Creativity: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 1: Line 1:
<center>
<span style="color:#ff0000">
{{fine|‘એકત્ર' સંકલિત શ્રેણી }}
[[File:Granthsar-logo.jpg|frameless|center]]
[[File:Granthsar-logo.jpg|frameless|center]]
<center>
<span style="color:#ff0000">
<span style="color:#ff0000">
{{fine|વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ}}<br>  
{{large|વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ}}<br>  
</span>
</span>
</center>
</center>

Revision as of 15:46, 6 November 2023

‘એકત્ર' સંકલિત શ્રેણી

Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ


Creativity by Mihaly Csikszentmihalyi.jpg


CREATIVITY

Mihaly Csikszentmihalyi

સર્જનાત્મકતા


મિહાલિ સિક્ઝેન્ટ મિહાલી


ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: ડૉ. ચૈતન્ય દેસાઈ


લેખક પરિચય:

Mihaly Csikszent mihalyi એ હંગેરિયન-અમેરિકન મનોવિજ્ઞાની અને લેખક છે. સર્જનાત્મક વ્યક્તિઓ દ્વારા અનુભવાતી ઊંડી એકગ્રતા અને આનંદપૂર્ણ અવસ્થાને સમજાવતી Flow Theory માટે આ લેખક જાણીતા છે. તેઓ સર્જનાત્મકતા અને સિદ્ધિ-સાફલ્યના મનોવિજ્ઞાન માટેના પણ તજજ્ઞ છે.

મિહાલેનો જન્મ ૧૯૩૪માં ઈટાલીના Fiumeમાં થયેલો. ૧૯૬૫માં શિકાગો યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાનમાં તેમણે Ph. D.ની ડીગ્રી મેળવી. ત્યાં થોડાં વર્ષ અધ્યાપન કર્યા પછી, કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં(બર્કલે) જોડાયા, જ્યાં તેઓ હાલ પ્રોફેસર એમરીટસ તરીકે કાર્યરત છે. એમણે લગભગ ૧૦૦ પુસ્તકો અને લેખો, સર્જનાત્મકતા, ફ્લો અને સિદ્ધિના મનોવિજ્ઞાન ઉપર લખ્યાં છે. જેમાંનાં ખૂબ પ્રખ્યાત પુસ્ત્તકો છે :-

• The Psychology of Optimal Experience. • Flow • Creativity: The Psychology of Discovery and Invention.

લેખકને નેશનલ હ્યૂમેનીટીઝ મેડલ, અમેરિકન સાયકોલોજીકલ ‘વિશિષ્ઠ વૈજ્ઞાનિક પ્રદાન એવોર્ડ’ જેવાં ઘણાં માન-સન્માનો મળ્યાં છે. તેઓ અમેરિકન આર્ટ એકેડેમી અને નેશનલ એકેડેમી અને નેશનલ એકેડેમી ઓફ સાયન્સીસના સભ્ય પણ છે.

પુસ્તક વિશે:

‘સેપિયન્સ’ પુસ્તક (વર્ષ 2015), એક પ્રજાતિ તરીકે આપણા સૌથી પ્રાચીન પૂર્વજોથી લઈને આજના આધુનિક, ટેકનોલોજીના યુગ સુધી આપણો વિકાસ કેવો અને કેવી રીતે થયો તેનું પગેરું મેળવે છે. વાળ વગરના, પૂંછડી વગરના વાનરની પ્રજાતિના રૂપમાં, આપણે કેવી રીતે સમગ્ર પૃથ્વી ગ્રહ પર આપણું પ્રભુત્વ સાબિત કરી શક્યા, તેની વિસ્મયકારી વાર્તાની આપણે અહીં એક પછી એક ઝલક જોઈશું.

• આપણી પ્રજાતિ - હોમો સેપિયન્સ - કેવી રીતે પૃથ્વી પર શાસન કરવા સક્ષમ બની?
• મનુષ્યો કેવી રીતે મૂડીવાદી વૈશ્વિક સમુદાયમાં રહેતાં થયાં?
• માનવ સમાજ અને સંસ્કૃતિની શરૂઆત કેવી રીતે થઈ હતી?

વિષયવસ્તુ :

૧૯૯૬માં પ્રકાશિત ‘Creativity’ ‘સર્જનાત્મકતા’ ઉપરનું પુસ્તક, મનનશીલ ચિંતકો, નવું નવું ક્રાંતિકારી કેવી રીતે વિચારે છે તેની પ્રક્રિયામાં એક ડોકિયું કરાવે છે. વિચારકો અને સર્જકોની ભૂમિકા અને સામાન્ય લક્ષણોની ચર્ચા કરીને, વિશિષ્ટ અને મૌલિક ખ્યાલોને તેઓ કેવી રીતે મનમાં સેવે છે, તેમની ખાસ લાક્ષણિકતાઓ ઉપર અહીં સુપેરે પ્રકાશ પાડવામાં આવ્યો છે.

આ પુસ્તકમાં મારા ઉપયોગનું શું છે?— તમારા વ્યક્તિગત સર્જનાત્મક પ્રવાહને વેગ આપનારી મૂલ્યવાન આંતરદૃષ્ટિ !

તમે એવી ક્ષણો ક્યારેય અનુભવી છે ખરી કે જયારે નવા વિચારો કે તમારા પ્રશ્નોનાં સમાધાનો, ઉલઝનના ઉપાયો તમારા મનમાં અચાનક, વિના પ્રયત્ને ઝબકી ગયા હોય અને તે તમને સાહજિક અને ભૂલ વગરના કાર્ય તરફ દોરી ગયા હોય ? એ ઘટનાને જ તો ‘સર્જનાત્મક પ્રવાહ’ કહેવાય છે. અને જે ખૂબ વિશિષ્ટ કાર્યમાં પ્રવૃત્ત હોય તેવા સફળ માનવીઓ આવા જ creative flowનો અનુભવ કરતા હોય છે. જયારે તમે પણ આવી સર્જનાત્મક સંવેદનશીલતાનો પરિચય પામો ત્યારે તેનું ઉદ્ભવ સ્થાન અને મિેકેનિઝમ સમજાવવું એક જુદો જ પડકાર બની રહે છે.

આ પુસ્તક, સમકાલીન સર્જકોનાં જીવન અને કવનને તપાસી, તેમના મનમાં ઊઠેલા નવા ઉન્મેષો, ખયાલો, વિચારો કેવી પરિસ્થિતિમાં – ક્યારે જન્મ્યા તેની સરસ સમજૂતી આપે છે. માનવજાતના અસ્તિત્વ માટે સર્જનાત્મકતા શા માટે અનિવાર્ય છે અને તમારા રોજિંદા જીવનમાં સર્જનાત્મકતા પ્રવાહ કેવી રીતે વધારવો તેની રૂપરેખા તમે અહીં જોઈ શકશો. ‘સર્જનાત્મકતા’ની વ્યાખ્યા, તેને ખીલવવાની રીતો, પ્રકારો, તેનાં વ્યવહારુ ઉદાહરણો વગેરે, જાણીતા મનોવિજ્ઞાની લેખક મિહાલીએ આપ્યાં છે. તેમણે ૧૦૦ જેટલા સર્જકોના ઇન્ટર્વ્યું લીધા, કલાકાર, વૈજ્ઞાનિક, બિઝનેસ લીડર્સ, એથ્લેટ્સ, રાજકારણીઓ, કવિઓ ઇત્યાદિ વિવિધ ક્ષેત્રની સફળ વ્યક્તિઓને મળ્યા, વાતો કરી, અને લેખકે પોતે એક ‘સર્જનાત્મકતાની સર્વ સમાવેશક થીયરી’ ડેવલપ કરી છે. જે પ્રેરક અને પથદર્શક બની રહેશે. લેખક મિહાલીએ ‘સર્જનાત્મકતા’ની વ્યાખ્યાથી શરૂઆત કરી છે : “સર્જનાત્મકતા એ ત્રણ તત્ત્વોની બનેલી એક સિસ્ટમની આંતરક્રિયા છે : પ્રતીકાત્મક નિયમોવાળી એક સંસ્કૃતિ, નવીનતાને પ્રતીકાત્મકતાના દાયરામાં ખેંચી લાવે તેવી વ્યક્તિ, અને એ નવીનતાને સમજાવે અને અધિકૃત કરે તેવા તજજ્ઞોનું ક્ષેત્ર.” બીજા શબ્દોમાં કહીએ તો, ‘સર્જનાત્મકતા એ કેવળ વ્યક્તિગત બુદ્ધિ પ્રતિભાની બાબત નથી, પરંતુ તે સંસ્કૃતિ અને સમાજની પણ પેદાશ હોય છે.’ તેની પ્રક્રિયાનાં વિવિધ તબક્કાઓ હોય છે— પ્રારંભિક સ્પાર્ક(ઝબકાર)થી માંડી વિચારના અંતિમ મૂર્તિમંત થવા સુધી એણે જુદા જુદા સ્તરેથી પસાર થવાનું રહે છે. સર્જનાત્મક લોકો, પરંપરાગત વિચારણાથી જુદા પડી નવી નજરે, નવા દૃષ્ટિકોણથી દુનિયાને કેવી રીતે જુએ છે તે પણ અહીં બતાવ્યું છે. તો સાથે માહિતી, જ્ઞાન, ખંત-લગન અને ભાગ્યના મહત્ત્વની પણ અહીં ચર્ચા છે. લેખક માને છે કે સર્જનાત્મકતા એ કોઈ દુર્લભ ભેટ નથી, એ તો દરેક જણ ધરાવતો હોય તેવી ક્ષમતા જ છે. યોગ્ય કૌશલ્યો અને ટેવો, પ્રેક્ટિસ દ્વારા કોઈપણ તે શીખી શકે છે. તેથી તમે કઈ બાબતની પેશન ધરાવો છો, તે ક્ષેત્ર શોધી કાઢો અને તેને સમર્પિત થવા તૈયાર થાવ તો તમે પણ સર્જનાત્મકતા હાંસલ કરી શકો.

