કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૩૨. ઝાકળની પિછોડી

From Ekatra Wiki
Revision as of 08:53, 18 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૩૨. ઝાકળની પિછોડી

બાલમુકુન્દ દવે

જૂઠી ઝાકળની પિછોડી
મનવાજી મારા! શીદ રે જાણીને તમે ઓઢી?
સોડ રે તાણીને મનવા! સૂવા જ્યાં જાશો ત્યાં તો —
શ્વાસને સેજારે જાશે ઊડી
મનવાજી મારા જૂઠી ઝાકળની પિછોડી!

બળતા બપ્પોર કેરાં અરાંપરાં ઝાંઝવાંમાં —
તરસ્યાં હાંફે રે દોડી દોડી;
મનનાં મરગલાંને પાછાં રે વાળો વીરા!
સાચાં સરવરિયે દ્યોને જોડી.
મનવાજી મારા જૂઠી ઝાકળની પિછોડી!

સાચાં દેખાય તે તો કાચાં મનવાજી મારા!
જૂઠાં રે જાગર્તિનાં મોતી;
સમણાંને ક્યારે મોરે સાચાં મોતી-મોગરાજી!
ચૂની ચૂની લેજો એને તોડી.
મનવાજી મારા! જૂઠી ઝાકળની પિછોડી!

એવું રે પોઢો મનવા! એવું રે ઓઢો મનવા!
થીર રે દીવાની જેવી જ્યોતિ;
ઉઘાડી આંખે વીરા! એવાંજી ઊંઘવાં કે —
કોઈ નોં શકે રે સુરતા તોડી.
મનવાજી મારા! જૂઠી ઝાકળની પિછોડી!

૧૯૫૪
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૨૨)