ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગવરીબાઈ-ગૌરીબાઈ

Revision as of 09:53, 8 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ગવરીબાઈ/ગૌરીબાઈ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-અવ. ઈ.૧૮૦૯/સં. ૧૮૬૫, ચૈત્ર સુદ ૯] : જ્ઞાનમાર્ગી સ્ત્રીકવિ. જન્મ ડુંગરપુરમાં, લગભગ ઈ.૧૭૫૯માં. જ્ઞાતિ વડનગરા નાગર ગૃહસ્થ. ૫-૬ વર્ષની વયે લગ્ન. પણ ૮ જ દિવસમાં વૈધવ્ય પ્રાપ્ત થતા જ્ઞાનભક્તિ તરફ વળ્યાં. લખતાંવાંચતાં શીખી ઉપનિષદ, ગીતા, ભાગવતાદિ ગ્રંથોનું સેવન કર્યું ને સાધ્વી તરીકે પ્રતિષ્ઠા પામ્યાં. ડુંગરપુરનરેશ શિવસિંહે તેમને માટે ઈ.૧૭૮૦માં બંધાવેલા કૃષ્ણમંદિરમાં ઈ.૧૮૦૪ સુધી રહ્યાં તે દરમ્યાન યોગમાર્ગનો અભ્યાસ કરી ૧૫ દિવસ સુધી સમાધિમાં રહેવાની સિદ્ધિ પ્રાપ્ત કરી. પછીથી તીર્થયાત્રાએ નીકળી કાશીમાં નિવાસ કર્યો, જ્યાં કાશીનરેશ સુંદરસિંહે તેમની પાસેથી યોગ પ્રાપ્ત કર્યો. ત્યાં જ સમાધિ દ્વારા દેહવિસર્જન. બારમાસી, તિથિ, વાર, ગરબી વગેરે પ્રકારભેદો દર્શાવતાં તેમ જ ગુજરાતી ઉપરાંત હિંદી ને રાજસ્થાની ભાષાનો આશ્રય લેતાં ગવરીબાઈનાં પદો  (૬૦૯ મુ.)માં સગુણ-નિર્ગુણ-ઉપાસના તથા રામકૃષ્ણભક્તિનો સમન્વય થયેલો છે. સાચી અધ્યાત્મનિષ્ઠા, સમુચિત અલંકારોનો ઉપયોગ, વાણીની તળપદી છટા અને રાગ-ઢાળનું વૈવિધ્ય ગવરીબાઈને ગુજરાતની જ્ઞાનમાર્ગી કવયિત્રીઓમાં માનભર્યું સ્થાન અપાવે છે. ગવરીબાઈના ગદ્યનો નમૂનો તેમની ‘ગુરુશિષ્ય પ્રશ્નોત્તરી’(મુ.)માં જોવા મળે છે. હરિકૃષ્ણ મહારાજ તથા જિતામુનિ નારાયણના નિર્દેશ ધરાવતાં પદો આ ગવરીબાઈનાં હોઈ શકે, પરંતુ એ વિશે પ્રમાણભૂત રીતે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. ગવરીકીર્તનમાલા, સં. ‘મસ્ત’, ઈ.૧૯૩૭ (+સં.); ૨. ગવરીબાઈનું જન્મચરિત્ર, અચરતલાલ મ. ભચેચ, ઈ.૧૮૮૨ - પદો;  ૩. બૃકાદોહન:૧; ૪. સંતોની વાણી, સં. ભગવાનજી મહારાજ, ઈ.૧૯૨૦ (+સં.). સંદર્ભ : ૧. અસંપરંપરા; ૨.ગુસામધ્ય;  ૩. ગૂહાયાદી. [ચ.શે.]