અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/ટેવ જગડાવે બબડાવે ઝઘડાવે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ટેવ જગડાવે બબડાવે ઝઘડાવે

લાભશંકર ઠાકર

ટેવ
જગડાવે
બબડાવે
ઝઘડાવે
ચલાવડાવે
હાથ બે હલાવડાવે
ચલો જીતવા જંગ ગાઈ બ્યૂગલ વગડાવે.
ટેવ
નવડાવે
ખવડાવે
ભાવભર્યાં પિરસાવી ભોજન ભરચક ભરચક ભવડાવે.
શબ્દભાવના ચૂઇંગ-ગમને ચગળી ચગળી લયબદ્ધ લવનમાં ચવડાવે.
ટેવ
સાદૃશ્યમૂલકનાં સમાધાનમાં સુવડાવે
લયોધરોના થડકારાથી ધરપત ધરપત ધવડાવે
અર્થાશયમાં અકલ સકલને મવડાવે
સ્મૃતિઓમાં સ્થલકાલ સકલને વવડાવે
શ્રુતિ-શકલને લલિત લુબ્ધમાં અચકો લચકો ગવડાવે.
ટેવ
ગપટાવે
લપટાવે
ભજન ધોળ પદ ગીત ગઝલના ભાવશીકરને ઝપટાવે.
મઘમઘ મોદકવૃક્ષ બ્રહ્મનું પલભર ફલભર લટકાવે
લાડુ લચપચ બટકાવે
છે છે છે —ના ખાલીપાને ઊડતો અધવચ અટકાવે.



આસ્વાદ: ટેવ : જીવનના એકધારાપણાનું કાવ્ય – કિશોર વ્યાસ

કેવળ શબ્દમાત્રના ફેરફારથી કે આવર્તનથી કવિતા શક્ય બનતી હોત તો? કેવળ લયનાં આવર્તનો કે શબ્દટુકડાઓમાં ફંગોળાતા પ્રલાપોને કવિતા કહેવાની કવિ-રઢ સામે આપણા કવિતા-સમીક્ષકો ફરિયાદનો સૂર કાઢતા રહ્યા છે તોયે લાભશંકર આપણા મહત્ત્વના ને એક નોંધપાત્ર કવિ રહ્યા છે.

પડી ટેવ ટાળી કેમ ટળેનાં આવર્તનો કરતી આ રચના એક મૂરખને એવી ટેવ…નો જાણે અખા ભગતે રમરમાવેલો ચાબખો મારે છે. જગડાવે, બબડાવે, ઝઘડાવે, ચલાવડાવે જેવાં ક્રિયાપદો એક પછી એક આવતાં જ જાય પણ એના મૂળમાં જો કોઈ હોય તો તે આપણી જીવ્યે જવાની આદત… કહો કે ટેવ… અને આપણે છીએ કેવળ આદતના ગુલામ. પહેલાં એક પંક્તિના ગુચ્છમાં બાયોલોજિકલ ક્લોક આપણને જાતે જ પથારીમાં ઊઠ, ઊઠનો પોકાર પાડીને જગાડી દે, સૂવું હોય તોપણ સૂવા શેની દે એ આદત? કેમ કે આદત તો આગળની આદતો માટે ઘસડાતી ચાલતી હોય છે ને સ્વયંને ઘસડતી હોય છે. બબડાટ કરવાની ટેવ… ભાષા-સંવાદ બનવાને બદલે બબડાટ બની જાય એ હદે ભાષાને વાપરી નાખતી ટેવ, અન્યની સાથે ઝઘડાઓ કરવાની ટેવ જેવા શબ્દોમાં અહીં કેટલીક માત્ર શારીરિક ક્રિયાઓ છે તો કેટલીક ક્રિયાઓ આપણા મન સાથે જોડાયેલી છે. કવિ નર્મદની પંક્તિને પણ અહીં સ્મરણમાં લાવીને એ કડખેદ થવાની ટેવને યાદ કરી લે છે. કવિતાના બીજા સ્તબકમાં ટેવ નવડાવે, ખવડાવે કે ભાવભર્યા ભોજન ભરચક ભરચક ભવડાવે ત્યાં સુધી તો સઘળી કરામાતના અંદાજમાં આપણે રહીએ એ વેળાએ કવિ શબ્દભાવની ચૂઇંગ ગમને આપણી સમક્ષ છતી કરે છે. આ શબ્દ અને ભાવને ટેવવશ આપણે સતત ચાવ્યા-ચગળ્યા કરીએ છીએ ને લયબદ્ધ લવનમાં ચવડાવ્યા પણ કરીએ છીએ. શબ્દ અને ભાવના લયને પામીએ એ તો ભાષાવારસ હોવાનું ધન્યભાગ્ય. પરંતુ એને સતત ચગળી ચગળી એના રસકસને ખતમ કરી નાખીને લયબદ્ધ કવનમાં ને બદલે લવનમાં-લવરીમાં પલટાવી નાખ્યા. શબ્દ અને ભાવ ભાવભર્યા ભોજનને બદલે નિરર્થક બોબડી બોલી બની રહે પછી સંવાદની શક્યતા પર પૂર્ણવિરામ છે. આ ટેવ સાદૃશ્યમૂલકના સમાધાનમાં ‘સુવડાવે’ એવા ત્રીજા સ્તબકના આરંભે મુકાયેલી પંક્તિ અલંકારનું સ્મરણ કરાવી રહે. જે પછી કશું ઉમેરવાનું બાકી ન રહે, પૂર્ણતાનો ઘટ ભરાઈ જાય, પર્યાપ્ત થઈ રહે તે અલંકાર. આવાં સમાધાન પણ કેવળ આદતના જોરે મનના ભીતરે ભર્યાં પડ્યા રહેતાં હોય છે. જાગતો જણ હોય તો જાતને ટકોરે, દેખે, પરખે કે નિરખે પણ અહીં તો આદતનો માર્યો જણ… લયોધરો ને અર્થાશય, લલિત લુબ્ધ જેવા શબ્દપ્રયોગો કવિએ સહેતુક પ્રયોજ્યા છે જેમાં સ્મૃતિઓમાં સ્થલકાલ સકલને ‘વવડાવે’ કે ‘લલિત લુબ્ધમાં અચકો લચકો ગવડાવે’ જેવી પંક્તિઓમાં ટેવની લીલાઓ વિસ્તરતી દેખાય છે. આ ટેવ જ ભજન, ધોળ, ગીત-ગઝલના ભાવશીકરોમાં આપણને ભીંજવે, એકાકાર થવાની આદત પાડે, ભાવની આવી શીતલહેર ઝપટાવે એમ લપટાવે પણ ખરી.

