ઉપજાતિ/પ્રણયીની ચાટુ-ઉક્તિ

Revision as of 09:11, 16 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પ્રણયીની ચાટુ-ઉક્તિ

સુરેશ જોષી

જો સૂર્યને ઊગવું હોય તો ઊગે,
પ્હેલાં જરા આટલું સાંભળી લે;

મારી શિરામાં ય હજાર સૂર્યો
દાવાનળો લાખ હતા ધખાવતા;
રે કિન્તુ એનાં નયનોની સ્નિગ્ધ
મારી પરે દૃષ્ટિ થતાં જ માત્ર
સૂર્યો બધા ક્યાં ય ગયા બૂઝાઈ
ને ચાંદની શી છલકાઈ શીતળી!
કણે કણે અમૃતનો ફુવારો,
ભાંગી રહી એ ભરતી કિનારો.

જો સૂર્યને ઊગવું હોય તો ઊગે,
પ્હેલાં જરા આટલું ધ્યાનમાં લે.