ચાવીરૂપ મુદ્દાઓ :

(૧) સર્જનાત્મકતા એ માત્ર વ્યક્તિગત બુદ્ધિપ્રતિભાની બાબત નથી, એ તો સમાજ અને સંસ્કૃતિની પણ પેદાશ છે.
(૨) સર્જનાત્મક પ્રક્રિયા સંકુલ અને જટિલ છે. તેના વિવિધ તબક્કાઓ – પ્રારંભિક ઝબકારથી માંડી વિચારના અંતિમ સાકાર થવા સુધીના - હોય છે.
(૩) સર્જનાત્મક લોકો, પરંપરાગત વિચારણાથી મુક્ત થઈ નવી રીતે જગતને જોવા સમર્થ હોય છે.
(૪) સર્જનાત્મકતાના ક્ષેત્રમાં જ્ઞાન, ખંત અને નસીબ એ ત્રણ અગત્યનાં પરિબળો છે.
(૫) તમને જે ક્ષેત્રમાં તીવ્ર રસ હોય તે શોધી તેનાં યોગ્ય ટેવો-કૌશલ્યો વિકસાવી તમે પણ વધુ સર્જનાત્મક બની શકો.

આ પુસ્તક સારમાં તમને ત્રણ બાબતો જોવા મળશે.

- ૧૪૦૦ની સાલમાં ફ્લોરેન્સનો સર્જનાત્મકતાના હબ તરીકે ઉદ્ભવ થવા પાછળનાં કારણો.
- વયસ્કોએ તેમની સર્જનાત્મક પ્રતિભા, તેમની બાળ પેઢીમાં કેમ પ્રગટ ન કરી?
- સર્જનાત્મકતા અને પ્રેરણાના ઉદ્દીપક તરીકે કીચન ટેબલ તમને કેવી રીતે ઉપયોગી બની શકે?

પ્રસ્તાવના :

સર્જનાત્મક વિચારણા અને નવીનતા પાછળ રહેલી મનોવૈજ્ઞાનિક પ્રક્રિયામાં આપણને ઊંડી આંતરદૃષ્ટિ આપતી અને સર્જનાત્મકતાની આપણી સમજ વધારતી આ કલમ વાંચવી ખૂબ ગમશે. લેખકે દાયકાઓના સંશોધન, અનેક કેસ સ્ટડીઝ, ઇન્ટર્વ્યું દ્વારા, ‘flow’-‘સર્જનાત્મક પ્રવાહ’નો ખ્યાલ વિકસાવી, તે સર્જનાત્મકતા તરફ દોરી જતી ‘ઉચ્ચ એકાગ્રતા અને સંલગ્નતાની ભૂમિકા બાંધી આપી છે. સર્જનાત્મકતાનો અર્થ તેનાં સ્રોત, પદ્ધતિઓ અને માનવ અનુભવો ઉપર તેની અસરની ચર્ચા અહીં થયેલી છે.


મહત્ત્ત્વપૂર્ણ વિચાર બિંદુઓ :

(૧) સર્જનાત્મકતા એ મનુષ્યમાં એકાએક ઉદ્ભવતી ઘટના નથી. પરંતુ એક વ્યવસ્થિત માળખામાં અને તમારી આસપાસના વાતાવરણમાં ઊંડે ઊંડે રોપાયેલી એક બહુઆયામી પ્રક્રિયા છે.

સેઈટાલીયન રેનેસાં (નવજાગૃતિ) દરમ્યાન- ઈ.સ. ૧૪૦૦થી ૧૪૨૫ સુધી ફ્લોરેન્સમાં સર્જનાત્મકતાનો નોંધપાત્ર વિકાસ થયો તે માત્ર આકસ્મિક ઘટના નથી. એ તો એક ધબકતા અર્થતંત્ર અને કલા-કારીગીરીને પ્રોત્સાહન જેવાં પરિબળોએ કારીગરોને તેમની કલાવિસ્તારની સુંદર તક ઊભી કરી આપી. આ સમયગાળામાં, પાશ્ચાત્ય સંસ્કૃતિનાં કેટલાંક ‘આઈકોનિક આર્ટ વર્કસ’ સાકાર થયાં, જેવાં કે- લોરેન્ઝો ગીબર્ટીનું ફ્લોરેન્સ બેપ્ટીસ્ટ્રીનાં તામ્રદ્વાર, ફિલિપ્પો બ્રુનેલ્શીનું ફ્લોરેન્સ કેથેડ્રલના ડોમ ઉપરનું સ્મારક વગેરે. નવજાગૃતિ કાળે એ ખૂબ સ્પષ્ટરૂપે સમજાવ્યું કે સર્જનાત્મકતા- એ આંતરિક રીતે ત્રણ મહત્ત્વપૂર્ણ અંગો ધરાવતી એક વ્યવસ્થિત સિસ્ટમ સાથે જોડાયેલી બાબત છે : એક દાયરો, એક ક્ષેત્ર, કાર્યવિસ્તાર અને વ્યક્તિ...દાયરો-domain-એક વ્યાપક કેટેગરી છે, તેમાં સર્જનાત્મકતા સાકાર થાય છે. દા. ત. ગણિત અથવા મ્યૂઝીક ....આવા દાયરાની અંદર આવે છે field-કાર્યક્ષેત્ર, જેમાં જે તે ક્ષેત્રના તજજ્ઞોનો સમાવેશ થાય છે. તેમનું કામ ગેટકીપર જેવું છે- કયા નવા વિચારોને દાયરામાં પ્રવેશવા દેવા અને કયાને નહિ તે નક્કી કરે છે. દા.ત. દૃશ્ય કલાઓના ક્ષેત્રમાં કલાગુરુઓ, મ્યૂઝીયમ ક્યૂરેટર્સ અને સરકારી સાંસ્કૃતિક સંસ્થાઓ.... ત્રીજું મહત્ત્વનું પરિબળ છે વ્યક્તિ-એ આ સિસ્ટમનો ડ્રાયવિંગ ફોર્સ-ચાલક શક્તિ છે. જયારે વ્યક્તિ જે તે દાયરાની પદ્ધતિઓને (ગણિતની ફોર્મ્યુલા, સમીકરણો અથવા વાદ્યયંત્રની key) કંઈક નવું સર્જવા માટે અમલમાં મૂકે છે (જેમકે કંઈક નવી સિદ્ધાંત કલ્પના અથવા નવી સંગીતની ધૂન) અને જે તે ક્ષેત્રના તજજ્ઞો એના સર્જનને સ્વીકૃતિ આપે છે.

