કુંવરબાઈનું મામેરું/સંપાદક-પરિચય

From Ekatra Wiki
Revision as of 14:49, 28 October 2021 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સંપાદક-પરિચય

ચાર દાયકા સુધી ગુજરાતી ભાષાસાહિત્યનું અધ્યાપન કરીને વડોદરાની મ.સ.યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયેલા, અને ૧૯૮૦-૮૫ દરમ્યાન ગુજરાતી સાહિત્ય પરિષદ-નિર્મિત ગુજરાતી સાહિત્યકોશના એક સંપાદક રહેલા પ્રો. રમણ સોની(જ. ૭-૭-૧૯૪૬) ગુજરાતીના વિવેચક, નિબંધકાર, અનુવાદક, સંશોધક અને સંપાદક છે. કવિ-વિવેચક ઉશનસ્‌ એ શોધનિબંધમાં તથા વિવેચનસંદર્ભ, સાભિપ્રાય, સમક્ષ,વગેરે વિવેચનગ્રંથોમાં વસ્તુના નક્કર સ્પર્શવાળું વિવેચન આપનાર ડૉ. સોની ગુજરાતી વિવેચનના વિશેષો અને વિલક્ષણતાઓ પર સતત નજર રાખતા રહ્યા છે. મરમાળી અભિવ્યક્તિથી નિઃસંકોચપણે નિર્ભીત વિવેચન કરવા છતાં વિવેચનમાં એમનો મૂળ અભિગમ તટસ્થ, વિધાયક અને ઇતિહાસલક્ષી રહ્યો છે. એમણે મધ્યકાલીન અને અર્વાચીન કૃતિઓનાં નમૂનેદાર શાસ્ત્રીય સંપાદનો આપ્યાં છે એમાં ૧૬મી સદીના કવિ વિષ્ણુદાસકૃત ચંદ્રહાસ-આખ્યાનનું સમીક્ષિત સંપાદન ઉત્તમ છે. સમયદર્શી સાહિત્યસંદર્ભકોશના ૪ ગ્રંથો એમનું યશસ્વી કોશકાર્ય છે. જેની ૧૭ આવૃત્તિઓ થઈ છે એ તોત્તોચાન ઉપરાંત અમેરિકા છે ને, છે જ નહીં –જેવા સહજ સુંદર અનુવાદગ્રંથો, વલ્તાવાને કિનારે તથા હિમાલય અને હિમાલય જેવાં પ્રવાસ-પુસ્તકો, સાત અંગ, આઠ નંગ, અને– જેવો હાસ્યનિબંધસંગ્રહ સર્જકતાનો સ્પર્શ ધરાવે છે. એમણે કરેલાં અનેકવિધ અભ્યાસશીલ સંપાદનોમાં શાસ્ત્રીયતા અને વિવેચકની સજ્જતાનો સુમેળ છે. અઢી દાયકા(૧૯૯૧-૨૦૧૭) સુધી એમણે કરેલા પ્રત્યક્ષ સામયિકના સંપાદને પુસ્તક-સમીક્ષા-ક્ષેત્રે અમીટ છાપ છોડી છે. પ્રત્યક્ષના ઉપક્રમે થયેલા નેપથ્યેથી પ્રકાશવર્તુળમાં તથા અવલોકનવિશ્વ જેવા મહત્ત્વના બૃહદ સંપાદનગ્રંથો ચિરસ્મરણીય છે. વિવેચનમાં તેમજ સર્જનાત્મક લેખનમાં એમનું સઘન છતાં મરમાળુ ગદ્ય હંમેશાં રસપ્રદ બની રહે છે એ તેમની વિશેષ ઓળખ છે.

–કિશોર વ્યાસ