અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ/બાર – આશ્રમજીવન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
બાર – આશ્રમજીવન

જે પત્રમાં ગાંધીજીએ મિ. વેસ્ટને ચંપારણમાં રચનાત્મક કામનો ખ્યાલ આપ્યો હતો૧ તેમાં જ સાબરમતી આશ્રમ વિશે લખ્યું હતું:

‘આશ્રમ સાબરમતી નદીને તીરે સુંદર જગ્યાએ આવેલો છે. અમે રોજ નદીમાં નાહીએ છીએ. બધાં છોકરાંઓને તરતાં આવડી ગયું છે. શાળાને બાહોશ આચાર્ય મળી ગયા છે.૨ તેઓ ગુજરાત કૉલેજમાં પ્રોફેસર હતા. આશ્રમની વ્યવસ્થા મગનલાલના હાથમાં છે. આ આશ્રમ અને શાળાનું ભવિષ્ય કેવું નીવડશે તે કહી શકાય નહીં. અત્યારે તો બંને સંસ્થાઓ લોકપ્રિય છે.’૩

આ વર્ણન ફેબ્રુઆરી ૧૯૧૮નું છે. મહાદેવભાઈ અને નરહરિભાઈ ગાંધીજી સાથેની પહેલી મુલાકાતે ગયા ત્યારે તે આશ્રમ અમદાવાદને સામે કાંઠે કોચરબ ગામમાં ભાડાના બે બંગલાઓમાં હતો. પણ હવે ગાંધીજી તે સ્થળથી છએક કિલોમિટર ઉત્તરે નદીને પશ્ચિમકાંઠે જ જમીન લઈને આશ્રમ સ્થાપી ચૂક્યા હતા. જોતજોતામાં આ આશ્રમ આખા દેશનું ધ્યાનબિંદુ બનવાનો હતો અને બાર વરસ પછી એ જ આશ્રમથી જગપ્રસિદ્ધ દાંડીકૂચ નીકળવાની હતી.

આશ્રમની અડોઅડ દક્ષિણ છેડે દૂધેશ્વરનું મંદિર, સામે કાંઠે અમદાવાદ શહેરનો મુખ્ય સ્મશાનઘાટ અને ઉત્તરે, એકાદ માઈલ દૂર, અમદાવાદની મુખ્ય જેલ હતી.

લોકોમાં કિંવદંતી એવી છે કે ગાંધીજીએ જ્યાં આશ્રમ સ્થાપ્યો હતો ત્યાં જ પુરાણકાળમાં દધીચિ ઋષિનો આશ્રમ હતો. મિ. વેસ્ટ ઉપરના પત્રમાં ગાંધીજીએ આશ્રમની રમણીયતા ઉપરાંત સ્નાનના આનંદની વાત કરી છે. ઘણી વાર તેઓ દૂધેશ્વર ઘાટ અને જેલનો ઉલ્લેખ કરીને એ મતલબનું કહેતા કે આપણી એક તરફ જેલ છે, બીજી તરફ સ્મશાન છે, એટલે અહીંનાં બાળકોને (અને કુદરતી રીતે મોટેરાંઓને પણ) જેલ કે સ્મશાનનો ભય રહેવાને કારણ નથી. આમ આનંદ અને અભય એ સાબરમતી સત્યાગ્રહ આશ્રમના બે સ્થાયીભાવ હતા.

મહાદેવ અને દુર્ગાએ જ્યારે એ આશ્રમમાં આવી નિવાસ કર્યો ત્યારે તેમણે પણ ત્યાં એ જ બે ભાવનો અનુભવ કર્યો — ચિત્તશુદ્ધિની સાધનાના પ્રયાસમાંથી નિષ્પન્ન થતો આનંદ અને સ્વરાજની અહિંસક લડાઈમાંથી પ્રગટ થતો અભય.

એમ તો મોટે ભાગે મહાદેવભાઈનું ઘર ગાંધીજી સાથે રેલગાડીઓમાં જ અને વચ્ચે વચ્ચે જેલમાં હતું. પણ પૃથ્વીનો છેડો જેને માની શકાય એવું ‘ઘર’ તો આ આશ્રમ જ હતું. દુર્ગાબહેનને મન છ વરસ પછી ‘બાબલો’ આવ્યો ત્યાં સુધી તો મોટે ભાગે ‘ઘરવાળા’ની વાટ જોતાં બેસવાનું જ, છતાં, તોયે સ્થાયી એવું આ ઘર હતું. નારાયણના જન્મ પછી પણ વાટ જોવાનું તો ચાલુ જ રહ્યું. બીજાં બાર વરસ સુધી, પણ પગલીના પાડનારે આવીને એ વિરહવ્યથાને જરૂર કાંઈક હળવી કરી હશે.

આશ્રમમાં રહેવા નરહરિભાઈ-મણિબહેન પહેલાં આવી ગયાં હતાં. તેઓ આશ્રમમાંથી ચંપારણ ગયાં હતાં. મહાદેવ અને દુર્ગાબહેન ચંપારણથી આશ્રમમાં આવ્યાં હતાં. પણ બંને જોડાં વચ્ચે ગાંધીજી પાસે આવતાં પહેલાં જ ઘનિષ્ઠ મિત્રતા હતી. તે આશ્રમમાં આવ્યા પછી એકાત્મતામાં પરિણમી. આ કાળનું પણ સુંદર વર્ણન મણિબહેને પોતાના કથાનકમાં કર્યું છે:

‘અમે આવ્યાં એટલામાં જ આશ્રમની જમીન લીધી. જમીન પર કૂવો નહોતો. ને નદીનું પાણી ઉકાળ્યા વિના પિવાય નહીં એટલે કૂવો ખોદવાનું શરૂ કર્યું, પણ કૂવો તૈયાર થતાં છ મહિના નીકળી ગયા. ત્યાં સુધી પાસે દૂધેશ્વર મહાદેવનો કૂવો હતો ત્યાંથી પીવા માટે પાણી લઈ આવતાં. બીજું બધું પાણી નદીનું વાપરીએ. ચોમાસામાં પાણી ખૂબ ડહોળું હોય એટલે ફટકડી નાખીને થોડી વાર રહેવા દઈએ અને પછી વાપરીએ.

‘પહેલા ચોમાસાના અમારા અનુભવો પણ બહુ રસિક હતા. હું ઘરેથી બે જ જોડ કપડાં લઈને આવેલી. એક દિવસ હું નદીએ નાહવા ગઈ, પહેરવાનાં કપડાં ઉપર કાંઠે મૂક્યાં હતાં. ત્યાં વરસાદ આવ્યો એટલે એ સૂકાં કપડાં પલળી ગયાં અને પહેરેલી જોડ તો પહેરીને નાહી એટલે પછી મારી પાસે બદલવા માટે એકે કોરું કપડું રહ્યું નહીં! નદીનો ઓવારો પણ બાંધેલો નહીં. હાથે ખોદીને પગથિયાં કરેલાં એમાં વરસાદ પડે ત્યારે ઉપર ચડતાં બહુ મુશ્કેલી પડે.

‘ચારે બાજુ સાદડી ને ઉપર પણ સાદડી એવાં અમારાં ઝૂંપડાં હતાં. નીચે તો સાવ ધૂળ જ. એવામાં એકદમ વરસાદ પડ્યો. અમારી પાસે એક જ ખાટલો હતો. એ ખાટલા પર માથે છત્રી ઓઢીને અમે બંને જણ બેસી રહ્યાં. ખાટલા નીચે તો નદી વહે એમ પાણી જાય. માથે છત્રી, પણ પગ તો પલળે. પગ ઉપર એક કામળો હતો તે નાખ્યો. તે વખતે વણાટશાળાના ઓટલાનો થોડો ભાગ બંધાયો હતો એમાં બાપુ રહે. બાપુને ખબર પડી કે અમે આવી રીતે બેઠાં છીએ એટલે એમણે અમને બોલાવવા કોઈને મોકલ્યા. અમે કહેવડાવ્યું કે, ‘અમે સુરક્ષિત છીએ, કાંઈ ચિંતા ન કરશો.’ બાપુને ત્યાં પણ થોડી જ જગા હતી અને એમાં ઘણાં જણને સૂવાનું હતું. આવું થયા પછી જ મજૂરો સાથે કામ કરીને ઝટ મકાન તૈયાર કરવું એમ બાપુને લાગેલું.

