Sapiens

From Ekatra Wiki
Revision as of 15:10, 27 August 2023 by Atulraval (talk | contribs) (Created page with "<center> <span style="color:#ff0000"> '''‘ગ્લોબલ ગુજરાતી બુકશેલ્ફ’'''<br> ''પરદેશી પુસ્તકોનાં લઘુ-પરિચયો'' </center> </span> {{BookCover |cover_image = File:Sapiens-Title.jpg |title = Sapiens: A Brief History of Humankind <br> Yuval Noah Harari <br>{{larger| સેપિયન્સ : માનવ જાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ}} <br>{{x...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

‘ગ્લોબલ ગુજરાતી બુકશેલ્ફ’
પરદેશી પુસ્તકોનાં લઘુ-પરિચયો


Sapiens-Title.jpg


Sapiens: A Brief History of Humankind
Yuval Noah Harari
સેપિયન્સ : માનવ જાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ
યુવલ નોઆ હરારી
સારાંશનો અનુવાદ: રાજ ગોસ્વામી


લેખક પરિચય:

Yuval Noah Harari-2.jpg

યુવલ નોઆ હરારી જેરુસલેમની હિબ્રુ યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર તરીકે કામ કરે છે, અને વિશ્વ અને લશ્કરી ઇતિહાસમાં વિશેષતા ધરાવે છે. સેપિયન્સ તેમનું પ્રથમ આંતરરાષ્ટ્રીય બેસ્ટ સેલર પુસ્તક છે; તેનો 60 થી વધુ ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો છે.

પુસ્તક વિશે:

‘સેપિયન્સ’ પુસ્તક (વર્ષ 2015), એક પ્રજાતિ તરીકે આપણા સૌથી પ્રાચીન પૂર્વજોથી લઈને આજના આધુનિક, ટેકનોલોજીના યુગ સુધી આપણો વિકાસ કેવો અને કેવી રીતે થયો તેનું પગેરું મેળવે છે. વાળ વગરના, પૂંછડી વગરના વાનરની પ્રજાતિના રૂપમાં, આપણે કેવી રીતે સમગ્ર પૃથ્વી ગ્રહ પર આપણું પ્રભુત્વ સાબિત કરી શક્યા, તેની વિસ્મયકારી વાર્તાની આપણે અહીં એક પછી એક ઝલક જોઈશું.

આ પુસ્તક કોના માટે છે?

• જે લોકોને જાણવાની જિજ્ઞાસા હોય કે આપણી પ્રજાતિ - હોમો સેપિયન્સ - કેવી રીતે પૃથ્વી પર શાસન કરવા સક્ષમ બની. • જે લોકોને સમજવું હોય કે મનુષ્યો કેવી રીતે મૂડીવાદી વૈશ્વિક સમુદાયમાં રહેતાં થયાં. • જેમને જાણકારી મેળવવી હોય કે માનવ સમાજ અને સંસ્કૃતિની શરૂઆત કેવી રીતે થઈ હતી.

પૂર્વભૂમિકા:

પુસ્તકમાં માનવજાતિની 300,000 વર્ષોની યાત્રાનું વર્ણન છે. તમે જો અત્યારે આ વાંચો છો, તો તેનો અર્થ એ થયો કે તમે મનુષ્ય છો. મનુષ્ય તરીકે આપણે ઘણાં અસાધારણ છીએ. જેમાં મોટું પ્રાણી નાના પ્રાણીને પોતાનો આહાર બનાવતું હોય તેવી ફૂડ ચેઈનમાં આપણે શિખર પર છીએ. આપણે દાયકાઓથી અંતરિક્ષમાં ખાંખાખોળા કરી રહ્યા છીએ. આપણે ગોળ ફરતાં પૈડાની ખેતી, ઇન્ટરનેટ અને ઓફકોર્સ...પિત્ઝાના જનક છીએ. લાંબા સમયથી આપણે આ પૃથ્વી પર છીએ નહીં છતાં ઇતિહાસના આ પડાવ પર એકંદરે આપણું વર્ચસ્વ છે.આ પુસ્તકમાં યુવલ નોઆ હરારીએ જે મુખ્ય પ્રશ્નોની તપાસ કરી છે તેમાં એક પ્રશ્ન એ છે કે આ વર્ચસ્વ કેવી રીતે આવ્યું. આપણે જ કેમ? હોમો સેપિયન્સ જ કેમ? સમકાલીન સમયના આ પ્રશિષ્ટ પુસ્તકમાં, અમે તમને મનુષ્યની ઉત્પત્તિની ઊતાર-ચઢાવથી ભરેલી સફર પર લઈ જઈશું. તેમાં ભાષાના વિકાસથી માંડીને પૈસાના સર્જન સુધીની આપણા ઇતિહાસની બુનિયાદી ક્ષણોને આપણે તપાસીશું - એ ક્ષણો જેણે આપણી પ્રજાતિને ઘડવામાં ફાળો આપ્યો છે.

અગત્યના મુદ્દાઓ:

૧. આમ તો, હોમો સેપિયન્સ પહલાં મનુષ્યો નહોતાં, પરંતુ તેમની વિશેષતા એ હતી હતી કે તે તમામ માનવ પ્રજાતિઓ પર હાવી થઈ ગયાં.