(૨) વ્યક્તિને સર્જક બનાવે તેવાં પરિબળો કયાં છે? આનો કોઈ સીધો સટ જવાબ નથી, તોયે સર્જનાત્મકતા ઘડવામાં કેટલાંક વ્યક્તિગત લક્ષણો એમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

કેટલાક કિસ્સાઓમાં, વ્યક્તિને જે તે દાયરામાં તેના શરૂઆતના રસ-શોખને પોષે તેવાં કેટલાંક જેનેટિક સ્વભાવગત કે વિશિષ્ટ શારીરિક લક્ષણો મળ્યાં હોય છે. એ તેને જે તે સર્જનાત્મક પ્રવૃત્તિમાં ઉદ્દીપ્ત કરે છે. દા.ત. જેને રંગ-પ્રકાશ અને આકાર સંયોજનની ઉચ્ચ સંવેદનશીલતા સહજ હોય તે સ્વાભાવિક રીતે જ ડ્રોઈંગ-પેઈન્ટીંગ તરફ આકર્ષાશે. અને થોડી તાલીમ મળતાં સારો ચિત્રકાર બની જશે.

તો આવા દાયરા પ્રત્યે જવાનો માર્ગ મળવો, મોટે ભાગે બાય ચાન્સ મળી જતો હોય છે-એ બીજું મહત્ત્વનું પરિબળ છે. આથી જેમને શિક્ષણની સારી તક મળી હોય અને સર્જનાત્મકતા વિકસાવે તેવું વિપુલ વાતાવરણ મળ્યું હોય તેમને વિશિષ્ટ લાભ અને આનંદ મળી શકે છે... તેમ છતાંયે, જે તે વિશિષ્ટ કલા કે સર્જનાત્મક ક્ષેત્રમાં તમને પ્રવેશ મળવો એ પણ એટલું જ અગત્યનું છે. ભલે કોઈ વ્યક્તિ અસાધારણ સર્જન કરતી હોય, પણ તેને જે તે ક્ષેત્રમાં જો ઓળખાણ કે પહોંચ, વગ કે સંબંધો ન હોય તો એમાં પ્રવેશ મેળવવા પણ અને સ્વીકૃતિ મેળવવા પણ સર્જકે ઘણો સંઘર્ષ કરવો પડતો હોય છે. એનું એક ઉદાહરણ છે- જોહાન્ન સેબાસ્ટિયન બાકના મ્યૂઝીકનું... એમની સંગીતની સર્જનાત્મકતાની ખરી ઓળખ અને સ્વીકૃતિ એમના ગયા પછી દુનિયાને થઈ, અને તે પણ અન્ય કમ્પોઝર ફેલીક્ષ મેન્ડેલસોને એને પુનઃ પ્રકાશમાં આણી, બાકના સ્વર્ગવાસના કેટલાક દાયકાઓ પછી ! બોલો, આવું પણ થાય... તમારી ઓળખ/જાણ જગતને સમયસર થવી પણ જોઈએ. સર્જનાત્મક લોકોનાં વ્યક્તિત્વ થોડાં જુદાં, જટિલ, આંતરિક સંઘર્ષો અને બાહ્ય લક્ષણો સાથે મેળ ન ખાતાં હોય તેવાં હોય છે, એમના ધૂની-તરંગી સ્વભાવ, અંદરના તાલમેલનો અભાવ જેવાં સામાન્ય લક્ષણો સર્જકોમાં જોવા મળે છે. દા.ત. કેટલાક સર્જકો બુદ્ધિ અને શિખાઉપણા વચ્ચે સંતુલન જાળવી, બંને લક્ષણો દર્શાવી શકે છે. ઉદાહરણ લઈએ મ્યૂઝીકલ જીનિયસ વુલ્ફગેંગ એમેડિયસ મોઝાર્ટનું ! તેઓ સંગીતની ઉચ્ચ સમજ અને સર્જનાત્મક ટેલેન્ટ ધરાવતા હોવા છતાં બાળક જેટલા રમતિયાળ પણ હતા. વધુમાં, સર્જકતાવાળી વ્યક્તિ અંતરમુખી અને બહિર્મુખી બંને પ્રકારનાં વ્યક્તિત્વની સીમારેખા ઉપર ચાલી શકે તેવા હોય છે. તેમને કળાસાધના-અભ્યાસ-રિયાઝ માટે શાંત ક્ષણો જોઈતી હોય છે, એકાંત પસંદ કરે છે તેઓ. તો સાથોસાથ, તેઓ પોતાના નવીન ઉન્મેષો, નવીન સર્જક બાબતો દુનિયા સાથે શેર કરવાની પણ એટલી જ ઉત્કટતા પણ ધરાવતા હોય છે.

(૩) સર્જનાત્મકતાની વિવિધ પ્રક્રિયાઓ હોય છે, અને તે બધી જ્ઞાનશાખાઓમાં એક સમાન તરાહ-પેટર્નને અનુસરતી નથી હોતી.

જેમ કે કોઈ વૈજ્ઞાનિકની ક્રાંતિકારી શોધનો અભિગમ અને કલાકારની કોઈ યાદગાર કૃતિ સર્જવાની પદ્ધતિ-બંને જુદાં હોઈ શકે છે. તેથી દરેક ક્ષેત્રોમાં સર્જકતાની ફોર્મ્યુલા એકસરખી લાગુ પડે તેવું નથી હોતું. પરંતુ કેટલાંક સામાન્ય લક્ષણો કૉમન હોય છે તે તારવી શકાય તેવાં છે. સામાન્ય રીતે, સર્જનાત્મક પ્રક્રિયાને પાંચ ચાવીરૂપ તબક્કામાં દર્શાવી શકાય : શરુઆતનો તબક્કો તૈયારીનો છે, જેમાં સર્જક પોતે પ્રશ્નમાં કે consept-ideaમાં ડૂબકી લગાવે છે. ત્યાર પછી તે idea મનમાં સેવાય છે, અભાનપણે જાણે માના ગર્ભમાં બાળક તૈયાર થાય છે, જેની મોટેભાગે સર્જકને પૂરી સજગ જાણ પણ નથી હોતી. ઈંડુ સેવવાનો તબક્કો છે આ! ત્યાર પછી ત્રીજા પગથિયે – “અહા!”ની ક્ષણ આવે છે - સર્જકના મનમાં - ચેતનામાં સપાટી ઉપર કંઈક નૂતન ઝબકાર થઈ જાય છે, એવી આંતરદૃષ્ટિ વિકસે છે... ત્યાર પછી, એના મૂલ્યાંકનનું સ્ટેજ આવે છે જેમાં સર્જકે તેની નવી મળેલી આંતરદૃષ્ટિનું મૂલ્ય, તેની વ્યવહારુતા કેવી છે તે તપાસવાનું રહે છે... અંતિમ તબક્કો, એ યોગ્ય લાગેલી આંતરદૃષ્ટિના પ્રેક્ટિકલ એપ્લીકેશનના વિસ્તરણનો છે... આ તો જાણે એક સૈદ્ધાંતિક સમજનાં પગથિયાં જોયાં, પરંતુ જેમાં સર્જનાત્મકતા સામાન્ય રીતે ખૂલતી હોય છે. ક્યારેક સીધી ‘યુરેકા મોમેન્ટ’ પણ આવતી હોય છે. સર્જનાત્મક વિચારો મુખ્યત્વે ત્રણ પ્રાયમરી સોર્સમાંથી આવતા હોય છે : વ્યક્તિગત અનુભવ, વ્યક્તિનું કાર્યક્ષેત્ર અને તેનો દાયરો.... દૃશ્યકલાના કલાકારો અને લેખકો તેમના વ્યક્તિગત અનુભવોમાંથી પ્રેરણા મેળવે છે, જેવા કે જન્મ, મૃત્યુના પ્રસંગો, પ્રેમ, વ્યગ્રતા, હતાશા જેવી અંગત લાગણીઓમાંથી... દા.ત. એન્થની હેચ અને હીલ્ડે ડોમીન જેવા કવિઓ અવારનવાર તેમની કવિતામાં, તેમના રોજિંદા જીવનની ઘટનાઓમાંથી પ્રેરણા લઈ લખતા હોય છે. આવા સર્જકોનું ક્ષેત્ર, તેમના સર્જનાત્મક ઇનપુટથી પોષાયેલું હોય છે. તેઓ, તેમના દાયરાના પરંપરાગત સ્થાપિત ખ્યાલોને પડકારે છે અથવા સમકાલીન માઈન્ડ સેટને બદલવા ચાહે છે કે પછી ‘જૈસે થે’ પરિસ્થિતિને હચમચાવવા પ્રયત્ન કરે છે ત્યારે પોતે નૂતન વિચારોને જન્મ આપે છે. સર્જનાત્મક રીતે તેને સમાજ સમક્ષ રજૂ કરે છે... આ ઉપરાંત સમકાલીન સમાજ કે લોકો(પ્રજા) પણ કલાકારની સર્જનાત્મકતા ઉપર પોતાનો પ્રભાવ પાડતા હોય છે. જેમ કે સર્જનાત્મક વિચારકનો દૃષ્ટિકોણ ઘડવામાં તેમના શિક્ષકો, સાથીઓ, મેન્ટર્સ પણ ખાસ ભાગ ભજવતા હોય છે. દા.ત. વિજ્ઞાનના ક્ષેત્રમાં, શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું સીમિત નથી હોતું. નવા નવા પ્રયોગાત્મક વિચારો સેમિનાર, ચર્ચા, મુલાકાતો અને સહયોગી વર્કશોપ્સ દ્વારા પણ સર્જક કે સંશોધકના મનમાં ઘડાતા હોય છે.

