કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૧૨.અમે અંધારું શણગાર્યું

From Ekatra Wiki
Revision as of 08:47, 24 June 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૨.અમે અંધારું શણગાર્યું

પ્રહ્લાદ પારેખ

આજ અમે અંધારું શણગાર્યું,
હે જી અમે શ્યામલને સોહાવ્યું.

ગગને રૂપાળું કર્યું તારા મઢીને એને, ધરતીએ મેલીને દીવા;
ફૂલોએ ફોરમને આલી આલીને એનું અંગે અંગ મહેકાવ્યું !
હો આજ અમે અંધારું શણગાર્યું...
પાણીએ, પાય એને, બાંધેલા ઘૂઘરા ખળખળ બોલે :
ધરણીના હૈયાના હરખે જાણે આજ અંધારાને યે નચાવ્યું !
હો આજ અમે અંધારું શણગાર્યું;

વીતી છે વર્ષા ને ધરતી છે તૃપ્ત આજ, આસમાન ખીલી ઊઠ્યું;
ઊડે આનંદરંગ ચોમેર અમારો, એમાં અંધારું આજે રંગાયું !
હો આજ અમે અંધારું શણગાર્યું...

થાયે છે રોજ રોજ પૂજા સૂરજની ને ચાંદાનાંયે વ્રત થાતાં :
આનંદઘેલાં હૈયે અમારાં આજ અંધારાને યે અપનાવ્યું !
હો આજ અમે અંધારું શણગાર્યું...
(બારી બહાર, પૃ. ૭૬)