Factfulness: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 1: Line 1:
<center>
<span style="color:#ff0000">
{{fine|‘એકત્ર' સંકલિત શ્રેણી }}
[[File:Granthsar-logo.jpg|frameless|center]]
[[File:Granthsar-logo.jpg|frameless|center]]
<center>
<span style="color:#ff0000">
<span style="color:#ff0000">
{{fine|વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ}}<br>  
{{large|વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ}}<br>  
</span>
</span>
</center>
</center>

Revision as of 15:43, 6 November 2023

‘એકત્ર' સંકલિત શ્રેણી

Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ


Factfulness-title.jpg


Factfulness

Hans Rosling, With Ola Rosling and Anna Rosilng Ronnlund

તથ્યપૂર્ણતા

દુનિયા પ્રત્યે આપણો દૃષ્ટિકોણ ખોટો હોવાનાં અને આપણે ધારીએ છીએ તેના કરતાં વસ્તુઓ-પરિસ્થિતિઓ સારી હોવાનાં ૧૦ કારણો
હેન્સ રોઝલીંગ


ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: ચૈતન્ય દેસાઈ


લેખક પરિચય:

હેન્સ રોઝલીંગ... એક સુખ્યાત આંકડાશાસ્ત્રી, પ્રતિષ્ઠિત જાહેર પ્રવચનકાર હોવાને નાતે દુનિયાના લોકોનાં, હકારાત્મક દૃષ્ટિકોણવાળા માનસ પરિવર્તન માટે મથનારા માનવી છે. વ્યવસાયે તબીબ અને જન આરોગ્યશાસ્ત્રના પ્રોફેસર હોવાથી (પ્ર)વર્તમાન વૈશ્વિક સમસ્યાઓ-ખાસ કરીને ગરીબ દેશોની-પડકારો અને તેના ઉપાયો વિશે ઉપયોગી માહિતી આપે છે. ૨૦૧૭માં તેમનો સ્વર્ગવાસ થયો તે પૂર્વે તેઓ સુખ્યાત ટીવી શો TED Talksના અતિ લોકપ્રિય વક્તા હતા. Time મેગેઝીને તેમને દુનિયાના સૌથી પ્રભાવી વ્યક્તિઓની યાદીમાં સામેલ કર્યા હતા. ઓલા રોઝલીંગ અને અન્ના રોઝલીંગ રોનલંડ તેમનાં પુત્ર અને પુત્રવધુ પણ સહલેખકો છે અને Gapminder Foundationના સહસ્થાપક છે, જે ડેટા-આંકડાઓ, માહિતી સહજ સુલભ બને અને સરળ રીતે સમજાય તે માટે ગ્રાફીક ડિઝાઇન અદ્યતન ટેકનોલોજી પ્રયોજીને કરે છે.

પુસ્તક વિષે:

દુનિયા પ્રત્યે આપણો દૃષ્ટિકોણ ખોટો હોવાનાં અને આપણે ધારીએ છીએ તેના કરતાં વસ્તુઓ-પરિસ્થિતિઓ સારી હોવાનાં ૧૦ કારણો, પરિબળો..

  • “અત્યાર સુધી વાંચેલાં પુસ્તકોમાંનું એક અત્યંત મહત્ત્વપૂર્ણ પુસ્તક-દુનિયા વિશે સ્પષ્ટ રીતે વિચારતાં શીખવનારું અનિવાર્ય વાચન!”

-બીલ ગેટ્સ

  • “હેન્સ રોઝલીંગ સાથે વીતાવેલી થોડીક ક્ષણો તમારો દુનિયા વિશેનો દૃષ્ટિકોણ બદલવા માટે પૂરતી છે.”

-નેચર મેગઝીન

આ પુસ્તક કોના માટે છે?

૨૦૧૮માં પ્રગટ થયેલું આ પુસ્તક Factfulness, દુનિયાના પ્રશ્નો અને પરિસ્થિતિઓને જોવા-સમજવા-મૂલવવાના આપણા દૃષ્ટિકોણને બદલનારાં પાઠ્યપુસ્તક જેવું છે. સમાજ કે જગત વિશે આપણાં અનુમાનો, તારણો અને માહિતીને વિકૃત કરતી આપણી જ દસ વૃત્તિઓ-વલણોને સંસ્કારનારું આ લેખન, આલેખ, ચાર્ટ, આંકડા, આધારભૂત માહિતી દ્વારા આપણને વિચારતા કરી દે છે. ખરેખર, આ દુનિયા આપણે ધારી લઈએ છીએ એટલી ખરાબ નથી. થોડી જ પેઢીઓ પૂર્વે જેવી હતી તેના કરતાં વધુ સારી છે; આપણા દૃષ્ટિકોણની ખામીને લીધે આપણને બધું બગડી ગયું છે, ધરતી રસાતાળ ગઈ છે એવું નકારાત્મક જ દેખાતું હતું, વિધાયક બાબતોને આપણે નજરંદાજ કરતા હતા. તો ચાલો, વિચારવાની-જોવાની-તારવવાની નવી રીતો શીખીએ, હકારાત્મક દૃષ્ટિકોણ કેળવીએ, વૈજ્ઞાનિકતાની સાથે...

પૂર્વભૂમિકા:

આ પુસ્તકમાં મને ઉપયોગી શું છે? દુનિયા પ્રત્યેના મારા અભિગમમાં પરિવર્તન અને આશ્ચર્યજનક રીતે થઈ રહેલા વૈશ્વિક વિકાસનું દર્શન !

गौर से देखिए...दुनिया के कोने कोने की ताज़ा खबर...! સનસનીખેજ સમાચારો પીરસતું મીડિયા, ૧૦૦ ખબર ફટાફટ ફટકારી તો દે છે, પણ તેની આપણા ઉપર થતી અસરથી આપણે બેખબર છીએ. આપણને લાગે છે કે ખબરપત્રીઓ, મીડિયાકર્મીઓ ખૂબ ચોકસાઈપૂર્વક, મહેનતથી આપણને દૈનિક દુનિયા દેખાડે છે, ધમાકેદાર રજૂઆત કરે છે. પણ કમનસીબે આપણો Worldview વિકૃત થતો જાય છે. આપણે તો વાસ્તવિક વિશ્વમાં વસીએ, શ્વસીએ છીએ. મીડિયાને ચટપટી, નકારાત્મક અસર ઉપજાવતી, હતાશા પ્રેરતી ઘટનાઓ જ વીણવાની ને દર્શકોને આકર્ષવાની ધંધાકીય જવાબદારી હોય છે. એમની નાટકીય રજૂઆતો આપણને વાસ્તવથી દૂર લઈ જઈ નકારાત્મકતાના વમળમાં છોડી દે છે. બાકી દુનિયામાં ઘણું બધું સારું પણ થઈ જ રહ્યું છે. આપણને તેની જાણ થતી નથી. આપણો જગત પ્રત્યેનો દૃષ્ટિકોણ વિકૃત થઈ જવાનું કારણ આપણી એવી માન્યતા બંધાઈ ગઈ છે કે આપણી આસપાસના લોકો અને આ સંસાર પહેલાના જેવો નથી રહ્યો, બગડી ગયો છે. વાસ્તવમાં પહેલાં કરતાં ગરીબી ઘટી છે, વૈશ્વિક સ્તરે માનવીનો આયુષ્યકાળ વધ્યો છે, અને બહુ ઓછા દેશો-પ્રદેશો લૈંગિકવાદી અને દમનકારી પિતૃસત્તાક માનસિકતા ધરાવે છે. આવાં બધાં હકારાત્મક પરિવર્તનો, લોકોને તેમની ગરીબીમાંથી ઊંચે લાવી તેમનું આર્થિક જીવનસ્તર સુધારનારી વૈશ્વિક અર્થવ્યવસ્થા થકી આવી રહ્યાં છે. તમને નવાઈ લાગશે, પણ આપણે જો મધ્યમ અને ઉચ્ચ આવક ધરાવનાર દેશોની તે વસ્તીનો સરવાળો કરીએ તે માનવજાતિના ૯૧% જેટલો થાય છે. આ દૃષ્ટિએ જોઈએ તો, માત્ર ૨૦૦ વર્ષ પહેલાં, દુનિયાની ૮૫% વસ્તી ગરીબીના કળણમાં ખૂંપેલી હતી. આ પુસ્તકનાં પ્રકરણો, આંકડાકીય આધારો સાથે એ સમજાવવાનો પ્રયાસ કરે છે કે દુનિયાએ કેવો ને કેટલો વિકાસ કર્યો છે, અને આપણી નકારાત્મક દૃષ્ટિ(અને દૃષ્ટિકોણ)માંથી કેવી રીતે બહાર આવી હકારાત્મકતાના પ્રકાશમાં જગતને ચોકસાઈપૂર્વક જોઈ-મૂલવી શકીએ. તો આવો, પ્રકરણો ઉપર નજર ફેરવીએ :