(૪) સર્જકોને તેમની સર્જન પ્રક્રિયા કે કાર્યમાં પ્રવૃત્ત રાખનાર ચાલકશક્તિ કઈ છે? — લેખકો-કવિઓ, સંગીતકારો, વૈજ્ઞાનિકો, સંશોધકો વગેરેના ઇન્ટર્વ્યુ દ્વારા લેખકે તારવ્યું કે આવા સર્જકો તેમની કલામાં જેન્યુઈન રસ અને આનંદ થકી જ પ્રવૃત્ત થયા હોય છે.

સર્જકને એની કળાપ્રવૃત્તિમાં જે આંતરિક ખુશી અને સંતોષ મળે છે તેને ‘flow’ કહેવાય છે. એના અનુભવનાં નવ જેટલાં જુદાં જુદાં તત્ત્વો લેખક બતાવે છે. ચાલો, એમાંથી ત્રણને આપણે ઊંડાણથી તપાસીએ : (૧) flow-પ્રવાહ... આ પ્રક્રિયાના દરેક સ્તરે તેનાં goals-લક્ષ્યોનું સ્પષ્ટીકરણ હોવું જોઈએ.. ‘પ્રવાહ’ની સ્થિતિમાં વ્યક્તિને શું કરવાની જરૂર છે તેની સ્પષ્ટ/તરલ સમજ જરૂરી છે. દા.ત. સંગીતકારને અંદરથી સાહજિક રીતે જ ખબર પડે કે પોતે કઈ ધૂન વગાડવાની છે, પર્વતારોહકને કયું પગલું ક્યાં/ ક્યારે મૂકવું, તેની સમજ સભાન વિચાર કર્યા વિના પણ પડી જતી હોય છે... એ જ રીતે, પોતાના ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી ચૂકેલ વૈજ્ઞાનિક, જે તે વિશિષ્ટ પડકાર ઉપાડતાં પહેલાં તેનાં હેતુઓ-પ્રવિધિઓ વગેરે વિશે બરાબર જાગૃત હોય છે. એટલું જ નહિ, એના પ્રોજેક્ટ કે તેની પ્રક્રિયામાં કોઈ ‘નોલેજ ગેપ’ છે તેનાથી પણ તે સુપેરે વાકેફ હોય છે. તેથી તે ગેપ પૂરવાના પણ પ્રયાસ કરે જ છે. બીજું, જેઓ આ flowના સ્ટેજ ઉપર હોય છે તેઓ તેમના ચાલુ કાર્ય વિશે તત્કાલ ફીડબેક મેળવતા રહે છે. દા.ત. સંગીતકાર, તેની તમામ જ્ઞાનેન્દ્રિયો દ્વારા એ ગ્રહણ કરે છે કે તેના ટ્યૂન્સ બરાબર જાય છે કે? પર્વતારોહક દરેક ડગલે ને પગલે, પોતે બરાબર ચઢી રહ્યો છે ને, કંઈ ભૂલ તો નથી ને તેની કાળજી લેતો રહે છે. સર્જનાત્મક લોકો, પોતે પણ પોતાના કાર્યને અસરકારક ફીડબેક આપી શકે તેવા કુશળ હોય છે. દા.ત. લીનસ પોલીંગ નામનો નોબેલ પ્રાઈઝ વીનર કેમીસ્ટ, સર્જનાત્મક ઉત્પાદકતા અને બિનઉત્પાદકતા વચ્ચે ભેદ પાડે છે, એનો આધાર સર્જક એના વિચારોને વિવેચનાત્મક રીતે મૂલવી શકે છે કે કેમ, અને તેમાંથી ગુણવત્તાવાળા કયા છે અને બિનઉપયોગી કયા છે તેને જુદા પાડી શકે, તેના પર રહેલો છે... ત્રીજું, flow એ સર્જકના સમયના ભાનને વિકૃત કરી દે છે. કળાત્મક પ્રવાહમાં ડૂબેલા સંગીતકારને(કે કોઈપણ આર્ટીસ્ટને) સમયનું ભાન રહેતું નથી. એક કલાકની નિયત કરેલી પ્રેકટિસ જો એમાં ગળાડૂબ થઈ ગયા તો, કેટલાય કલાક લંબાઈ જાય તેનો ખ્યાલ ન રહે. માર્ક સ્ટ્રેન્ડ નામના કવિ, સર્જનાત્મક પ્રક્રિયાને વર્ણવતાં યોગ્ય જ કહે છે કે, એ પ્રક્રિયા જ ખૂબ ઊંડાણમાં લઈ જનારી હોય છે-ડૂબાડી દેનારી હોય છે, જેમાં ભૂતકાળ કે વર્તમાનકાળની સીમાઓ ઓગળી જાય પછી સર્જકને માત્ર વિસ્તૃત અને વ્યાપક સમાવેશક વર્તમાનમાં જ છોડી દે છે.

(૫) સર્જકનો સર્જનાત્મક આઉટપુટ, તેના આસપાસના પર્યાવરણ-વાતાવરણથી ખૂબ પ્રભાવિત થાય છે : બંને રીતે - હકારાત્મક અને નકારાત્મક !

સર્જનાત્મક પ્રક્રિયામાં, યોગ્ય સમય અને યોગ્ય સ્થળ હોવાં ખૂબ મહત્ત્વપૂર્ણ છે, તેથી આદર્શ સર્જનાત્મક વાતાવરણ પસંદ કરવું કે બનાવવું ખૂબ અઘરું કામ છે. સર્જક પોતાની કેટલી સર્જનાત્મકતા પ્રગટ કરી શકે તેનો આધાર તેના સામાજિક, સાંસ્કૃતિક અને સંસ્થાગત સંદર્ભો ઉપર પણ ઘણો રહેતો હોય છે. તેથી, એવા સર્જકો, તેમના ક્ષેત્રના હબ ગણાય તેવા સ્થળે અને તેવા વાતાવરણમાં જવાનું/વસવાનું પસંદ કરે છે. દા.ત. ન્યૂયોર્ક શહેર, ઊગતા અને તેજતર્રાર કલાકારો માટે ‘વાઈબ્રન્ટ હોટસ્પોટ’ ગણાય છે. કારણ કે ત્યાં નવા નવા ટ્રેન્ડ્ઝ(પ્રવાહો) અને ઈવેન્ટ્સ થતાં જ રહે છે. એ જ રીતે, વૈજ્ઞાનિકો, જ્યાં પોતાના ક્ષેત્રના અન્ય સંશોધકો-તજજ્ઞો હોય તેવી સંસ્થાઓ-કેંદ્રો તરફ આકર્ષાય છે. જેમ કે Bell Laboratories વૈજ્ઞાનિકો-પ્રયોગશીલોને સહયોગ કરવાનું ઉત્તમ વાતાવરણ પૂરું પાડે છે. વિચારો અને પ્રેરણાના વિનિમય માટે લાયબ્રેરી, લેબ અને ઑફીસ સગવડ પણ નજીક નજીક હોય તે ખૂબ જરૂરી છે.

