કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૧૩.ચાંદરણાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૩.ચાંદરણાં

પ્રહ્લાદ પારેખ

અહીં પડેલાં મુજ ઓશરીમાં,
નિહાળતો ચાંદરણાં રહું હું.
પ્રકાશનાં પુષ્પ ભરી લઈને
છાબે, હશે કોઈ ગઈ અહીંથી :
પડી ગયાં એ મહીંથી હશે આ
સહુ તેજપુષ્પો ?

કે અંતરે જે સુખની સ્મૃતિ છે
મારે, બધી આજ બહાર નીસરી ?
ને આમ આજે મુજ ઓશરીમાં
બની જઈ ચાંદરણાં, નિહાળી
મને, રહી એ મલકી બધી શું ?

શરીરહીન સ્મિત વા પડેલાં
આ કોઈનાં ? અંતરને હસાવતાં
પોતે રહી નીરવ, ને જગાડતાં
મારે ઉરે કૈં મધુરો ધ્વનિ, જે
ધીમે ધીમે ગીતસ્વરૂપ ધારતો ?

ને યાદ, આ ચાંદરણાં નિહાળી,
આવે મને : અંતરઓશરીમાં
કદી કદી ચાંદરણાં પડી જતાં
ઘડીક, ને ગુમ વળી થઈ જતાં :
કયા પ્રકાશનાં ?

જાણું ન હૈયું ગતિહીન કિન્તુ
બનેલ, તેને ગતિ એ દઈ જતાં;
ને એમ હૈયું ગતિમાન થૈને
પૂછે વળી, – શોધક એ બનીને :
હતો કયો એહ પ્રકાશ જેનાં
પડી ગયાં ચાંદરણાં ઘડી અહીં ?
(બારી બહાર, પૃ. ૭૭-૭૮)