  • શા માટે આપણે પૂર્વના દેશો અને પશ્ચિમના દેશો-એવા બે જ દૃષ્ટિકોણથી વિચારીએ છીએ?

* દવાની કંપનીઓના CEO ટૂંકી દૃષ્ટિવાળા છે એવો આરોપ શા માટે લગાવીએ છીએ? * કુદરતી હોનારતો પહેલાં કરતાં શા માટે ઓછી જીવલેણ છે? પુસ્તકનાં દસ પ્રકરણો આપણા દૃષ્ટિકોણને લાગેલાં દસ ગ્રહણ જેવી વૃત્તિઓ ઉપર આધારિત છે. આપણાં માનવસહજ પ્રેરણાઓ કે વૃતિ-વલણો આપણા દૃષ્ટિકોણ ઉપર હાવી થઈ જાય છે. આંખોને ગોગલ્સ પહેરાવી દે છે. જેથી સ્પષ્ટ દર્શન ધૂંધળું થઈ જાય છે. આ રહી એ ૧૦ વૃત્તિઓ:— તફાવતનો ગાળો(gap) જ જોવાની વૃત્તિ નકારાત્મકવાદી દૃષ્ટિની વૃત્તિ સીધી લીટી જોવાની વૃત્તિ ભયની વૃત્તિ, કદ જ જોવાનું વલણ, સામાન્યીકરણ કરવાનું વલણ, ભાગ્યવાદી વલણ, એકાકી દૃષ્ટિકોણ-સેવન વૃત્તિ, બીજાને દોષ દેવાનું વલણ, તાકીદનું ગણવાનું વલણ.

અગત્યના મુદ્દાઓ:

૧. આપણી મહાગેરસમજ

દુનિયાને પૂર્વ અને પશ્ચિમના બે જ ચોકઠામાં જોવી એ બે એકમેકના વિરોધી અને વિભાજક હોવાના ખોટા ખ્યાલથી આપણે જગતને સમગ્ર રીતે ચોકસાઈપૂર્વક જોઈ શકતા નથી. કેવી રીતે? આવો જોઈએ: તમારા માટે એક પ્રશ્ન છે— છેલ્લાં ૨૦ વર્ષોમાં દુનિયામાં કારમી ગરીબીના સ્તરમાં શું થયું છે? -તે લગભગ બમણી થઈ છે? -સરખી જ રહી છે? -લગભગ અડધી થઈ ગઈ છે? જો તમે લગભગ અડધી થઈ ગઈ છે એ વિકલ્પનો જવાબ આપો છો તો તમે સાચો જવાબ આપનારા નહિવત લોકોમાંના એક છો. અમેરિકામાં માત્ર ૫% લોકોએ અને બ્રિટનમાં માત્ર ૯% લોકોએ આનો સાચો જવાબ આપ્યો હતો. ખોટો જવાબ આપનારાઓમાં ઘણા તેજસ્વી વિદ્વાનો, તજજ્ઞોનો પણ સમાવેશ થાય છે. આટલા ઓછા લોકો પાસે જ કેમ દુનિયાની સ્પષ્ટ સમજદારી હશે?- તો એ છે આપણી કુદરતી વૃત્તિ, મનોવલણ, જેને લેખક-મહાગેરસમજ કહે છે. કેટલીક આવી ગેરસમજો બહુ મોટી હોય છે જે આપણા દૃષ્ટિકોણને ધૂંધળો, એકાંગી, નબળો બનાવી દે છે. એમાંની એક છે—પૂર્વના દેશો/લોકો વિરુદ્ધ પશ્ચિમના લોકો/દેશો. “આપણે વિકાશશીલ દેશો” વિરુદ્ધ “તેઓ વિરુદ્ધ વિકસિત દેશો.” લેખક જયારે પ્રવચન કરતા ત્યારે તેમણે જોયું કે ઘણા વિદ્યાર્થીઓ હજી એમ જ વિચારે છે કે પૂર્વના દેશોમાં જન્મદર બેકાબૂ છે. બેફામ વસ્તીવધારો છે. ત્યાં ધર્મ-સંસ્કૃતિ-પારંપરિકતા “પશ્ચિમ”ના જેવો આધુનિક વિકાસ થવા દેતી નથી. લેખકનો એક વિદ્યાર્થી(જે પશ્ચિમનો છે) તે કહે છે— “તેઓ(આપણે લોકો પૂર્વના) પશ્ચિમના લોકોની જેમ(સુખ-સગવડભર્યું વિકસિત) જીવન કદી ન જીવી શકશે.” પણ આ ‘તેઓ’ એટલે ચોકસાઈપૂર્વક કોણ?—પૂર્વના/વિકસિત દેશો? શું જાપાન અને મેક્ષિકો સીટી હજી પણ પૂર્વના ભાગ છે ખરા? શું ચીન અને ભારત હજી પણ આધુનિક વિશ્વસ્તરીય શહેરો સર્જવા અસમર્થ ગણાશે? ૧૯૬૫ તરફ નજર કરીએ તો કોઈપણ દેશના આરોગ્ય, શિક્ષણ અને અર્થવ્યવસ્થાના માપદંડ સમો બાળમૃત્યુદર ગણતરીમાં લેતાં જણાશે કે, ૧૨૫ દેશો એવી વિકાસમાન કક્ષામાં આવતા હતા, જ્યાં તેનાં ૫% બાળકો તેમનો પાંચમો જન્મદિન જોઈ શકતાં નહોતાં. આજે આ વિકાશશીલ દેશોની શ્રેણીમાં માત્ર ૧૩ જ દેશો બચ્યા છે. ઢગલાબંધ દેશોમાં બાળમૃત્યુદર ઘટી ગયો છે. તો પછી ‘the west and the rest’(પશ્ચિમના દેશો અને બાકીના અન્ય દેશો એવું વિભાજન ક્યાં રહ્યું?)

