશ્વાસ હતો. ભારત પર જીતની કૂચ શાંતિપૂર્વક શરૂ થઈ સાથે ઘણી ગેરસમજણ અને મુશ્કેલી ઊભા થયાં. હાલના પાકિસ્તાન સ્થિત તક્ષશીલામાં અભિવાદન કરવા આવતા હાથી પર સવાર નાગરિકોને એલેકઝાન્ડ્રાએ ધમકી આપનાર લશ્કરી સૈનિકો માન્યા. નસીબજોગે તક્ષશીલાના રાજા ઓમ્ફીસને આ ગેરસમજણનો ખ્યાલ આવ્યો અને જોયું કે એલેકઝાન્ડ્રા રક્ષણાત્મક હુમલાની તૈયારી કરે છે. ઓમ્ફીસે તુરંત જ એલેકઝાન્ડ્રાને સધિયારો આપ્યો કે વિદેશી નાગરિકોને આવકાર આપવાની આ સ્થાનિક પ્રથા છે. જો કે ભારતના ઘણા રાજ્યો શરણે આવવા આતુર ન હતા. એલેકઝાન્ડ્રા પૌરવના રાજ્યમાં પહોંચ્યો અને મહારાજા પૌરવ યુદ્ધ માટે સજ્જ હતા. આ યુદ્ધ દરમ્યાન એલેકઝાન્ડ્રાના વફાદાર અશ્વ બુસેફેલસની હત્યા થઈ. યુદ્ધના વિજય બાદ જ એલેકઝાન્ડ્રા વ્યથિત થયો. સદ્ગત અશ્વની યાદમાં એલેકઝાન્ડ્રાએ નવું શહેર વસાવી તેનું નામ બુસેફેલસ આપ્યું. આ સમયે અભિયાન દરમ્યાન એલેકઝાન્ડ્રાનું સૈન્ય તેનામાંથી વિશ્વાસ ગુમાવી રહ્યું હતું. ગંગા તટે પહોંચ્યા બાદ એલેકઝાન્ડ્રાએ સૈનિકોને જુસ્સાભર્યું સંબોધન કર્યું, પણ આ સંબોધનથી સૈનિકો પ્રોત્સાહિત ના થયા. સૈન્યના અવિશ્વાસના પ્રતીક રૂપે એલેકઝાન્ડ્રાના સરદારે સૈન્યની બાજુ રજૂ કરતા કહ્યું કે સૈનિકો વિજય અને સિદ્ધિ માટે ગર્વ અનુભવે છે પરંતુ હવે વતન જઈ પરિવારને મળવા આતુર છે. આ વક્તવ્યને સર્વેએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું. હાલમાં ઘેર પાછા ફરી મેકેડૉનિયામાં નવયુવાન સૈનિકોનું નવું દળ રચવું એ જ ઉત્તમ માર્ગ છે એવું સરદારે એલેકઝાન્ડ્રાને સમજાવતાં કહ્યું. કેટલાક દિવસોની મથામણ બાદ એલેકઝાન્ડ્રાએ સંમતિ આપી સાત લાંબા અને લોહિયાળ વર્ષ બાદ અંતે એલેકઝાન્ડ્રા ઘેર પાછો જતો હતો.

૧૧. ભવિષ્યમાં અભિયાનને સફળ બનાવી શકે તે પહેલાં બત્રીસ વર્ષની ઉંમરે એલેકઝાન્ડ્રાનું અવસાન થયું.