સર્જકને આવું પ્રોત્સાહક, અનુકૂળ, સગવડભર્યું વાતાવરણ તેની સર્જનાત્મકતા ખીલવવા ખૂબ જ આવકારદાયક છે. પ્રાચીન કાળથી વિવિધ સંસ્કૃતિઓએ એવી માન્યતા પ્રસારી છે કે વ્યક્તિના વિચારો ઉપર તેના વાતાવરણ-ભાવાવરણનો ખાસ્સો પ્રભાવ પડતો હોય છે. ચીની સંત કવિઓ શાંત ટાપુઓ અને રમ્ય પેવોલિયનમાં જઈ કવિતા રચતા, બ્રાહ્મણ-હિંદુ ઋષિઓને જંગલ-કંદરાઓમાં દિવ્ય પ્રેરણા લાધતી, ખ્રિસ્તી ધર્મગુરુઓને તેમની મોનેસ્ટ્રી(ધર્મ-શાળા) બાંધવા સુરમ્ય પ્રાકૃતિક વાતાવરણ અને સ્થળ જ યોગ્ય લાગતાં. દા.ત. સંગીતકાર ફ્રેંઝ લીઝ્ટ, લેઈક કોમોને કિનારે આવેલા ઈટાલીયન ગામ બેલાજીઓ ગયો ત્યારે તેના ઉદ્ગાર હતા : “અહીં મારી આસપાસનાં બધાં વિવિધ પ્રાકૃતિક લક્ષણો, મારા આત્માના ઊંડાણમાં એક પ્રકારનું ઈમોશનલ રીએક્ષન જગવે છે. જેને હું મારા સંગીતમાં ઢાળું છું...” સર્જનાત્મક આંતરદૃષ્ટિ માટે પ્રેરણાનું ઝરણું આવા નૂતન અને રમ્ય-રમણીય આનંદદાયક વાતાવરણમાંથી જ વહી રહે છે. તેમ છતાં, એ પણ નોંધવું જોઈએ કે આવું સુરમ્ય પ્રાકૃતિક વાતાવરણ બધા જ સર્જકોને એકસરખું પ્રેરક ન પણ નીવડે એવું બની શકે. તૈયારી અને મૂલ્યાંકન જેવાં સર્જનાત્મકતાનાં અન્ય પગથિયાં, ઘણીવાર પરિચિત અને અનુકૂળ સેટીંગમાં(પછી ભલે તે અવ્યવસ્થિત પણ હોય), વધુ સારી રીતે ખૂલતાં હોય એમ પણ બને... ફાવી ગયેલું વાતાવરણ અને ફાવી ગયેલી જગ્યા ઘણા કલાકારો છોડતા નથી, બીજે ગમે તેટલું સારું કે પ્રેરક હોય તો પણ ! સુખ્યાત સંગીતકાર જોહાન્ન સેબાસ્ટીયન બાક, જર્મનીના તેના વતન થુરીંગિયાથી ભાગ્યે જ દૂર જવાનું પસંદ કરે છે. ફ્રેંચ લેખક માઈકલ પ્રાઉસ્તે તેના ઝાંખા પ્રકાશવાળા ઓરડામાં જ તેની માસ્ટરપીસ કૃતિઓ લખી છે. તો વળી મહાન આલ્બર્ટ આઇન્સ્ટાઇને તેની થીયરી ઑફ રીલેટીવિટી, તેના કીચન ટેબલ ઉપર બેસીને રચી હતી.

(૬) સર્જકતા જન્મજાત કે બાળપણથી જ હોવી એ ગેરમાર્ગે દોરનારો ખ્યાલ છે. બધા જ સર્જક પ્રતિભાવાળા લોકો તેમની ટેલેન્ટ લઈને જ જન્મેલા હોતા નથી.

સર્જક પ્રતિભા જન્મજાત હોવાની એક પ્રચલિત ગેરમાન્યતા છે. નવા જાગૃતિકાળનો ઈટાલીયન ચિત્રકાર giotto માટે એવું કહેવાય છે કે તે બહુ નાની વયથી જ સંપૂર્ણ ફ્રીહેન્ડ વર્તુળ દોરી શકતો, તેથી તેની પાસે પરિવાર અને સમાજની અપેક્ષા જાગી કે કલાકારો તો જન્મતા જ હોય છે, બનાવાતા નથી હોતા... જોકે કેટલાક સર્જકો બાળપણમાં તેમની પ્રતિભાની ઝલક બતાવી શક્યા હોય છે એ ખરું. વુલ્ફગેંગ મોઝાર્ટે સંગીતસૂઝ બાળપણથી જ પ્રગટ કરેલી. પણ બધા જ સર્જકોમાં એવું બનતું કે હોતું નથી. ઘણા મોટપણે તાલીમ અને અભ્યાસથી સર્જક બન્યા હોય છે... એ વધુ માની શકાય તેવી વાત છે. કારણ કે જન્મજાત પ્રતિભાવાળી વાતો વાસ્તવમાં કાલ્પનિક પણ હોય છે. giottoનું પ્રારંભિક જીવન ઘણી દંતકથાઓથી ઘેરાયેલું રહ્યું હતું.

વાસ્તવમાં, વિવિધ વરિષ્ઠ સર્જકો તેમના બાળપણમાં વિશિષ્ઠ નહોતા. આઇન્સ્ટાઇન અને ચાર્લ્સ ડાર્વિન પણ બાળપણમાં સામાન્ય જ હતા. વિન્સ્ટન ચર્ચીલની રાજદ્વારી કુનેહ તેમની મધ્યવયમાં જ નિખરી. લીયો ટોલ્સ્ટોય, ફાન્ઝ કાફ્કા, માર્સેલ પ્રાઉસ્ત તેમની યુવાનીમાં તેમના મેન્ટર ઉપર ખાસ ચિરસ્થાયી છાપ છોડી શક્યા નહોતા. તો ટૂંકમાં એ જ કહેવાનું કે, સર્જકોનાં બાળપણ તપાસતાં કોઈ સમાન-સાધારણ પેટર્ન શોધવી પડકારજનક છે. તેમ છતાંયે, સર્જકોના જીવન ઉપર એમના ઉછેર અને શિક્ષણની થોડીપણ માર્યાદિત અસર જોવા મળી તેમાંથી લેખકે થોડી કૉમન પેટર્ન તારવી બતાવી છે. એક ખૂબ આશ્ચર્યજનક હકીકત એ બહાર આવી કે કોઈ સર્જકે તેની શાળા/ શાળાજીવન કે શિક્ષકોની તેમના કલાઘડતરમાં, પ્રેરણામાં બહુ મહત્ત્વની ભૂમિકા હોવાનું સ્વીકાર્યું નથી, દા.ત. જાણીતા જીવવિજ્ઞાની જ્યોર્જ ક્લેઈન કહે છે કે એકાદને બાદ કરતાં એમના બધા શિક્ષકો સાધારણ હતા. એની કિશોરાવસ્થામાં તેના વર્ગના મિત્રોના પ્રભાવમાં એને તત્ત્વજ્ઞાન અને સાહિત્ય તરફ ઝૂકાવ હતો.(પણ પછી બન્યા એ તો જીવવિજ્ઞાની!) એ જ રીતે અન્ય અગ્રણી સર્જકો - આઇન્સ્ટાઈન, પાબ્લો પિકાસો, લેખક ટી. એસ. એલિયટ કહે છે કે તેઓ મોટી ઉંમરે જે બન્યા તેમાં, તેમની શાળાનું યોગદાન લઘુત્તમ હતું.

(૭) સર્જકો તેમના કૉલેજકાળ પછી બિનપરંપરાગત કારકિર્દીનો માર્ગ ચાતરી લે છે, જે તેમનો અનોખો સફળ પ્રોફેશનલ માર્ગ નીવડી રહે છે.

