કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/કવિ અને કવિતાઃ બાલમુકુન્દ દવે

From Ekatra Wiki
Revision as of 09:14, 18 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કવિ અને કવિતાઃ બાલમુકુન્દ દવે

બાલમુકુન્દ દવે

કવિશ્રી બાલમુકુન્દનો જન્મ માર્ચ, ૧૯૧૬ના રોજ વડોદરા જિલ્લાના મસ્તુપુરા ગામમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ મસ્તુપુરાની ગુજરાતી શાળામાંથી પ્રાપ્ત કર્યું. માધ્યમિક શિક્ષણ વડોદરા રાજ્યની સયાજી હાઈસ્કૂલમાંથી મેળવ્યું. ૧૯૩૮માં મૅટ્રિક થઈને અમદાવાદ આવ્યા. શરૂઆતમાં સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયમાં કામ કર્યું. ત્યારપછી નવજીવન કાર્યાલયમાં ત્રણ દાયકા સુધી સેવાઓ આપી. એ પછી નવજીવન દ્વારા પ્રકાશિત થતા ‘લોકજીવન’ સામયિકનું સંપાદન સંભાળ્યું. ૧૯૪૮ના વર્ષનો કુમારચંદ્રક તેમને એનાયત થયો. ૧૯૫૫ાન વર્ષનું કવિતાનું મહાદ્વિભાષી મુંબઈ સરકારનું પ્રથમ પારિતોષિક તેમને કવિ ઉશનસ્ સાથે સહભાગે પ્રાપ્ત થયું. ગુજરાતી સાહિત્ય સભાનો ૧૯૮૭ના વર્ષનો ધનજી કાનજી સુવર્ણચંદ્રક તેમને મળ્યો. ૨૮ ફેબ્રુઆરી ૧૯૯૩ના રોજ તેમનું અવસાન થયું.

બાલ્યાવસ્થા અને કિશોરાવસ્થામાં પરિવાર, પ્રકૃતિસૌંદર્ય, ધબકતું ગ્રામ્યજીવન તથા કથાશ્રવણના સંસ્કારોએ કવિશ્રી બાલમુકુન્દમાં કવિતાનાં બીજ રોપ્યાં. દાદીમાનાં પ્રભાતિયાં, લગ્નગીતોનું શ્રવણ, કથાશ્રવણ, વાચનશોખ, પ્રકૃતિનું ગાઢ આકર્ષણ, કવિ વેણીભાઈ પુરોહિત જેવા કવિમિત્રો, બુધસભા વગેરે પરિબળોએ બાલમુકુન્દની કવિપ્રતિભાનું ઘડતર કર્યું. તેમના સમકાલીન અને પુરોગામી પ્રભાવક કવિઓએ તેમના કવિપિંડને પોષ્યો. માત્ર તેર-ચૌદ વર્ષની ઉંમરે તેમણે ‘ધ્રુવાખ્યાન’ રચેલું.

૧૯૫૫માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘બૃહદ્ પરિક્રમા’ પ્રગટ થયો. તેમાં છાંદસ્ કૃતિઓ વિશેષ પ્રમાણમાં છે. તેમનો બીજો કાવ્યસંગ્રહ ‘કુન્તલ’ છેક ૧૯૯૨માં મળ્યો. તેમાં પરંપરિત લયમાં યોજાયેલા છંદ સાથેની કાવ્યરચનાઓ છે. ગીતકવિ તરીકે ઓળખ ધરાવતા આ કવિએ છંદોબદ્ધ કવિતામાં પણ ઉત્તમ કામ કર્યું છે. માત્ર બે જ કાવ્યસંગ્રહોએ કવિ બાલમુકુન્દને કવિ તરીકે પ્રતિષ્ઠિત કર્યા. તેમની સમગ્ર કવિતાનો સંગ્રહ ‘બૃહદ્ બૃહદ્ પરિક્રમા’ ૨૦૧૦માં ગુજરાત સાહિત્ય અકાદેમીએ પ્રગટ કર્યો છે. જેનું સંપાદન કવિશ્રી હરિકૃષ્ણ પાઠકે કર્યું છે. કવિશ્રી સુરેશ દલાલ કહે છે કેઃ