મનુષ્યો લગભગ પાંચ લાખ વર્ષ પહેલાં પહેલી વાર દુનિયામાં દેખાયા હતાં તે વખતે, આપણે બહુ વિશિષ્ટ નહોતા. આપણે હજુ માંડ વિભાજીત થતાં અણુ કે અદલબદલ થતાં NTFs હતાં. ઘણી બધી રીતે, આપણે એક સાધારણ પ્રાણી હતાં અને જંગલમાં પોપટ, ચિત્તા કે જેલીફિશથી વિશેષ આપણો કોઈ ખાસ પ્રભાવ નહોતો. એ સાચું કે, આપણાં મગજ મોટાં હતાં, આપણે ટટ્ટાર ચાલતા હતાં, ઓજારોનો ઉપયોગ કરતાં હતાં અને સમૂહમાં રહેતા હતાં પરંતુ આપણે એકલા એવા નહોતાં. આપણી આસપાસ ઘણાં મનુષ્યો એવાં હતાં. એ એક સામાન્ય ગેરસમજ છે કે પૃથ્વી પર ઊભરેલી અંતિમ માનવ પ્રજાતિ, હોમો સેપિયન્સ, જે અગાઉની માનવ પ્રજાતિઓમાંથી વિકસી હતી. વાસ્તવમાં, હોમો સેપિયન્સ ઓછામાં ઓછી છ અન્ય માનવ પ્રજાતિઓની સાથે રહેતાં હતાં. જેમ કે, એક પ્રજાતિ હોમો ફ્લોરેસિન્સિસ હતી. એ નાના કદના આદિમ માનવો હતા, જેમની વધુમાં વધુ ઊંચાઈ લગભગ ત્રણ ફૂટ હતી પણ તે એટલા ચાલાક અને સંગઠિત હતા કે હાથીઓને મારી પાડી દેતા હતા. એ પછી, એક પ્રજાતિ હોમો ડેનિસોવા હતી. એ સાઈબેરિયાના મૂળ નિવાસી માનવો હતા અને હજુ 2010માં જ તેમને શોધી કાઢવામાં આવ્યાં હતાં. તેના પરથી એવો પ્રશ્ન ઊભો થાય છે કે એવી કઈ વિલુપ્ત માનવ પ્રજાતિઓને હજુ શોધવાની બાકી છે. અને હા, આપણા સૌથી જાણીતા પિતરાઈ હોમો નિયન્ડરથેલેસિન્સ તો ખરા જ! આપણે ભલે આપણને હોમો સેપિયન્સ - લેટિનમાં ‘ડાહ્યો માણસ’- કહેવાની ધૃષ્ટતા કરતા હોઈએ, તે વખતે આપણે જંગલોમાં દોડાદોડ કરતા માત્ર એક ચાલાક વાનરો નહોતા. હકીકતમાં, આપણે આવ્યા તે પહેલાંથી નિયન્ડરથલ્સ મહાકાય હાથીઓને મારી નાંખતા હતાં અને તેમનું માંસ શેકવાની રીત વિકસાવી રહ્યાં હતાં. તેમનાં મગજ પણ આપણા કરતાં મોટાં હતાં. એટલે, અબૂધ અવસ્થાના એ દિવસોમાં જો આપણે ખાસ કંઈ નહોતા, તો એ કેવી રીતે બન્યું અને આપણે સંપન્ન થયા તથા દુનિયા આખીમાં ફેલાઈ ગયાં, જયારે અન્ય પ્રજાતિઓ નામ-નિશાન વગર ખતમ થઈ ગઈ? આપણા એ પિતરાઈઓની શી વલે થઈ હતી? તે સંદર્ભે બે વિરોધાભાસી મત છે - એક સ્વસ્થ છે, બીજો દુષ્ટ છે. મિશ્રજાતિની થીયરી (Interbreeding Theory) કહે છે કે હોમો સેપિયન્સ માનવોએ અન્ય પ્રજાતિઓ સાથે સંવનન કરવાનું શરુ કર્યું હતું - ખાસ કરીને નિયન્ડરથેલેસિન્સ સાથે - પરિણામે બંને પ્રજાતિઓ ક્રમશઃ એકબીજામાં ભળી ગઈ. આ થીયરીને પૃષ્ટિ આપતા પુરાવાઓ છે: આધુનિક યુરોપીયનોમાં નિયન્ડરથલ્સનાં 1થી 4 ટકા અને અગાઉની અન્ય માનવ પ્રજાતિઓનાં અમુક DNA જાણવા મળ્યાં છે. આ થીયરીના ટીકાકારો કહે છે કે નિયન્ડરથલ્સ અને સેપિયન્સ વચ્ચેના સંવનનમાંથી ભાગ્યે જ સંતતિ થાય કારણ કે તે ભિન્ન પ્રજાતિઓ હતી, એક સમાન નહીં. બીજી બાજુ, વિનિમય થીયરી (Replacement Theory)માં એવો સંકેત છે કે હોમો સેપિયન્સ પ્રજા કંઇક અંશે ઉત્કૃષ્ટ હુન્નર અને તકનિકની જાણકાર હતી. એટલે તેમના દ્વારા અન્ય પ્રજાતિઓઓના આહારના સ્ત્રોત પચાવી પાડવામાં આવ્યા. અને તેમને હિંસક રીતે મોતને ઘાટ ઊતારવામાં આવ્યા. એ રીતે એમને વિલુપ્તિ તરફ ધકેલી દીધ હતાં. સાચું શું હતું? આપણે અન્ય માનવ પ્રજાતિઓ સાથે સંવનન કરીને એક વિશાળ સુખી પરિવાર બની ગયાં હતાં કે પછી આપણે આપણા પિતરાઈઓને વિનાશ તરફ ધકેલી દીધાં હતાં? આનો ફેંસલો હજુ બાકી છે. નવા નવા પુરાવાઓ આવતા રહે છે અને વાદ-પ્રતિવાદ થતો રહે છે. જો કે એક ઉત્તમ સંભાવના એવી છે કે બંને થીયરીઓ આંશિક રીતે સાચી છે. હવે પછી આપણે જોઈશું કે સેપિયન્સ કેવી રીતે અન્ય માનવો કરતાં કંઇક અંશે ચડિયાતા હતાં અને કેવી રીતે તે પૃથ્વી પર વર્ચસ્વ જમાવી શક્યાં?

૨. માનવ ઇતિહાસમાં સંજ્ઞાત્મક ક્રાંતિને (Cognitive Revolution) મગજના વિકાસની ક્રાંતિ કહેવાય છે. હોમો સેપિયન્સે એમાં વિચાર કરવાની અને કોમ્યુનિકેશન કરવાની આવડત કેળવી હતી, જેના કારણે તે પૃથ્વી પર ફતેહ મેળવી શક્યાં હતાં.

સેપિયન્સ લગભગ 150,000 વર્ષ પહેલાં વિકસિત થયાં હતાં. અમુક હજાર વર્ષો સુધી, તેઓ પૂર્વ આફ્રિકામાં મોટાભાગે પોતાનામાં જ મસ્ત રહ્યાં હતાં. તેમણે ન તો કોઈ અસાધારણ કળાનું સર્જન કર્યું હતું કે ન તો જટિલ ઓજારોનું. એક તબ્બકે, તેમણે ઉત્તરમાં સ્થળાંતર કરીને નિયન્ડરથલ્સ સાથે લડાઈ કરવાનો પ્રયાસ કર્યો હતો. એમાં સેપિયન્સ પરાજિત થયા અને પાછા ઘર ભેગા થઈ ગયા. નિયન્ડરથલ્સ બીજાં 30,000 વર્ષો સુધી મધ્ય પૂર્વ પર રાજ કરતાં રહ્યાં. જો કે, 70,000 વર્ષો અગાઉ, કશુંક અવિશ્વસનીય બન્યું. સેપિયન્સ જે કરતા હતા તેમાં પ્રચંડ ફેરફાર આવ્યો. તેમણે નૌકાઓ, દીવા-બત્તીઓ અને તીર-કામઠાં બનાવાનું શરૂ કર્યું. તેમણે પ્રગતિશીલ અને મોટી બિરાદરીઓ ઊભી કરી અને વેપારી તંત્રો સ્થાપ્યાં. સેપિયન્સે શિકાર કરવાની તેમની વિવિધ રીતને સુધારી અને એ જ્યાંથી પણ પસાર થયાં, પાછળ વિનાશનો લાંબો લિસોટો છોડતાં ગયાં. સેપિયન્સ જયારે બીજી વાર આફ્રિકા બહાર ગયા, ત્યારે ફરી એકવાર નિયન્ડરથલ્સ સાથે બાખડ્યા. આ વખતે, તે જીતી ગયા. તેમણે મધ્ય પૂર્વને સર કર્યું એટલું જ નહીં, અન્ય માનવ પ્રજાતિઓને પૃથ્વી પરથી નાબૂદ કરી. સેપિયન્સમાં અચાનક આ શૂરાતન કેવી રીતે આવ્યું તેનું પૂરું ચિત્ર જાણવા મળતું નથી, પરંતુ તેમના મગજની રચનામાં કંઈક થયું હતું, જેને આપણે કોગ્નેટિવ રીવોલ્યુશન નામની ઉત્ક્રાંતિક ઝલાંગ તરીકે ઓળખીએ છીએ. એ પહેલાં, આપણાં મગજ નિયન્ડરથલ્સ જેવાં જ હતાં. પરંતુ, સૌથી સ્વીકૃત થીયરી કહે છે તે પ્રમાણે, આપણાં જીન્સમાં પરિવર્તન (genetic mutation) થયું, જેથી આપણી આંતરિક રચના બદલાઈ ગઈ અને આપણી વિચારક્રિયા, શીખવાની ક્રિયા અને યાદશક્તિમાં સુધારો થયો.એ એક સુખદ અકસ્માત હતો! જો કે, કોગ્નેટિવ રીવોલ્યુશન કેમ થયું તે જાણવા કરતાં, મહત્તવનું એ છે કે તેની અસર શું પડી. આ યોગાનુયોગ જીનેટિક મ્યુટેશનનો સૌથી મોટો ફાયદો એ હતો કે આપણામાં ભાષાનો વિકાસ થયો. એમાં જરાય આશ્ચર્ય નથી કે હોમો સેપિયન્સનું પૃથ્વી પર પ્રભુત્વ સ્થપાયું તેમાં તેમની અટપટી ભાષાની ભૂમિકા મોટી હતી. ચાલો, એ સમજીએ.

