ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ઘ/ઘનિષ્ઠવાચન

Revision as of 13:56, 25 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ઘનિષ્ઠવાચન, સૂક્ષ્મવાચન (Close-Reading): અમેરિકી નવ્ય વિવેચનના ઉદય પહેલાં સાહિત્યકૃતિને ઇતિહાસ, મૂળ સ્રોત, કર્તાનું જીવનચરિત્ર કે એનો મનોભાવ, યુગદૃષ્ટિ કે પ્રવર્તમાન વિચારધારા વગેરે ધોરણોથી તપાસવાની જે પરંપરા હતી, તેના વિરોધમાં નવ્ય વિવેચને કૃતિનું કેવળ સાહિત્યધોરણોએ વિવેચન કરવા પર ભાર મૂક્યો. તે માટે કૃતિ બહારથી કશું આયાત કર્યા વગર, માત્ર કૃતિનું ‘ઘનિષ્ઠ વાચન’ કરવાનો અને એમ કેવળ કૃતિગત સંદર્ભોનો જ આધાર લઈને કૃતિનું અર્થઘટન કરવાનો આગ્રહ રાખ્યો હતો. હ.ત્રિ.