‘ઝૂંપડામાં પણ હું તો મહેલની જેમ રહેતી હતી. ઈંટો મૂકીને પાણિયારું બનાવેલું, એની ઉપર એક બેડું ને માટલી રહે. સવારે ચાર વાગ્યે ઊઠી નિત્યકર્મ પરવારી પ્રાર્થનામાં જાઉં. ઝૂંપડાની સફાઈ કરી, રસોઈની થોડી તૈયારી કરી, આઠ વાગ્યે નદીએ જાઉં, માથા ઉપર દેગડો, એની ઉપર થાળી, એમાં માંજવાનાં વાસણ, હાથમાં ઘડો ને પહેરવાનાં કપડાં, નદીએ જઈ બેડું માંજું, કપડાં ધોઉં અને નહાઉં, પછી બધું લઈ ઢાળ ચડી નવ વાગ્યે ઉપર આવું, પછી રસોઈ કરવાની.’૪

અમદાવાદના મિલમજૂરોનો પ્રશ્ન આપણે આગલા પ્રકરણમાં લઈશું. એ વખતની હડતાળમાં ગાંધીજીએ હડતાળ પર ઊતરેલા મજૂરોને આશ્રમમાં બની રહેલાં નવાં મકાનો સારુ નદીની રેતી ઉપર વહી લાવવાનું કામ આપ્યું હતું. ત્યારનું વર્ણન મણિબહેનની કલમે:

‘નદીની રેતીમાં શંકરલાલભાઈને ઊભા રાખ્યા અને બાપુએ અમને બધાંને મજૂરોની સાથે કામ કરવાનું કહ્યું. નદીની રેતીમાંથી એક તગારું ભરીને ઉપર લઈ આવે તેને બે પાઈ મળે. અમને શંકરલાલભાઈ તગારું ભરી આપે, તે માથે મૂકીને ઢાળ ચડીને ઉપર આવીને નાખી જઈએ. આમ હું બાર તગારાં લાવી એટલામાં બાપુએ મને બોલાવી. બાપુ બોલાવે એટલે મનમાં બીક લાગે કે શું વાંક પડ્યો હશે? કેમ બોલાવી હશે? હું બાપુ પાસે ગઈ એટલે બાપુ કહે: ‘તગારું મૂકી દે ને આ મજૂરોમાંથી સો મજૂરો લઈ લે. તેનાં નામ લખી રાખ ને કયો મજૂર કેટલાં તગારાં લાવ્યો તે નોંધવાનું કામ કર. મેં બધાનાં નામ લખ્યાં, ને મજૂર લાવે તે નોંધવા માંડ્યું, પણ એક વારો દસ નંબરનો આવે ને પછી બીજે ૭૫ નંબરનો આવે. આમ નોંધવાનું અઘરું પડે, પણ પછી એનીયે ટેવ પડી ગઈ.

‘હું બાર તગારાં રેતી લાવેલી એની મજૂરીની મને ચોવીસ પાઈ મળી. નરહરિભાઈને પણ ચોવીસ પાઈ મળી. તે દિવસે રાંધવાનો વખત મળે શી રીતે? અને મજૂરની સાથે કામ કર્યું એટલે તે દિવસે જેટલી મજૂરી મળે એટલાનું જ ખાવું એમ નક્કી કર્યું. એક આનાના એક રતલ ચણા લાવ્યાં. એક આનાના અર્ધા રતલ મમરા લાવ્યાં, એક આનાનું પા રતલ ખજૂર લીધું અને એક આનાનું એક રતલ દૂધ લઈને તેનો ઉકાળો કર્યો. જમવા બેસવાની તૈયારી કરતાં હતાં ત્યાં મહાદેવભાઈ આવી ચડ્યા અને કહે: “અલ્યા, આ શું કરો છો?” અમે કહ્યું: “આજે અમે મજૂરીનું જે મળ્યું છે તેમાંથી જ ખાવાનાં છીએ.” એટલે એ કહે કે, “મારા પણ બે આના ગણો. હું પણ મજૂરી કરીને લઈ આવીશ.” પછી બે આનાના ચણા ને ગોળ લાવ્યાં અને ત્રણે જણે સાથે બેસીને ખાધું. બહુ મજા પડી.’૫

મગનલાલભાઈ ગાંધીજીના ભત્રીજા હતા, અને દક્ષિણ આફ્રિકાથી એમની સાથે જ હતા. આશ્રમના વહીવટમાં તેઓ વ્યવસ્થા લાવતા. આશ્રમના નિયમોમાં તેઓ તપ:પૂત શિસ્ત દાખલ કરતા. આશ્રમના ઉદ્યોગોમાં તેઓ વૈજ્ઞાનિકતા લાવતા. તેથી જ તેઓ આશ્રમના પ્રાણ કહેવાયેલા, અને તેમનું અકાળ અવસાન થયું ત્યાર પછી મહાદેવભાઈએ લખેલા લેખમાં એમ કહેલું કે, ‘મારા જેવા કાચાઓ તેમની પાસે હૂંફ મેળવતા.’

મગનલાલભાઈના નેતૃત્વ હેઠળ આશ્રમના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓની તનતોડ મહેનત વડે સાબરમતીની ભેખડો પર આવેલાં ઝાંખરાં સાફ થયાં, રેતીલી અને ગોખરુવાળી જમીન સાફ થઈ ત્યાં શાકભાજીનું વાવેતર થયું. ઠેર ઠેર લીમડા વાવવામાં આવ્યા. જોતજોતામાં વેરાન વગડો લીલોછમ થઈ ગયો.

મહાદેવભાઈ તો ગાંધીજી સાથે રહેવાનું મળ્યું તેથી ધન્યતા અનુભવતા હતા. તેથી એમના કામમાં મસ્ત હતા. કોઈ વાર દિહેણમાં બેઠેલા વૃદ્ધ પિતાની યાદ આવતી હશે, કોઈ વાર સાબરમતીમાં બેઠેલી વાટ જોતી પત્ની સાંભરતી હશે, પણ મુખ્ય ધ્યાન તો એમનું ‘બાપુ’માં જ લાગેલું હતું. પણ ગાંધીજીને એ વાતનું ભાન હતું કે તેઓ મહાદેવને પિતાની બધી અભિલાષાઓથી અલગ માર્ગે લઈ આવ્યા છે. તેથી ગાંધીજી હરિભાઈને પણ યાદ કરવાનું ચૂકતા નહીં. તેમણે ૮–૪–૧૮ને રોજ વાસદથી નડિયાદ આવતાં ટ્રેનમાંથી એક પત્ર લખ્યો:

સુજ્ઞ ભાઈશ્રી,

આપને લખવાનું ઘણા દિવસ થયા ધારી મૂકેલું પણ અવકાશ નહોતો મળતો અને કાંઈ વિસ્મૃતિ પણ થયેલી. માફ કરશો.

ભાઈ મહાદેવને મને સોંપવામાં આપે ભૂલ નથી કરી, એમ કહેવાની રજા લઉં છું. તેના જીવનના વિકાસને સારુ આ અનુભવ જરૂરનો હતો. પૈસો હંમેશાં બધું જ સુખ નથી આપતો. ભાઈ મહાદેવને પૈસો જ સુખ આપે તેવી તેની પ્રકૃતિ નથી. મને ભાસે છે કે જેમ ભાઈ મહાદેવને છે તેમ જ ચિ. દુર્ગાને હશે. તેને અમૂલ્ય અનુભવો મળ્યા કરે છે.

મને તો બંને મળ્યાથી લાભ જ થયા છે. ભાઈ મહાદેવે મને ઘણી ઉપાધિમાંથી મુક્ત કર્યો છે. તેના જેવા ચારિત્ર્યયવાન, વિદ્વાન અને પ્રેમી સહાયકની શોધ કરતો હતો. ભાઈ મહાદેવે મારી શોધ સફળ કરી છે. ચિ. દુર્ગાનો એટલો બધો સદુપયોગ કરી શકીશ એમ મને સ્વપ્નામાંયે ન હતું. ઈશ્વરની ગતિ ન્યારી છે.

આપ તે દંપતીની ફિકર ન કરશો ને તેમને પૂર્ણ આશીર્વાદ આપો એ ઇચ્છું છું, ને યાચું છું.