૨. બીજી મહાગેરસમજો આપણી નકારાત્મકતાની વૃત્તિમાંથી જન્મે છે.

લેખક આ સમજાવવા બીજો પ્રશ્ન પૂછે છે : દુનિયાના બધા ઓછી આવકવાળા દેશોમાં, કેટલા ટકા છોકરીઓ પબ્લિક એજ્યુકેશન પૂરું કરી શકે છે? વિકલ્પો છે-૨૦% / ૪૦% કે ૬૦%? તમે હવે અનુમાન કરવા માંડશો કે જવાબ પોઝીટીવ આવતો હશે...ખરેખર, ૬૦% છોકરીઓને ગરીબ દેશોમાં પણ પ્રાથમિક શિક્ષણ પૂરું કરવાની તક મળે છે જ. તો એનો અર્થ એ થયો કે સરેરાશ બધી ૩૦ વર્ષ સુધીની સ્ત્રીઓએ નવ વર્ષ પ્રાથમિક-માધ્યમિક શાળામાં ગાળ્યાં છે, જે વિશ્વવ્યાપી ૩૦ની મહિલાઓની સરેરાશ સંખ્યા કરતાં એક જ વર્ષ ઓછું છે. તો બોલો, બીજું શું જોઈએ? શિક્ષણનું પ્રમાણ આખી દુનિયામાં નીચું નથી, તમે ધારો એટલું... દુનિયા પ્રગતિ કરી રહી હોવાની બીજી પણ કેટલીક આશ્ચર્યજનક ઝલકો છે, જે ઘણા ઓછાં લોકો જાણે છે. તો પછી આ બધી હકારાત્મક, આશાવાદી હકીકતોને શા માટે નજરંદાજ કરવી જોઈએ? તો આમ, આપણી એક નકારાત્મકતાની વૃતિ/વલણ બીજી એક મહાગેરસમજ જન્માવે છે અને તે છે—દુનિયા બગડતી જઈ રહી છે... પણ મિત્રો, સચ્ચાઈ તો એ છે કે, આખી દુનિયામાં, દરેક માપનક્ષમ આંકડાઓથી જાણી શકાય છે કે, આયુષ્યદરથી માંડીને ગરીબી માપનદરની બાબતમાં, ઘણો હકારાત્મક વિકાસ થયેલો છે. છતાં, માનવજાત તરીકે આપણે ખરાબ, નકારાત્મક પાસાં ઉપર જ ફોકસ કરવાની માનસિકતા લઈને ચાલીએ છીએ. સન ૧૮૦૦માં, દુનિયાની ૮૫% વસ્તી કારમી ગરીબીમાં સબડતી હતી. આજે એ ટકાવારી ૮૫ ઉપરથી ૯% ઉપર ગબડતી જોવા મળે છે. આ કેટલું સાનંદાશ્ચર્યપ્રેરક છે. છતાં મીડિયામાં તમને એ સાંભળવા નહિ મળે. મીડિયા-માખી કચરા ઉપર જઈને જ બેસશે, એની પાસે પુષ્પો ઉપર પથરાતાં પતંગિયાં નથી હોતાં! એનો કેમેરો કુદરતી હોનારતો, હિંસા-મારામારી-ગુનાખોરી-બળાત્કાર-અકસ્માત-સભા-સરઘસ-આંદોલનની ઉત્તેજના ઉપર જ ફરતો જોવા મળશે. આના કરતાં જગતમાં ઘણું સારું ને હકારાત્મક પણ થતું જોવાનું બને જ છે, ભાઈ! તમારી નજર ક્યાં છે? ૧૯૮૦ના દાયકામાં આવો, ત્યારના અખબારોમાં પર્યાવરણ વિશે આટલો ઉહાપોહ ક્યાં હતો? એકાદ-બે ખબર સિવાય અખબારો જાણે પર્યાવરણ અંગે બેખબર હતાં. જ્યારે આજે, દુનિયાભરનાં અખબારો/મીડિયા તમારી આંગળીના ટેરવે છે જે પૃથ્વીનું પર્યાવરણ રસાતાળ ગયાનું ગીત દરરોજ ગાય છે. આથી તમને એવી જ છાપ પડે અને અભિપ્રાય બંધાય કે છેલ્લાં ૨૦ વર્ષમાં વાતાવરણ બહુ બગડી ગયું, ધરતીનું સ્વાસ્થ્ય ગગડી ગયું છે. પણ યાદ રાખો કે, ભૂકંપ, પૂર કે પ્રાકૃતિક દુર્ઘટનામાં થયેલાં એક એક માનવમૃત્યુ કરતાં કેટલા બધા જીવો, માનવો ઉગારી લીધા કે એનાથી બચી ગયા છે. તેનું કોઈ રિપોર્ટીંગ કરતું નથી. વાસ્તવમાં, ઘર બાંધકામનાં પોષાઈ શકે તેવાં શોધાયેલાં મટીરીયલ, ઘર બાંધકામ ટેકનિક વગેરેને લીધે ગરીબ બસ્તીવાસીઓ પણ પહેલાં કરતાં વધુ સલામતી અનુભવે છે. આજે ૧૦૦ વર્ષ પહેલાં કુદરતી દુર્ઘટના-મૃત્યુઆંક જે હતો તેના કરતાં આજે માત્ર ૨૫% જ રહ્યો છે.

૩. આપણી ભયવૃત્તિ, કદ જોવાનું વલણ અને સીધી લીટી જોવાની વૃત્તિ પણ આપણા દુનિયા પ્રત્યેના દૃષ્ટિકોણને પલટાવી નાખે છે.