૩. હોમો સેપિયન્સમાં જટિલ ભાષાની ક્ષમતા વિકસી તેનો ફાયદો એ થયો કે તેઓ અન્ય પ્રદેશોમાં ફેલાઈ ગયા અને સમૃદ્ધ થયાં.

એ યાદ રાખવા જેવું છે કે ભાષાનો ઉપયોગ કરનારા આપણે એકલા જ જીવ નથી. મધમાખીઓ ગણગણાટ કરીને તેમના સાથીઓને માહિતી આપે છે કે ખાવાનું ક્યાં છે. ચિમ્પાન્ઝીઓમાં “જો, જો! ત્યાં બાજ છે!” અને “જો, જો! ત્યાં સિંહ છે!” એવું કહેવા માટે ભિન્ન ભિન્ન અવાજ કરે છે. નિયન્ડરથલ્સમાં પણ ખાલી ગણગણાટ કરતાં કોઈક પ્રકારની વધુ ભાવવાહક ભાષા હતી એવું મનાય છે. જો કે, ભાષાની આપણી ક્ષમતા જુદી છે. બોલચાલની અન્ય પ્રજાતિઓની રીતોની સરખામણીમાં માનવીય ભાષા અવિશ્વસનીય રીતે જટિલ અને ગૂઢ છે. એટલા માટે જ સેપિયન્સનું દુનિયામાં રાજ છે - મધમાખીઓ લુપ્તપ્રાય: છે, ચિમ્પાન્ઝીઓ પ્રાણી સંગ્રહાલયમાં પુરાયે લા છે અને નિયન્ડરથલ્સ તો ક્યારના રવાના થઈ ગયાં છે. હોમો સેપિયન્સ સામાજિક પ્રાણી છે; આપણે સમુદાયોમાં રહીએ છીએ. એ સમુદાયોમાં ભાષાના માધ્યમથી માણસો વચ્ચે માહિતીઓનું મુક્ત આદાનપ્રદાન થાય છે. જેનો અર્થ એ થયો કે ખોરાક, પરભક્ષીઓ, જોખમો અને સમુદાયમાં બિનભરોસાપાત્ર વ્યક્તિઓ અંગેની જાણકારી તેઓ અન્ય પ્રાણીઓ કરતાં વધુ વિગતવાર રીતે અંદરોઅંદર આપલે કરે છે. દાખલા તરીકે, કોઈ એક વ્યક્તિને ફળોથી લથબથ ઝાડ દેખાય, તો તે ભાષાની મદદથી બીજા લોકોને સટીક રીતે તે ઝાડની જગ્યા બતાવી શકે. કોઈને પરભક્ષી જાનવરની છુપાવાની જગ્યા નજરે ચઢે, તો તે તેના સમૂહના બાકીના લોકોને સાવધ કરી શકે, જેથી તેઓ એ વિસ્તારમાં ન ફરકે. આ બંને કિસ્સામાં, ગૂઢ ભાષાને કારણે સમુદાયને દેખીતી સરસાઈ મળે છે. જો કે, ભાષાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી સમૂહના સભ્યો વચ્ચે સમાન સમજણનો વિકાસ થાય છે અને એટલે જ મનુષ્યોને એક વિશિષ્ઠ પ્રાધાન્ય મળે છે. આપણે ફરીથી મધમાખીઓ અને ચિમ્પાન્ઝીઓનું ઉદાહરણ લઈએ. મધમાખીઓ પણ વિશાળ સંખ્યામાં ભેગી થઈને મહેનત કરી શકે છે, પરંતુ તેમનો સહકાર અક્કડ હોય છે. તેમના વાતાવરણમાં નવાં જોખમો કે નવા અવસરો જેવાં પરિવર્તન આવે, તો તે પ્રમાણે તેમની સામાજિક વ્યવસ્થામાં તે અનુકૂલન સાધતી નથી. ચિમ્પાન્ઝીઓ વધુ મુક્ત રીતે સહકાર સાધતા હોય છે, અને જે પરિવર્તન સમજમાં આવે તેને તેઓ અનુકૂળ થઈ જાય છે, પરંતુ તેમનો સહયોગ પ્રમાણમાં નાની સંખ્યામાં હોય છે, કારણ કે સહયોગ સાધવા માટે તેમણે બીજા પક્ષને ઘનિષ્ઠ રીતે જાણવો પડે. એ જો સાથે ઉછર્યા ન હોય, તો તેઓ ભેગા થઈને લડાઈ નથી કરતા અને સાથીદારના વાળમાંથી જૂ કાઢવાના તેમના ગમતા કામમાં ઘણો સમય જતો હોવાથી, મોટા સમૂહમાં આ પ્રકારનો ઘનિષ્ઠ વિશ્વાસ પેદા કરવાનું શક્ય બનતું નથી. એટલા માટે જ ચિમ્પાન્ઝીઓ પચાસ સભ્યોના સમૂહમાં જ રહે છે. મોટી સંખ્યામાં મુક્ત રીતે સહયોગ કરી શકવા માટે સક્ષમ એક માત્ર પ્રાણી હોમો સેપિયન્સ છે, અને તેનું કારણ એ છે કે, ભાષાની આવડતના કારણે એ ભૌતિક જગતની માહિતીનું આદાનપ્રદાન કરી શકે છે એટલું જ નહીં, એ ઈશ્વર, માનવ સંસ્કૃતિ અને માનવ અધિકાર જેવા અમૂર્ત, એટલે કે કાલ્પનિક, વિચારો અંગે પણ માહિતીની આપલે કરી શકે છે. આ વિચારોને હરારી સહિયારી મિથ કહે છે - એ માનવ મનની કાલ્પનિક પેદાશ છે, અને તે અત્યાર સુધીનું આપણું સૌથી શાનદાર સર્જન છે. તે માનવ સંસ્કૃતિની આધારશિલા છે, અને તેના કારણે જ આપણે અસરકારક રીતે સહયોગ સાધી શકીએ છીએ. આપણે તેને થોડું વધુ સમજીએ, કારણ કે લેખકનો આ કેન્દ્રીય વિચાર છે. હરારીનો તર્ક છે કે, હોમો સેપિયન્સ પૃથ્વીના માલિક બની શક્યા છે તેનું કારણ એ છે કે તેઓ એક માત્ર એવું પ્રાણી છે જે પૈસા, ઈશ્વર અને રાજ્ય જેવી કલ્પનામાં અસ્તિત્વ ધરાવતી ચીજોના કિસ્સા-કહાનીઓનું આદાનપ્રદાન કરી શકે છે. આપણે જો સમાન કલ્પનાઓમાં માનતા હોઈએ તો, આપણે વિશાળ સંખ્યામાં સહયોગ સાધીને સમાન લક્ષ્યોની પ્રાપ્તિ માટે કામ કરી શકીએ છીએ. એટલે, એવું કહી શકાય કે એમને કલ્પનાઓમાં વિશ્વાસ રાખવાની આદત છે એટલા માટે તેઓ આટલા બધા શક્તિશાળી છે. પૈસાનો જ દાખલો લો. પૈસાનું કોઈ ભૌતિક મૂલ્ય નથી. છતાં, આગળ વિગતે વાત કરીશું તેમ, એકવાર આપણે સામુહિક રીતે પૈસાની કલ્પનામાં માનતા થઈ જઈએ, તે પછી આપણે તેના વિનિમયની એકદમ પેચીદી વ્યવસ્થા ઊભી કરી શકીએ છીએ. અથવા બીજી રીતે વિચારો. કલ્પના કરો કે, અમુક લાખ માનવો અસલમાં અસ્તિત્વ ધરાવતી ચીજોની બાબતમાં જ વાતો કરી શકતા હોત, તો તેમને એક લક્ષ્ય માટે ભેગા કરવાનું કેટલું અઘરું હોત! લોકો જો તેમના રાષ્ટ્રના કાનૂનોમાં માનતા ન હોય, તો કોઈ ટેક્ષ ન ભરે અને આ કાનૂન અને રાષ્ટ્ર સુદ્ધાં, વાસ્તવમાં કલ્પના જ છે! શરૂઆતના હોમો સેપિયન્સ અંદાજે 150 સભ્યોની નાનકડી ટોળકીમાં રહેતા હતાં, પરંતુ આપણી ભાષા અને મિથ્સનો વિકાસ થઈને ફેલાવો થયો, આપણા સમુદાયોના કદમાં ધરખમ વધારો થયો: ગામડાંથી લઈને શહેરો, શહેરોથી લઈને રાજ્યો, રાજ્યોથી લઈને રાષ્ટ્રો અને રાષ્ટ્રોથી લઈને વૈશ્વિક સ્તરે પરસ્પર જોડાયેલા આધુનિક સમાજો અસ્તિત્વમાં આવ્યા.