ઘેર પાછા ફરતાં નદીના ભારી વહેણમાં એલેકઝાન્ડ્રા ડૂબતો બચ્યો. અને ગેડ્રોસિયાની રણભૂમિમાં તેનું સૈન્ય લગભગ નાશ પામ્યું. મેકોડોનિયા છોડ્યા બાદ દસ વર્ષના સમયગાળા અંદર વિશ્વમાં પ્રથમ મહાન સામ્રાજ્ય સ્થાપી એલેકઝાન્ડ્રા પાછો ફર્યો. પણ એલેકઝાન્ડ્રાની મહત્વકાંક્ષા અસીમ હતી. ઘેર પાછા ફરતા સમયે માર્ગમાં જ સામ્રાજ્યના વિસ્તરણની યોજના ઘડવા માંડી. એલેકઝાન્ડ્રાએ સમગ્ર અરબસ્તાન તથા આફ્રિકાના તટીય કિનારા પર આધિપત્ય સ્થાપવાના સપના જોયા. ઈજિપ્તથી પશ્ચિમી ભૂમધ્ય પ્રદેશમાં કોઈ પણ નડતર વિના મુસાફરી કરવાની તેને ઈચ્છા હતી. તાજેતરમાં મળેલ અહેવાલ મુજબ ઉપદ્રવ કરનાર રોમન આદીજાતિને જડબાતોડ ઉત્તર આપવાનો એલેકઝાન્ડ્રાએ વિચાર કર્યો. કમનસીબે આ સર્વ સપના સાકાર કરવાનું એલેકઝાન્ડ્રાના ભાગ્યમાં ન હતું. ભારત છોડ્યાના ત્રણ વર્ષ બાદ અશુભ સંકેતો દેખાવા માંડ્યાં. એક દિવસ બેબીલોન શહેર નજીક ચાલ્ડીઅન પાદરીઓએ શહેરમાં પ્રવેશ કરવા અંગે એલેકઝાન્ડ્રાને ચેતવણી આપી. એલેકઝાન્ડ્રાએ આ ચેતવણી ગણકારી નહીં પરંતુ પાદરીઓ તેમની ચેતવણીને વળગી રહ્યા. છેવટે શહેરમાં પશ્ચિમથી સૂર્યાસ્ત સમયે પ્રવેશ ન કરવો તેમ પાદરીઓ ભારપૂર્વક કહ્યું. તે જમાનામાં સૂર્યાસ્ત મૃત્યુના પ્રતીક તરીકે ગણાતો હતો. પણ એલેકઝાન્ડ્રાને પાદરીઓ પર શંકા હતી. તેણે પાદરીઓની સલાહ અવગણી પરંતુ બેબીલોન પહોંચ્યા બાદ દેવતાઓના અશુભ સંકેતના ભણકારા એલેકઝાન્ડ્રાને થવા લાગ્યા. નદીની મધ્યમાં સઢવાળા જહાજમાં ભારે પવનને કારણે જયારે એલેકઝાન્ડ્રાનો તાજ ઊંડી ગયો. સહુથી વધુ બદનસીબ કે જયારે એલેકઝાન્ડ્રા થોડાં દિવસ પછી મહેલમાં પાછો આવ્યો ત્યારે તેના સિંહાસન પર સજા પામેલ ગુનેગારને તાજ પહેરીને બેઠેલો જોયો. એક રાત્રે મદિરાના અતિશય સેવન બાદ એલેકઝાન્ડ્રા ખૂબ માંદો પડ્યો. તબિયત ઝડપથી લથડતી ગઈ અને એલેકઝાન્ડ્રાને લાગ્યું કે તે હવે લાંબુ જીવી નહીં શકે. એલેકઝાન્ડ્રાનો વારસદાર કોઈ થશે તેવા તેના સાથીદારોના સવાલના જવાબમાં તેના અંતિમ શબ્દો હતા “સહુથી બળવાન”.

૧૨. એલેકઝાન્ડ્રાના વારસાની વિશ્વમાં વ્યાપક અને દુરોગામી અસર થશે.