સીધી ઉપર જનારી લાઈનવાળો ચાર્ટ તમે જુઓ છો ત્યારે તમારું મગજ કદાચ તમને કહેશે કે આ લાઈન ભવિષ્યે પણ જઈ શકે તેટલી ઉપર જ જશે. જોકે ઘણા ઓછા ચાર્ટમાં સીધી લાઈન હોય છે. તમે તમારા જ બાળપણના વિકાસ-દરને જુઓ તો જણાશે કે તમારી ઊંચાઈ અમુક હદ સુધી વધીને પછી સ્થિર થઈ ગઈ હશે. આપણે વસ્તી વિશે પણ એવું જ વિચારીએ છીએ. દુનિયાની વસ્તી કૂદકે ને ભૂસકે વધી રહી છે, તે વધતી જ જશે, વધતી જ જશે, પણ અલ્યા ભાઈ, ક્યાં સુધી વધશે? આપણે શિખર સુધી ઊંચાઈ કે વૃદ્ધિ જોવાને ટેવાયેલા છીએ. પણ એ પણ એક મોટો ખોટો ખ્યાલ છે. યુનાઇટેડ નેશન્સના ભવિષ્યવેત્તાઓ, જેમનું કામ જ વિશ્વની વસ્તી વૃદ્ધિનો અભ્યાસ કરવાનું છે, તેઓ કહે છે કે ૨૦૬૦થી ૨૧૦૦ની સાલ દરમ્યાન વસ્તીવધારો સપાટ સ્તરે આવી જશે, એનો ગ્રાફ ઊંચો નહિ જાય. અને આનાં કેટલાંક કારણો પણ છે; જેનું પ્રાથમિક કારણ છે-ગરીબીમાં ઘટાડો. જયારે લોકો ઓછાં બાળકો હોવાનું વલણ ધરાવતા હોય છે. સેંકડો વર્ષ પૂર્વે, ઊંચા બાળમૃત્યુદરને લીધે અને વધુ બાળકો હોય તો ખેતીમાં, કામકાજમાં, કારખાનામાં મદદરૂપ થઈ શકે તે દૃષ્ટિથી સરેરાશ માતા વધુ બાળકોને જન્મ આપતી હતી. હવે આવું રહ્યું નથી. હવે તો બાળમૃત્યુદર નિયંત્રણને લીધે અને શિક્ષણના પ્રસાર તથા ગરીબી ઘટાડાને કારણે સરેરાશ માતા ૨.૫ બાળકને જન્મ આપે છે. આ આજનાં બાળકો ૨૦૬૦ સુધીમાં યુવાવસ્થામાં હશે, તેમને ત્યાં પણ બાળકો હશે. તો શું તેઓ ત્યારની વિકસિત-પ્રગતિશીલ દુનિયામાં વધુ બાળકો પેદા કરવાનું વલણ જ રાખતાં હશે? નહિ ! એ તબક્કે, તજજ્ઞો કહે છે કે વસ્તીવધારો Leval off થઈ ૧૧ બિલીયન આસપાસ થશે. આથી આજનો વસતીવિસ્ફોટ ક્યારેય અટકશે જ નહિ ને દુનિયા માણસોથી છલકાઈ જશે એવું વિચારી ગભરાવાની જરૂર નથી. હા, આપણને ચિંતા જરૂર થાય. પણ તે આપણી ભય અને કદવૃત્તિને લીધે છે. આપણી ભયગ્રંથિનું કારણ સ્વયંસ્પષ્ટ છે—જો આપણે ડરેલા રહીએ તો તે આપણને આવનારાં ભયસ્થાનો સાથે ટકરાતા બચાવે છે. આપણે અતિઉત્સાહ કે ઉત્તેજનામાં આવી આપત્તિઓ જોડે અથડાતા નથી; જો થોડો ડર સેવતા રહીએ તો તે સારું છે એમ માનીએ છીએ. આવું વલણ આપણા જીન્સમાં આદિકાળથી છે—જયારે ભયાનક જંગલી પશુઓથી અને હરીફ ટોળકીઓના આક્રમણથી એણે બચીને રહેવાનું હતું. પણ હવે આજે એવો કોઈ ભય છે ખરો? ના. છતાં આપણી ભયગ્રંથિ એવી ગંઠાઈ ગઈ કે વાસ્તવમાં ભય ન હોય તોયે ભયભીત રહ્યા કરીએ. એ જ રીતે આપણી કદવૃત્તિથી આપણી ભયગ્રંથિએ પોષેલાં ભયસ્થાનો કે ડરને આપણે વધુ પડતા મોટા માની લઈએ છીએ. ચાલો, હિંસાના ડરનો દાખલો લઈએ. પહેલાંના કરતાં હિંસાના સમાચારો આજે આપણી સમક્ષ વધુ આવી રહ્યા છે, તેથી આપણે ધારી લઈએ છીએ કે આજકાલ દુનિયામાં હિંસાત્મકતા બહુ વધી ગઈ છે. પણ વાસ્તવિક ક્રાઈમ ફીગર-હિંસાદર ઘટ્યો હોવાનું આંકડાકીય તારણ છે. ૧૯૯૦માં અમેરિકામાં ૧૪.૫ મીલીયન ગુનાઓ નોંધાયા હતા, જયારે ૨૦૧૬માં એ આંકડો ૯.૫ મીલીયનનો છે.

૪. અતિ સામાન્યીકરણ

લોકોમાં વધારે પડતું સામાન્યીકરણ કરવાનું વલણ જણાય છે, તેથી ખોટી રીતે વિચારે છે કે અમુક પરિણામો-પરિસ્થિતિ અનિવાર્ય રીતે સર્જાશે જ.

આપણી એક પછી એક વધતી જતી ખરાબ/ખોટી વૃત્તિઓ, જે આપણા દૃષ્ટિકોણને ગ્રહણ લગાડતી હોય, તેની સામે લડવાનો એક સારો માર્ગ એ છે કે આપણે યોગ્ય ડેટા-માહિતી, આંકડાઓ મેળવવા અને તેને સુયોગ્ય સંદર્ભમાં તપાસવા. ધારો કે જો તમે વાંચ્યું કે ગયા વર્ષે ૪ લાખ બાળમૃત્યુ થયાં, આ આંકડો મોટો જોઈને તમને થાય જ કે આપણે ભયાનક સમયમાં જીવી રહ્યા છીએ. જોકે તમે જોશો કે ૧૯૫૦માં કેટલાં બાળકો મર્યાં હતાં-૧૪.૪ લાખ, તો તમને થશે કે હાશ, ચાલો તેની તુલનામાં અત્યારે ઘણી સારી સ્થિતિ ગણાય. હા, આદર્શ પરિસ્થિતિ તો એ છે, કે કોઈ બાળ અપમૃત્યુ ન થવું જોઈએ. પણ પ્રગતિની પારાશીશી જોઈએ તો કમનસીબ ઘટના/આંકડાને જે તે યોગ્ય સંદર્ભ અને કારણોમાં તપાસવાં જોઈએ. આપણે આ ક્ષેત્રમાં એ પ્રગતિ જોવી જોઈએ કે ૭૦થીયે ઓછાં વર્ષોમાં, વાર્ષિક બાળમૃત્યુ સંખ્યા ૧૦ લાખથીયે ઓછી થઈ છે. આ ઉપરાંત, આપણે નક્કામા સામાન્યીકરણો કરવાથી દૂર રહેવું જોઈએ. હા, કેટલાંક તો ઉપયોગી અને ચોકસાઈપૂર્ણ હોય છે—જેમ કે, જાપાનની ખાનપાનની રીતો, વાનગીઓ ઇંગ્લેન્ડની રીતો-વાનગીઓ કરતાં જુદી હોય છે. આ બરાબર છે. પણ ઘણાં આપણાં તારણો, ખાસ કરીને જાતિ અને લિંગભેદ અંગેના હોય તે આપણા worldviewને અવરોધનારાં, ગેરમાર્ગે દોરનારાં નીવડી શકે છે. અહીં બીજો એક પ્રશ્ન :- દુનિયામાં જે તે રોગોના પ્રતિકારક રસીકરણમાં એક વર્ષનાં બાળકોની ટકાવારી કેટલી હશે?—વિકલ્પો : ૨૦% / ૫૦% કે ૮૦% ? જો તમે ૮૦% જવાબ પસંદ કરો છો તો સાચું છે. કારણ કે દુનિયાભરનાં મોટાભાગનાં બાળકોને પ્રાથમિક આરોગ્ય સેવા અંતર્ગત આવરી લેવાયાં છે. એ આજની દુનિયાની પ્રગતિની હકારાત્મક નિશાની છે. એટલું જ નહિ, એના આંકડા એટલાં પ્રભાવક છે કે લોકોને લાગશે કે થોડીક જ પેઢીઓ પહેલાં આવું તો શક્ય જ નહોતું. આનાથી આપણું એક સામાન્ય તારણ, આપણે ઘણીવાર બોલી દઈએ છીએ કે-કદાચ આફ્રિકા અને મધ્યપૂર્વના દેશોમાં તો આરોગ્યસેવાઓ એટલી નબળી છે કે બાળકોને રસી પણ નથી અપાતી, અને તેઓ દારુણ ગરીબીમાં સબડવાને જ જન્મ્યાં હોય છે. પણ આવું નથી. આપણો worldview ગલત છે. વળી બીજું, દેશ, રંગ, જાતિ, ધર્મ, સંસ્કૃતિના સંદર્ભે વિચારવા કરતાં દુનિયા વિશે આર્થિકસ્તરના સંદર્ભે વિચારવું વધુ ચોકસાઈપૂર્ણ જણાશે. એનાથી જ શિક્ષણ, આરોગ્ય સેવાઓ અને માળખાગત સુવિધાઓ પણ પ્રભાવિત થયેલી યા જોડાયેલી હોય છે, પછી તે દેશ ગમે તે ધર્મ, સંસ્કૃતિ કે રંગના લોકોનો કેમ ન હોય.