૪. કૃષિ ક્રાંતિ દરમિયાન, માનવો શિકારીઓમાંથી ખેડૂતો બન્યા, જેનાથી તેમનો તેજીથી વસ્તી વધારો થયો.

આપણે હવે 4થી ઝલક જોઈશું, જેમાં કૃષિ ક્રાંતિની અને આપણે કેવી રીતે શિકારીઓમાંથી ખેડૂતો બન્યા તેની વાત છે. આપણા મોટાભાગના ઇતિહાસમાં, હોમો સેપિયન્સનું રખડું જીવન રહ્યું છે. આપણા બહુમતી પૂર્વજોએ શિકાર કરીને અને વનસ્પતિ એકઠી કરીને જીવન પસાર કર્યું હતું. જ્યાં આહાર પુષ્કળ હોય ત્યાં તેઓ જતાં હતાં. 12,000 વર્ષ આગાઉ, આ બધું બદલાઈ ગયું. આપણે જેને કૃષિ ક્રાંતિ કહીએ છીએ, તે સમયગાળા દરમિયાન જ હોમો સેપિયન્સે શિકાર કરવાનું અને સંઘરવાનું બંધ કર્યું હતું અને તેના બદલે ખેતી કરવાનું અને પશુઓ પાળવાનું શરુ કર્યું હતું. દશેક હજાર વર્ષની અંદર, લગભગ પૂરી માનવજાત ખેતી કરતી થઈ ગઈ હતી - એ એક અસલી ક્રાંતિકારી બદલાવ હતો. એ થોડો કોયડો પણ છે. આજે ભલે ખેતીને આપણે સામાન્ય ગણતા હોઈએ, પણ એ સમજવું થોડું અઘરું છે કે આપણા પૂર્વજોએ કેમ શિકારી-સંગ્રહખોરની જીવનશૈલી છોડીને ખેતીકામનું જીવન અપનાવ્યું હતું. એક કારણ તો શ્રમનું હતું. ખેતીમાં સમય ઘણો જાય છે અને એમાં હાડકાં તૂટે છે. એક શિકારી-સંગ્રહખોર જ્યાં ચાર કલાકમાં પૂરતો આહાર એકઠો કરી શકે છે, એક ખેડૂતને સવારથી લઈને સાંજ સુધી ખેતરોમાં કામ કરવું પડે. બીજો પ્રશ્ન આહારની ગુણવત્તાનો છે. શરૂઆતની ખેતીમાં આપણા પૂર્વજો મર્યાદિત પ્રકારનાં ધાન્ય મેળવતા હતાં, જેમ કે ઘઉં, જે પચવામાંય અઘરા હતાં અને તેમાં પૌષ્ટિક તત્ત્વો તેમજ વિટામીન્સ બંનેની ગેરહાજરી હતી. હવે તેની સરખામણી વિવિધ પ્રકારનાં માંસ, સૂકા મેવા, ફળ અને માછલી, જે શિકારી-સંગ્રહખોરનો પ્રિય ખોરાક હતો. એટલે એવું તે શું થયું કે આપણે હલકી કોટિના ખોરાક માટે લાંબા કલાકો સુધી કામ કરતાં થયાં? બે કારણો છે. એક, કૃષિ તરફનો બદલાવ ધીમો અને ક્રમશ: હતો; પેઢી દર પેઢી એ બદલાવ જડ ઘાલતો ગયો, અને આપણને જયારે એ સમજાયું કે આ તો ઘણી માથાકૂટવાળું કામ છે, ત્યારે પાછા ફરવાનું મોડું થઇ ગયું હતું. બીજું, તેની અનેક ત્રુટીઓ હોવા છતાં, ખેતીનો સૌથી મોટો ફાયદો એ હતો કે એક ક્ષેત્રમાંથી ઘણો વધુ આહાર મળતો હતો. ખેડૂતો જમીનના એક નાનકડા ટુકડામાં મોટી સંખ્યામાં આહારયુક્ત છોડવાઓ ઉછેરી શકતા હતાં. આહારના પૂરવઠામાં વધારો થવાથી માનવ સમાજો મોટા પ્રમાણમાં વસ્તીને પોષણ આપવા સક્ષમ બન્યા. આના પરિણામે હોમો સેપિયન્સની વસ્તીનો વિસ્ફોટ થયો. કૃષિ ક્રાંતિના કારણે આપણે વધુને વધુ માણસોને, જો કે બદતર અવસ્થામાં, જીવતા રાખી શક્યા. વસ્તી વધારાએ પણ સમસ્યા ઊભી કરી. સંખ્યામાં આવેલા આવા ઊછાળાનો સમાજ કેવી રીતે સામનો કરે? આપણી સામે આજે પણ એ સંકટ છે, અને હવે પછી આપણે તે વિશે માહિતી મેળવીશું.

