અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શુક્લ/મને ગિરનાર સંઘરશે

From Ekatra Wiki
Revision as of 13:09, 23 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મને ગિરનાર સંઘરશે

રાજેન્દ્ર શુક્લ

ન સંકલ્પો, ન સંચરવું, ન એકે શબ્દ સાંભરશે,
સહેજ સાથે સળંગાઈ સમય ખળખળ વહ્યા કરશે.

ક્ષુધાનું વૃક્ષ ગરશે, તૃષા જલપાત્ર મુજ ભરશે,
પવનથી પાતળું અંબર દિશાઓ આવી ખુદ ધરશે.

હૃદયનું રિક્ત આ આરોહશે ઊંચે અને ઊંચે,
નિશીથે તારકોના તત્ત્વનો અવકાશ ઝરમરશે.

તળેટીથી ટૂકો લગ ખેલતું વાદળ પવન સંગે,
નિરુદ્દેશે મજાનું મન ધજાની જેમ ફરફરશે.

સમાઈ ક્યાં શકું છું હું નગરમાં કે મહાલયમાં?
ગુહા જેવું ગહન કાંઠે મને ગિરનાર સંઘરશે.
(કાવ્યકોડિયાં : સંપુટ-૨, પૃ. ૭૪)