૫. બહુવિધ પરિપ્રેક્ષ્યો :

દુનિયાને વધુ ચોકસાઈપૂર્વક જોવા-સમજવા માટે એક કરતાં વધારે દૃષ્ટિકોણ વિકસાવવાની જરૂર છે, અને વ્યક્તિઓ કે જૂથો ઉપર આરોપ કરવામાંથી બચવાની જરૂર છે. વધુ પડતાં સામાન્યીકરણને સહારે, જોયા મૂક્યા વિના દુનિયા વિશે ફેંકાફેંક કરવા કરતાં પ્રવાસ કરીને જાતે જઈને જે તે દેશ-સ્થળ-સંસ્કૃતિ-લોકો જોશો તો તમારો દૃષ્ટિકોણ વિશાળ ને વૈવિધ્યપૂર્ણ બનશે, ને તમે તમારું અજ્ઞાન વહેંચવાથી બચશો. આ ખૂબ જ અગત્યનું છે. આમ, મર્યાદિત દૃષ્ટિકોણ, એકાંગી કે પૂર્વગ્રહયુક્ત અભિગમ એ સ્પષ્ટ worldviewના માર્ગનો બીજો અવરોધ છે. આજનું અફઘાનિસ્તાન, દુનિયાના થોડા એવા દેશોમાંનો એક દેશ છે જે હજી પણ કારમી ગરીબી અને નીચામાં નીચી આવકસ્તરમાંથી મુક્ત થવા મથામણ કરી રહ્યો છે. ત્યાં તમારે જવાનું થાય તો આધુનિક જીવનસ્તર માટે તૈયારી કરતા યુવાનો થોડા પણ જોવા મળશે. એ જ રીતે, ૧૯૭૦ના દાયકામાં તમે દક્ષિણ કોરિયામાં મુસાફરી કરી હોય તો, લશ્કરી તાનાશાહી હેઠળ પણ તળિયે ગયેલા આવકસ્તરને મધ્યમ-આવકસ્તર સુધી પહોંચવા કમર કસતો દેશ જોવા મળે. સરમુખત્યારશાહી હોવા છતાં તેઓ વિકાસાભિમુખ છે. એટલે એવું નથી કે સંપૂર્ણ લોકશાહી શાસનવ્યવસ્થા હોય ત્યાં જ તંદુરસ્ત અર્થતંત્ર વિકસી શકે. હવે તમારો વૈશ્વિક દૃષ્ટિકોણ બદલાયો ખરો? વાસ્તવમાં, ૨૦૧૬માં દુનિયાનાં ૧૦ સૌથી વધુ ઝડપથી વિકસતાં અર્થતંત્રોમાંનાં ૯ દેશો બહુ લોકશાહી અભિમુખ નહોતા. આથી એવું ના વિચારતા કે માત્ર લોકશાહી જ આર્થિક વિકાસ તરફ જવાનો માર્ગ છે. પ્રવર્તમાન વૈશ્વિક અર્થતંત્રોની વાસ્તવિકતા એથી વિપરીત છે.. ટૂંકમાં વસ્તુસ્થિતિની સચ્ચાઈ એ છે કે દુનિયા બહુ સંકુલ, જટિલ છે. તેથી તમારી પાસે એને સમજવા-સમજાવવાના જેટલા વધુ દૃષ્ટિકોણ હોય એટલા સારા, એકાંગી તો ન જ ચાલે. અને તેથી જ, કોઈ એક વ્યક્તિ કે એક જૂથને કોઈ સમસ્યાના મૂળ કારણ માની લેવું એ ખૂબ ટૂંકી દૃષ્ટિનું તારણ ગણાશે, પણ આપણે સામાન્ય રીતે એવું જ તો કરતા હોઈએ છીએ ને? દા.ત. ફાર્માસ્યુટીકલ કંપનીઓ મોટેભાગે, ગરીબ વસ્તીવાળા દેશોના લોકોને અસરકર્તા મેલેરિયા, ઊંઘના રોગો અને એવા બીજા રોગો વિશે રીસર્ચ કરતી નથી, એવી આપણી માન્યતા હોવાથી આપણે એ કંપનીઓના CEOને દોષ દઈએ છીએ. પણ CEOને પણ કંપનીના બોર્ડ ઓફ ડીરેક્ટર્સનું તો માનવાનું હોય ને? અને બોર્ડના સભ્યોએ પણ આખરે તો કંપનીના વિશાળ શેરહોલ્ડર્સનું સાંભળવું જ પડે છે. તો બોલો, બિચારો CEO એકલો જવાબદાર કે કસૂરવાર છે? ચાલો, હાલની શરણાર્થીઓની સમસ્યા સમજીએ. બીજા દેશોમાં શરણ લેવા જઈ રહેલા લોકોની હોડીઓ ભાંગી ગઈ, લોકો મરી ગયા, તેમની લાશો કિનારે તણાતી હતી એવા ફોટાઓ જોઈ યુરોપીયનોએ હ્યૂમન ટ્રાફીકર્સ-માનવ તસ્કરી કરનારને દોષ દીધો, કે આવી કેવી ભંગાર હોડીઓ તેમણે વાપરી હશે? પરંતુ સમસ્યાના મૂળમાં જશો તો જણાશે કે શરણાર્થીઓ એવી ખરાબ હોડીઓમાં એટલા માટે જતાં હતા કે યુરોપના કાયદા મુજબ શરણાર્થી પાસે પણ જે તે દેશમાં જવા, જે તે વાહનમાં જવાના વીઝા તો હોવા જ જોઈએ-બોટ,બસ, ટ્રેન કે પ્લેન ગમે તેમાં શરણાર્થીના વીઝા ઓફિસર ચેક કરે. પણ અહીં આવું થયું નહિ. જો વીઝા ન હોય તો જે તે વાહન બોટ-બસ જપ્ત કરી લેવાય. હવે વીઝા વગરના લોકોને પોતાની બોટમાં ઠાંસીને ભરીને લઈ જવા ક્યો એજંટ સારી બોટ વાપરશે? પકડાઈ ગયા તો બોટ જપ્ત થઈ જવાના ડરે ભંગાર બોટ વાપરી તો તે ભાંગી ગઈ, લોકો મરી ગયા..

