ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જગજીવન-૧

Revision as of 05:43, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જગજીવન-૧ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જ્ઞાનમાર્ગી કવિ. મૂળ ચરોતરના. પછી ઘણો વખત ભાવનગરમાં ગાળ્યો. છેલ્લે તેઓ અમદાવાદ પાસે રાજપુરના પુષ્કર તળાવ નજીક રામનાથ મહાદેવમાં રહેતા હતા. તેમણે સંન્યસ્ત સ્વીકાર્યું હતું. વેદાંતની જાણકારી અને તેને વિશદ રીતે તાર્કિકતાથી રજૂ કરવાની ફાવટ ધરાવતા આ કવિની જ્ઞાનમાર્ગી કૃતિઓમાં વેદાંતના આધારે બ્રહ્મ, જીવ, દેહ, ભક્તિ, વૈરાગ્ય, મોક્ષ ઇત્યાદિની ગુરુશિષ્ય-સંવાદ રૂપે મીમાંસા કરતી ૯ અધ્યાયની ‘નરબોધ’ (ર.ઈ.૧૭૧૬/સં. ૧૭૭૨, મહા વદ ૭, શુક્રવાર; મુ.), એ જ પ્રકારની ગુરુશિષ્ય-સંવાદરૂપ ‘સપ્તાધ્યાયી’ (મુ.), ૨૧૬/૨૧૭ કડીની ‘જ્ઞાનમૂળ/જ્ઞાનપ્રકાશ’ (ર.ઈ.૧૭૧૬/સં. ૧૭૭૨, કારતક વદ ૭, સોમવાર), ‘જ્ઞનગીતા’ તથા શંકરાચાર્યની સંસ્કૃત ‘મણિરત્ન-માળા’નો સટીપ્પણ ગદ્યાનુવાદ (ર.ઈ.૧૭૧૭/સં. ૧૭૭૩, જેઠ સુદ ૭) એ કૃતિઓનો સમાવેશ થાય છે. ૨ સર્ગની ‘રામકથા’ તથા ‘શિવવિવાહ’ એમની ચરિત્રાત્મક કૃતિઓ છે, પરંતુ ‘રામકથા’માં તો રામ એટલે આત્મા એ જાતની રૂપકશ્રેણીથી ‘રામાયણ’ ના કથાવસ્તુનું આધ્યાત્મિક અર્થઘટન થયેલું છે. કૃતિ: ૧. મણિરત્નમાળા, પ્ર. હરજીવન પુરુષોત્તમ, ઈ.૧૮૬૮; ૨. સપ્તધ્યાયી તથા નરબોધ, સં. રમણ હ. કાંટાવાળા, ઈ.૧૯૨૨;  ૩. કાદોહન : ૧ સંદર્ભ : ૧. કવિચરિત:૩; ૨; ગુસાપઅહેવાલ:૨૬ - ‘રામકથા - જગજીવનની એક અપ્રગટ કૃતિ’, અનિલકુમાર યો. ત્રિપાઠી; ૩. પ્રાકકૃતિઓ; ૪. સાહત્યકાર અખો, સં. મંજુલાલ મજમુદાર, ઈ.૧૯૪૯ - ‘મધ્યકાલીન કવિતામાં જ્ઞાનપરંપરા’, રવિશંકર ન. પાઠક;  ૫. કદહસૂચિ; ૬. ગૂહાયાદી; ૭. હેજૈજ્ઞાસૂચિ:૧.[ચ.શે.]