“બધો આધાર કવિના વ્યક્તિત્વના પિંડ પર છે... અલ્પ જીવીને અનલ્પ સુધી જીવવાની કલા બાલમુકુન્દની કલમને મળી છે. આ ઉપરાંત ‘સોનચંપો’ (૧૯૫૯), ‘અલ્લકદલ્લક’ (૧૯૬૫) અને ‘ઝરમરિયા’ (૧૯૭૩) જેવાં બાળકાવ્યોના સંગ્રહો તેમની પાસેથી મળ્યા છે. તો ‘ઘટમાં ગંગા’ (૧૯૬૬) નામે પ્રૌઢશિક્ષણ વિશેની પુસ્તિકા પણ તેમણે આપી છે.

કવિશ્રી બાલમુકુન્દની કવિતામાં પ્રેમ, પ્રકૃતિ, ગ્રામસૃષ્ટિ, પ્રભુ-ભક્તિ અને અધ્યાત્મભાવના નિરૂપણ સાથે સંવેદનની સચ્ચાઈનો રણકો છે. એથી જ એ ભાવકના હૃદયને સ્પર્શી જાય છે. એમની કાવ્યબાનીની સરળતા અને સાદગી જચી જાય છે. તેમની પાસેથી લયબદ્ધ, પ્રવાહી-ભાવવાહી ગીતો મળ્યાં છે, જે ગુજરાતી કવિતાસાહિત્યનાં ઉત્તમ ગીતોમાં સ્થાન પામે છે. ગીતોનો સમૃદ્ધ ફાલ આપનાર આ કવિએ શિખરિણી, પૃથ્વી, સ્રગ્ધરા, મંદાક્રાન્તા જેવા છંદોમાં ઉત્તમ સૉનેટ પણ આપ્યાં છે. કવિશ્રી હરિકૃષ્ણ પાઠકના શબ્દોમાંઃ

“લયના છેડાને જ નહીં, વિવિધ લયભાત ધરાવતા રંગરંગના પોતના વખારી એવા આ કવિની મુખ્ય ઓળખ ભલે ગીત-કવિની રહી. ખરી વાત તો એ છે કે છંદોબદ્ધ કવિતામાં પણ કવિએ પૂરેપૂરી પ્રૌઢિ દાખવી છે. તેમાં છંદો પરનું પ્રભુત્વ, મનભર ચિત્રાત્મકતા, ઘૂંટાયેલું સંવેદન, ભાવની સૂક્ષ્મતા અને મનભર અભિવ્યક્તિ — કંઈ કેટલું બધું એકસાથે મળે છે.”

કવિશ્રી બાલમુકુન્દે સમયના પ્રવાહમાં અખંડદીપ જેવાં અનેક ગીતો તરતાં મૂક્યાં છે જે આજેય નિરંતર વહ્યાં કરે છે. તેમનું અત્યંત જાણીતું ગીત ‘શ્રાવણ નીતર્યો’માં શ્રાવણનાં સરવડાં ઝીલવાની વાત કરતા કવિને ‘અમરત-મેહ’, ‘સમણાંના કરા’ અને ‘નેહ’ ઝીલવા છેઃ

‘આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી
પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઈ ઝીલો જી.’

શ્રાવણનાં સરવડાં તો ‘કપૂર-કાયા’, ઝીલતાં ઝીલતાં જ ઊડી જાય. ‘કોઈ ઝીલો જી’માં કેટલો ઉલ્લાસ પ્રગટે છે! એમાં પ્રકૃતિચિત્ર પણ કેવી સહજ રીતે આવે છેઃ

‘આ દૂધે ધોયા ડુંગરા કોઈ ઝીલો જી
પેલી ઝરણાંની વણજાર હો કોઈ ઝીલો જી.
આ જતિસતીનાં તપ રેલે કોઈ ઝીલો જી
પેલા શિવલોચન-અંબાર હો કોઈ ઝીલો જી.’

