ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોપાલદાસ-૩

Revision as of 07:32, 9 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ગોપાલદાસ-૩ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : વ્યારા (દક્ષિણ ગુજરાત)ના વૈષ્ણવ વણિક. ગોકુલનાથજી (ઈ.૧૫૫૨-ઈ.૧૬૪૧)ના શિષ્ય. વૈષ્ણવોના ભરરુચીપંથનો આધાર તેમનું સાહિત્ય છે ને તેથી તેમને જ્ઞાનશક્તિનો અવતાર ગણાવાયા છે. પ્રાકટ્યસિદ્ધાંત (અંશત: મુ.), ગુજરાતપ્રસંગ/રસિકરસ (૨.ઈ.૧૬૪૩; મુ.), તૃતીય તરંગ, માલોદ્ધાર (અંશત: મુ.) અને પંચમ તરંગ - એ ૫ તરંગો તથા દરેક તરંગમાં કેટલાંક માંગલ્યોમાં વહેંચાયેલો એમનો ‘ગોકુલેશરસાબ્ધિક્રીડાકલ્લોલ’ (અંશત: મુ.) એ ગ્રંથ વલ્લભાચાર્યજી અને વિઠ્ઠલજીનું ટૂંકું ચરિત્ર આપી ગોકુલનાથજીના ચરિત્રનું વિસ્તારપૂર્વક વર્ણન કરે છે તથા ઐતિહાસિક પ્રબંધ તરીકે ઘણું મહત્ત્વ ધરાવે છે. ‘રસિકરસ’ના પહેલા ૫ માંગલ્યની પુષ્પિકામાં જાની જમુનાદાસનું તથા છેલ્લા માંગલ્યને અંતે પુષ્પિકામાં વડોદરાના નાગર ગોકલદાસનું સહકર્તૃત્વ હોવાનો નિર્દેશ નોંધાયો નથી તેથી આ હકીકત ખાસ ધ્યાન ખેંચે છે. એમના ‘સ્વરૂપરસાવલિ’માં શ્રીજી અને ભક્તોના આધિદૈવિક સ્વરૂપ તથા જીવનનું વર્ણન છે. કવિના અન્ય ગ્રંથો ‘તત્ત્વાર્થદોહન’, ‘ભક્તભાવાર્થ’, ‘મનપ્રબોધ’, ‘ગોકુલેશપુર’ વગેરે છે. કવિએ ગુજરાતી તેમ જ વ્રજ ભાષામાં ગોકુલનાથજીના જન્મ, વિવાહ આદિ પ્રસંગોને અનુલક્ષીને વર્ણનાત્મક અને લલિતમધુર ભાષાભિવ્યક્તિ ધરાવતાં ધોળ અને પદ (કેટલાંક મુ.) રચ્યાં છે. ૬૬ કડીનું ગોકુલનાથજીની દિનચર્યાને વર્ણવતું ‘નિત્યચરિત્રનું ધોળ’, ગોકુલનાથજીના આગમનની વધાઈ ગાતું ૩૧ કડીનું પદ તથા ૨૦ કડીનું ‘ગોકુલેશજીના અઠ્યોતેર ભગવદીયનું ધોળ’ એ એમની આ પ્રકારની દીર્ઘ રચનાઓ છે. કૃતિ : ૧. (શ્રી) ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૧૬; ૨. ગોકુલેશજીનું જીવનચરિત્ર, મગનલાલ લા. ગાંધી, સં. ૧૯૭૮ - ‘પ્રાકટ્યસિદ્ધાંત’માંથી ઉદ્ધરણો;  ૩. અનુગ્રહ, નવે. તથા ડિસે. ૧૯૫૪ - ‘રસિકગ્રંથ’, સં. ચીમનલાલ મ. વૈદ્ય (+સં.); ૪. એજન, જાન્યુ. તથા માર્ચ ૧૯૫૮ - ‘મલોદ્ધારચરિત્ર’; ૫. એજન, એપ્રિલ, જૂન તથા સપ્ટે. ૧૯૬૩ - ‘પ્રાકટ્યસિદ્ધાંત’. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગોપ્રભકવિઓ.[ર.સો.]