ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણાતીતાનંદ

Revision as of 12:35, 8 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ગુણાતીતાનંદ [જ.ઈ.૧૭૮૫/સં. ૧૮૪૧, આસો સુદ ૧૫, મંગળવાર-અવ.ઈ.૧૮૬૭/સં. ૧૯૨૩, આસો સુદ ૧૨, ગુરુવાર] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ. સહજાનંદશિષ્ય. જામનગર પાસે ભાદરા ગામે બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મ. જન્મનામ મૂળજી. પિતાનામ ભોળાનાથ શર્મા. માતાનામ સાકરબા. બાળપણથી જ ત્યાગ અને વૈરાગ્યના સંસ્કારો. પહેલાં રામાનંદસ્વામીના અનુયાયી ભક્ત. પછીથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામી સહજાનંદ પાસે ઈ.૧૮૧૦માં દીક્ષા લીધી. જૂનાગઢ મંદિરના પ્રારંભથી જ દેખભાળનું કામ કર્યું અને પછીથી મહંતપદે આવ્યા. અક્ષરવાસ ગોંડલમાં. સ્વામી સહજાનંદે તેમને અક્ષરમૂર્તિ તરીકે ઓળખાવ્યા હતા. પ્રતાપી વ્યક્તિત્વ ધરાવતા ગુણાતીતાનંદે ધર્મપ્રચાર અને સમાજસુધારાનું અસરકારક કામ કરી સંપ્રદાયમાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ગુણાતીતાનંદે અનેક પ્રસંગોએ ધર્મબોધની અને સહજાનંદસ્વામીની વાતો કરેલી તે (મુ.) એમના જાગાભક્ત વગેરે કેટલાક ભક્તો દ્વારા નોંધાયેલી છે. એમાં કેટલાક ભાગોમાં ગુણાતીતાનંદસ્વામીનાં વચનો જ ઉતારવામાં આવ્યાં છે, પરંતુ કેટલાક ભાગોમાં પ્રસંગનો સંદર્ભ એટલી વીગતે વર્ણવાય છે કે તેનું કર્તૃત્વ ગુણાતીતાનંદસ્વામીનું ન જ ગણી શકાય. એ ભાગો કેટલેક અંશે ચરિત્રવર્ણનના બની જાય છે. સ્વામીની વાતોમાં બોલચાલની સરળ શૈલીમાં અને દૃષ્ટાંત સાથે ધર્મબોધ અપાયેલો જોવા મળે છે. કૃતિ : ૧. ગુણાતીતાનંદસ્વામીની વાતો, સં. બાલમુકુંદદાસજી, સં. ૧૯૭૫; ૨. ગુણાતીતાનંદસ્વામીની વાતો, પ્ર. બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમની સંસ્થા, ઈ.૧૯૭૬(ત્રીજી આ.) (+સં.). સંદર્ભ : ગુણાતીતાનંદ સ્વામી: ૧-૨, સં. હર્ષદરાય ત્રિ. દવે, ઈ.૧૯૭૭ (બીજી. આ.)[હ.ત્રિ.]