વ્યક્તિના વયસ્ક થવા પૂર્વેના અનુભવો, તેમની ભાવિ કારકિર્દી ઘડવામાં ખૂબ અગત્યના બની રહે છે, એ સર્જકો માટે પણ એટલું જ લાગુ પડે તેવું છે. તેથી કૉલેજ કે ગ્રૅજ્યુએટ સ્કૂલ, સર્જનાત્મક લોકોના જીવનમાં મહત્ત્વનો વળાંક બની રહે છે. તેઓ તેમના પ્રાદેશિક માહોલમાંથી બહાર આવી નવો રસ્તો કંડારતા હોય છે. કેટલાકને તો આ શિક્ષણકાળમાં તેમના મેન્ટર્સ કે સાથીઓની પ્રસંશા, પ્રેરણા, પ્રોત્સાહન તેમની સર્જકક્ષમતા બહાર લાવવામાં મદદગાર થતાં હોય છે. કૉલેજકાળનાં વેકેશન્સ, પ્રોજેક્ટ વર્ક, સેમિનાર, શિબિરો, તાલીમ વગેરે વ્યક્તિમાં રહેલી સર્જકતા શોધવામાં સહાયક બને છે. અમેરિકન કવિ એન્થની હેચને કિશોરાવસ્થામાં ગણિત અને મ્યૂઝીકમાં રસ હતો તેઓ કાવ્યની કેડીએ કોડિયાં પ્રગટાવતા થયા. તોયે, કૉલેજ પછીનાં વર્ષોમાં, સર્જકો ‘કારકિર્દી’નો પરંપરાગત વિચાર અને જૉબ પસંદગી પડતી મૂકે છે. જયારે સરેરાશ ગ્રૅજ્યુએટ કૉલેજ પછી જૉબની પ્રવેશ પરીક્ષા પાસ કરવા દોડે છે, અને ધીમે ધીમે કોર્પોરેટ જગતમાં પ્રગતિ કરે છે. સર્જક મનવાળા તેમનો કલાયાત્રાનો માર્ગ જાતે કંડારે છે અને પોતાની જૉબ ભૂમિકા પોતે ઊભી કરે છે. દા.ત. સિગ્મન્ડ ફ્રોઈડના પહેલાં આ મનોવૈજ્ઞાનિક પૃથક્કરણ પદ્ધતિની કોને, ક્યાં ખબર હતી? એ જ રીતે થૉમસ આલ્વા એડીસનના પાયાના પ્રયાસો પૂર્વે ઈલેક્ટ્રીશ્યનના વ્યવસાયનો કોણ વિચાર સુદ્ધાં કરતું હતું? સો વાતની એક વાત કે, સર્જકપ્રતિભાવાળી વ્યક્તિ માત્ર વિચારણાની નવીન તરાહો જ નથી શોધતી, પરંતુ તેમણે ચાતરેલા નવા ચીલાના તેઓ ‘ટ્રેઈલબ્લેઝર’ બને છે અને બીજા તે માર્ગને અનુસરે તેવી ભૂમિકા તૈયાર કરે છે.

(૮) ઉંમર વધતાં સર્જનાત્મકતા ઘટતી નથી, ઉલટાનું તો, વરિષ્ઠ સર્જકો ઉચ્ચ ગુણવતા અને જુસ્સો પ્રેરે તેવા સક્રિય હોય છે.

ઉંમર અને સર્જકતા વચ્ચેનો સહસંબંધ ઊંડી તપાસનો વિષય છે. પ્રારંભિક તારણો મુજબ, સર્જકની ત્રીસીમાં તેની સર્જનાત્મકતા ટોચ પર હોય છે અને ૬૦ની વય પછી સર્જક ભાગ્યે જ સર્જન કરતા હોય છે.

તેમ છતાં, તાજેતરનાં સંશોધનો અદ્યતન દૃષ્ટિકોણ રજૂ કરે છે અને વધતી ઉંમર સર્જનાત્મકતા ઘટાડે છે તેવા વિચારને પડકારે છે. આ અભ્યાસો એટલું તો કહે જ છે કે વ્યક્તિના સર્જક-આઉટપુટને ઉંમરનો બાધ નથી. વાસ્તવમાં ઘણા સર્જકો કહે છે કે અમારી જ્ઞાનાત્મક ક્ષમતા ઉંમર વધવાની સાથે કાંઈ ઘટતી નથી, જો કે થોડી શારીરિક શક્તિ-સ્ફૂર્તિ ઓછી થાય ખરી, પણ માનસિક તાકાત અને ઉત્સાહ તો યથાવત સારાં રહે છે. જાણીતા તબીબ હેઈન્ઝ માઈઅર લેબિનીટ્ઝ એમની ૮૦ વર્ષની વયે કહે છે કે ઉંમર વધવાની સાથે મારી તો કામ કરવાની ઇચ્છા વધી છે, પણ શરીર પહેલાં જેટલો સાથ નથી આપતું. ઘણા સર્જકોને પણ આવું જ કહેવાનું છે. એમને વધતી વયનો ફાયદો એ છે કે અનુભવનું ભાથું વધે, દુનિયાદારીની સમજદારી વધુ કેળવાય આથી તેમનાં કળાકૌશલ્ય વધુ નિખાર પામતાં જાય છે, માસ્ટરી વધતી જાય છે. ઈઝાબેલા કાર્લે નામની ક્રીસ્ટલોગ્રાફર, તેના ૯૦ના દાયકામાં અનુભવે છે કે તે વધુ ઝીણવટપૂર્વક અને ઊંડાણપૂર્વક તેની કલા વિશે વિચારી શકે છે. અનુભવ તેને સારા કામ આવી રહ્યા છે. એ જ રીતે વિજ્ઞાની લીનસ પોઉલીંગ તેની ૭૦થી ૯૦ની વય દરમ્યાન તેનાં પ્રકાશનોનો સુવર્ણકાળ અનુભવે છે. આ રીતે લેખકે ઘણા વયસ્ક સર્જકોના ઇન્ટર્વ્યુમાં નોંધ્યું કે તેઓ તેમના ચાલુ પ્રોજેક્ટ વિશે ખૂબ ઉત્સાહ અને ઝીણવટથી વિગતો વર્ણવી રહ્યા હતા... વધતી ઉંમર તેમને વિઘ્નરૂપ નહિ પણ વરદાનરૂપ લાગી રહી હતી, જેથી તેઓ જગતને વધુ સારી રીતે સમજી શકે, વધુ જાણી-શીખી શકે અને રાજકારણ, સમાજસેવા, પર્યાવરણ અભ્યાસ જેવા અન્ય ક્ષેત્રો તરફ પણ રસ દાખવી શકે, અને એમના કામમાં ઊંડાણ લાવી શકે. પણ નવાઈપૂર્વક નોંધવું જોઈએ કે એક પણ વરિષ્ઠ સર્જક કે કલાકારે ઉંમરનાં રોદણાં રડ્યાં નથી, ‘હવે તો અમારું કામ પૂરું થયું, ઉપર જવાનો વખત થયો’ એવા નિસાસા નાખ્યા નથી... ઉલટાનું તેમને પોતાનું કામ હજી વધુ તીવ્રતાથી આગળ પણ ચાલુ રાખવાની, મનગમતી સર્જક પ્રવૃત્તિમાં ભક્તિપૂર્વક અડગ રીતે આગળ જવાની જ તમન્ના બતાવી હતી.

(૯) માનવજાતનું અસ્તિત્વ સર્જનાત્મકતાના ખેડાણ ઉપર ટકેલું છે, માટે તેનું પોષણ, સંવર્ધન આપણે કરતા રહેવાનું છે :

દુનિયામાં આજે આપણી સમક્ષ, અતિ વસ્તીવધારો, ઘટતાં જતાં ઊર્જાસ્ત્રોત, ગ્લોબલ વોર્મીંગ જેવા જટિલ પડકારો અને પ્રશ્નો મોં ફાડીને જાણે માનવજાતને ખાઈ જવાને ઊભા છે. આવા તાત્કાલિક ઉકેલ અને સમાધાન માગતા પ્રશ્નો વિશે વિચારવા અને આચરવા જેવાં કાર્યો માટે આપણી પાસે સર્જનાત્મક થીંકીંગ હોવું ખૂબ જ જરૂરી છે. વધુ સ્પષ્ટ રીતે કહીએ તો, આપણું અસ્તિત્વ, આંતરિક રીતે આપણી સર્જનાત્મકતા સાથે જોડાયેલું છે. સદીઓથી કે સહસ્ત્રાબ્દીઓથી માનવીનું જીનેટિક માળખું લગભગ બદલાયા વિનાનું રહ્યું છે, પણ માનવ સમાજમાં ઘણાં પરિવર્તનો આવ્યાં છે- સાંસ્કૃતિક ક્રાંતિ અને ઉત્ક્રાંતિ થઈ છે, જે પેઢી દર પેઢી આપણામાં ઊતરતી આવી છે, જેણે આપણાં જ્ઞાન, માન્યતાઓ અને કાર્યોને આકાર આપ્યો છે.

