ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ધ/ધ્વનિકાવ્ય

Revision as of 12:28, 26 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ધ્વનિકાવ્ય : આનંદવર્ધને ધ્વનિસિદ્ધાન્તમાં ધ્વનિ શબ્દને પાંચ અર્થમાં વાપર્યો છે. એમાંનો એક અર્થ થાય છે વ્યંગ્યપ્રધાનકાવ્ય. વ્યંગ્યપ્રધાનકાવ્ય ધ્વનિકાવ્ય છે. આ સિદ્ધાન્તે સ્પષ્ટ કર્યું કે વાચ્યાર્થથી વ્યંગ્યાર્થમાં અધિક ચમત્કાર હોય છે. અને તેથી જ વાચ્યાર્થની અપેક્ષાએ વ્યંગ્યાર્થ અધિક હોય તે કાવ્યને ધ્વનિકાવ્ય સંજ્ઞા આપી, એને ‘ઉત્તમ’ કે ‘ઉત્તમોત્તમ’ કાવ્ય તરીકે ઓળખાવ્યું છે. આનંદવર્ધન, મમ્મટ જેવા આચાર્યોએ વ્યંગ્યની પ્રધાનતા, ગૌણતા અને અભાવને અનુલક્ષીને અનુક્રમે ધ્વનિકાવ્ય, ગુણીભૂતવ્યંગ્યકાવ્ય અને ચિત્રકાવ્ય એવા ત્રણ મહત્ત્વના ભેદ પાડ્યાા છે. આમ સંસ્કૃત અલંકારશાસ્ત્રમાં ઉત્કૃષ્ટ વ્યંગ્યાર્થથી યુક્ત કાવ્ય ધ્વનિકાવ્ય છે. ચં.ટો.