વસુધા/દર્દ દુર્ઘટ

From Ekatra Wiki
Revision as of 16:26, 17 June 2023 by Meghdhanu (talk | contribs) (પ્રૂફ રીડિંગ સંપન્ન)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
દર્દ દુર્ઘટ

અરે રે આ બિચારીને જુઓ કૈં કંઇ થાય છે,
નાકનું ટેરવું કેવું વળાકા શત ખાય છે!

ઊડે છે અહીંથી ત્યાં ને ત્યાંથી એ આવતી અહીં,
મારા દીવાનખાનામાં દીવાની દર્દથી બની.

બેસતાં ગુલદાને ત્યાં તીવ્ર આઘાત પામતી,
સ્વચ્છ આ શ્વેત શય્યામાં કારમાં કંપ વામતી.

છબીની પરીને ગાલે અડતાં ઊડી જાય છે,
મારા સુશ્રીક આ ખંડે લીલા કુશ્રીક થાય છે!

છાતી છે હાંફતી બેદમ, પાખો પૂર્ણ વીંઝાય છે,
લચે છે આંખના ડોળા કીકી ટગટગુ થાય છે. ૧૦

જીવડો દેહ છોડીને ધસવા બ્હાર ધાય છે,
વિશ્વના વૈદ લોકો હે! દર્દ એનું કળાય છે?

દવા છે દર્દની સ્હેલી, દર્દ દુર્ઘટ જાણવું.
પ્હોંચાડો આવી એ જ્યાંથી, માખી એ જાજરૂતણી!