Memes(મીમ્સ) આપણા ફોનમાં આવતાં, નવો સંદેશો કે વિચાર ફેલાવતાં કાર્ટૂન ચિત્રો-સર્જનાત્મક મનની નીપજ છે, એ કાંઈ વાતાવરણ-પરિવર્તન કે કુદરતી આફતો જેવાં બાહ્ય તત્ત્વોની પેદાશ નથી. એ આપણાં માનવીય ક્ષેત્રમાંથી જ ઉદ્ભવે છે. આથી તે, આપણી સર્જનાત્મકતાને ખૂબ અસર કરે છે. આપણે એ ખાતરી કરવી જોઈએ કે મીમ્સ દ્વારા આપણે યોગ્ય રીતે વિચાર સમજીએ છીએ કે નહિ. યોગ્ય મીમ્સ આપણાં ભાવિ કાર્યો માટે સર્જકતાને સંકોરી શકે છે. સમાજમાં સર્જનાત્મકતા ખીલવવા કેટલાંક વ્યવહારુ ઉપાયો કરવા પડે છે. બાળકોને નાનપણથી જ સર્જનાત્મકતાનાં વ્યાપક ક્ષેત્રોનો સમગ્ર ખ્યાલ આપવો જોઈએ. જેથી તેઓ નાની ઉંમરથી જ તેમની પેશનને ઓળખી શકે અને તે દિશામાં આગળ વધી શકે. વધુમાં, બાળકોને અદ્યતન શિક્ષણ સુવિધાઓ, સાધનો, પ્રવૃત્તિઓ પણ મળવાં જોઈએ - વિજ્ઞાનવિષયક સાહિત્ય, ટેકનોલોજી વિકાસની માહિતી, કલાઓ વગેરે. આવી વિવિધ જ્ઞાનશાખાઓ એના રસ-રૂચિ-શોખને અનુકૂળ આવે તેવી દિશાની સર્જનાત્મકતા કેળવવામાં સહાયક થશે... બાળકોને કે વિદ્યાર્થીઓને જ નહિ, પણ સામાન્ય વ્યક્તિને પણ જે તે રસના ક્ષેત્રનાં સંસાધનો, સગવડ મળવાં જોઈએ, નહિ તો તે હતોત્સાહ થઈ જશે. જો એને પોતાના ગમતા કલાક્ષેત્રમાં પ્રવેશવાનું મુશ્કેલ લાગશે કે તેને માટે એ ક્ષેત્રના દરવાજા બંધ થઈ ગયેલા જણાશે તો ખીલતા, ઊગતા સર્જકમનવાળા માનવીઓ શરૂઆતમાં જ હિંમત હારી બેસશે.. એક નહિ તો બીજાં રસક્ષેત્રો એને પ્રાપ્ય હોવાં જોઈએ. એટલા માટે જ બધાં સર્જન ક્ષેત્રો વચ્ચે સ્પષ્ટ અને પારદર્શક કમ્યૂનિકેશન- માહિતીનું આદાન-પ્રદાન થવું જોઈએ.

(૧૦) તમારી આસપાસના જગતને નીરખવા માટે જરા થોભો, અવલોકન કરો અને તમારી વ્યક્તિગત સર્જકતાને દરરોજ પોષણ આપતા રહો.

સર્જકોના જીવનમાંથી આપણને કઈ મૂલ્યવાન આંતરદૃષ્ટિ સાંપડે છે? તો ચાલો, પ્રાપ્ય માહિતી પરથી થોડું વ્યવહારુ માર્ગદર્શન તારવી જોઈએ.

સૌથી પહેલું સર્જકતા જગાડવાનું પ્રભાતિયું છે- જિજ્ઞાસા, વિસ્મય, આશ્ચર્યભાવને પોષવો... કોઈ વસ્તુ, ઘટના પ્રત્યે તમને નવાઈનો ભાવ લાગવો જોઈએ.. ‘ઓ હો..આ કેટલું સરસ છે, એ કેવી રીતે બન્યું હશે ? એનો સર્જક કોણ હશે? –બાળસહજ જિજ્ઞાસા ! માટે જ બાળકો સવાલો બહુ પૂછે છે. પણ કમનસીબે ઉંમર વધતાં આપણો આશ્ચર્યભાવ કે ઉત્સુકતા ઘટતાં જાય છે, જીવન ગોઠવાતું જાય છે પછી બહુ વિસ્મય રહેતું નથી.. આપણું સામાન્ય માનવીનું આવું હોય છે, પરંતુ સર્જકો, કલાકારો તેમના જિજ્ઞાસા ભાવને જાળવી રાખે છે, સંવર્ધે છે, પછી ભલે તેમની ઉંમર ૯૦ની કેમ ન થઈ હોય ! આથી, તમારી જિજ્ઞાસાને કેળવો. દરરોજ તમને જે કાંઈ નવાઈ લાગે તેવું હોય તે શોધી કાઢો, પછી થોભો, તેનું નિરીક્ષણ કરો. જેમ કે બહાર ખાવા ગયા તો રેસ્ટોરાંમાં ન ચાખેલી નવી ડીશ ટ્રાય કરો, ઑફિસમાં સાથીઓ શું અવનવી વાતો કરે છે તે સાંભળો. દરરોજ કંઈક નવું જોવા-જાણવાની વૃત્તિ રાખો, એવી તક શોધતા રહો, એ ભલે બહુ મોટી પરિવર્તનકારી ઘટના ન હોય તો પણ નાની નાની કાંઈ પણ બાબતમાં નવું શીખવાનું શોધો, તો તમારી આસપાસની દુનિયા તમને ઘણું શીખવશે. હવે, કંઈક વસ્તુમાં તમને રસ પડ્યો—પછી એ ગીત હોય કે કોઈ સુંદર ફૂલ કે સૂર્યાસ્તના આકાશી રંગો—તેને એમને એમ જોઈને ચાલી ન જાવ, થોભો વિચારો-ઊંડા ઊતરો એમાં એટલે તમારામાં એક સર્જનાત્મક પ્રક્રિયા(કમસે કમ વિચારની, મનમાં) ચાલુ થશે. હવે તમારા રસને ખૂલવા દો... તમને ખબર નથી કે એ નવો ઉદ્ભવેલો રસ(interest) તમને કઈ દિશામાં દોરી જશે. એકવાર તમારામાં creative spirit જાગી જાય પછી એને અવરોધવું મુશ્કેલ બની જાય છે. સર્જનાત્મક મનવાળા માનવી, એમના રસ ઉપર કેંદ્રિત થાય તેવી ટેવો પાડે છે અને અવરોધોને બાજુ પર ખસેડતા જાય છે. તમારા રોજીંદા જીવનક્રમ ઉપર નિયંત્રણ આવે તેવાં પગલાં લો, કારણ કે હવે તમારે રસના ક્ષેત્રમાં આગળ વધવાનું છે. આથી વહેલી સવારે કે મોડી રાત્રે જયારે તમે તમારા સર્જનાત્મક વિચારોના શિખર પર હો છો ત્યારે એના પર બરાબર ફોકસ કરો... તમારી વિશિષ્ટ વિચાર-પ્રક્રિયાને પોષણ આપો, તો સર્જનાત્મકતા તમારા દૈનિક જીવનના દરેક પાસાંનો ભાગ બની જશે.

ઉપસંહાર :

‘સર્જનાત્મકતા’— મિહાલેનું આ પુસ્તક, સર્જનાત્મકતાની પ્રક્રિયાનાં, મનોવૈજ્ઞાનિક આંતર પ્રવાહોથી માંડી એના વ્યવહારુ અમલીકરણનાં વિવિધ પાસાંઓનું નિરુપણ કરે છે. સર્જનાત્મકતાના પરંપરાગત ખ્યાલને લેખક પડકારે છે કે સર્જનાત્મકતા એ કોઈ જટિલ દૈવી પ્રેરણા નથી, પણ વ્યવસ્થિત રીતે કેળવી શકાય તેવી કળા કે કૌશલ્ય છે, જે કોઈ પણ વિકસાવી શકે. ‘flow’ પ્રવાહ-ના ખ્યાલથી લેખક સમજાવે છે કે વ્યક્તિ તેની આંતરિક ક્ષમતાને કેવી રીતે પારખી શકે અને વિકસાવી શકે, અને તેમાં પર્યાવરણીય અને સાંસ્કૃતિક પરિબળો કેવો ભાગ ભજવતાં હોય છે. મિહાલેનાં પુસ્તકોનો પ્રભાવ મનોવિજ્ઞાન, શિક્ષણ અને મેનેજમેન્ટનાં ક્ષેત્રોમાં સર્જનાત્મકતા કેવી રીતે વિકસાવી શકાય અને તેનો વ્યક્તિના ને સમાજના લાભમાં કેવો ઉપયોગ થઈ શકે તે બતાવનારો રહ્યો છે. આથી, સર્જનાત્મકતાના પ્રકાર અને તેની તાલીમમાં રસ લેનાર સૌને માટે આ અવશ્ય વાંચવા જેવું પુસ્તક છે. એનાં વિવિધ પ્રકરણોની એક સંક્ષિપ્ત રૂપરેખા જોઈએ :

(૧) સર્જનાત્મકતાની વ્યાખ્યા : આ પ્રકરણમાં લેખક સર્જનાત્મકતાને વ્યાખ્યાબદ્ધ કરી, તેનું સમાજ અને સંસ્કૃતિના વિકાસમાં શું યોગદાન છે તે સમજાવે છે. સર્જનાત્મકતા એ કાંઈ દુર્લભ દૈવી બક્ષિસ નથી, પણ દરેક માનવીમાં રહેલું એક અંતર્નિહિત સામર્થ્ય છે.

