કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૨૨. મંજીરાં

From Ekatra Wiki
Revision as of 12:24, 18 July 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૨. મંજીરાં


મંજુલ મંજુલ મનમધુવનમાં
બજે બજે મંજીરાંઃ
બજે બજે મંજીરાં.

રૂમઝૂમ લેહ લગાવત રમઝટ,
ગુંજત, ઠમકત, નાચત ઘટઘટ,
કાયાના કટકા કરનારા
કંપ-અજંપ અધીરાઃ
મંજુલ મંજુલ મનમધુવનમાં
બજે બજે મંજીરાં.

લોચન ઘૂમત અલખલગનમાં,
આકુલવ્યાકુલ વિરહ-અગનમાં,
મનમોહનની સન્મુખ નાચી
મંજીરાં લઈ મીરાંઃ
મંજુલ મંજુલ મનમધુવનમાં
બજે બજે મંજીરા.

ભજનાનંદી ભવસાગરમાં,
વનમાં, ઘરમાં કે મંદરમાં,
હરિગુણ ગાવત, ધૂન મચાવત,
ઢૂંઢત ગહન-ગભીરાઃ
મંજુલ મંજુલ મનમધુવનમાં
બજે બજે મંજીરાં.
(દીપ્તિ, પૃ. ૩૪)