૫. મોટા સમુદાયોમાં વેપારને આસાન બનાવવા માટે, માણસોએ પૈસા અને લેખન પદ્ધતિની શોધ કરી.

કૃષિ ક્રાંતિ પહેલાંનું જીવન એકંદરે સાદું હતું. તમારી પાસે માંસ ઓછું હોય, તો તમે પાડોશીઓ પાસેથી માંગી શકતા હતાં. મોટાભાગે એ તમને મદદ કરતા કારણ કે તેમને પણ ભરોસો રહેતો કે ભવિષ્યમાં તેમને સમસ્યા આવશે તો તમારા તરફ હાથ લાંબો કરી શકશે. પરંતુ કૃષિનો વિકાસ થવાથી, એકબીજા પર ઉપકાર કરવાની ગોઠવણ સાટા પદ્ધતિમાં બદલાઈ ગઈ. કેમ? કારણ કે કૃષિમાં એટલી ક્ષમતા હતી કે તે આખા સમુદાય માટે પૂરતો આહાર પેદા કરતી હતી. આહારની શોધમાં ભટકવાની પળોજણમાંથી છૂટેલા અમુક માનવોએ લોહકામ અને વણાટકામ જેવા નવા વ્યવસાય વિકસાવ્યા. આહારના બદલામાં તેમણે ચાકૂ કે પાવડા જેવાં તૈયાર ઓજારો બીજા જરૂરતમંદ ખેડૂતોને આપવાનું શરુ કર્યું. જો કે, થોડા જ સમયમાં આ સાટા પદ્ધતિ પણ અપર્યાપ્ત સાબિત થઈ. માનવોનો વ્યાપાર કારોબાર વધ્યો એટલે એવા માણસોને શોધવાનું પણ અઘરું થવા લાગ્યું, જેને તમારો માલ જોઈતો હોય અને તમને એનો માલ જોઇતો હોય. દાખલા તરીકે, કોઈને ચાકૂ આપીને બદલામાં સુવ્વરનું માંસ લેવું હોય, અને પેલા પાસે પૂરતાં ચાકૂ હોય તો શું કરવાનું? અથવા ચાકૂ જોઈતું હોય, પણ તેની પાસે સુવ્વર ન હોય તો? કદાચ એ એવું વચન આપે કે તું મને અત્યારે ચાકૂ આપ, હું તને ભવિષ્યમાં માંસ આપીશ પણ તેની શી ખાતરી કે તે વચન પાળશે? આવી સમસ્યાઓના ઊકેલના ભાગરૂપે, ઈ.સ.પૂર્વે 3,000 વર્ષ પહેલાં, હોમો સેપિયન્સે લેખન પદ્ધતિ અને પૈસાની શોધ કરી હતી. આવું કરવાવાળા મેસોપોટેમિયાના સુમેરિયન લોકો પહેલા હત. અટપટા વ્યાપાર કારોબારની માહિતીને યાદ રાખવા માટે તેમણે માટીની તકતીઓ પર લેવડદેવડની નોંધ કરવાનું શરુ કર્યું હતું. તેના માટે તેઓ સરળ આર્થિક ચિન્હોનો ઉપયોગ કરતાં હતાં. એ જ સમયની આસપાસ, તેમણે જવના ધાન્યનો પૈસા તરીકે ઉપયોગ શરુ કર્યો હતો. મતલબ કે, સુવ્વરનો ઉછેર કરતો ખેડૂત સુવ્વરના બદલામાં જવ મેળવે અને એ જવ બીજા કોઈને આપીને તેને જે જરૂર હોય તે ચીજ મેળવે. અથવા તેણે જો ભવિષ્યમાં સુવ્વર આપવાનું વચન આપ્યું હોય, તો તમે તેને લખી રાખો.

૬. સામ્રાજ્યો અને ધર્મના ઉદયથી માનવો વૈશ્વિક એકીકરણ તરફ પ્રેરાયા.

આપણે હમણાં જોયું તે પ્રમાણે, લેખન અને પૈસાની શોધથી આર્થિક વ્યવહારો કરવાનું સરળ બન્યું અને આર્થિક છેતરપીંડી પણ અટકી. એનો અર્થ એવો પણ નથી કે અર્થતંત્રો સરળ અને સક્ષમ બની ગયાં. વાસ્તવમાં, સમાજો અને અર્થતંત્રો જેમ જેમ વિકસ્યાં, તેમ તેમ તેનું નિયંત્રણ અને નિયમન કરવાનું અઘરું થવા લાગ્યું. એટલે માનવ સમાજોએ શું કર્યું? તેમણે માણસોએ કેવી રીતે વ્યવહાર કરવો તે સૂચિત કરતા નિયમો બનાવ્યા, અને સત્તાની એવી વ્યવસ્થાઓ ઊભી કરી, જે સુનિશ્ચિત કરે કે માણસો એ નિયમોનું પાલન કરે. આ રીતે ચડતા-ઊતરતા દરજ્જાવાળા એવા સમાજો અસ્તિત્વમાં આવ્યા, જેમાં સૌથી ઉપર રાજા કે સમ્રાટ હોય, જે બીજા બધા પર શાસન કરે. આજકાલ આપણે ભૂતકાળની રાજાશાહીઓ અને સામ્રાજ્યોને ભલે આપખુદ અને ક્રૂર ગણતા હોઈએ, પણ એ યાદ રાખવું જરૂરી છે કે રાજકીય, સામાજિક અને આર્થિક સ્થિરતા લાવવામાં તેમની બહુ મોટી ભૂમિકા હતી. તેમણે એક અસરકારક વહીવટીતંત્ર ઊભું કર્યું હતું, જેણે નિયમો અને પ્રથાને એકરૂપ કર્યા હતાં. એક જ દાખલો લઈએ. ઈ.સ. 1776માં, 10 લાખ જેટલા નિવાસીઓ સાથે બેબીલોન દુનિયાનું સૌથી મોટું સામ્રાજ્ય હતું. તેને સુચારુરૂપે ચલાવવા માટે અને એક સમાન વ્યવસ્થા પ્રદાન કરવા માટે, બેબીલોનિયન રાજા હમ્મુરાબીએ અમુક કાયદાઓ બહાર પાડ્યા હતાં, જે ‘હમ્મુરાબી સંહિતા’ તરીકે ઓળખાય છે. આ કાનૂની સંહિતાના માધ્યમથી આખા સામ્રાજ્યમાં લોકોને સમજણ આપવામાં આવી હતી કે શેની અનુમતિ છે અને શેની નથી. તેમાં ચોરી, હત્યા અને કરવેરા જેવા વિષયો આવરવામાં આવ્યા હતા. સામ્રાજ્યની સીમાઓમાં લોકો જ્યાં પણ અવરજવર કરે, તેમને એ ખબર જ હતી કે કયા કાયદા અને પ્રથાને અનુસરવું. કાયદાઓની ખબર હોય એનો અર્થ એ નથી કે તેનું પાલન પણ થતું હોય. કાયદાઓને લાગુ કરવા માટે સમ્રાટો અને રાજાઓ માટે જરૂરી હતું કે લોકો તેમની સત્તાને સ્વીકારે- અને તે કરવાનો શ્રેષ્ઠ રસ્તો ધર્મનો હતો. રાજા હમ્મુરાબીને આની બરાબર ખબર હતી, અને તેણે તેના શાસનને કાયદેસર પૂરવાર કરવા માટે ઘોષણા કરી કે મેસોપોટેમિયાની પ્રજા પર શાસન કરવા માટે ઈશ્વરે તેની નિયુક્તિ કરી છે. લોકો જો એવું માને કે તેમના શાસકની પસંદગી દિવ્ય શક્તિ દ્વારા થઈ છે, તો તેમનામાં સામ્રાજ્યવાદી શાસનની સ્વીકૃતિ વધુ હશે. અહીં આપણને ફરી એકવાર જોવા મળે છે કે સહિયારી મિથ 10 લાખ લોકોના સામ્રાજ્યને જોડી રાખવામાં કામ આવી હતી. સામ્રાજ્યોનો વિસ્તાર જેમ જેમ વધ્યો, તેમ તેમ તેમાં જે ધર્મોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું, તેનાં વ્યાપ અને શક્તિ બંને વધ્યાં. ક્યારેક જોર-જબરદસ્તીથી, ક્યારેક ઉત્તરોત્તર આત્મસાત કરવાની પ્રક્રિયાથી, સામ્રાજ્યવાદી શાસને વિભિન્ન વંશીય અને ધાર્મિક જૂથોને એક વિશાળ સંસ્કૃતિના વાડામાં પૂર્યાં.