તો ‘જલદીપ’માં કવિએ જળમાં તરતા-તણાતા દીપનું સુંદર દૃશ્યાત્મક વર્ણન કર્યું છે. અંધકારને ભેદીને ચંચલ તરંગો પર સવારી કરીને જતો આ દીપ સહજ પ્રતીક બની રહે છેઃ

‘વાટ વણી ના, ના પેટાવ્યો,
પોતે પરગટ થાય;
નહીં મેશ કે નહીં મોગરો
કેવલ તેજલ કાય :
જલમાં દીપ તણાયો જાય.’

‘સમદર’ ગીતમાં હર્યાભર્યા સંસારના પ્રતીકરૂપ સમુદ્રની પ્રત્યેક લહેર અનોખી છે, તેમ દરેક માનવીનાં સુખ-સંતાપ અલગ છે. ભવસાગરમાં પણ સમુદ્ર જેટલી જ ગહનતા અને વ્યાપકતા છેઃ

‘સમદર સભર સભર લહરાય!
બુંદ બુંદની સૂરત નિરાલી,
કોઈ રોવે, કોઈ ગાય :
સમદર સભર સભર લહરાય!’

કવિશ્રી ચંદ્રકાન્ત શેઠ નોંધે છેઃ “બાલમુકુન્દની ઝાકળપિછોડી, શ્રાવણનાં સરવડાં ઝીલવાની વાત, સભર સભર લહેરાતા સમદરની ને તેડાંની વાત આપણાથી કેમ ભુલાય? ભાવ, ભાષા અને લયઢાળનું નાજુક સામંજસ્ય એમનામાં અનુભવાય છે. ભાવની સૂક્ષ્મતા ને ઉછાળ બેય એમને સહજ સિદ્ધ છે.” (‘પંથ અને પગલાં’, ૨૦૦૪, પૃ. ૨૧)

‘જલ બોલે’ કાવ્યમાં પરંપરિત લયઢાળમાં કવિએ પર્વત પરથી નીકળી ઝરણાં, નદી રૂપે સમુદ્રમાં વહી જતાં – ભળી જતાં જળની વેદના સરસ રીતે વર્ણવી છેઃ

‘નિરંકુશ શક્તિના અમે ધોધવા
પાષાણોમાં ખાધી બહુ પછડાટ!
કોણ રે પરખંદો અમને નાથશે?
કોણ અમને દેશે નવલા ઘાટ?
જલ રે બોલે ને કાંઠા સાંભળે.’

આ કવિએ ફળિયામાં સૂતા સૂતા ખુલ્લા આકાશ નીચે ‘ચાંદની’ અને ‘અમાસની મધરાત’ના સૌંદર્યનું આકંઠ પાન કર્યું છે. આ કાવ્યોમાં કવિની અદ્ભુત કલ્પનાશક્તિનો પરિચય મળે છે. પૂરબહારમાં ખીલેલી ‘ચાંદની’ જોઈને, કવિને પૃથ્વી જાણે જળ ભરેલી ત્રાંબાકુંડી હોય અને ચંદ્ર એમાં ન્હાવા માટે સરી રહ્યો હોય એવું કલ્પન સૂઝે છે. આ ‘કપૂરધવલા’ ચાંદનીમાં કવિ કીડીનેય જોવાનું ચૂકતા નથી.

‘ગિરિ, વન, નદી, મેદાને થૈ સરે રમણીયતા,
પરણ પરની કીડીયે શી ધરે કમનીયતા!’

‘અમાસની મધરાત’માં તો કવિએ અદ્ભુત કલ્પના કરી છે. અમાસની મધરાત જાણે રમણે ચડેલી જુવાનજોધ કાળી ભીલડી! એનો શણગાર પણ પ્રકૃતિ જ!...