૬. અતિશયોક્તિ અને અવિચારી, ઉતાવળિયા નિર્ણયો ટાળો.

અતિશયોક્તિ અને અવિચારી, ઉતાવળિયા નિર્ણયો ટાળો. શિક્ષણ, બિઝનેસ અને પત્રકારત્વમાં વાસ્તવિક હકીકતોને જ વળગી રહો. આપણે, દવાની કંપનીઓ અમુક(ગરીબ દેશોના) રોગોની દવા વિશે રીસર્ચ નથી કરતી કે પછી શરણાર્થીઓ ભંગાર બોટમાં ભરાઈને ગેરકાયદે ઘૂસણખોરી કરતાં-મરતા હોય તેવા દાખલા જોયા. પણ આવી સમસ્યાઓ જટિલ, ગૂંચવાડાભરી હોય છે તેથી તપાસ બધાં શક્ય પરિબળો ને પરિણામો વિશે ઝીણવટભરી, કાળજીપૂર્ણ રીતે થવી જોઈએ. એનો અર્થ એ થયો કે કોઈપણ જટિલ સમસ્યાનું સ્પષ્ટ-સુરેખ સમાધાન ભાગ્યે જ હોય છે. આથી કોઈપણ મહત્ત્વના નિર્ણય કે તારણ ઉપર આવતાં પહેલાં જે તે પ્રશ્નનાં દરેક પાસાંને ધ્યાનમાં લેવાનું ખૂબ જ મહત્ત્વનું છે. આપણો દૃષ્ટિકોણ હકીકત અને સચ્ચાઈ આધારિત હોવો જોઈએ, અનુમાન-અતિશયોક્તિ કે અવિચારી વિધાનો ઉપર નહિ. જળ-વાયુ પરિવર્તન કે પર્યાવરણ સુરક્ષા એ નિઃશંક વૈશ્વિક અગત્યની બાબત છે જ, પરંતુ કેટલાક લોકો હકારાત્મક, સારી બાબતોને અવગણીને, પર્યાવરણની કહેવાતી થનારી દુર્દશાના સમાચાર ફેલાવવા અતિઉત્સુક હોય છે. તેમના મતે દુનિયામાં જો એનો ભય ફેલાવીએ તો સત્તાવાળાઓ અને લોકો જલ્દીથી કંઈક એક્શન લેશે. પણ લાંબા ગાળે એવાં અતિશયોક્તિવાળાં ભયપ્રેરક નિવેદનોથી લોકો છેતરાયા હોવાનું અનુભવે છે. આથી પર્યાવરણ સુધારવાદી કર્મશીલોની વિશ્વસનીયતા ઘટે છે, એવું ન થવું જોઈએ. શિક્ષણ, બિઝનેસ, જર્નાલીઝમ જેવાં જીવનનાં બધાં ક્ષેત્રોમાં હકીકતો અને ચોકસાઈને જ માન ને મહત્વ આપવું જોઈએ. શિક્ષકોને જે તે વિષય ભણાવતાં કે પત્રકારને જે તે સમાચાર પ્રસારતાં તેની પાસે અદ્યતન અને સાચી માહિતી જ હોવાની ખાત્રી હોવી જોઈએ. પછી તેમાં “પશ્ચિમના લોકો અને બાકીની દુનિયાના લોકો” જેવો જૂનવાણી અભિગમ ન ચાલે. બિઝનેસમેન અને રોકાણકારો સ્પષ્ટ, ચોકસાઈપૂર્ણ worldview ધરાવે એ તેમને માટે ખૂબ ફાયદાની બાબત છે. કયો દેશ-પ્રદેશ(જેમ કે આફ્રિકા), કયો સમય, કયું વાતાવરણ-પરિસ્થિતિ ધંધો કરવા ઉત્તમ અને સુયોગ્ય છે તે બરાબર સમજી તપાસી, આયોજન અને દૂરંદેશીપૂર્વક ધંધો કરાય તો તે દેશનો ને તમારા ધંધાનો પણ વિકાસ થાય. બીજા બધાની જેમ પત્રકારો પણ ગેરસમજો અને પોતાનાં વૃત્તિ-વલણોના શિકાર બનેલા હોય છે. તેઓ જેટલા બને એટલા સચ્ચાઈપૂર્ણ અને આધારભૂત બની દુનિયાનું રિપોર્ટીંગ કરે તેવી આપણી અપેક્ષા હોય છે. તે જ રીતે વાચકો-દર્શકોએ એક જ માહિતીસ્રોત ઉપર આધાર ન રાખતાં વિવિધ રિપોર્ટીંગ તપાસી પોતાનો દૃષ્ટિકોણ ઘડવો જોઈએ. યાદ રાખો- વિવિધ દૃષ્ટિકોણથી વિચાર કરવો એ સાચી-સારી સમજદારીની ચાવી છે.

સારાંશ:

આજકાલ Factfulness તથ્યપૂર્ણતાની ખોટ છે. કેટલીક મૂળભૂત છતાં મુખ્ય ગેરસમજો, ખોટા ખ્યાલો અને માનવીય વૃત્તિ-વલણો ક્યારેક આપણા જ પગ ઉપર કુહાડો મારતાં જણાય છે. આપણા લાભની વિરુદ્ધ કામ કરતાં જણાય છે. જયારે ઘણા બધા લોકો એવી (ગેર)માન્યતામાં જીવતા જોવા મળે છે કે દુનિયા બગડી ગઈ છે, જયારે હકીકત એ છે કે ન માની શકાય એટલા ઓછા સમયમાં દુનિયા સમગ્ર રીતે સારી-બહેતર બની રહી છે. દરેક એક એક માપનક્ષમ કક્ષા/ક્ષેત્રમાં, જીવન અને જગત ૨૦૦, ૧૦૦ કે ૫૦ વર્ષો પહેલાં હતું એના કરતાં વધુ સારું આજે આપણે જોઈ રહ્યા છીએ. લોકોનો આયુષ્યકાળ લંબાયો છે, સારી આરોગ્યસેવાઓ સુલભ છે, શિક્ષણ વ્યાપ વધ્યો છે, ગરીબી ઘટી છે વગેરે વગેરે આપણને દેખાવું જોઈએ. કોઈ એક જ ચેનલને ચીટકી રહેવાનું છોડો અને વિવિધ વ્યવસ્થિત માહિતી પ્રાપ્તિ સ્રોતોનો સહારો લઈ હકીકતો/માહિતીઓને યોગ્ય સંદર્ભમાં મૂકી મૂલવો તો આપણો ઘોડાની આંખના દાબડા જેવો એકાંગી, એકમાર્ગી, સંકુચિત દૃષ્ટિકોણ બદલાશે, અને હકારત્મકતાવાદી બનો, આશાવાદી બનો.