૭. વૈજ્ઞાનિક ક્રાંતિએ માનવજાતને આધુનિક બનાવી અને નવી ટેક્નોલોજી એ, સામ્રાજ્યવાદ અને આર્થિક પ્રગતિનો રસ્તો ખોલ્યો

સોળમી અને સત્તરમી સદીમાં, માનવજાતિ મહત્વપૂર્ણ પરિવર્તનમાંથી પસાર થઈ. સમગ્ર યુરોપમાં એક વૈજ્ઞાનિક ક્રાંતિ ફૂંકાઈ, અને પ્રગતિ માટે માત્ર ઈશ્વર પર નિર્ભર રહેવાને બદલે, માણસોએ એ વિચારવાનું શરુ કર્યું કે સમાજને જાતે જ બહેતર બનાવવા માટે વિજ્ઞાનનો ઉપયોગ કેવી રીતે થઈ શકે. સંશોધન, પ્રયોગો અને નિરીક્ષણના વૈજ્ઞાનિક સિદ્ધાંતોને લાગુ કરીને, લોકોએ દવા, ખગોળશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર જે વાંક્ષેત્રોમાં એવી નોંધપાત્ર છલાંગ લગાવી કે એ દરેક પ્રગતિ પછી સમાજ રહેવા માટે વધુ સારો બનતો ગયો. બાળ મૃત્યુદરનો દાખલો જ લો. ભૂતકાળમાં, સમાજના સૌથી ધનાઢ્ય સભ્યો માટે પણ બે કે ત્રણ બાળકો અકાળે મૃત્યુ પામવાનું સામાન્ય હતું. વિજ્ઞાનના કારણે આજકાલ, સૌના માટે શિશુ મૃત્યુદર પ્રત્યેક 1,000 લોકોમાંથી માત્ર એકનો છે. વિજ્ઞાનની શોધથી માત્ર માનવ સ્વાસ્થ્યને જ ફાયદો થયો એવું નથી, યુરોપીયન સરકારોને ઝડપથી ખ્યાલ આવી ગયો હતો કે અર્થતંત્રો માટે પણ તે ફાયદાકારક છે. રાજાઓ અને સમ્રાટોએ નવા વિચારો અને સંસાધનોને શોધવા માટે વૈજ્ઞાનિકો અને શોધકો પર નાણાંનો વરસાદ કર્યો. સોળમી સદીમાં, ક્રિસ્ટોફર કોલંબસની એટલાન્ટિક પારની બહુ જાણીતી યાત્રાએ, યુરોપીયનોના મનમાં વૈજ્ઞાનિક પદ્ધતિનું મૂલ્ય જેટલું અંકિત કરી દીધું હતું, તેટલું બીજી કોઈ ઘટનાએ નથી કર્યું. તેના સંશોધનને ટેકો આપવાના બદલામાં રાજાને સોના અને ચાંદી જેવાં મૂલ્યવાન સંસાધનોથી ભરપૂર વિશાળ સામ્રાજ્ય મેળવ્યું – અને યુરોપીયન સત્તાઓમાં તેમના નકશાઓમાં ખાલી પડેલી અન્ય જગ્યાઓ ભરવાની તેજ દોડ શરૂ થઈ. શાસકોને સમજાયું કે જો તેઓ નવા વિશાળ પ્રદેશોને જીતવા અને નિયંત્રિત કરવા માંગતા હોય, તો ખ્રિસ્તી ધર્મગ્રંથ અને પ્રાચીન મૌખિક પરંપરાઓને આગળ કરવાની જૂની પદ્ધતિઓ ખાસ ઉપયોગી થશે નહીં. તેના બદલે, તેમણે ભૂગોળ, સંસ્કૃતિઓ, ભાષાઓ, આબોહવા, વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ અને નવા પ્રદેશોના ઇતિહાસ ઢગલાબંધ વૈજ્ઞાનિક માહિતીઓ મેળવવી પડશે. યુરોપીયન અર્થતંત્રોનો વિકાસ અન્વેષણ અને વૈજ્ઞાનિક શોધોના કારણે થયો હતો. અને આ સામ્રાજ્યવાદી વિસ્તરણે, જીવન જીવવાની ઘણી દેશી શૈલીઓને ખતમ કરવાની સાથોસાથ, વૈશ્વિક સામ્રાજ્યો અને વેપારનાં તંત્રોની સ્થાપના કરીને છુટાછવાયા વિશ્વને ઘનિષ્ઠ રીતે ગૂંથાયેલા સમાજોમાં જોડ્યું હતુ.

૮. મૂડીવાદમાં તેના કેન્દ્રવર્તી વિશ્વાસ સાથે, આજનો વૈશ્વિક સમાજ યુરોપીયન સામ્રાજ્યવાદનો વારસો છે.