‘નદીઓ ને નિર્ઝરનાં કડલાં ને કાંબીયું
રણકાવે તાલસૂરવાળી!
ભોળા શંભુને જાણે ભોળવવા નીસરી
કિરાતી કામણગારી!
મધરાત આજ રમણે ચડેલ મેં તો ભાળી.’

‘નર્મદાતટે પૂર્ણિમા’ પણ કવિના સ્વાનુભવમાંથી રસાઈને આવેલું કાવ્ય છે. કવિ દર પૂનમે નર્મદાસ્નાન કરવા જતા. મલ્હારરાવના ઘાટ પર બેસીને ચાંદનીને માણતા. આથી જ કવિની કલ્પના આ કાવ્યમાં સોળે કળાએ ખીલી છે. નર્મદાની આરતી પછી, એકાન્તમાં મુગ્ધ કન્યા જેવી પૂર્ણિમા નર્મદાતટે સ્નાન કરવા આવી છેઃ

‘છૂટી મૂકી કિરણલટને સ્નાનઔત્સુક્યઘેલી,
દે ઓચિંતી શુચિ જલ વિષે કાયને મુક્ત મેલી;
સ્પર્ધા માંડે રમણીય કશા નર્મદાના તરંગો,
ગૌરાંગીનાં અમરતભર્યાં સ્પર્શવા અંગઅંગ.’

તો ‘પરોઢ’ સૉનેટમાં ચાલી જતી રાત્રિનું અને ઊઘડતા પરોઢનું કવિએ સુંદર વર્ણન કર્યું છેઃ

‘વીણીને વ્યોમમાંથી હલમલ કરતા તારલા મત્સ્ય જેવા,
માછીકન્યા સમી ઓ! તરલ ડગ ભરી યામિની જાય ચાલી.’

આ પ્રકૃતિપ્રેમી કવિને ફાગણ-વસંત અત્યંત પ્રિય છે. વસંતઋતુમાં પ્રકૃતિના રંગો પૂરબહારમાં ખીલ્યા છે, ત્યારે કામણગારો કેસૂડો સૌને તેના રંગે રંગી દે છે. ‘લ્યો કેસૂડાં’માં પ્રણય-મસ્તીના ફાગ ખેલતાં યુવાન હૈયાંઓ એકબીજાના રંગમાં કેવાં રંગાઈ જાય છે એનું સુંદર ચિત્ર તાદૃશ્ય કર્યું છે. તો ‘ગોરી ને ઘેરૈયો’માં ફાગણના ફાગ ખેલતાં ઘેરૈયા અને પ્રિયતમા વચ્ચેના સંવાદમાં સરસ ભાવમાધુર્ય પ્રગટે છે. ‘ફાગણી’ કાવ્યમાં — રંગ, રાગ, પવન, તેજછાયા, ફૂલો, સરોવરો — પ્રકૃતિ અને પ્રણયની સુંદર ફૂલગૂંથણીની વાત કવિએ કરી છે. ‘રંગ રંગ હોળી’માં કઈ રીતે પ્રણયફાગ ખેલવાનું કહે છેઃ

‘અંગ અંગ ઓઢી
હો પ્રીતની પટોળી,
જોબંનમાં ઝબોળી
હો લાલ રંગ હોળી
ગુલાલ રંગ હોળી’

જ્યારે ‘વનચંપો’માં કવિએ વસંતઋતુમાં ખીલેલા, રંગ, રૂપ, સુગંધ ધરાવતા ચંપાના હૃદયની વેદનાને વાચા આપી છે. ‘ચમેલીને ઠપકો’માં પૂરબહારમાં ખીલેલી ચમેલીને કવિ માનમાં મોઘમમાં રહેવાની સલાહ આપે છે. વાયરા સાથે વહેતી સુગંધને વશમાં રાખવાનું કહેતા કવિ યુવાનીમાં પ્રવેશતી ચંચળ કન્યાને તેનું રૂપ જાળવવાની સલાહ સરસ રીતે, લોકગીતના લય-ઢાળમાં આપે છેઃ

