સ્વાધ્યાયલોક—૧/પઠન

From Ekatra Wiki
Revision as of 11:49, 23 March 2022 by Shnehrashmi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પઠન}} {{Poem2Open}} કવિતા, નાટક, નવલકથા, વાર્તા, નિબંધ આદિ સહિત્ય એ વ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પઠન

કવિતા, નાટક, નવલકથા, વાર્તા, નિબંધ આદિ સહિત્ય એ વાણીની કળા છે. એથી એ શ્રાવ્ય કળા છે. મુદ્રણયંત્રની શોધ પછી એના ગ્રંથસ્થ મુદ્રિત સ્વરૂપ દ્વારા અને પ્રત્યેક ગ્રંથની અનેક પ્રતો દ્વારા સાહિત્યનો, અલબત્ત, વ્યાપક પ્રચાર થયો છે. પણ એથી એ દૃશ્ય કળા નથી, એ પૂર્વવત્ શ્રાવ્ય કળા જ છે. મુદ્રણયંત્રની શોધ પછી હવે આપણી યુગમાં ધ્વનિમુદ્રણયંત્રની શોધને કારણે સાહિત્યના પઠનનો પણ એટલો જ વ્યાપક પ્રચાર શક્ય થયો છે. સારાભાઈ પ્રતિષ્ઠાન આ મહાન શક્યતાથી સંપૂર્ણ સભાન છે. એથી ગુજરાતી સાહિત્યના પઠનનો વ્યાપક પ્રચાર થાય એટલું જ નહિ પણ સાહિત્યકારોના સ્વમુખે એમના સાહિત્યનું પઠન. સાહિત્યરસિકોને સુલભ થાય એ માટે સારાભાઈ પ્રતિષ્ઠાન ગુજરાતમાં સર્વપ્રથમ પ્રવૃત્ત થયું છે. સાહિત્યનું પઠન એક કળા છે. શ્રમસાધ્ય અને કષ્ટસાધ્ય કળા છે. વળી સાહિત્યનું સર્જન કરવું અને સાહિત્યનું પઠન કરવું એ બન્ને સ્વતંત્ર કળા છે. એથી જ સાહિત્યનું પઠન કરવા માટે સ્વતંત્ર કલાકારો, પાઠકો હોય છે. ક્યારેક સાહિત્યકાર સ્વયં ઉત્તમ પાઠક પણ હોય છે. છતાં શક્ય છે કે સાહિત્યકાર પોતાના જ સાહિત્યનો ઉત્તમ પાઠક ન પણ હોય. છતાં ત્યારે પણ એના પઠનનું સવિશેષ મૂલ્ય હોય છે. સાહિત્યકૃતિનું સર્જન થાય તે સમયે એટલે કે એ ભાવક સમક્ષ પ્રગટ થાય તે પૂર્વે તો સાહિત્યકાર જ એ સર્જનપ્રક્રિયાનો, એ સર્જનપ્રક્રિયાના સમયના વિકલ્પો અને નિર્ણયોનો એકમાત્ર સાક્ષી હોય છે. એથી સાહિત્યકાર જ્યારે પોતાના સાહિત્યનું પઠન કરે છે ત્યારે એ આ અનન્ય સંદર્ભમાં પઠન કરે છે. સાહિત્યનું પઠન એ માત્ર પઠન નથી પણ એ સાહિત્યનું અર્થઘટન પણ છે. એથી સાહિત્યકાર જ્યારે પોતાના સાહિત્યનું પઠન કરે છે ત્યારે એના આરોહ-અવરોહ, સ્વરભાર, કાકુ, વિરામ, મૌન આદિ દ્વારા સાહિત્યનું એનું આગવું એવું અર્થઘટન પણ કરે છે. સાહિત્યકારની સમક્ષ એના સાહિત્યની જે વ્યક્તિતા છે, જે આકૃતિ છે, કલાકૃતિ છે તે આ પઠન દ્વારા જ પ્રગટ થાય છે. એથી સાહિત્યને આ સવિશેષ પરિમાણ પ્રાપ્ત થાય છે. સાહિત્યની આ વિશિષ્ટ મુદ્રા આ પઠન દ્વારા જ સાહિત્યરસિકોને સુલભ થાય છે. (સારાભાઈ પ્રતિષ્ઠાન, અમદાવાદના ઉપક્રમે સર્જકોના સ્વમુખે સ્વરચિત સાહિત્યકૃતિઓના પઠનની કેસેટ્સ તૈયાર કરવાના કાર્યક્રમ નિમિત્તે પ્રાસંગિક નોંધ. ૧૯૮૪)

*