ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/‘જસમાનો રાસડો

Revision as of 11:21, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


‘જસમાનો રાસડો : સહસ્રલિંગ તળાવ ખોદવા આવેલા ઓડ જાતિનાં લોકોમાંની એક સ્ત્રી જસમા પર ગુજરાતના સુપ્રસિદ્ધ રાજવી જયસિંહ સિદ્ધરાજે કુદૃષ્ટિ કરતાં એણે જયસિંહને વાંઝિયાપણાનો શાપ આપેલો એવી દંતકથા ગુજરાતમાં ખૂબ જાણીતી છે. આ કથાને વિષય કરીને રચાયેલા ૪ રાસડા (=ઐતિહાસિક લોકગીતો) મુદ્રિત મળે છે, તેમાં, કેટલાક પાઠભેદો પણ બતાવતો, આશરે ૧૬૮ પંક્તિઓમાં વિસ્તરતો રાસડો વધારે ધ્યાન ખેંચે છે. એમાં જેસંગ (જયસિંહ)ને કોઈ યાચકે કરેલા જસમાના રૂપવર્ણનથી એના તરફ આકર્ષાતો બતાવાયો છે, પરંતુ તળાવ ખોદાવવાનું સૂચન તો રાણીનું છે. એને સ્વપ્ન આવે છે કે લોકો પાણી વિના તરફડી રહ્યા છે. તેથી દૂધમલ ભાણેજ મારફત ઓડાંને તેડાવવા કાગળ મોકલવાનું કહે છે. કાગળ લઈ જનાર બારોટને કોઈ મોટેરા જસમાનું ઘર બતાવતા નથી પણ બાળકો બતાવે છે ને જસમાનાં સ્વજનો એને આ તેડું ન સ્વીકારવા સમજાવે છે તે ઠગારા લોક પ્રત્યેનો એમનો અવિશ્વાસ બતાવે છે. પણ પાટણ આવ્યા પછી જેસંગે ધરેલી કોઈ લાલચમાં જસમા ફસાતી નથી તેથી અંતે યુદ્ધ થતાં ઓડ લોકો મરાય છે ને એમને અગ્નિદાહ આપવા ખડકાયેલી ચેહમાં જસમા ઝંપલાવે છે તથા જેસંગને વાંઝિયામેણાનો શાપ આપે છે. મૂળ દક્ષિણ તરફની ઓડ જાતિ આ ગીતમાં એક વખત વાગડની તો બીજી વખત સોરઠની રહેવાસી હોવાનું સૂચવાયું છે. જસમાના ઘરની પૂછતાછ, જસમાને તેડું ન સ્વીકારવાની સ્વજનોની સલાહ, જસમાને જેસંગે આપેલી લાલચો અને એણે કરેલા ઇનકાર - આ પ્રકારના સંવાદોમાં ગીતનો મોટો ભાગ રોકાયેલો છે ને તેમાં વ્યક્તિ-વસ્તુઓની યાદી કરતા જઈ કથયિતવ્યને ઘૂંટવાની લાક્ષણિક લોકશૈલીનું અનુસરણ છે. જેસંગની લાલચોની સામે “અમારે ઓડાંને ભલાં ખાબડાં” “ઘોડીલાં સરખાં રે મારે ખોલકાં” “અમારે ઓડાંને ભલી લોબડી” “અમારે કેડોનો લાંક લોહે ઘડ્યો” વગેરે જવાબો આપતી જસમાની ઉક્તિઓમાં આ મજૂર-જાતિનું જીવનચિત્ર ઊપસે છે. “ઘણું રે જીવો રાજા વાંઝિયો” એ જસમાની ઉક્તિ આશીર્વાદ-શાપના મિશ્ર તંતુથી માર્મિક બને છે અને “હું કેમ ન સરજ્યો પાહાણ કો” “પથરો જાણી તું પાહાની ઘસત” જેવી, જસમાના સમાજસંદર્ભને અનુરૂપ, કલ્પનાઓથી વ્યક્ત થતો, જેસંગનો જસમા પ્રત્યેનો ઉત્કટ અનુરાગ વિલક્ષણ લાગે છે. જસમાના નિવાસના, એના બેસણાના, ખોદકામ કરતી વેળાના એના ગતિશીલ સૌંદર્યનાં-કંકુવરણાં પગલાં, સૂરજમાં ઢળતી છાયા, પરસેવાનાં મોતીડાં વગેરે - સુરેખ સ્વચ્છ નાનકડાં વર્ણનો પણ ધ્યાન ખેંચે એવાં છે. “પેટ એનું પોયણ કેરું પાન; પાંસળિયે એને દીવા બળે” એ લોકસાહિત્યની સૌન્દર્યવર્ણનની આગવી લકીર છે. કૃતિ : ૧. ગુજરાતી લોકસાહિત્યમાળા, સં.ગુજરાત લોકસાહિત્ય સમિતિ, ઈ.૧૯૫૭; ૨. ગુસાપઅહેવાલ : ૮ - ‘સિદ્ધરાજ અને જસમાના ઐતિહાસિક રાસડા’, છગનલાલ વિ. રાવળ.[જ.કો.]