લિ. આપનો, મોહનદાસ ગાંધી૬

આ પત્ર લખ્યા બાદ સોળ દિવસે હરિભાઈ ગાંધીજીને મુંબઈથી દિલ્હી જતાં ટ્રેન પર મળ્યા. મહાદેવભાઈની ડાયરી એટલે ગાંધીજીની દૈનિક પ્રવૃત્તિઓની નોંધપોથી. ગાંધીજીની ડાયરી. એમાં ભાગ્યે જ પોતાના અંગત પ્રસંગો મહાદેવભાઈએ નોંધ્યા છે. તે દિવસની ડાયરીમાં આ બે પિતાઓની મુલાકાત કદાચ એટલા સારુ જ આલેખાઈ હશે કે બેમાંથી એક મુલાકાતી ગાંધીજી હતા! નોંધ ટૂંકી ને ટચ છે:

‘રાત્રે મારા બાપુજી નવસારી સ્ટેશન ઉપર મળ્યા. તે મને જોઈને અતિ હરખાયા. ગાડી ઊપડતાં બાપુએ માત્ર એટલો જ પ્રશ્ન કર્યો, “કેમ નિશ્ચિત થયા છો ને?” મારા બાપુજીએ થોડી વારે કહ્યું, “હા જી.” ’૬

એમ તો હરિભાઈ ગાંધીજી કરતાં આઠ વરસ મોટા હતા. પણ તેમને ગાંધીજી પ્રત્યે ખૂબ માન હતું. રેલગાડીના ડબ્બામાં બે વાક્યો પૂરતો આ વાર્તાલાપ અને દીકરાની માનસરોવરના સહસ્ત્રદલ કમળના જેવી શોભતી મુખાકૃતિનાં દર્શન અને વાંકા વળીને પગે લાગતાં એની પીઠનો સ્પર્શ હરિભાઈ સારુ અનેક દિવસો સુધી વાગોળવાનો વિષય બની રહ્યો હશે.

વાસદથી નડિયાદ જતાં ટ્રેનમાં જ ગાંધીજીને દુર્ગાને પણ યાદ કરી લેવાની તક મળી ગઈ. દુર્ગાએ પત્ર નહીં લખ્યો હોય એની આડકતરી હળવી ટકોર કરતાં ગાંધીજીએ લખ્યું:

ચિ. દુર્ગા,

તમે મને ભૂલ્યાં હો તો ભલે, હું નથી ભૂલ્યો. આનંદીબહેને તમારા સમાચાર આપ્યા છે. ભાઈ મહાદેવથી હું ધારતો હતો તે કરતાં તમે વધારે વિખૂટાં રહ્યાં છો. તેને મેં કહ્યું છે કે તે ત્યાં જ્યારે જવું હોય ત્યારે જઈ શકે છે. પણ તમે ઇચ્છતાં હો તો તુરત જ મોકલી દેવા તૈયાર છું. તમને એટલું જણાવવું જોઈએ કે ભાઈ મહાદેવને અહીં ભારે અનુભવો મળે છે. તેનો લાભ તમને પણ મળશે. આથી સંતોષ વાળી વિયોગદુ:ખ સમાવી શકો તો ભાઈ મહાદેવ રહે, પણ તેમાં એક જોખમ છે. હું આથી પણ મોટી લડતમાં રોકાઈ જાઉં તો પછી તમે ઇચ્છો તોપણ તે ત્યારે ન આવી શકે. એટલે તમને મળી આવવાનો આ જ ચોક્કસ સમય ગણાય. ત્યાં થાક્યાં હો તો તમે અહીં આવી શકો છો. નડિયાદમાં તમે રહી શકો તે વિશે થોડો શક છે. જે તમે ત્યાં મેળવી રહ્યાં છો તે અહીં ન જ મળે. પણ તમે જેમ રાજી રહો તેમ કરવા ઇચ્છું છું.

મોહનદાસના આશીર્વાદ૭

અનાવલાના દીકરા તરીકે મહાદેવે ઘેર બહુ શરીરશ્રમનાં કામ નહીં કર્યાં હોય. જૂનાગઢમાં કાકી કડક શિસ્તપાલનવાળાં હતાં. તે ઘણાં કામ હાથે કરાવતાં. પણ એ કામમાંયે વધારે કઠણ કામ છોટુભાઈ પોતાને માથે લઈ લેતા એ આપણે જોઈ ગયા. બૅંકની નોકરી વખતે રખડપટ્ટી ઘણી હતી, પણ અંગત કામો સારુ તે વખતે સાથે એક નોકર રાખતા. એમ આશ્રમમાં આવ્યા ત્યારે ઘણાં કામો હાથે કરવાનો મહાવરો નહીં હોય. પણ મહાદેવભાઈના જીવનને ઘડનારું જે કોઈ મોટામાં મોટું તત્ત્વ હોય તો તે તેમની ગાંધીભક્તિ. ગાંધીભક્તિએ જેમ એમને સારુ ‘બૌદ્ધિક’ કામો અનેકગણાં વધારે કરવાની તાકાત આપી તેમ તેણે શારીરિક કામો માટેના માનસિક અવરોધો તો સમૂળગા દૂર કર્યા. અને અત્યંત અલ્પ સમયમાં શારીરિક શ્રમ કરવાની ટેવ પણ પાડી દીધી. આશ્રમનાં પાયખાનાંની મોટી મોટી ડોલો જો ગાંધીજી ઉપાડે છે તો મારાથી કેમ ન ઉપાડાય, જે ગાંધીજી રસોડામાં શાક સમારે છે તો મારાથી કેમ ન સમારાય? મહાદેવને શરીરશ્રમ અંગે ટૉલ્સ્ટૉય કે રસ્કિન વાંચવાની જરૂર નહોતી. એમને એને સારુ ‘શ્રમ શિબિરો’ ભરવાની જરૂર નહોતી. ગાંધીની ભક્તિ જ એમને નિત્ય નવા પાઠો આપી આપીને રોજેરોજ એમનું નવું ઘડતર કરી રહી હતી.

આશ્રમ સારુ ગાંધીજીએ તૈયાર કરેલી નિયમાવલિની મારફત તો મહાદેવભાઈનો ગાંધીજી સાથેનો પ્રથમ સંપર્ક થયો હતો. એ પહેલી ચર્ચામાં તેમણે અને નરહરિભાઈએ જોકે કેટલાક મતભેદો વ્યક્ત કર્યા હતા. આ મતભેદોનું વર્ણન કરતાં, અલબત્ત, પાછળથી ‘અમે અમારું પુસ્તક-પાંડિત્ય ઠાલવ્યું હતું,’— એમ કહ્યું હોય. પણ એટલું સ્પષ્ટ હતું કે ગાંધીજી જોઈ ગયા હતા કે આ યુવાનો એ નિયમો વિશે ઊંડો વિચાર કરે છે. બંને મિત્રો પ્રથમ મુલાકાત વખતે જ આ બાબતમાં ગાંધીજીની આશરે દોઢેક કલાક જે ‘વાગ્ધારા’ ચાલેલી તેનાથી અભિભૂત થયા હતા. નરહરિ પોતાનાથી વહેલા આશ્રમમાં દાખલ થયા તેથી હર્ષિત થઈને મહાદેવે ઠેઠ મુંબઈથી અમદાવાદ આવીને એમને અભિનંદ્યા હતા તે આપણે જોઈ ગયા. હવે જ્યારે મહાદેવને પોતાને આશ્રમમાં જોડાવાની તક મળી ત્યારે તેમણે એને અંગે ઊંડું ચિંતન શરૂ કરી દીધું અને યથાશક્તિ-મતિ એને આત્મસાત્ કરવાનો પુરુષાર્થ આદર્યો. સાબરમતીનો સત્યાગ્રહ આશ્રમ દેશભરના સ્વયંસેવકોને દેશસેવાના યજ્ઞ સારુ તાલીમ આપવા માટેની પ્રયોગશાળા હતો. ગાંધીજીના મત મુજબ સત્યાગ્રહીની તાલીમની શરૂઆત તો એની આંતરિક શુદ્ધિથી જ થતી હતી. તેથી જ સત્યાગ્રહ આશ્રમ સાથે સંકળાયેલા સર્વ નિયમો આંતરિક શુદ્ધિ સાથે સંબંધિત હતા. આશ્રમની સ્થાપના પછી ગાંધીજીએ આ નિયમોને વ્રતોનું સ્થાન આપ્યું હતું. સત્ય, અહિંસા, અપરિગ્રહ, અસ્તેય આદિ જે આચારલક્ષણોને આજ લગી વ્યક્તિગત ગુણો માનવામાં આવતા હતા તેને ગાંધીજીએ સામાજિક મૂલ્યો લેખ્યાં. અને એ પણ સમજાવ્યું કે સમાજમાં જો આ ગુણો અમલમાં ન મૂકી શકાતા હોય તો તે નિરર્થક છે. ગાંધીજી પોતાના આશ્રમને સામાજિક મૂલ્યોની પ્રયોગશાળા બનાવવા માગતા હતા. મહાદેવભાઈને આ બાબત પૂરી શ્રદ્ધા હતી, તેથી તેમને આશ્રમજીવન સ્વીકાર્ય હતું.