ખોંખારીને કહીએ તો, એલ્ગોરિધમ્સની વધતી જતી તાકાત, પૃથ્વી ગ્રહના શાસકોના રૂપમાં આપણી સ્થિતિને ખતરામાં મૂકે છે. તેની સામે આપણને એક વ્યૂહરચનાની જરૂર છે, પરંતુ કેવી? એક વિચાર એવો છે કે આપણે ટેકનોલોજી સાથે ભળી જવું જોઈએ, જેથી તેની સાથે કદમ મિલાવી શકીએ. તેને ટેકનો-હ્યુમનિઝમ કહેવામાં આવે છે. ટેકનોલોજી સાથે ભળી જઈને, આપણે એલ્ગોરિધમની તાકાતનો સામનો કરી શકીશું. આની શરૂઆત થઈ ચૂકી છે. યુએસનું સૈન્ય એક ‘એટેન્શન હેલ્મેટ’ વિકસાવી રહ્યું છે. આ હેલ્મેટ લાંબા ગાળા સુધી વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરવા માટે સૈનિકોના મગજના ચોક્કસ ભાગોમાં વિદ્યુત સંકેતો મોકલે છે. આ ખાસ સૈનિકો, જેમ કે સ્નાઇપર્સ અથવા ડ્રોન ઓપરેટરો, એલ્ગોરિધમ્સની જેમ જ વિશ્વસનીય બનશે. જે પ્રકારના ટેકનોલોજીકલ અપગ્રેડ્સ આપણને ઉપલબ્ધ હશે, તેમાં નિઃશંકપણે આપણી રાજકીય અને આર્થિક જરૂરિયાતોની અસર હશે પ્રતિબિંબિત કરશે. ‘એટેન્શન હેલ્મેટ’ને હવે ભંડોળ મળી રહ્યું છે કારણ કે તેના સ્પષ્ટ લશ્કરી સૂચિતાર્થો છે. પરંતુ તેનો એક ગેરલાભ છે. જો આપણે માત્ર આર્થિક રીતે ઉપયોગી ટેકનોલોજીમાં રોકાણ કરીશું, તો આપણે ઓછા સહાનુભૂતિશીલ લોકો બનીશું. છેવટે, વિકાસના અર્થતંત્ર પ્રતિ સહાનુભૂતિનો ઉપયોગ શું? એક બીજી વિચારધારા કહે છે કે આપણે અળગા થઈ જવું જોઈએ અને એલ્ગોરિધમ્સને તેમનું કામ કરવા દેવું જોઈએ. આને ડેટાવાદ (dataism) કહે છે. ડેટાવાદનો દાવો છે કે જે કંઈ બધું અસ્તિત્વમાં છે, તે કાં તો ડેટા છે અથવા ડેટા-પ્રોસેસિંગ સિસ્ટમ છે અથવા એલ્ગોરિધમ છે. સૂર્યની સ્થિતિ હોય, કોઈ વ્યક્તિનું રાજકીય વલણ હોય કે તમારા પ્રેમીનું ભગ્ન હૃદય હોય, તે બધું માત્ર ડેટા છે. હકીકતમાં, એક કમ્પ્યુટર અથવા Google જેમ, મનુષ્યો માત્ર ડેટા-પ્રોસેસિંગ સિસ્ટમ છે. આપણે પ્રાપ્ત ડેટાને પ્રોસેસ કરીએ છીએ અને નિર્ણયો લેવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે, કરિયાણાની ખરીદી ભૂખ, હવામાન, સમય અથવા અન્ય અસંખ્ય પરિબળો પર આધાર રાખે છે. ડેટાવાદ ઇતિહાસને માત્ર એક પ્રક્રિયા તરીકે જ સમજે છે, જેના દ્વારા આપણે સતત સુધારેલી ડેટા-પ્રોસેસિંગ સિસ્ટમનું નિર્માણ કરીએ છીએ. પરિણામે, ડેટાવાદ અનુસાર, વધુ કાર્યક્ષમ ડેટા-પ્રોસેસિંગ એલ્ગોરિધમ્સનું નિર્માણ કરવું એ માનવ તરીકેની આપણી ફરજ છે. તેનાથી એક મોટો પ્રશ્ન ઊભો છે: ડેટા-પ્રોસેસિંગ એલ્ગોરિધમ્સ બનાવવામાં એલ્ગોરિધમ્સ આપણા કરતાં વધુ બહેતર બની જાય તો શું? તો શું આપણે આપણા પ્રભુત્વને જતું કરવું પડશે? આ એક અસહજ વિચાર છે.

અંતિમ સારાંશ

આ પુસ્તકના ચાવીરૂપ બોધપાઠ: આપણી દુનિયા બદલાઈ રહી છે અને બદલાતી રહેશે. એક પ્રજાતિ તરીકે આપણો ઇતિહાસ આ પરિવર્તન અને પ્રગતિ પર રચાયો છે. જો આપણે આપણા ઇતિહાસને વધુ સારી રીતે સમજીએ અને એ પણ સમજીએ કે તેણે માનવજાતનું ઘડતર કેવી રીતે કર્યું છે, તો આપણે ભવિષ્યમાં ક્યાં હોઈશું તેનો વધુ સુરક્ષિત વિચાર કરી શકીએ છીએ. ‘હોમો ડ્યૂસ’ એ ‘બ્રીફ હિસ્ટરી ઓફ ટુમોરો’ એ યુવલ નોઆ હરારી દ્વારા લખાયેલું પુસ્તક છે, જે 2015માં પ્રકાશિત થયું હતું. તે તેમના અગાઉના પુસ્તક, ‘સેપિયન્સ’માં પ્રસ્તુત વિચારોને આગળ વધારે છે અને માનવજાતના ભાવિ માર્ગની શોધ કરે છે. હવે "હોમો ડ્યુસ" માં ચર્ચેલા મુખ્ય વિષયોનો સારાંશ છે: ૧. હોમો સેપિયન્સની ઉત્ક્રાંતિ : હરારી એવાં ઐતિહાસિક અને જૈવિક પરિબળોની તપાસ કરે છે જેણે મનુષ્ય અને તેના સમાજને આકાર આપ્યો છે, તેમજ આપણા વિકાસમાં જ્ઞાનાત્મક અને કૃષિ ક્રાંતિના મહત્વ પર ભાર મૂકે છે. ૨. હોમો ડ્યૂસનો ઉદભવ : આ પુસ્તક એ વિચારનું પરીક્ષણ કરે છે કે મનુષ્ય ઉત્ક્રાંતિના નવા તબક્કામાં પ્રવેશીને હોમો ડ્યુસ અથવા "દેવતા-જેવા" જીવો બની જશે અને નશ્વરતાને અતિક્રમી જવાની સંભાવના સાથે તેમની જ્ઞાનાત્મક ક્ષમતાઓ વધારશે તેમજ તેમની પોતાની જૈવિક અને સામાજિક વાસ્તવિકતાઓને આકાર આપશે. ૩. ટેકનોલોજીકલ પ્રગતિ : હરારી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બાયો એન્જિનિયરિંગ અને અન્ય ઉભરતાં ક્ષેત્રોની સંભવિત અસર સહિત માનવજાતના ભવિષ્યને ઘડવામાં ટેકનોલોજીની ભૂમિકા અંગે ચર્ચા કરે છે. તે આ પ્રગતિઓની નૈતિક અને સામાજિક અસરોને પણ તપાસે છે. ૪. અમરત્વ માટેની ઝંખના : આ પુસ્તક માનવજાતની લાંબા સમયથી અમરત્વની શોધ અને એવી ભાવી સંભાવનાઓનું ઊંડાણપૂર્વક વર્ણન કરે છે, જ્યાં આપણે કદાચ જૈવિક, તકનિકી અથવા તો ડિજિટલ અમરત્વ પ્રાપ્ત કરી શકીશું. હરારી આ આકાંક્ષાઓ સાથે સંકળાયેલાં પરિણામો અને નૈતિક દ્વિધાઓની વિવેચનાત્મક રીતે તપાસ કરે છે. ૫. જીવનનો અર્થ : હરારી એવા વિશ્વમાં અર્થ અને હેતુના બદલાતા વિચારોનું ચિંતન કરે છે જ્યાં પરંપરાગત ધાર્મિક અને વૈચારિક માળખાને પડકારવામાં આવે છે. તે મનુષ્યો માટે તેમના પોતાના કિસ્સા-કહાનીઓ બનાવવા અને વ્યક્તિગત અનુભવો દ્વારા અર્થ શોધવાની ક્ષમતાની શોધ કરે છે. ૬. શક્તિનું ભવિષ્ય : ટેકનોલોજીની પ્રગતિ થઈ રહી છે ત્યારે, લેખક ડેટા અને માહિતીના મહત્વ પર ભાર આપીને, શક્તિનાં સમીકરણોમાં થનારા સંભવિત ફેરફારોની ચર્ચા કરે છે. તે સમાજના એક નાનકડા ભદ્ર વર્ગ પાસે આવી જનારી અભૂતપૂર્વ શક્તિની સંભવિત અસરો અને સમાનતા તેમજ ન્યાય જાળવવાના પડકારોની છણાવટ કરે છે. ૭. ડેટાવાદનો ઉદ્ભવ : હરારી "ડેટાઇઝમ" ની વિભાવના રજૂ કરે છે. તે એવી માન્યતા છે કે બ્રહ્માંડ એક વિશાળ ડેટા પ્રોસેસિંગ સિસ્ટમની જેમ કામ કરે છે, અને તેનું અંતિમ ધ્યેય ડેટાના પ્રવાહ અને પ્રોસેસિંગને કાર્યક્ષમ કરવાનું છે. તે માનવ સમાજ, ધર્મ અને નિર્ણય પ્રક્રિયાઓ પર ડેટાવાદની અસરોની તપાસ કરે છે. ૮. આગામી પડકારો : આ પુસ્તકમાં માનવજાતના ભવિષ્યને લઈને રોજગાર પર ઓટોમેશનની (સ્વયંસંચાલનની) સંભવિત અસર, સામાજિક અને આર્થિક અસમાનતાના સંભવિત વ્યાપ અને ટેકનોલોજીકલ પ્રગતિની સાથે નૈતિક વિચારણાઓ માટે જરૂરિયાત જેવા મહત્વના પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા છે, એકંદરે, "હોમો ડ્યુસ" ભાવી સંભાવનાઓ અને તેના પડકારોનું વિચારશીલ સંશોધન પૂરું પાડે છે જેનો માનવજાતે તેના તકનિકી વિકાસની સાથે સામનો કરવો પડશે. આપણે એક અટપટા ભવિષ્યમાંથી પસાર થવાના છીએ ત્યારે, તે વાચકોને આપણા સમાજની દિશા અને આપણે જે વિકલ્પો પસંદ કરીશું તેના ગુણદોષ પર વિચાર કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