‘ચટકીલી મોરી ચમેલડી રે,
ભમરાની શી ભૂલ ’લી ચમેલડી!
પોતે જો ઢંગે ના રૈએ જી રે?
ચટકીલી મોરી ચમેલડી રે,
રૂપનાં રખોપાં શીખી લૈએ ’લી ચમેલડી!
દૂજાંને દોષ ના દૈએ જી રે.’

વર્ષાઋતુના આગમનનું ખૂબ જાણીતું ગીત ‘આકાશી અસવાર’માં મેઘની સવારીને કવિએ સરસ રીતે નિરૂપી છેઃ

‘છૂટાં રે ઊડે રાજાનાં ઓડિયાં,
ઝૂલે વીજની તલવાર;
અંકાશી ઘોડાના વાગે ડાબલા,
સાયબો થિયો રે અસવારઃ
આવે રે રાજાનો રાજા મેહુલો.’

કવિશ્રી બાલમુકુન્દનાં અનેક કાવ્યોમાં પ્રકૃતિના આલંબન સાથે અધ્યાત્મભાવની ગતિ-સ્થિતિ પણ આલેખાઈ છે. ‘મોગરો’ કાવ્યમાં એ મોગરો વાવ્યા વગર મ્હોર્યો છે, ફાલ્યો છેઃ

‘એવો મોર્યો અલબેલડો
એને ચૂંટતાં જીવ ચૂંટાય રે!
મોગરો મોર્યો મોર્યો રે.’

મોગરાની કળીએ કળીએ કવિને રાધાનાં અને પાંદડે પાંદડે કાનનાં દર્શન થાય છે. માનવીની પ્રીત ઝંખતા આ કવિને પ્રત્યેક મનુષ્યમાં ઈશ્વરનાં દર્શન થાય છે. તેમને મનખાવતાર ઈશ્વરના ધામરૂપ લાગે છે. આ ‘પરકમ્માવાસી’ કવિને —

‘થીર મુકામમાં જંપ વળે ના,
વાટ ને ઘાટના જીવ આ પ્યાસી;
ધરતીના કણ કણમાં તીરથ —
એનાં અમે પરકમ્માવાસી :
ભોમકાનાં ભમનાર પ્રવાસી.’

ભોમકા પર ભમનાર પ્રવાસી કવિ તો ‘પારાવારના પ્રવાસી’ છે. એ તો કહે છેઃ

‘આપણે તે દેશ કેવા?
આપણે વિદેશ કેવા?
આપણે પ્રવાસી પારાવારના હે... જી.’

આ અંધકારમાંથી તેજ તરફ ઊર્ધ્વ ગતિ કરનાર પંખીને તો ક્ષણભંગુરને ત્યજીને અવિનાશી સાથે જોડાવું છે એટલે ‘ઝાકળની પિછોડી’માં કવિ કહે છેઃ

‘એવું રે પોઢો મનવા! એવું રે ઓઢો મનવા!
થીર રે દીવાની જેવી જ્યોતિ;
ઉઘાડી આંખે વીરા! એવાંજી ઊંઘવાં કે —
કોઈ નો શકે રે સુરતા તોડી.
મનવાજી મારા! જૂઠી ઝાકળની પિછોડી!’

