કંદમૂળ/અનુસંધાન

From Ekatra Wiki
Revision as of 00:48, 9 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
અનુસંધાન

એક દિવસ
હું તાબે થઈ જઈશ
મારા શરીરની વેદનાને.
હું જોઈ રહીશ શરીરને મનથી અલગ થતું
અને પછી કદાચ મને ગમવા માંડશે
થાક, પીડા, કળતર
અને મસ્તિષ્કની એ મૂંઝવણ.
હું નહીં હોઉં ક્યાંય
અને હું ભોગવી રહી હોઈશ યાતના.
સૌને લાગશે કે હું બેહોશ છું
પણ, હું જોઈ રહી હોઈશ મારા શરીરના ટુકડા થતા.
શરીરના એ ભાગ,
ફરી સંધાય કે ન સંધાય,
શું ફરક પડે છે?
શરીરથી વિખૂટા પડેલા મનને
નથી કોઈ અનુસંધાન હવે.
રંગબેરંગી દોરા લઈને
સાંધો મારા શરીરને.
આ પારાવાર પીડાને
રંગો કોઈ તાજગીભર્યા રંગે.
શૂન્યમનસ્ક થયેલા અવયવોમાં
ચેતનાના ફુગ્ગા ઉડાડો.
ઉછીનો અવાજ લાવો,
ને માત્ર ચાંદની રાતના અજવાળામાં
સોયમાં દોરો પરોવતી હતી હું,
એ મારી નજર પણ પાછી લાવો.
હું તૈયાર છું,
ફરી જીવવા માટે.