અવતરણો

યુવલ નોઆ હરારીના પુસ્તક “હોમો ડ્યૂસ: આવતીકાલનો સંક્ષિપ્ત ઇતિહાસ”ના અમુક નોંધપાત્ર અવતરણો: 1. ઉત્ક્રાંતિ એ એલ્ગોરિધમિક પ્રક્રિયા છે, ઈરાદાપૂર્વકની નહીં. 2. હોમો સેપિયન્સ માત્ર સંતોષ મેળવવા માટે બન્યા નથી. માનવ સુખ વસ્તુલક્ષી પરિસ્થિતિઓ પર ઓછું અને આપણી પોતાની અપેક્ષાઓ પર વધુ આધાર રાખે છે. 3. આધુનિક સમય મનુષ્યોને તકો આપે છે અને સશક્ત બનાવે છે, પરંતુ સાથે તે અનેક પડકારો અને જોખમો પણ ધરે છે. 4. ચેતના અને બુદ્ધિ વચ્ચેની કડીને કેવી રીતે તોડવી તે આપણે ઝડપથી શીખી રહ્યા છીએ. 5. આગામી સદીમાં ટેકનોલોજીની પ્રગતિ ચાલુ રહેશે, પરંતુ માનવ કદાચ પીછેહઠ કરશે. 6. મોટાભાગના માનવ ઇતિહાસની પાછળ એક સરળ અને વધુ સુખદ જીવનની શોધનું પ્રેરક બળ રહ્યું છે. 7. જે લોકોના હાથમાં ડેટા છે તેના હાથમાં સર્વસ્વ છે. 8. મનુષ્યો પોતે તાત્ત્વિક રીતે એલ્ગોરિધમ્સ છે, અને તેઓ ધીમે ધીમે નિર્ણય-શક્તિ પર તેમનો એકાધિકાર ગુમાવી રહ્યા છે. 9. એકવીસમી સદીમાં આપણે કદાચ એક નવા વિશાળ વર્ગને જોઈશું : નિરર્થક વર્ગ (useless class). 10. સુખ એ અપ્રિય ક્ષણો પર સુખદ ક્ષણોની સરસાઈ નથી. તેના બદલે, સુખ વ્યક્તિના જીવનને તેની સમગ્રતામાં અર્થપૂર્ણ અને મૂલ્યવાન તરીકે જોવામાં છે. 11. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉદયથી જોબ માર્કેટમાં પરિવર્તન આવશે અને ઘણા પ્રોફેશનલ્સને નકામા બનાવી દેશે. 12. ઇન્ફોર્મેશન આધારિત અર્થતંત્ર તરફનો બદલાવ જૂના કામદાર વર્ગને અસ્તવ્યસ્ત કરી રહ્યો છે. 13. એકવાર ટેકનોલોજી આપણને માનવ મગજનું પુનઃનિર્માણ કરવા માટે સક્ષમ બનાવશે, તે પછી હોમો સેપિઅન્સ અદૃશ્ય થઈ જશે, માનવ ઇતિહાસનો અંત આવશે, અને સંપૂર્ણપણે એક એવી નવા પ્રકારની પ્રક્રિયા શરૂ થશે, જે તમારા અને મારા જેવા લોકોની સમજમાં નહીં આવે. 14. માનવ મનની વાત છે ત્યાં સુધી તેના માટે 'ફેક ન્યૂઝ' જેવી કોઈ વસ્તુ નથી. 15. ટેકનોલોજી ક્યારેય નિયતિવાદી નથી હોતી. તે તકો ઊભી કરી શકે છે, પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે આપણને જણાવતી નથી. આ અવતરણો ‘હોમો ડ્યુસ’ માં ચર્ચાયેલાં કેટલાંક ચાવીરૂપ વિચારો અને વિચારોત્તેજક ધારણાઓનો સાર વ્યક્ત કરે છે અને ટેકનોલોજીકલ પ્રગતિ તેમજ ઉત્ક્રાંતિક માર્ગમાં સંભવિત પરિવર્તન વચ્ચે વાચકોને માનવજાતિના ભાવિ પર વિચાર કરવા માટે પ્રેરે છે. {{Poem2Close