કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૪૫. વાંસળી

From Ekatra Wiki
Revision as of 05:10, 25 June 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૪૫. વાંસળી

પ્રહ્લાદ પારેખ

એક વાંસળી અંધારાની: નવલખ તારા છિદ્ર,
તેનાં નવલખ તારા છિદ્ર;
વગાડતો આકાશે કોઈ સુરગંગાને તીર,
ઊભો સુરગંગાને તીર.

પંખી પાંખો બીડે સુણતાં ધીમા થાય સમીર,
સુણતાં ધીમા થાય સમીર;
પુષ્પોની પાંખડીઓ મળતી, નેને મળતી નીંદ,
સૌને નેને મળતી નીંદ.

અણદીઠી આંખોથી ઝમતાં શબનમ કેરાં નીર,
સુણતાં, શબનમ કેરાં નીર;
અધીર વાંછા-પંખી મારાં ફરતાં નિજને નીડ,
આવી સૂતાં નિજને નીડ,

કોણ બજાવે બંસી એવી લાગે કરુણગભીર,
હૈયે લાગે કરુણગભીર ?
મુજ ભીતર કો આકુળ રાધા મળવા થાય અધીર,
તેને મળવા થાય અધીર !
(સરવાણી, પૃ. ૪૨)