ફરીથી એક ઊડતી નજરે—‘તથ્યપૂર્ણતા’: પુસ્તકના લેખક હેન્સ રોઝલીંગ એક સુખ્યાત આંકડાશાસ્ત્રી અને વૈશ્વિક આરોગ્ય તજજ્ઞ છે. તેમના સુપુત્ર ઓલા રોઝલીંગ અને પુત્રવધુ અન્ના રોઝલીંગ સાથે મળીને તેમણે કેટલીક સમાન્ય ગેરસમજો ને ખોટી માન્યતાઓને પડકારવાનું વિચાર્યું અને દુનિયા વિશેનો હકીકત આધારિત દૃષ્ટિકોણ કેવી રીતે ઘડી શકાય તેની ચાવીઓ આ પુસ્તકમાં ખૂબ રસપ્રદ રીતે રજૂ કરી છે. આ પુસ્તક વાચકોને સમીક્ષાત્મક રીતે વિચાર કરવા અને વૈશ્વિક મુદ્દાઓને વધુ ચોકસાઈ-ઝીણવટથી, આશાવાદી-હકારાત્મક નજરિયાથી જોવા પ્રેરણા આપે છે. દુનિયાને ખોટી રીતે સમજવા તરફ દોરી જતી આપણાં ૧૦ વૃત્તિ-વલણોને હાઈલાઈટ કરી વાસ્તવના સ્પષ્ટ દર્શનની રીતો બતાવી છે.

દરેક પ્રકરણ ઉપર એક નજર :

(૧) તફાવત અથવા ભેદદૃષ્ટિ : Gap Instinct. દુનિયાને બે જુદાં, પરસ્પર વિરોધી, વિભાજક જૂથમાં જોવાની વૃત્તિ—‘આપણે’ અને ‘તેઓ/પેલા’, ‘વિકસિત(પશ્ચિમના)દેશો’ અને ‘વિકાશશીલ(પૂર્વના)દેશો’, ‘ધનિક’ અને ‘ગરીબ’ લેખક કહે છે કે આવો દ્વિપક્ષીય દૃષ્ટિકોણ, દુનિયાની જટિલ વાસ્તવિકતાના અતિસરલીકરણથી જન્મે છે અને દુનિયાની પ્રગતિની સાચી સમજ મેળવવામાં બાધક નીવડે છે.

(૨) નકારાત્મકતાની વૃત્તિ : આનાથી લોકોનું ધ્યાન નકારાત્મક સમાચારો તરફ જ જાય છે, તેથી દુનિયામાં થઈ રહેલો હકારાત્મક વિકાસ તેમની નજરમાં આવતો નથી. લેખક સંતુલિત રીપોર્ટીંગ ઉપર ભાર મૂકે છે અને જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં થયેલા સુધારાની પણ નોંધ લેવા સૂચવે છે.

(૩) સીધી લીટીને જ જોવાનું વલણ : સીધી લીટીનો ગ્રાફ જોતાં લોકો માની લે છે કે આવો જ ટ્રેન્ડ ભવિષ્યે પણ ચાલુ જ રહેશે. પરંતુ લેખક કહે છે કે ટ્રેન્ડ્સ-વૈશ્વિક પ્રવાહો નોન-લીનીયર પેટર્ન અનુસરતા હોય છે. એને સુપેરે સમજવાથી ભવિષ્યમાં આવનારાં પરિવર્તનોનું વધુ ચોકસાઈપૂર્વક અનુમાન કરી શકાય છે.

(૪) ભયવૃત્તિ : ભયવૃત્તિને લીધે માણસો આવનારાં શક્ય જોખમો ને ભયસ્થાનોથી અપ્રમાણસર ભયભીત થતા રહે છે. અહીં લેખક વાસ્તવિક ખતરાઓને ઓળખી તેને અતિશયોક્તિપૂર્ણ લાગતાં જોખમોથી જુદાં પાડી હકીકતલક્ષી અભિગમ અપનાવવાની રીત બતાવે છે.

(૫) કદવૃત્તિ : માત્ર કદને જ જોવાની વૃત્તિથી માણસો હકારાત્મક પરિવર્તનોને હોય તેના કરતાં નાનાં, અને નકારાત્મક પ્રવાહોને હોય તેના કરતાં મોટા જોવાં ટેવાતો જાય છે... આના ઉપાયમાં લેખકો માનવ વિકાસનાં વિવિધ પાસાંઓમાં જે મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે તેને ઉદાહરણો અને આંકડાઓ સાથે સમજાવે છે, જેથી આપણો દૃષ્ટિકોણ સમતોલ બને.

(૬) સામાન્યીકરણનું વલણ : આવા વલણમાં મનુષ્યો મર્યાદિત માહિતી અથવા પોતાના આછા-પાતળા અનુભવોને આધારે વસ્તુસ્થિતિ અંગે વ્યાપક ધારણાઓ અને (અતિ)સરલીકરણ કરવા ટેવાઈ જાય છે. આથી ક્યારેક ગતાનુગતિક તારણોમાં જ ફસાયેલો રહે છે. જૂથમાંની વિવિધતાને સમજવાની મહત્તાથી તે દૂર થતો જાય છે.

(૭) ભાગ્યવાદી વલણ: નસીબમાં માનનારા લોકો ભાગ્યવાદી વલણ ધરાવે છે, તેઓ માને છે કે વૈશ્વિક મુદ્દાઓ અને તેનાં પરિણામો વ્યક્તિના કે સમૂહના નિયંત્રણમાં હોતાં નથી, ભાગ્યમાં હોય તેમ થાય. પરંતુ આ પુસ્તકમાં માનવ પ્રયત્નો અને વૈજ્ઞાનિક–ટેકનિકલ પ્રગતિથી કેવાં મહત્વપૂર્ણ હકારાત્મક પરિવર્તનો દુનિયામાં થયાં છે તેના પુરાવા આપ્યા છે. માથે હાથ દઈને બેસવાથી અને ભાગ્યવાદી બની રહેવાથી પ્રશ્નો ઉકલતા નથી, પુરુષાર્થી બનવું પડે છે.

(૮) એકાકી, એકાંગી દૃષ્ટિકોણનું વલણ : કોઈ આવી પડેલી પરિસ્થિતિ કે સર્જાયેલી સમસ્યા માટે માત્ર એક જ કારણ કે દૃષ્ટિકોણથી વિચારવાનું વલણ અહીં જોવા મળે છે. લેખક આવું ન કરવાનું કહે છે અને વૈશ્વિક મુદ્દાઓની સર્વાશ્લેષી સમજ મેળવવા વિવિધ દૃષ્ટિકોણથી તેને જોવા ઉપર ભાર મૂકે છે.

(૯) અન્યને દોષ દેવાની વૃત્તિ : આમાં માણસ જટિલ સમસ્યા કે સંકુલ પરિસ્થિતિનાં તદ્દન સાદાં, સરળ સમાધાન શોધી લેવાનું અથવા તેને માટે બીજા ઉપર દોષારોપણ કરવાનું વલણ ધરાવે છે. લેખક સૂચવે છે કે આવે વખતે, વિવિધ પરિબળો અને વ્યક્તિ/એજન્સીઓ સંલગ્ન હોય તેવી અર્થછાયાવાળો અભિગમ વિકસાવવો જોઈએ.