જેમ જેમ આશ્રમમાં નવાં મકાનો બંધાવા લાગ્યાં તેમ તેમ તેના ઉપયોગ અંગે પણ કાંઈક ને કાંઈક આગ્રહો સેવાતા ગયા. સૌથી મોટો આગ્રહ વ્રતો વિશેનો હતો. એમ નક્કી થયું કે આજે જેને ‘આશ્રમ રોડ’ કહેવામાં આવે છે તે સડક (જે તે વખતે કપચી પાથરેલી અને સાંકડી હતી)ની પૂર્વમાં વ્રતધારીઓ રહે, અને એની પશ્ચિમ દિશાનાં ઘરોમાં એ વ્રતો અંગે પ્રયત્નશીલ એવા લોકો રહે. પરિણામે કુટુંબવાળા લગભગ બધાં સડકની પશ્ચિમે રહેવા આવ્યાં, ને છડા લોકો પૂર્વમાં રહ્યા. એમાં ગાંધીજી અને મગનલાલ ગાંધીના બે પરિવાર અપવાદરૂપે હતા, જે પૂર્વમાં જ રહ્યા.

આશ્રમમાં તાલીમ સેવા કરતાં લેવાની હતી. જીવનમાં સાદગી લાવવાની હતી અને સંયમ સારુ સદાય પ્રયત્નશીલ રહેવાનું હતું. સેવા, સાદાઈ અને સંયમ એ આશ્રમની ટિપાઈના ત્રણ પાયા હતા. મહાદેવમાં સ્વાભાવિક સેવાવૃત્તિ હતી. એને સારુ આવશ્યક કેટલીક કુશળતાઓ કેળવવાની બાકી હતી. એમ તો મહાદેવને આશ્રમમાં કાયમ બહુ રહેવાનું થતું નહીં પણ જ્યારે જ્યારે પણ આશ્રમમાં આવે ત્યારે ત્યારે બીજા આશ્રમવાસીઓએ કરવાનાં કામો ઉપાડી લઈને તેઓ પોતાની કુશળતાઓ વધારતા.

ગાંધીજીના બધા આશ્રમોમાં સૌથી પહેલી કુશળતા જે ખીલવવાની હોય તો તે પાયખાનાં-સફાઈની. માત્ર સ્થાયી આશ્રમવાસીઓને જ નહીં, પણ થોડાક દિવસ સારુ આવીને રહેવા ઇચ્છનારા મહેમાનોને માટે પણ એ જ કામ સર્વપ્રથમ સોંપાતું. આમાં મુખ્ય પ્ર-શિક્ષણ તો સફાઈ-પાયખાનાં-સફાઈ વિશેનાં માનસિક પૂર્વગ્રહો અને અવરોધો દૂર કરવાનું હતું. તે વખતે ડોલજાજરૂ વપરાતાં. એમ તો એને સાફ કરવાની પદ્ધતિ પણ દક્ષિણ આફ્રિકાના અનુભવને કારણે ઘણી સુઘડ અને જરાયે ચીતરી ન ચડે એવી કરી દેવામાં આવી હતી. પણ જેને સંસ્કાર(?)માં જ પાયખાના-સફાઈ વિશે ઘૃણા હોય તેને સારું એ કામ અઘરું થઈ પડતું. મહાદેવને તેમ નહોતું. એમણે ઝટપટ એ પ્રક્રિયા શીખી લીધી એટલું જ નહીં પણ દરેક કામ તેઓ જે વ્યવસ્થા અને સુઘડતાથી કરતા તે વ્યવસ્થા અને સુઘડતા તેમણે પાયખાનાં-સફાઈમાં પણ દાખલ કરી.

એવું બીજું કૌશલ હતું વસ્ત્રવિદ્યાનું. ગાંધીજીએ हिन्द स्वराज પુસ્તકમાં રેંટિયાનો પહેલવહેલો ઉલ્લેખ કર્યો ત્યારે તેમને કાંતવા માટેનો રેંટિયો અને વણવા માટેની સાળ એ ભેદની પણ ખબર નહોતી. પણ જે વિચારે તે કહે ને કહે તે કરવાનો આગ્રહ હોવાને લીધે તેમણે સાબરમતી આશ્રમના ઉદ્યોગમંદિરમાં વરસ્ત્રવિદ્યાનો વિકાસ કરાવ્યો હતો. અને વસ્ત્રવિદ્યા એટલે કપાસથી માંડીને વણવા ને સીવવા સુધીની અનેક પ્રક્રિયાઓ. મગનલાલભાઈ તો એમાં ખૂંપી જ ગયા હતા. પાછળથી વિનોબા અને બાળકોબા (વિનોબાના નાના ભાઈ)એ પણ એમાં ઠીક ઠીક પારંગતતા મેળવી હતી. મહાદેવભાઈ વસ્ત્રવિદ્યાના ઉપર જણાવ્યા તેમના જેવા ધુરંધર નહોતા. એમની પાસે વણાટની કળા પૂર્ણપણે હસ્તગત કરવા સારુ જેટલી નવરાશ જોઈએ, એટલી નવરાશ જ ક્યાં હતી? પણ તોય તેમણે સાળ પર હાથ તો અજમાવી જોયેલો. અને કાંતણ એમનું, એમના સૂતરની ગુણવત્તાને લીધે વખણાતું. તેઓ ઝીણું, એકધારું અને કસવાળું સૂતર કાંતતા. તે જોઈને ભલભલા કાંતનારને અદેખાઈ આવતી. રસોઈ કરવાની કુશળતા એમણે ગાંધીજી પાસે આવ્યા તે પહેલાં થોડીઘણી પ્રાપ્ત કરેલી. તેમની પાસે આવ્યા પછી, ખાસ કરીને પ્રવાસમાં વધારે કેળવી. બાકી જેમને ઘેર દુર્ગાબહેન જેવી ‘ગિન્ની’ હોય તેમને ચૂલો સળગાવવાનો પણ મોકો મળે કે કેમ એ પ્રશ્ન છે. દુર્ગાબહેનને રસોઈની કાંઈ નવાઈ નહોતી. પણ આશ્રમના મોટા રસોડે સેંકડો લોકો સારુ રસોઈની વ્યવસ્થા કરવી એ એમને સારુ નવો અનુભવ હતો. પાયખાનાં-સફાઈ એમણે કરી તે માત્ર બાપુ કે બાને પણ એ કામ કરતાં જોઈને. કાંતણ તો દરેક આશ્રમવાસી સારુ લગભગ સ્નાન જેટલું જ સ્વાભાવિક હતું. પણ ગાંધીજીએ આશ્રમની (દુર્ગાબહેન જેવી) જૂની બહેનોને વસ્ત્રવિદ્યા અંગે કેટલીક વધારાની તાલીમ સોંપેલી. વિજાપુર તાલુકામાં જઈને ત્યાંનાં ગામડાંઓમાં ફરીને જૂની ઢબે કાંતનારી બહેનોને જોઈ એમની પાસેથી કાંતણની કારીગરી શીખી લાવવાનું, અને રેંટિયાની રચના સમજી લાવવાનું કામ તેમણે બહેનોને સોંપેલું. બીજી તરફથી મુંબઈ-અમદાવાદ જેવાં શહેરોની જે બહેનો કાંતણમાં રુચિ બતાવે તેમને કાંતણ શીખવવાનું કામ પણ ગાંધીજીએ બહેનોને સોંપેલું. મુંબઈનાં શ્રીમતી પિટીટને એ રીતે કાંતતાં દુર્ગાબહેને શીખવેલું.

