અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/કાચબો ચાલે છે

From Ekatra Wiki
Revision as of 12:39, 22 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કાચબો ચાલે છે

લાભશંકર ઠાકર

સુકાયેલા સમુદ્રને
ઊંચકીને
કાચબો
ચાલે
છે —
જળાશયની
શોધમાં.



આસ્વાદ: ‘કાચબો ચાલે છે’ : ‘ચાલવું’ એ જ નિયતિ – દક્ષા વ્યાસ

લાભશંકર ઠાકર આધુનિક ગુજરાતી કવિતાના સીમાસ્તંભરૂપ સર્જકતાથી છલકાતા કવિ. એમની સમગ્ર કવિતા પર નજર કરીએ એટલે ત્રણ સ્થિત્યંતરો સ્પષ્ટ દેખાય : પરંપરાગત અભિવ્યક્તિ, આધુનિક પ્રયોગપરાયણ અભિગમ અને લાઘવયુક્ત પોતીકો લાક્ષણિક આવિષ્કાર. ત્રણેમાં એમનું ભરભર સર્જનતેજ માણવા મળે. જીવનની તમામ ગતિવિધિઓમાં વ્યાપ્ત અસંગતિથી પ્રવૃત્તિમાત્રની વ્યર્થતાની લાગણીથી એમની કવિતાનું અંતરંગ રંગાયેલું છે. અછાંદસમાં બહુવિધ લયોને રમાડનાર; ‘માણસની વાત’, ‘પ્રવાહણ’ જેવાં સુદીર્ઘ કાવ્યો રચનાર કવિ ઉત્તરોત્તર સર્જનમાં લાઘવની ઉપાસના કરતા દેખાય છે. કવિ લયપ્રદેશ છોડીને ગદ્યલયમાં વિચરવા લાગે છે. કવિતા લધિમા-અણિમા રૂપે ગદ્યમાં ઊતરતી રહે છે. ‘કાચબો ચાલે છે’ એમની આવી લઘુ ગદ્યરચના છે. સરળ-વિશદ અને સપાટ અભિવ્યક્તિ અહીં ભાવકને મૂંઝવી મારે છે. એક કલાકૃતિ રૂપે અવગત કરવા એણે એને વારંવાર ઘૂંટવી પડે છે.

અહીં કાચબો આપણને છેક પુરાણકાળમાં લઈ જઈ દશાવતાર સાથે જોડી આપે છે. તો સમુદ્ર વ્યાપક સંસાર — ભવસાગર સાથે. આમ સ્થળ અને કાળના વિશાળ પરિમાણ વચ્ચે આપણે મુકાઈએ છીએ. ‘ચાલવું’ આ સ્થળ-કાળને ચાલના-ગતિ આપે છે.

કૂર્માવતાર એટલે વિષ્ણુનો કાચબા રૂપે થયેલો અવતાર. દિતિના બળવાન દાનવપુત્રો અને અદિતિના ધર્મપ્રેમી દેવપુત્રોએ અમૃતપ્રાપ્તિ માટે ક્ષીરસમુદ્રનું મંથન કર્યું. મંદાર પર્વતનો રવૈયો બનાવ્યો, પરંતુ તે પાતાળમાં સલવાઈ જતાં વિષ્ણુએ કૂર્મના આકારમાં પોતાની જાતને સમુદ્રના તળિયે મૂકી મંદાર પર્વતને આધાર આપ્યો. દેવો-દાનવોએ તેને વાસુકિ નાગનું દોરડું વીંટી — એ રવૈયાથી સમુદ્રમંથન કર્યું. એમાંથી નીકળેલો અમૃતકુંભ દાનવોના હાથમાં આવી જતાં વિષ્ણુએ મોહિનીરૂપ લીધું… ની કથા પ્રચલિત છે. પુરાકથાનો કાચબો વિષ્ણુનો અવતાર છે. આ કવિતાનો કાચબો અવતાર છે? મનુષ્ય છે? કવિ છે? અવતારની નિયતિ છે પુન: પુન: પ્રગટ થતા રહેવાની — ચાલતા રહેવાની. એનું અવતરણ થાય છે ઉદ્ધાર માટે. પરંતુ શું એ ખરેખર ઉદ્ધાર કરી શકે છે? માનવનિયતિ પણ એવી જ છે. સંસાર-સાગરનાં જળ ખારાં છે. જળ એ જીવન છે; પરંતુ જળ સુકાયું છે. ખારાશ રહી છે. મનુષ્યે આ ખારાશભર્યા સંસારસમુદ્રને પીઠ પર લઈને ચાલતા રહેવાનું છે નિરંતર — મીઠા જળના જળાશયની — સુખ નામના પ્રદેશની ખોજમાં.

કહે છે કે તમામ સીમારેખાઓ વટાવીને એક બિંદુએ કવિતા અને તત્ત્વજ્ઞાન-ચિંતન એક થઈ જાય છે. આ અણઘડ-સપાટ લાગતી પદાવલિ પ્રથમ વાચને કદાચ માત્ર શબ્દો જ આપે છે, જે ક્યાંય લઈ જતા નથી. પરંતુ એમાં ઊંડા ઊતરતાં એ ત્રિપાર્શ્વ કાચની પેઠે અર્થછાયાનાં અનેક કિરણો વચ્ચે ભાવકને મૂકીને શબ્દની શક્તિનો સાચો પરિચય આપે છે. વિષ્ણુના મોહિની રૂપના — અવતારકૃત્યની કથાના અધ્યાસો પછી ચિત્તમાં માનવનિયતિ અને કવિનિયતિના અધ્યાસો પણ જાગ્યા વિના રહેતા નથી. અતૂટ આશાતંતુ માનવકાચબાને ચાલતો રાખે છે. જળાશય — મીઠું જળ તો મળેય ખરું, નયે મળે. પણ ક્ષીણ ગતિએ સંસારનો ભાર વેંઢારીને નિરંતર ચાલતા રહેવાની — કર્મ કરતા રહેવાની જીવમાત્રની નિયતિ છે. એ કવિનીય નિયતિ જ. જીવનરસ સુકાયો હોય, ખારાશ જોડાયેલી અને જડાયેલી હોય તોય કાવ્યસંસારનો ભાર ઊંચકીને કવિ ચાલતો રહે છે… સર્જન કરતો રહે છે… એક અનુપમ જળાશયની — કશાક ઉત્તમની ખોજ કરતો રહે છે. એમ કરતાં કદાચ કશુંક નીવડી આવે! અમૃત અંજલિમાં ઝિલાઈ જાય! અહીં કાચબો, સુકાયેલો સમુદ્ર, જળાશય ત્રણે શબ્દો પ્રતીકાત્મક ઊંચાઈ પર પહોંચ્યા છે. અને અનુપમ કાવ્યરસનો આસ્વાદ કરાવે છે. (‘પરબ, લાભશંકર ઠાકરઃ કાવ્યાસ્વાદ વિશેષાંક, જૂન-જુલાઈ 2016’)