‘મઘમઘ મોદકવૃક્ષ બ્રહ્મનું પલભર ફલભર લટકાવે, લાડુ લચપચ બટકાવે’ જેવી પંક્તિમાં કવિને પન્નાલાલ પટેલની અત્યંત મનભાવક બની રહેલી ‘લાડુનું જમણ’ કૃતિનું સ્મરણ કરાવ્યા વિના ન રહે. પણ એ અગાઉ ખવડાવે, ભાવભર્યા પિરસાવી ભોજન ભરચક ભરચક ભવડાવે’ પછી પુનરાવર્તન પણ લાગે. આવા પ્રયોગો કાનને કઠે છે પણ ખરા. શબ્દરમતો કરવાની કવિની પણ ટેવ જ કે બીજું કશુંક? કાવ્યની અંતિમ પંક્તિમાં કવિએ ‘છે છે છે-ના ખાલીપાને ઊડતો અધવચ અટકાવે’ એમ કહીને એક વળાંક આપ્યો છે. નથી-નો ખાલીપો નહીં, પણ છે… છે-ના અભરેભર્યા ખાલીપાને પ્રગટ કરતી વક્રતા અહીં સામે આવે છે. છે તો કેવળ ખાલીપો, તો શું નથી? નવતા નથી. એજ સેજ, એજ ભેજ… જેવું સઘળું ટેવવશ છે અને એ જ મનુષ્યજીવનનો કરુણ છે. સમગ્ર રચના કવિએ બબડાવે, નવડાવે, ખવડાવે જેવાં અનેક પ્રેરક ક્રિયાપદોથી ભરી દઈને આપણી સઘળી ક્રિયાઓના એકધારાપણા સામે, ગતાનુગતિકતા સામે જાણે કે આપણને ઊભા કરી દીધા છે. એમાં કશું જ મૌલિક નથી, આગવું નથી ને ટેવવશ જિવાતા જીવનમાં એટલે જ બધું છે ખરું છે ને તે છતાં ખાલીપો અંદરબહાર ખખડતો રહે છે. ટેવવશ વહેરાતા જતા ને એટલે જ અનુભવાતા મનુષ્યજીવનના થાકનું ને એમ કંટાળાનું એ સૂચન કરે છે. કવિએ ભવડાવે, ચવડાવે, મવડાવે જેવા કરેલા પ્રયોગોથી ટેવ શીર્ષકને બળ મળે છે. એ કવિની એક પ્રયુક્તિ તરીકે લેખવા જોઈએ.

લાભશંકર ઠાકરની આ કૃતિમાં પ્રત્યેક સ્તબકનો આરંભ ટેવથી કર્યો છે જે વિસરાતી નથી, ભૂલવા ચાહો તો ભુલાતી નથી ને એ પ્રત્યેક પળે આપણને દોરી રહી છે એની પ્રતીતિ કરાવે છે. કવિએ માનવજીવનના એક સત્યને આપણી સામે અહીં પ્રકાશિત કરી દીધું છે. (‘પરબ, લાભશંકર ઠાકરઃ કાવ્યાસ્વાદ વિશેષાંક, જૂન-જુલાઈ 2016’)