આશ્રમનું જીવન એમેય સાદું હતું. નવા આવનારાઓને ગાંધીજી સાદાઈનો અવારનવાર પદાર્થપાઠ પણ આપતા રહેતા. મણિબહેનનાં ઘરેણાં તેમણે પોતાના રાષ્ટ્રસેવાના કામ સારુ માગી લીધેલાં. નરહરિભાઈ પોતાની ટાપટીપ અને અત્તરોના શોખ સારુ મિત્રમંડળીમાં જાણીતા હતા. દુર્ગાબહેનને માતૃપક્ષ તરફથી ઘરેણાં મળેલાં તે એમનાં મોટાં બહેનને ત્યાં વલસાડમાં જ રહ્યાં. એમના શરીર પર માત્ર એક જોડ ચૂડીઓ સિવાય કોઈ ઘરેણું આશ્રમમાં આવ્યા પછી દેખાયું નહોતું. કપડાંની ટાપટીપનો કદાચ એમને સ્વાભાવિક રીતે જ શોખ નહોતો. અને એ જમાનામાં ખાદીમાં ખાસ કાંઈ ટાપટીપ થાય એવાં કપડાં મળતાં પણ નહીં. મહાદેવભાઈ પોતાના કામમાં એવા મસ્ત રહેતા કે એમને અંગ પર કયાં વસ્ત્રો પહેર્યાં છે એનું પણ ભાન રહેતું નહીં. પણ દુર્ગાબહેન અને મહાદેવભાઈ બંનેનાં વ્યક્તિત્વની પોતપોતાની આગવી ગરિમા હતી. દુર્ગાબહેનનો ઠાવકો ચહેરો જોઈને કોઈ પણ નવઆગંતુકને એમને વિશે માન ઊપજતું. મહાદેવભાઈ જે કોઈ કપડાં પહેરે તે તેમને શોભતાં. એમનું વ્યક્તિત્વ જ એવું મોહક હતું કે એમનાથી કપડાં શોભતાં. ઘરમાં રાચરચીલું પણ ઓછું. દળવા સારુ ઘંટી, રાંધવા સારુ ચૂલો ને ચકલો-વેલણ, કાંતવા સારુ રેંટિયો ને પૂણી, અને લખવા સારુ કલમ ને શાહી એ દેસાઈ દંપતીના ઘરનાં રાચ હતાં. પરિગ્રહ માત્ર પુસ્તકોનો હતો.

આશ્રમમાં સંયમનો આગ્રહ મુખ્યત્વે બ્રહ્મચર્ય અને અસ્વાદનાં વ્રતો દ્વારા રાખવામાં આવતો. આગળ કહેવાઈ ગયું કે આશ્રમનાં ઘણાંખરાં ગૃહસ્થી જોડાંઓએ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા નહોતી લીધી. પરંતુ પરિણીત જીવનમાં સંયમી રહેવાના આદર્શને સ્વીકારીને તે વિશે પ્રયત્નશીલ રહેવાનું તેમણે સ્વીકાર્યું હતું. મહાદેવ ને દુર્ગા પણ તેમાંનાં જ હતાં. આ વિષયની વધારે વિગતવાર છણાવટ આપણે આગળ ઉપર કરીશું.

દુર્ગાબહેન રસોઈ એટલી ઉત્તમ બનાવતાં કે તે ખાનાર અસ્વાદવ્રતનું પાલન કરે છે એમ કહી જ ન શકાય! જોકે વર્ષો સુધી સામૂહિક રસોડે જમીને આખા દેસાઈ પરિવારે બાફેલાં શાક અને મસાલા વિનાની દાળ ખાધેલાં. પણ પાછળથી મહાદેવભાઈએ પોતાનું જમવાનું ઘેર જુદું કરવાની રજા માગેલી અને ગાંધીજીએ તે આપેલી. પણ તેની પાછળ સ્વાદના ચટાકા કરવાનો ઉદ્દેશ નહોતો. મહાદેવભાઈ દિવસમાં ત્રણ જ વાર ખાતા. એટલે જે ક્યાંક ગયા હોય ને વરિયાળી કે ધાણાની દાળ ખાધી હોય તો તે પણ એક વાર ખાવામાં આવી જાય અને એમનું એક વખતનું ભોજન છૂટી જતું. પણ આ આગ્રહ તેમણે અસ્વાદવ્રતની સાધના સારુ નહીં, પણ શરીરને વધારે પડતાં પરચૂરણ ખાણાંઓથી બચાવવા સારુ રાખ્યો હતો. પાછળથી તેમણે બાબલાને પણ દિવસમાં ચાર વાર ખાવાનો નિયમ રાખવાની પ્રેરણા આપેલી. તેનાથી એને સ્વેચ્છાએ શિરસ્ત પાળવાની ટેવ પડેલી એ નક્કી, પણ તેમાંયે અસ્વાદવ્રતનો આગ્રહ નહોતો.

ગાંધીજીનો આશ્રમ એટલે સામૂહિક જીવનના જીવતાજાગતા પ્રયોગો. એ સમૂહજીવન આશ્રમમાં ચાર સામૂહિક ક્રિયાઓ દ્વારા ખાસ પ્રગટ થતું હતું. આશ્રમનું સામૂહિક રસોડું એ કદાચ જેને રાષ્ટ્રીય ભાવાત્મક એકાત્મકતા કહેવામાં આવે છે, તેનું મોટું સાધન હતું. ભારતમાં ખોરાક અંગેની એટલી વિવિધતા છે, અને સામાન્યપણે ખાવાની જે ટેવ હોય તે જ ખાવાનો ઘણાખરા લોકોનો એટલો આગ્રહ હોય છે, કે જુદો જુદો ખોરાક ખાનારા લોકો એકસાથે જમે તો સંપીને રહેવા સારુ જોઈતા શિક્ષણનો પહેલો અને અગત્યનો પાઠ એમાંથી મળી રહે. વળી જુદા જુદા સ્વભાવના લોકને ખાવા અંગે એવી ચૂંધીઓ હોય છે કે એમનો સૌનો મેળ ખવડાવીને રસોડું વિના કલહ ચલાવવું એ એક નાની સરખી સાધનાનું જ કામ હોય છે. આ સાધનામાંથી મહાદેવભાઈ કરતાં દુર્ગાબહેનને જ વધારે પસાર થવું પડેલું, કારણ, જ્યારે તેઓ ઘરે રસોઈ કરતાં ત્યારે પણ સામૂહિક રસોડાની ઘણી જવાબદારીઓ તો એમને જ ઉઠાવવી પડતી. ગાંધીજીએ જે અલગ જમવાની છૂટ આપી હતી તેમાં સામૂહિક રસોડાની જવાબદારી ન ટાળવી એવી શરત પણ હતી! એક ભાઈને હંમેશાં ગરમાગરમ રોટલી જ જોઈએ. હવે પચાસથી માંડીને બસો-અઢીસો કે ત્રણસો માણસો સારુ પીરસાતું હોય ત્યાં એમને સારુ ગરમ રોટલી હંમેશાં ક્યાંથી લાવવી? પહેલાં ઘી ચોપડેલી રોટલીઓ અપાતી ત્યારે વધુ રોટલી ખાનારને વધુ ઘી મળે છે ને ઓછી ખાનારને ઓછું મળે છે એવી ફરિયાદ આવવા લાગી. ગાંધીજીના આશ્રમમાં આવી નાની નાની બાબતમાં ઝઘડા થાય એ કદાચ કેટલાક લોકોની કલ્પનામાંયે નહીં આવે. પણ એવા ઝઘડા થતા એ હકીકત છે. પાછળથી મહાદેવભાઈ કોઈક કોઈક વાર કહેતા કે, ‘બાપુ તો દાક્તર છે, એટલે એમની આસપાસ દરદીઓ જ ભેગા થાય ને!’ પણ એટલું કહેવું જોઈએ કે આશ્રમવાસીઓની આટલી બધી વિવિધતાઓ અને વિચિત્રતાઓ વચ્ચે પણ દુર્ગાબહેન અને મહાદેવભાઈએ, ખાસ કરીને દુર્ગાબહેને, પોતાની સ્વાભાવિકતા કદી ગુમાવી નહોતી.

બીજી સામૂહિક ક્રિયા હતી સામૂહિક સફાઈની. રોજ આશ્રમનાં આબાલવૃદ્ધ સ્ત્રી-પુરુષ સૌ કોઈ થોડો સમય આશ્રમની સફાઈમાં સાથે ગાળતાં. જુદા જુદા વિભાગોની સફાઈની ટોળીઓ બનાવીને કામની વહેંચણી થતી. કોઈ નિવાસ સફાઈ કરતું, કોઈક રસ્તાઓની સફાઈ કરતું, કોઈક કૂવાની આસપાસની સફાઈ કરતું, કોઈક પાયખાનાં-સફાઈ કરતું, તો કોઈક ખાતરના ખાડાઓની વ્યવસ્થા કરતું. ભારતીય નાગરિકના લોહીમાં સદીઓથી વર્ણવ્યવસ્થાને બહાને સફાઈ સાથે સૂગને જે રીતે જોડી દેવામાં આવી છે તેની સામે સાંસ્કૃતિક ક્રાંતિનો ઝંડો ઉઠાવનાર આ પ્રક્રિયા હતી.

