કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૨૧. સાંભરી આવું તો…

From Ekatra Wiki
Revision as of 08:00, 15 December 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૨૧. સાંભરી આવું તો…

જો ક્યારેક હું સાંભરી જાઉં;
તો પંખીડાંને ચણ પૂરજો,
એકાદ વૃક્ષને પાણી પાજો,
ઠાકર-દુવારે દર્શન કરજો
ને ઝાલરનો રણકો મધમીઠો રેલાવી દેજો હવામાં.

છોકરાંઓને ભાગ વહેંચજો,
ગાવડીની ડોક પંપાળજો ને ગલૂડિયાં રમાડજો.
એકાદ સુકાતી નદીને તીરે બેસી
ઢળતી સાંજ ને ડૂબતો સૂરજ નિહાળી લેજો ઘડીક…
જો ક્યારેક હું સાંભરી આવું તો.

૨૬-૨-૭૨
(જળમાં લખવાં નામ, પૃ. ૯૨)