હિમાંશી શેલતની વાર્તાઓ/સંપાદકનો પરિચય

From Ekatra Wiki
Revision as of 03:41, 5 March 2022 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| સંપાદકનો પરિચય | }} {{Poem2Open}} શરીફા વીજળીવાળાનો જન્મ તા. ૪-૮-૧૯...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સંપાદકનો પરિચય

શરીફા વીજળીવાળાનો જન્મ તા. ૪-૮-૧૯૬૨માં ભાવનગર જિલ્લાના અમરગઢ ગામે થયો હતો. એમણે વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાંથી બી.ફાર્મ, બી.એ. અને એમ.એ.ની ડિગ્રીઓ મેળવી. ડૉ. શિરીષ પંચાલના માર્ગદર્શન નીચે એમણે ‘ટૂંકી વાર્તામાં કથનરીતિનો અભ્યાસ’ એ વિષય ઉપર પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. ૧૯૯૧થી ૨૦૧૩ સુધી ૨૨ વર્ષ તેઓ સુરતની એમ. ટી. બી. આટ્‌ર્સ કૉલેજમાં ગુજરાતીનાં અધ્યાપક તરીકે કાર્યરત હતાં અને ૨૦૧૩થી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના ગુજરાતી વિભાગમાં કાર્યરત છે. ડૉ. શરીફા વીજળીવાળા એક અભ્યાસી વિવેચક, સંપાદક અને અનુવાદક તરીકે જાણીતાં છે. તેમના ‘બાની વાતું’ (લોકવાર્તા), ‘અનન્યા’ (વિદેશી વાર્તા), ‘સંપ્રત્યય’ અને ‘વાર્તા સંદર્ભ’ (વિવેચન) તથા ‘મન્ટોની વાર્તાઓ’ (અનુવાદ) એમ પાંચ પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમીનાં પારિતોષિક મળેલાં છે. ‘ટૂંકી વાર્તામાં કથનકેન્દ્ર’ (સંશોધનગ્રંથ)ને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક અને ‘જેણે લાહોર નથી જોયું’ (નાટક)ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ૨૦૧૫નો અનુવાદ પુરસ્કાર મળેલ છે. એમના ગ્રંથ ‘વિભાજનની વ્યથા’ને ૨૦૧૮નો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળેલ છે. એમનાં કેટલાંક પુસ્તકો ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં પાઠ્યપુસ્તક તરીકે પણ પસંદ થયેલ છે. ભારત વિભાજનને લગતાં લગભગ દસથી બાર પુસ્તકો એમણે આપેલ છે. યુ.જી.સી. દિલ્હી દ્વારા સોંપાયેલ રિસર્ચ પ્રોજેક્ટ – ‘Analytical & Comparative Study of Literature Based on Partition Theme’ પર તેમણે નોંધપાત્ર કામ કર્યું છે. તો બસવ સમિતિના રાષ્ટ્રીય કક્ષાના અનુવાદ પ્રોજેક્ટ અંતર્ગત કન્નડના મહાન સાહિત્યકાર બસવેશ્વરનાં વચનોનો ગુજરાતી અનુવાદ ‘વચન’નામે અન્યો સાથે તૈયાર કર્યો છે. અત્યાર સુધીમાં તેમનાં કુલ ૩૮ પુસ્તકો પ્રગટ થયાં છે અને ૪ પ્રકાશાધિન છે. તેઓ એક નિર્ભીક અને સ્પષ્ટવક્તા લેખક-વક્તાના રૂપે વિવિધ માધ્યમોમાં પોતાની વાત રજૂ કરતા રહે છે. તેમની આ સાહિત્યિક અને સામાજિક નિસ્બતને ધ્યાનમાં રાખીને શિશુવિહાર, ભાવનગર દ્વારા ‘સ્ત્રી શક્તિ સન્માન’અને ૨૦૧૬માં સદ્‌ભાવના ફોરમ દ્વારા પૂ. મોરારિબાપુના હસ્તે ‘સદ્‌ભાવના એવોર્ડ’જેવાં સન્માન પણ પ્રાપ્ત થયાં છે.