ત્રીજી સામૂહિક ક્રિયાને બધાં કરતાં વિશેષ સંજ્ઞા આપવામાં આવી હતી તે હતો ‘સામૂહિક સૂત્ર-યજ્ઞ’. ગાંધીજીની કલ્પના મુજબ સમાજ નવનિર્માણનું જે ચિત્ર હતું તેમાં રેંટિયો કેન્દ્રસ્થાને હતો. રેંટિયો માત્ર પોતાનાં કપડાં માટે નહીં પણ સમાજ માટે, દેશની મુક્તિમાં પોતાના નિયમિત અર્ઘ્ય તરીકે ચલાવવાનું સાધન હતો. જે કામ સમાજ સારુ અર્પિત હોય તે યજ્ઞ એવી ગાંધીજીની વ્યાખ્યા હતી. રેંટિયા દ્વારા યજ્ઞમાં હવિર્ભાગ આપવાનું એક એવું સાધન ગાંધીજીએ દેશ આગળ ધરી દીધું હતું જે ચલાવવું નાનામાં નાના બાળકથી માંડીને વૃદ્ધ સુધી, અરે, માંદાસાજાને સારુ પણ સહેજે શક્ય બની જાય એવું હતું.

ચોથી સામૂહિક ક્રિયા હતી સામુદાયિક પ્રાર્થના. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી જ પ્રાર્થના અંગેના વિવિધ પ્રયોગો શરૂ કરી દીધેલા. આશ્રમમાં જેમ જેમ જુદા જુદા પ્રકારના લોકોનો ઉમેરો થતો જાય તેમ તેમ પ્રાર્થનામાં ઉમેરો થતો જાય. ‘વૈષ્ણવ જન તો, તેને કહીએ’ એ ભજન દક્ષિણ આફ્રિકામાં કોઈ વાર ‘મુસ્લિમ જન તો…’ અથવા કોઈ વાર ‘ક્રિશ્ચિયન જન તો…’ એમ પણ ગવાતું, કારણ દરેક સંપ્રદાયવાળાને એમ લાગતું કે એ ભજનમાં આદર્શ વ્યક્તિનું સુંદર વર્ણન છે. સાબરમતી આશ્રમમાં, ખાસ કરીને એની ‘રાષ્ટ્રીય શાળા’ની આસપાસ ઘણા વિદ્વાન લોકો એકઠા થયા હતા. ગાંધીજીની ચુંબક-શી આકર્ષક પ્રતિભાનું એ ફળ હતું. આ વિદ્વાનો પોતપોતાના રુચિના ક્ષેત્રમાંથી ભાતભાતનાં ભજનો ખોળી લાવતા. વિદ્વદ્ મંડળીમાં એની સારી પેઠે ચર્ચા થતી. પંડિત વિષ્ણુ દિગંબર પળૂસ્કર પાસેથી ખાસ પોતાના આશ્રમને અનુકૂળ થાય એવા સંગીતશાસ્ત્રીની માગણી કરીને ગાંધીજી પંડિત નારાયણ મોરેશ્વર ખરેને આશ્રમમાં લાવેલા. પંડિત પળૂસ્કરની પસંદગી પણ દાદ આપવી પડે તેવી. ખરે શાસ્ત્રી એટલે ભક્તિ અને શાસ્ત્રીય સંગીતના સંતાન. વિદ્વાનોનાં પસંદ કરેલાં ભજનોને પંડિતજી શાસ્ત્રીય રાગમાં બેસાડે, અને પછી તે ગાય અને સર્વ આશ્રમવાસીઓને મુખે એ ઝિલાતાં જાય. એમણે સંપાદિત કરેલી आश्रम भजनावलि એ ભારતમાં સંસ્કારી ભક્તિસંગીતના પુનરુદ્ધારના ઇતિહાસમાં એક સીમાચિહ્ન સમી છે. આજ સુધીમાં એની ચાળીસેક આવૃત્તિઓ થઈ છે અને લાખો નકલો ખપી ગઈ છે એ એની લોકપ્રિયતાનું પ્રમાણ છે.

ગાંધીજી જ્યારે આશ્રમમાં હોય ત્યારે સામાન્ય રીતે સાંજની પ્રાર્થના પછી આશ્રમ વિશે કાંઈક પૂછપરછ કરે, કાંઈક પ્રશ્નો હોય તો તેના ઉત્તર આપે અથવા પોતે ફરી આવ્યા હોય તે ક્ષેત્ર વિશે કે પોતાના મનમાં ઘોળાતા વિષયો અંગે બે બોલ બોલે અને મહાદેવભાઈ તેની અચૂક નોંધ લે. ગીતા વિશેનાં વ્યાખ્યાનોની એવી નોંધોમાંથી गांधीजीनुं गीताशिक्षण નામનું પુસ્તક નરહરિભાઈએ સંપાદિત કર્યું છે. વર્ધાના મહિલાશ્રમમાં એ જ રીતે વિનોબાજીએ આપેલાં પ્રવચનોની નોંધ પણ મહાદેવભાઈની ડાયરીમાં જોવા મળે છે.

આમ સામૂહિક ક્રિયાઓ દ્વારા ગાંધીજીએ ભોજનાલય મારફત આહારવિહારના ક્ષેત્રમાં, સફાઈ મારફત સંસ્કારક્ષેત્રમાં, સૂત્રયજ્ઞ મારફત આર્થિક ક્ષેત્રમાં અને સામૂહિક પ્રાર્થના મારફત આધ્યાત્મિક ક્ષેત્રમાં ક્રાંતિકારી કદમો ઉઠાવ્યાં. આ કદમો સાથે કદમ મિલાવવા મહાદેવ સદા તત્પર રહેતા. એમણે એને પોતાની અંત:શુદ્ધિની સાધનાનાં ઉપકરણો માન્યાં હતાં.

આશ્રમની ગૌશાળા એ પણ આશ્રમનું એક મહત્ત્વનું અંગ હતું. ગાંધીજી જેટલા ગોવધબંધીના આગ્રહી હતા તેનાથી વધારે તેઓ ગોસેવાના આગ્રહી હતા. આશ્રમમાં રહેનારા સેંકડો આશ્રમવાસીઓને ગાયનું જ દૂધ મળતું.

આશ્રમની લાક્ષણિકતાઓમાં એનાં અનેક આશ્રમજનોનું આકાશ તળે સૂવું, ઠંડા નદીના નીરમાં સ્નાન, એનું છાત્રાલય, ઘંટને ટકોરે આખા દિવસનાં તમામ કામો કરવાની નિયમિતતા, એની ઊડીને આંખે વળગે એવી સ્વચ્છતા, પાવનકારી પરસેવો પાડતા એના ઉદ્યોગો વગેરે આવી જાય. આ બધી લાક્ષણિકતાઓ કોઈ એક વ્યક્તિના પરિશ્રમથી પેદા નહોતી થઈ. અલબત્ત, એમાં ગાંધીજીની દૃષ્ટિ તથા મગનલાલભાઈ કે નારણદાસભાઈ કે નરહરિભાઈની વ્યવસ્થાશક્તિએ વિશેષ ફાળો આપ્યો હશે. પણ તેમાં વિનોબાનું તપ, કાકાસાહેબની સંસ્કારિતા, કિશોરલાલભાઈનું તત્ત્વદર્શન, ખરે શાસ્ત્રીનું સંગીત, સાધુ સુરેન્દ્રજીની સાધના અને મહાદેવભાઈની ભક્તિનો ફાળો કાંઈ ઓછો નહોતો. આ સૌ સાધકો એકબીજાના ટેકાથી, એકબીજાને હૂંફ આપતા, એકબીજાની સત્સંગતિથી નિત્યપ્રતિ એ સામૂહિક સાધનાના પુણ્યને વધારતા જતા હતા. આ સૌએ કાળજીપૂર્વક સાધેલો ઇન્દ્રિયજય નિષ્કામભાવે ચલાવેલી લોકસેવા અને વિશ્વ સુધી વ્યાપ્ત થતી તેવી એમની દૃષ્ટિ એ સાધનામાં ખાસ લાભદાયી નીવડ્યાં હતાં. આશ્રમ એટલે આ સૌની સાધનાનો સરવાળો હતો.