‘એકપંથી’માં પણ હંસના પ્રતીક દ્વારા આત્માની ઊર્ધ્વગતિ સૂચવાય છે. ‘પૂજાની ઓરડી’માં જીવનની ઉત્તરાવસ્થામાં પૂજાપાઠ, પ્રભુભક્તિની વાત અવનવાં કલ્પનો પ્રયોજીને કરી છે. જેમ કે, ‘શબ્દોની બોરડી’, ‘વાસનાની દોરડી’, ‘નમણી કપૂરગોટી’ વગેરે. છતાં આ કવિને ‘ધરતીની માયા’ છૂટતી નથી એટલે જ આ કાવ્યમાં કવિ આત્માનો માળો ધરતી પર રહેવાની વાત કરે છે. પોતાને ‘ધરતીની પ્રીતના પખાલી’ તરીકે ઓળખાવે છે. ‘અણદીઠાં એંધાણ’માં કવિએ કોઈક અલૌકિક તત્ત્વની હાજરીનો અનુભવ કર્યો છે. ફૂલ વિના ફોરમનો અને વાદળ વિના અમૃતનાં ફોરાંનો અનુભવ તેમણે કર્યો છે. ‘તું’ કાવ્યમાં કવિ-ગીતમાં ઓતપ્રોત ભાવની જેમ વિશ્વમાં ઈશ્વરની હાજરી અનુભવે છે. તો ‘કનકકોડિયું’માં ઈશ્વરની સર્જનલીલાનું વિસ્મય પ્રગટ થયું છે.

કુટુંબપ્રેમ, દામ્પત્યજીવન, સાયુજ્ય, વતનપ્રેમ વગેરે પણ કવિશ્રી બાલમુકુન્દની કવિતામાં સહજ રીતે, સચ્ચાઈપૂર્વક, વેધકતા અને કરુણતા સાથે આલેખાયાં છે. ગુજરાતી કવિતાનું ઉત્તમ ચિરસ્મરણીય સૉનેટ ‘જૂનું ઘર ખાલી કરતાં’માં કવિએ હૃદયની અંગત વેદનાને — ઉત્કટ સંવેદનાને કલાત્મક રીતે રજૂ કરી છે. જૂનું ઘર ખાલી કરતાં કામની બધી જ ચીજ-વસ્તુ સાથે નકામી ચીજ-વસ્તુઓની યાદી જુઓઃ

‘ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું :
જૂનું ઝાડુ, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી, સોય-દોરો!’

છેવટે બારણે લટકતું નામનું પાટિયુંય લીધું. અંતે વિદાય થતાં કવિ ભૂતકાળની સ્મૃતિમાં સરી પડે છે. આ ઘરમાં પસાર કરેલો મધુર દામ્પત્યજીવનનો દસકો, પુત્રપ્રાપ્તિ, પુત્રનું અવસાન, અગ્નિદાહ વગેરે. એ સાથે જ કવિને જૂના ઘરના ખૂણામાંથી જાણે પુત્રનો અવાજ સંભળાય છેઃ

‘બા-બાપુ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે?’

અને ચારેકોર કરુણા ઘેરી વળે છેઃ

‘ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા!
ઉપાડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણીકા!’

‘સ્મિતકણી’ ચિરવિરહનું સૉનેટ છે. બાલ્યાવસ્થામાં માતાનું અવસાન થતાં ઘા સહન થઈ ગયો. પરંતુ નિરાલંબનો આધાર પત્નીનું અવસાન થતાં વેદના અસહ્ય થઈ પડી છે. ‘તું જતા’માં પત્નીના અવસાનની દારુણ વ્યથાને વેધક રીતે નિરૂપી છેઃ

‘પ્રજળી કજળી ગઈ ચિતા,
ઉર બીજી સળગી સદાયની!’

‘દાદીમાનો ઓરડો’માં દાદીમાનાં સંસ્મરણો આલેખ્યાં છે. ‘લાડકડી’માં લગ્ન પછીની દીકરીની વિદાયની ક્ષણોને — પિતાના વ્હાલપની લાગણીને ખૂબ ઓછા શબ્દોમાં રજૂ કરી છે. દીકરી સાપનો ભારો નહીં પણ તુલસીનો ક્યારો છે. જ્યારે ‘સોનચંપો’માં પુત્રના અવસાન પછીની હૃદયદ્રાવક કરુણા વ્યક્ત થાય છે. ‘વિરહિણી’માં પ્રકૃતિ પૂરબહારમાં ખીલી છે ત્યારે પરદેશ ગયેલા પતિની રાહ જોતી પત્નીની વિરહવ્યથા દોહરામાં આલેખી છેઃ

‘કોયલ કૂજે કુંજમાં, ને રેલે પંચમસૂર,
વાગે વન વન વાંસળી, મારું પલ પલ વીંધે ઉર.