(૧૦) તાકીદનું ગણવાનું વલણ : ઉદ્ભવેલી પરિસ્થિતિ કે પ્રશ્નને પૂરતા પૃથક્કરણ અને આયોજન વિના, ઝટપટ પ્રતિભાવ આપી દઈ તેને તાકીદનો અરજન્ટ માની લેવાનું આ વલણ છે. પરંતુ આ દોષમાંથી બચવા લેખક કહે છે કે, વૈશ્વિક પડકારોનો સામનો કરવા વિચારશીલ અને હેતુપૂર્વકનો અભિગમ કેળવવો જોઈએ. માત્ર તાકીદનું માની લઈ કૂદી પડવાનું નથી.

સારગ્રહણ : આ વિચારોત્તેજક પુસ્તકમાં લેખકો, દુનિયા વિશેની પ્રવર્તમાન ગેરસમજોને પડકારે છે. આપણી ૧૦ ગેરસમજપ્રેરક વૃત્તિઓથી દૂર રહી હકીકત આધારિત પરિપ્રેક્ષ્ય અપનાવવો જોઈએ, ડેટા-માહિતી-આંકડા, પુરાવાઓ, વાસ્તવિક જીવનના અનુભવોને ટાંકીને દુનિયામાં માનવ વિકાસનાં વિવિધ ક્ષેત્રોમાં થયેલી, થઈ રહેલી નોંધપાત્ર પ્રગતિની ઝલક અહીં આપી છે. આ ઉપરાંત વૈશ્વિક પ્રશ્નો અને પરિસ્થિતિને સમજવા માટે જરૂરી એવો ચોકસાઈપૂર્ણ અને સંતુલિત અભિગમ ખીલવવા માટે સમીક્ષાત્મક પૃથક્કરણાત્મક વિચારણા તથા મુક્ત મન રાખવાની હિમાયત કરી છે.

અનુસરણક્ષમ સલાહ : બાળકોનું યોગ્ય વૈચારિક ઘડતર કરો. જો તમારાં બાળકો ‘તથ્યપૂર્ણતા’ શીખે અને સારી રીતે વિકસે એમ તમે ઇચ્છતા હો તો, તેમને સારા-નરસા ભૂતકાળની વાસ્તવિક માહિતી આપો. તેમને ચીલાચાલુ નિરર્થક, નકામી બાબતો ઓળખતાં અને બે દેખીતા હરીફ દૃષ્ટિકોણને જોતાં, સંતુલન સાધતાં પણ શીખવો. જેમ કે દુનિયામાં દુઃખ-દર્દ, પીડા-યાતના છે તો બીજી તરફ સારી, સુખદ બાબતો પણ છે. સમાચારો સાંભળતાં-સમજતાં ને વિવેકપૂર્ણ તારણો કાઢતાં પણ શીખવો. અતિનાટ્યાત્મક અને ઉત્તેજનાપ્રેરક સમાચારોથી અતિ ઉત્સાહી કે અતિ નિરાશાવાદી ન બનવાનું શીખવો.

અવતરણો:

(૧) “આ દુનિયા દીસે છે એટલી નાટ્યાત્મક નથી. આપણે વાસ્તવમાં વિચારીએ તેના કરતાં એને સમગ્ર રીતે બહેતર બનાવવાની છે.”

(૨) “લોકો જેના વિશે અજાણ હોય તેવો વૈશ્વિક વિકાસ હું દર્શાવતો હોવાથી તેઓ મને આશાવાદી કહે છે ત્યારે મને ગુસ્સો આવે છે. હું આશાવાદી નહિ પણ પ્રામાણિકપણે ‘શક્યતાવાદી’ છું. મેં મારી જાતને એ રીતે ઘડી છે, એટલે કે હું એવો માનવી છું જે કારણ વિના આશા સેવતો નથી, અકારણ ડર અનુભવતો નથી, અને વધુ પડતા નાટ્યાત્મક worldviewનો સતત વિરોધ કરતો રહ્યો છું.”

(૩) “સંખ્યા કે આંકડાઓ પ્રતિ સારા કે ખરાબ થવાનું અગત્યનું નથી. માણસ બનવાનું અગત્યનું છે. આપણે બધા, મારા સહિત, અતિસામાન્યીકરણ કરવા અને આપણને જે અપેક્ષિત છે તે જ જોવાને ટેવાયેલા છીએ.”

(૪) “આંકડાઓ, માહિતીની ચોકસાઈ વિના જગતને સમજી ન શકાય. પણ માત્ર આંકડા એકલા જ હોય તે પણ પૂરતું નથી. યોગ્ય સંદર્ભનો પરિપ્રેક્ષ્ય પણ એટલો જ જરૂરી છે.”

(૫) “વાસ્તવિકતા તો એ છે કે, મોટા ભાગના લોકો, ઘણી વખત, ઘણી વસ્તુ અંગે સાચા હોય છે. દરેક માણસ બધી મૂર્ખાઈભરી ભૂલો કરે છે તેના વિશે આ પુસ્તક નથી. એ તો આપણે બધા, લેખક સહિત, ક્યાં, કઈ બાબતે સાચા છીએ તેના વિશે છે.”

(૬) “મૂળભૂત રીતે દુનિયા કેવી રીતે ચાલે છે, કામ કરે છે તે સમજવું એ જ તેના મોટા-જટિલ પ્રશ્નોને ઉકેલવાનો એકમાત્ર ઉપાય છે. આપણી ભયગ્રંથિનું સમજભર્યું સંતુલન આપણે શીખવાનું જરૂરી છે.”

(૭) “હકીકતો આપણું મન, આપણી સોચ બદલી શકે, પણ એવા સમયે નહિ જયારે એકાકી અને અપ્રસ્તુત આંકડાનો સતત મારો ચાલતો હોય.”

(૮) “આપણા અજ્ઞાન વિશે અપને વધારે સભાન થવાની જરૂર છે, એટલું જ નહિ, આપણે એના વિશે કંઈક કરી શકીએ છીએ તે વિશે પણ જાગૃત થવાની જરૂર છે.”

(૯) “હું એમ નથી કહેતો કે બધી બાબતો દર વખતે સારી જ બને છે, અને બધી વસ્તુઓ-પરિસ્થિતિ સારી જ છે એમ પણ કહેતો નથી. હું તો એમ જ કહું છું કે કંઈક વસ્તુઓ-ઘટનાઓ બહેતર પણ છે, આ દુનિયામાં! બધે બધું જ બગડી નથી ગયું, દોસ્તો!”

(૧૦) “દુનિયા બગડેલી દેખાય તોયે બહેતર છે. ખરાબ નકારાત્મક ખબરો કરતાં, સારી ખબરો ઘણી બધી છે. તમે ધારો તેના કરતાં જગત ઘણું સારું છે, ઝડપથી સુધરી-વિકસી રહ્યું છે.”

આ બધાં અવતરણો આ પુસ્તકના હાર્દ ઉપર પ્રકાશ પાડે છે. આંકડા અને મહિતી સાચી મેળવી, તેનું યોગ્ય અર્થઘટન, આપણી ૧૦ ગેરમાન્યતાઓ-વૃત્તિ –વલણોથી ઉપર ઊઠીને કરવું, અને પછી હકારાત્મક દૃષ્ટિકોણ ખીલવવો એ આ પુસ્તકનો સાર છે, મર્મ છે.