ગાંધીજીના પ્રવાસ અને પ્રયાસથી આખા દેશને ખૂણે ખૂણેથી લોકો આશ્રમમાં આવવા લાગ્યા. જોતજોતામાં આશ્રમ સત્યાગ્રહની છાવણી અને નખદર્પણમાં ભારત બની ગયો. આ લોકો જ્યારે પોતપોતાના ક્ષેત્રમાં પાછા ફરતા ત્યારે એમની જોડે આશ્રમનાં મીઠાં સંભારણાં જ માત્ર નહીં, પણ સત્યાગ્રહી સંસ્કાર પણ લઈ જતા. આખા દેશમાં તેથી સત્યાગ્રહની પાછળ જે આધ્યાત્મિક ભૂમિકા હતી તેનો સ્પર્શ પણ ઓછેવત્તે અંશે થયો. ગાંધીજીના સતત પ્રવાસો આ સ્પર્શને તાજો કરતા. ઠેર ઠેર આશ્રમના જૂના વિદ્યાર્થીઓ આવી આવીને ગાંધીજીને મળી જતા અને પોતાનાં આંદોલનોમાં નવો પ્રાણ પૂરી લેતા. આ વિઘાર્થીઓને સાબરમતી આશ્રમમાંથી સતત સત્યાગ્રહી વાતાવરણ મળતું એનું મુખ્ય કારણ ગાંધીજી નહોતા. ગાંધીજી તો કેટલીક વાર આશ્રમમાંયે મહેમાન બની જતા. પણ આશ્રમમાં રહીને જે લોકો નિરંતર સેવા, સાદાઈ અને સંયમના પાઠ લઈ રહ્યા હતા તેવા આશ્રમવાસીઓનું જીવન એ આ વાતાવરણનું મુખ્ય તત્ત્વ હતું.

અત્યાર સુધીમાં તો એ સ્પષ્ટ થઈ ગયું હશે કે આશ્રમનું વાતાવરણ બનાવવામાં જેટલો આશ્રમવાસી ભાઈઓનો ફાળો હતો તેનાથી જરાયે ઓછો ત્યાંની બહેનોનો નહોતો. એ વાત સાચી કે આશ્રમના છાત્રાલયમાં શીખવા આવેલી બહેનો સિવાય બાકી લગભગ બધી બહેનો પોતાના પતિ, વડીલ કે બીજા કોઈ સગાની પાછળ પાછળ આવેલી હતી. પણ આશ્રમના વાતાવરણમાં સમાનતાનો ભાવ એવો સ્પષ્ટપણે વિકસ્યો હતો કે જે આજકાલના ‘વીમેન્સ લિબરેશન’ (સ્ત્રીમુક્તિ)ના સમર્થકો એ જુએ તો મોંમાં આંગળાં નાખી જાય.

મહાદેવભાઈ પાણી ભરે તો દુર્ગાબહેન રાંધે, નરહરિભાઈ કપડાં ધુએ તો મણિબહેન નિચોવે, કાશીબહેન મોટા રસોડામાં રોટલી વણે તો છગનલાલભાઈ વાસણ માંજે — આમ બધાં કામો એકબીજાની સાથે રહીને એકબીજાની બરાબરીને ભાવે થતાં. આશ્રમના કોઠારનો હિસાબ રાખવો એ જરા અઘરું કામ ગણાતું, કારણ, તેમાં સેંકડો લોકોની જુદી જુદી જરૂરિયાતોનું ધ્યાન રાખવું પડતું. કોઈ કોઈ સામાન લઈ ગયા હોય તે પાછો આવે, કોઈ અડધો વપરાયા પછી આવે, વગેરે વગેરે અનેક પ્રશ્નો ઊભા થાય. પરિણામે કોઠારના હિસાબો રાખનારને માથે ખૂબ બોજો પડતો. એ જવાબદારી ઉઠાવતી વખતે દર મહિને થોડી આનાકાની થતી. વાત ‘બાપુ’ પાસે ગઈ. બાપુએ ઉકેલ કાઢ્યો: ‘હિસાબ રાખવાનું કામ બહેનોને સોંપી જુઓ તો?’ જે મહિને કોઠારનો હિસાબ બહેનોએ રાખ્યો તે મહિને હિસાબમાં સહેજે ભૂલ ન આવી! મહિનાને અંતે દુર્ગાબહેનના હરખનો પાર નહોતો.

આ વાતાવરણમાં સ્વાભાવિક રીતે મહાદેવભાઈ અંતર્મુખ રહેતા. ગાંધીજીના જે વિચારો તેઓ પ્રવાસ દરમિયાન નિરંતર ઝીલતા તેને વિશે ગંભીરતાથી ચિંતનમનન કરવાનો અવસર આશ્રમમાં વિશેષ મળતો. આમ ચિંતન, પ્રાર્થના, ધર્મવિચાર આદિ સારુ કેદારનાથજી જેવા અનુભવીઓ અને કિશોરલાલ મશરૂવાળા, સુરેન્દ્રજી જેવા સાધકોનો તેમને સંગ મળતો. કિશોરલાલભાઈના પારિવારિક સંસ્કાર સ્વામીનારાયણ સંપ્રદાયના હતા, પણ એમનું ચિંતન શુદ્ધ તર્કઆધારિત હતું. આશ્રમમાં કટકે કટકે વાલજીભાઈ ગો. દેસાઈ પણ વરસો સુધી રહ્યા. આશ્રમમાં મહાદેવભાઈ કરતાં પણ વધુ વાચન કરતું હોય તો તે વાલજીભાઈ. પણ જેટલું વધુ વાંચતા તેટલું લાઘવથી લખતા અને બોલતા પણ ટૂંકાં ટૂંકાં વાક્યોમાં અને ટૂંકું ને ટચ. સાહિત્યની ચર્ચા મુખ્યત્વે કાકાસાહેબ અને નરહરિભાઈ સાથે થતી. नवजीवनના કામથી પરવારીને સ્વામી આનંદ કે જુગતરામ દવે આવ્યા હોય તો તેમાં ભળે ખરા. તત્ત્વચર્ચામાં જેનો કદાચ સૌથી મોટો ફાળો હોઈ શકત તે વિનોબા શરૂઆતનું એક વર્ષ ‘આગળ અભ્યાસાર્થે’ બહાર ગયા હતા. પાછળથી જમનાલાલજી તેમને વર્ધા લઈ ગયા. વચગાળામાં જેટલો વખત તેઓ સાબરમતીમાં હતા તેટલો વખત વિદ્યાર્થીઓને સંસ્કૃત અને ગુજરાતી શીખવવા ઉપરાંત, અને વહેલી સવારે તેમને ઉઠાડીને કડકડતી ટાઢમાં સાબરમતી નદીમાં નાહવાની પ્રેરણા આપવા સિવાય બાકીનો વખત પોતાની ધૂનમાં મસ્ત રહેતા. તેથી એમની સાથે તત્ત્વચર્ચાની બહુ ગુંજાઇશ નહોતી.

પરંતુ આવા પ્રતિભાવાન સાથીઓની વચ્ચે પણ મહાદેવભાઈનું સ્થાન કાંઈ અનોખું જ હતું. ગાંધીજીના સચિવ તરીકે તેમને ગમે ત્યારે આશ્રમ છોડીને જવાની અને આશ્રમમાં આવવાની છૂટ હતી. માત્ર એટલું જ નહીં, બાપુના વિચારોને સમજવાની એમની શક્તિ અને એ વિચારોને લોકભોગ્ય રીતે સર્વજનસુલભ કરવાનો એમનો ગુણ એમને આ આગવું સ્થાન અપાવવામાં મુખ્ય ભાગ ભજવતા. એમની વિશદ દૃષ્ટિ અને એમનો અસાધારણ બુદ્ધિવૈભવ બીજાઓથી તેમને અતડા નહોતો પાડતો. એ વૈભવની તેઓ લહાણી કરતા રહેતા. એમની નિષ્ઠાયુક્ત કર્મપરાયણતા અવિચળ રીતે તેમણે ગાંધીજીને સમર્પિત કરી દીધી હતી.

ગાંધીજી જોડે મહાદેવભાઈ ચર્ચા કરી શકતા પણ તેમાં તેમની વૃત્તિ ગાંધીજી જોડે વાદ કરવાની નહીં, એમની વાતને સમજવાની અને બને તો તેને ગ્રહણ કરીને અપનાવવાની રહેતી. પૂર્વજન્મ અંગે થયેલી ચર્ચા નીચે પ્રમાણે હતી:

‘આગલી રાત્રે પટણામાં ભાષણ થયું હતું ત્યારે રસ્તે જતાં મઝરુલ હકને મારી સાથે વાતચીત થયેલી, તેમાં મેં પુનર્જન્મ માટે મારી શંકા બતાવેલી’. તે બાબત ઇશારો કરીને કહેવા લાગ્યા: ‘મહાદેવ, મને નહોતું લાગતું કે તમે આવા હશો, પુનર્જન્મમાં ન માનનારને હું તો હિંદુ ન ગણું.’