(૨) સર્જક વ્યક્તિ :v એનાં લક્ષણો કયાં હોઈ શકે તેની અહીં ચર્ચા છે અને સર્જનાત્મક પ્રક્રિયામાં પેશન અને પ્રેરણાની શું ભૂમિકા હોય તેની વાત કરી છે.

(૩) સર્જન પ્રક્રિયા : એનાં વિવિધ તબક્કાઓ કે પગથિયાં બતાવી તેમાં તૈયારી, વિચારનું સેવન, સર્જન ઝબકાર અને તેનું વેરીફીકેશન-નું મહત્ત્વ સમજાવ્યું છે.

(૪) જ્ઞાનનું ક્ષેત્ર : પણ સર્જનાત્મકતા માટે જરૂરી છે. વ્યક્તિએ પોતાના જ્ઞાનક્ષેત્રમાં તજજ્ઞતા વિકસાવવી પણ એટલી જ જરૂરી છે તો જ તેમાં તે સર્જનાત્મકતા લાવી શકે.

(૫) ખંત, લગન : આ બે ગુણો તો સર્જકમાં ખૂબ સક્રિય હોવા ઘટે, એના વિના સર્જનાત્મકતાના માર્ગમાં આવતા અવરોધો, પડકારોનો સામનો તે ન કરી શકે, તેના પર વિજય મેળવી આગળ ન વધી શકે.

(૬) ભાગ્ય : નસીબ કે ભાગ્યની પણ સર્જકના જીવનકાર્યમાં અગત્યની ભૂમિકા રહેલી છે. જીવનમાં તક ક્યારે આવવી અને તેને ઝડપી લેવાની સર્જકની તૈયારી કેવી હોવી તેનો આધાર થોડો નસીબ ઉપર પણ રહેલો છે.

(૭) સર્જનાત્મકતા અને સમાજ : આ બંને વચ્ચે એક પ્રકારનો આંતર સંબંધ લેખકે તપાસતાં જણાવ્યું છે કે સમાજના વિકાસ અને આર્થિક પ્રગતિ માટે સર્જનાત્મકતા ખૂબ જરૂરી છે. બંનેનો અરસપરસ વિકાસ થાય છે.

(૮) તમારી સર્જનાત્મકતામાં વૃદ્ધિ : કેવી રીતે થઈ શકે તેનાં વ્યવહારુ સલાહ-સૂચન લેખક અહીં આપે છે. તમે કયા ક્ષેત્રમાં પેશન ધરાવો છો તે શોધી કાઢી,તે દાયરાનું નૉલેજ વધુ મેળવો અને પછી એ ક્ષેત્રમાં આગળ વધવામાં નડતા અવરોધોને પાર કરવા કમર કસો.

ચાવીરૂપ મુદ્દાઓ :

(૧) ‘flow’ નો અનુભવ : લેખક પોતાની રીતે ‘Flow’-પ્રવાહનો એક નવો ખ્યાલ રજૂ કરે છે. Flow એટલે એવા મહત્તમ અનુભવની ઉચ્ચ અવસ્થા કે જેમાં તમારી ઊંડી એકાગ્રતા, તમારા હાથ પર લીધેલા કામમાં પૂર્ણ નિમજ્જન(ગળાડૂબ હોવું) અને ત્યારે સમય-સ્થળની વિસ્મૃતિ-નો તમને અનુભવ થાય... આવી પૂર્ણ સભાન ધ્યાનાવસ્થા સર્જનાત્મકતા માટે પાયાની જરૂરિયાત છે. (૨) સર્જનાત્મકતા-એક વ્યવસ્થિત પ્રક્રિયા : અહીં લેખક સર્જનાત્મકતાને એકાએક કે આપોઆપ આવી મળતી ભેટ કે ઘટના/બાબત માનતા નથી, પણ વ્યક્તિ કે સંસ્થા/જૂથ-ટીમ દ્વારા જ્ઞાનપૂર્વક સમજીને કેળવી શકાય, તાલીમસાધ્ય બનાવાય તેવી વ્યવસ્થિત પ્રક્રિયા છે એમ ભારપૂર્વક જણાવે છે. (૩) સર્જનાત્મક વ્યક્તિત્વ : સર્જકોના વ્યક્તિત્વોનાં કેટલાંક સામાન્ય લક્ષણોની ચર્ચા કરી, જિજ્ઞાસા, ખંત, પ્રયત્ન-સાતત્ય અને અનિશ્ચિતતાનો સામનો કરવાની ક્ષમતા વગેરે ઉપર પ્રકાશ પાડે છે. (૪) સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભ : તથા ઐતિહાસિક પરિબળો દ્વારા સર્જનાત્મકતા કેવી રીતે અસર પામે છે તેની તપાસ કરી છે. અને સર્જનાત્મક પ્રયાસોમાં જે તે વિશિષ્ટ જ્ઞાનક્ષેત્રની તજજ્ઞતાનો શું ફાળો છે તેની પણ અહીં ચર્ચા થઈ છે. (૫) વિવિધ ક્ષેત્રોમાં સર્જનાત્મકતા : તપાસતાં લેખકે વિજ્ઞાન, કલાઓ, મ્યૂઝીક, બિઝનેસ વગેરેનાં ઉદાહરણો, તેની કેઈસ સ્ટડી, ઇન્ટર્વ્યુની મદદથી આપ્યાં છે.

અવતરણક્ષમ વિધાનો :

[૧] “સર્જનાત્મકતા એટલે નવા નવા વિચારો, ખ્યાલો-ideas-શોધી કાઢવાની ક્ષમતા.. નવી શક્યતાઓ-સંભાવનાઓ સર્જવાની એ પ્રક્રિયા છે. વસ્તુ/ઘટનાને નવી નજરે જોવી, સમસ્યાઓનાં નવાં સમાધાનો શોધવાં એ બધું સર્જનાત્મકતામાં સમાવિષ્ટ છે.” [૨] “જે તે યથાવત પરિસ્થિતિનો યથાતથ સ્વીકાર કરી લેવામાં સર્જકને રસ નથી, તેને તો પડકારવામાં, નવું શોધવામાં તેમને મઝા આવે છે... જગતથી જુદા પડવાનો કે રીસ્ક-જોખમ ખેડવાનો તેમને ડર નથી.” [૩] “સર્જનાત્મકતા એટલે ફક્ત નવા નવા વિચારો શોધી કાઢવા એટલું જ નહિ, પણ તેમને સાકાર કરવામાં પણ રહેલી છે.” [૪] “કંઈક મહત્ત્વનું અને મુશ્કેલ કાર્ય સફળતાપૂર્વક, સ્વેચ્છાએ પૂર્ણ કરવાના પ્રયત્નમાં વ્યક્તિનાં તન-મનની મહત્તમ ક્ષમતા પ્રયોજાતી હોય ત્યારે તેની સર્જકતાની ઉત્તમ ક્ષણો અવતરતી હોય છે.” [૫] “સર્જનાત્મકતા એ આપણા જીવનનો મધ્યસ્થ ઊર્જા સ્ત્રોત છે, જે જીવનને તેનો અર્થ પ્રદાન કરે છે. મોટા ભાગની વસ્તુઓ જે રસપ્રદ, મહત્ત્વપૂર્ણ, માનવીય અને આંતરિક આનંદપ્રદ છે તે સર્જનાત્મકતાના પરિણામસ્વરૂપ હોય છે.” [૬] “આપણા કાર્ય પર્યાવરણમાં, તનાવ અને સંઘર્ષોમાં બિનજરૂરી રીતે ખર્ચાતી આપણી શારીરિક-સાંવેગિક ઊર્જાને ઘટાડવા માટે, આપણી મનોઊર્જાને સર્જનાત્મક કાર્યમાં વાળવી ખૂબ જરૂરી છે.”