ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/એકાવલી

Revision as of 08:44, 20 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


એકાવલી : આશરે ૧૨૮૫-૧૩૨૫ દરમ્યાન રચાયેલો વિદ્યાધરકૃત સંસ્કૃત અલંકારશાસ્ત્રનો ગ્રન્થ. ગ્રન્થમાં આઠ ઉન્મેષ છે અને કારિકા, વૃત્તિ ને દૃષ્ટાંત – એ રીતે વિષયનિરૂપણ થયું છે. પહેલા ઉન્મેષમાં કાવ્યસ્વરૂપ, બીજામાં શબ્દશક્તિ ને વૃત્તિઓ, ત્રીજામાં ધ્વનિના પ્રભેદો, ચોથામાં ગુણીભૂતવ્યંગ્ય, પાંચમામાં ગુણ અને રીતિ, છઠ્ઠામાં દોષ, સાતમામાં શબ્દાલંકાર ને આઠમામાં અર્થાલંકારનું નિરૂપણ છે. એમણે ગ્રન્થમાં આપેલાં દૃષ્ટાંતોમાં ઉત્કલનરેશ નરસિંહની પ્રશસ્તિ છે. વિદ્યાધર ધ્વનિવાદી આલંકારિક છે. આ ગ્રન્થ પર ‘ધ્વન્યાલોક’, ‘કાવ્યપ્રકાશ’ અને ‘અલંકારસર્વસ્વ’નો ખૂબ પ્રભાવ છે. મલ્લિનાથની ‘તરલા’ નામની ટીકા આ ગ્રન્થ પર ઉપલબ્ધ છે. વિદ્યાધર ઉત્કલનરેશ નરસિંહના સમયમાં થઈ ગયા. તેમણે ‘કેલિરહસ્ય’ નામનો બીજો ગ્રન્થ રચ્યો હોવાનું પણ મનાય છે. જ.ગા.