સોરઠી બહારવટિયા ભાગ-2/2. કાદુ મકરાણી

Revision as of 11:35, 20 October 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
2. કાદુ મકરાણી
[સંવત 1939-1941: સન 1883-1885]
ઇતિહાસમાં ઉલ્લેખ

કીનકેઇડ કૃત ‘આઉટલૉઝ ઑફ કાઠિયાવાડ’માં એક શબ્દ પણ નથી. મરહૂમ જસ્ટિસ બીમન (બૉમ્બે હાઈકોર્ટ) પોતાના ‘રીફ્લેક્શન્સ ઑફ ઓલ્ડ ડેઝ ઈન કાઠિયાવાડ’ નામના લેખમાં (‘સાંજ વર્તમાન’, ન્યુ યર નંબર : 1910) લખે છે કે : “Kadir Baksh too, cruel and hypocritical as Raide, but not so cowardly, the terror for more than one year of the Gir Jungle and the plains that fringed it.” તે ઉપરાંતનું એમનું લખાણ આ વૃત્તાંતમાં છૂટક છૂટક ફૂટનોટો તરીકે મુકાયેલ છે. કૅપ્ટન બેલ કૃત ‘હિસ્ટરી ઑફ કાઠિયાવાડ’માં 241-242મા પાનાં પર ટૂંકો ઉલ્લેખ છે. તેની મતલબ એટલી જ છે કે : 1. ઇણાજ ગામનો ભોગવટો કરનાર મકરાણીઓએ રાજ્યથી સ્વતંત્ર થવાનો દાવો કર્યો. તેઓએ અમુક ઇણાજવાસીએ કરેલા ગંભીર ગુનાની તપાસ માટે ત્યાં જનાર જૂનાગઢ પોલીસને પ્રવેશ કરવા ન દીધો. 2. રાજ્યે પોતાના હકના રક્ષણ માટે એજન્સીની મદદ માગી. મકરાણીઓને ચેતવણીનો સંદેશો મોકલ્યો. તેઓએ કાસદનું અપમાન કર્યું. 3. ઈ.સ. 1884ના ઑગસ્ટ માસની ચોથી તારીખે સાઠ સવાર અને દોઢસો પાયદળની ફોજ ઇણાજ પર મોકલવામાં આવી. કર્નલ સ્કૉટ સાથે ગયો. પચીસ મકરાણી અગે્રસરોને હથિયાર છોડવા ને જૂનાગઢની હકૂમત સ્વીકારવા કહાવ્યું. મકરાણીઓ હા કહીને પાછા ફરી ગયા. ફોજ પર ગોળીબાર કર્યો. છેવટે ફોજે ગામને ઉડાવ્યું. મકરાણીઓને પક્ષે છ મરાયા. ત્રણ ઘવાયા. ફોજ પૈકી સાત મરાયા ને પંદર ઘવાયા. 4. છ-સાત મકરાણીઓ ભાગી છૂટ્યા, બહારવટે નીકળ્યા. તેઓએ 81 ગામડાં ભાંગ્યાં, 21 ખૂનો કર્યાં, ને 98 નાક કાપ્યાં. 5. 1887માં તેઓ મકરાણ તરફ ભાગી જતાં પકડાયા. તેઓને ફાંસીની સજા મળી.