અવળું ઓઢ્યું ઓઢણું ને મારા છુટ્ટા ઊડે કેશ,
શું કરું નિર્દય કંથડા! મને વાગે મારગ ઠેસ.’

‘રિક્તતા’માં સમગ્ર પરિવાર નિદ્રાધીન છે. નાનકડો પુત્ર પત્નીને કંઠે બાઝીને સૂતો છેઃ

‘પત્નીને કંઠે બાઝી સૂતો નાનકો પુત્ર, જાણે
મઢી લૉકીટે લટકતી હોય મારી છબિ!’

કવિને આકાશનો ટુકડો બહાર બોલાવે છે. છતાં કવિ-ચિત્ર વ્યગ્ર છે. રાત્રિ રુદ્ર લાગે છે. મૂંગી ચીસ સંભળાય છે. પણ સુપ્ત સંવેદના જાગતી નથી. કવિ વિશ્વમાંગલ્યના કાવ્યની લુપ્ત કડી શોધે છે.

‘વડોદરાનગરી’ એ કવિના સંસ્મરણોને નિરૂપતું કાવ્ય છે. તેમાં કવિએ તેમની વડોદરાની સ્મૃતિઓ — યાદગાર ઘટનાઓ, તોફાન-મસ્તી વગેરે હળવી શૈલીમાં તાદૃશ્ય કર્યાં છે. તો ‘વતન વાટે બપોર’ એ વતનપ્રેમનું કાવ્ય છે. ધોમધખતી બપોરે અગન વરસતી લૂ — વતનની લૂ કવિને ‘સાકી’ લાગે છે.

‘થોભો ના, થાકશો ના, ચરણ! અધઘડીનો હવે ખેલ બાકી; ભાગોળે આપણી તો અગન વરસતી લૂ બની જાય સાકી!’

‘કાચબા-કાચબીનું નવું ભજન’માં કવિએ મહાસત્તાઓની અણુશસ્ત્રો તરફની દોટ અને સંહારલીલાનું વરવું દૃશ્ય રજૂ કર્યું છે. આ બધું સાક્ષીભાવે જોઈ રહેલાં કાચબા-કાચબીના સંવાદ દ્વારા કથનાત્મક શૈલીમાં આલેખાયું છે. ‘કે દી એ વા’ણલાં વાશે?’માં દરિદ્રનારાયણો પ્રત્યેની હમદર્દી પ્રગટ થાય છે. ‘ઓળખાણ પડે છે કે?’માં એક મધ્યમ વર્ગના માણસ અને શેઠની શ્રીમંતાઈ અને તુમાખી — તેમની વચ્ચેના સંવાદોમાં પ્રગટ થાય છે.

‘હું છું એક ધીરે ધીરે રાણું થતું ફાનસ!
હું છું એક મધ્યમ વર્ગનો માણસ!’

કવિએ શ્રદ્ધાંજલિ રૂપે પણ કેટલાંક કાવ્યો રચ્યાં છે. ‘હરિનો હંસલો’ એ ગાંધીજીના અવસાનના આઘાતથી સર્જાયેલું કરુણસભર કાવ્ય છેઃ

‘કોણે રે દૂભ્યો ને કોણે વીંધિયો?
કલંકીએ કોણે કીધા ઘા?

કોણ રે અપરાધી માનવજાતનો
જેને સૂઝી અવળી મત આ?
રુધિરે રંગાયો હરિનો હંસલો!’

૭-૭-૨૦૨૧
અમદાવાદ — ઊર્મિલા ઠાકર