યુરેશિયાના મહત્તમ વિસ્તારમાં ગ્રીક સંસ્કૃતિના પ્રસારને સઘન કરવા ઉપરાંત એલેકઝાન્ડ્રાની દસ વર્ષની ઝુંબેશનું બીજું ઘણું યોગદાન છે. એલેકઝાન્ડ્રાના કાર્યકાળની ફળશ્રુતિ રૂપે પર્શિયા અને ભારતમાં ધરમૂળથી પરિવર્તન આવ્યું. એલેકઝાન્ડ્રાના શાસન બાદ ગ્રીસ અને ભારતીય સંસ્કૃતિના સંમિશ્રિત વિવિધ રાજ્યોની રચના થઈ. ભારતના કળા અને સ્થાપત્ય ક્ષેત્રમાં હેલેનેસ્ટીક સંસ્કૃતિની ઘેરી અસર દેખાય છે. જેમ કે અપોલોની મૂર્તિથી પ્રેરિત થઈ ભગવાન બુદ્ધની માનવીય પ્રતિમાની રચના થઈ. પર્શિયામાં અનેક નાગરિકોએ એલેકઝાન્ડ્રાને અપમાનિત કર્યો હતો. પરંતુ તેના દાર્શનિક સ્વભાવને આજે યાદ કરે છે. મુસ્લિમ ધર્મગ્રંથ કુરાનમાં એલેકઝાન્ડ્રાની દાર્શનિક નીતિનો ઉલ્લેખ કરી તેને ‘દાર્શનિક મહારાજા’ ગણાવાયો છે. અને ગ્રંથમાં વધુમાં જણાવાયું છે કે તેને ભગવાને શક્તિશાળી બનાવ્યો અને તેની ઈચ્છાપૂર્તિ માટે સર્વ સાધનો ઉપલબ્ધ કરાવ્યા. આ પ્રમાણે ક્ષેત્રમાં ગ્રીસની દાર્શનિક પ્રણાલી શરૂ થઈ. આ પ્રણાલીએ ઇસ્લામના ધાર્મિક તત્વજ્ઞાન પર ઊંડી છાપ છોડી છે. જ્યાં એલેકઝાન્ડ્રાએ કયારેય મુલાકાત લીધી ન હતી. તે દેશ-રોમમાં તેનો વારસો નોંધનીય છે. રોમના સામ્રાજ્યની શરુઆતમાં ત્યાં પ્રજાએ ગ્રીક ભાષાને તેની બુદ્ધિજીવી ભાષા તરીકે સ્વીકારી. તેમની કૃતિઓમાં ગ્રીસના કળા અને સ્થાપત્યની ભરપૂર ઝાંખી જોવા મળે છે. પ્રાચીન સમયના ઈસાઈ અને યહૂદીઓએ ધાર્મિક ઉપદેશનો અનુવાદ કરવા ગ્રીક ભાષાનો ઉપયોગ કર્યો. એલેકઝાન્ડ્રાની ઝુંબેશ પછી ભૂમધ્ય વિસ્તારમાં ગ્રીક ભાષાને પ્રાથમિક ભાષાનું બહુમાન મળ્યું. ઈસાઈ ધર્મને તૈયાર અનુયાયી મળ્યાં. એલેકઝાન્ડ્રાના યોગદાન વગર રોમન પેલેસ્ટાઈનની બહાર ઈસાઈ ધર્મનો પ્રસાર ન થયો હોત એમ ચોક્કસ કહી શકાય. જુલિયસ સીઝર, ઓગસ્ટસ અને નેપોલિયન જેવા અન્ય રાજવીઓ એલેકઝાન્ડ્રાને આદર્શ નાયક ગણતા હતા. જોક આમાંના કોઈ પણ કદાપિ મહાન એલેકઝાન્ડ્રાના સામ્રાજ્યથી વધુ સત્તા પ્રાપ્તિ ન કરી શક્યા એ નોંધનીય છે.

નોંધપાત્ર અવતરણો :

• “એલેકઝાન્ડ્રા સર્વોત્તમ કર્મશીલ વ્યક્તિ હતો.” • “વિશ્વમાં પરિવર્તન દ્વારા ટૂંકા જીવન દરમ્યાન એલેકઝાન્ડ્રાએ નવયુગનો આરંભ કર્યો.” • “એલેકઝાન્ડ્રા પ્રેરણાદાયી નેતા હતો. તેના અનુયાયીઓને અકલ્પનીય સાહસ કરવાનું પ્રોત્સાહન આપ્યું.” • “એલેકઝાન્ડ્રાના વિજય અપ્રતિમ અને અસાધારણ હતા.” • “એલેકઝાન્ડ્રાની ટૂંકી જીંદગીનો વારસો અપાર છે.”