મેં કહ્યું: ‘હિંદુ ન ગણો કે ખ્રિસ્તી ગણો કે ગમે તે ગણો, હું મારા મનમાં શા સારુ છુપાવું? એ પ્રતીતિનો પ્રશ્ન છે અને મને પ્રતીતિ થાય તો હું જરૂર માનતો થઈશ.’

હું સામી દલીલ કરવા લાગ્યો, તો કહે કે, ‘દલીલનું આમાં કામ જ નથી, તમે નથી જોતા કે ક્ષણે ક્ષણે કરોડો જીવો મરે છે અને કરોડો જન્મે છે? એ જ એમ સૂચવે છે કે પુનર્જન્મ હોવો જોઈએ.’

‘या मति सा गति’ પ્રમાણે ઘોડાને મનુષ્ય થવાની મતિ થતી હશે ખરી? એ પ્રશ્નના ઉત્તરમાં કહे છે, ‘એ વાત પણ જુદી જ છે. છતાં ઍના કિંગ્સફર્ડ કહેતી કે, મને લાગે છે કે ફ્રાંસમાંના ઘણા માણસો વાઘની યોનિમાં જન્મશે.

એ શું બતાવે છે?’

મેં કહ્યું: ‘કંઈ નથી બતાવતું. માત્ર એમ બતાવે છે કે ઍના કિંગ્સફર્ડને એ લોકોનાં દુષ્કૃત્યો જોઈને બહુ આઘાત પહોંચેલો અને તેણે ફિટકાર વરસાવેલો.’ બાપુ કંઈ ન બોલ્યા. આખરે મેં એમને કહ્યું કે, ‘હું માનવાનો પ્રયત્ન કરીશ.’ તો કહે કે, ‘જે ન માને તેને પ્રગતિમાં વિશ્વાસ ન હોઈ શકે, સેવા કરનારને તો એ માન્યતા હોવી જ જોઈએ.’ મેં કહ્યું: ‘તેટલે દરજ્જે હું ઘણી વાર માની લઉં છું અને ચોક્કસ પ્રતીતિ થશે ત્યારે માનતો થઈશ.’ મેં जोन क्रिस्टोफरના બીજા પુસ્તકમાં ગોટફ્રીડ અને ક્રિસ્ટોફરનો સંવાદ આવે છે તે બતાવ્યો અને કહ્યું કે આવી રીતે તમે મને “વિશ્વાસ રાખવો, નિરીક્ષણ કરવું અને પ્રાર્થના કરવી” એટલું જ કહેવા માગો છો ને?’ તો કહે કે, ‘હા.’ પછી ચર્ચા સમેટતાં મને કહે કે ‘તમારે આર્નોલ્ડનું “મરણોત્તર જીવન” (लाइफ बियोन्ड डेथ) વાંચવું જોઈએ.’૮

કોચરબમાં મહાદેવભાઈ પહેલવહેલા ગાંધીજીને મળ્યા ત્યારે પણ તેમની સાથે આવા તાત્ત્વિક મતભેદો અંગે ચર્ચા થયેલી. ગાંધીજી અને મહાદેવભાઈ બંનેને આવી ચર્ચાઓ ગમતી. અલબત્ત, સાંભળનારા ત્રાહિત લોકોને કોઈક વાર એમ લાગે ખરું કે મહાદેવભાઈ, પોતાની ભક્તિને લીધે, ગાંધીજી સામે દલીલ કરવાને બદલે ગાંધીજીની દલીલ સ્વીકારવા જ મથે છે!

તો કોઈક વાર શિષ્યની વાત પણ ગુરુને માનવા જેવી લાગે છે. ગાંધીજી સાથે જોડાયાને માત્ર બે મહિના જ થયા હતા ત્યારની ડાયરીની એક નોંધ જુઓ:

રાત્રે ગુજરાત ક્લબમાંથી આવતાં અનસૂયાબહેનના અતિશય આગ્રહ છતાં મોટરમાં ન બેસતાં, પગે ચાલવાનું પસંદ કર્યું. રસ્તામાં અનેક વાતો-ચર્ચા થઈ. इन्डियन ओपीनियनમાં આવેલાં સર્વોદયનાં પ્રકરણો ઉપર હું વિવેચન કરું છું. કેટલાંક પ્રકરણો અત્યંત સુંદર લાગે છે, તો કેટલાંક બહુ કાચાં લાગે છે. ટીકા કબૂલ રાખી કહે છે: ‘કોઈ વાર બહુ શૂરમાં આવીને હું લખતો ત્યારે બહુ સુંદર આવી જતું, કોઈક વાર કોર્ટના કામમાંથી થાક્યો પાક્યો લોથ થઈને બેઠો હોઉં અને તે વેળા इन्डियन ओपीनियनના લખાણ માટે કોઈક આવે તેને લખાવી દઉં, લખાવતાં કહેતો પણ જાઉં કે આમાંનાં આ વાક્યો પસંદ નથી, પણ કાંઈ ઉપાય નથી, વિચારવાનો વખત નથી, આવા ભાગો કાચા જ હોવાનો સંભવ છે.’૯

ગાંધીજીએ મહાદેવભાઈને પોતાની સાથે જોડાઈ જવા ઇજન આપ્યું ત્યારે તેમનામાં એમણે ત્રણ ગુણો ખાસ જોયા હતા: પ્રામાણિકતા, વફાદારી અને હોશિયારી. એ ત્રણ ગુણો ગાંધીજીના સંગથી અને મહાદેવભાઈના પુરુષાર્થથી થોડા જ વખતમાં સત્યનિષ્ઠા, ભક્તિ અને વિદ્વત્તાનું રૂપ ધારણ કરે છે. આંતરિક દૃષ્ટિએ આ પ્રગતિ તેમણે આશ્રમી મૂલ્યોને આત્મસાત્ કરવાના પ્રયાસથી સાધી હતી.

‘એ પ્રયાસની ચાવી હતી મહાદેવભાઈનો નમ્રતાનો ગુણ. શ્રી કિશોરલાલભાઈએ गांधी विचारदोहनમાં નમ્રતા વિશેના નીચલા બે મહત્ત્વના વિચારો રજૂ કર્યા છે:

‘પોતે પણ કંઈક છે, પોતાનામાં કંઈક વિશેષતા છે – એવું શરીર, મન, બુદ્ધિ, વિદ્યા, કળા, ચતુરાઈ, પવિત્રતા, જ્ઞાન, ભક્તિ, ઉદારતા, વ્રતપાલન કે ખુદ વિનયાદિક ગુણ વિશે પણ ભાન રહ્યા કરવું અને તેથી પોતાનું અસ્તિત્વ, જાણે બોજો ઉપાડીને ચાલતો હોય તેમ, ભારેખમ જણાવું એ અહંકાર છે. એ ભાન ઓછામાં ઓછું લાગવું — જેમ આપણા શરીરના નીરોગી અવયવો વિશે હોય છે તેમ — શૂન્યવત્ સ્થિતિ અથવા નમ્રતા. આવી નમ્રતા કેળવી શકાતી નથી, પણ અનેક સદ્ગુણો અને વિચારમય જીવનને પરિણામે સ્વભાવમાં ઊઠે છે, નમ્ર માણસને એની નમ્રતાનું ભાન પણ હોતું નથી.’૧૦

મહાદેવભાઈમાં આવી નમ્રતા ગાંધીજી પાસે જોડાયા તેનાથી પહેલાંની જ, સ્વાભાવિક રીતે હતી. અને પ્રસિદ્ધિ અને સફળતાને ઉચ્ચ શિખરે ચડ્યા છતાં પણ તે એમનામાં કાયમ રહી. તેથી સ્તો ગાંધીજીએ એમને એમ કહીને અંજલિ આપી હતી કે:

‘મને કોઈ પૂછે કે, મહાદેવના ચારિત્ર્યનું સૌથી ઉમદા લક્ષણ કયું? તો કહું કે, પ્રસંગ પડ્યે શૂન્યવત્ થઈ જવાની તેની શક્તિ.’૧૧

મહાદેવભાઈની એ સ્વાભાવિક નમ્રતા એમની અંતરયાત્રામાં એમને ખૂબ સહાયક નીવડી. આશ્રમનાં એકાદશ વ્રતો ૧. સત્ય, ૨. અહિંસા, ૩. બ્રહ્મચર્ય, ૪. અસ્વાદ, ૫. અસ્તેય, ૬. અપરિગ્રહ, ૭. અભય, ૮. સ્પર્શભાવના, ૯. શરીરશ્રમ, ૧૦. સર્વધર્મસમભાવ, અને ૧૧. સ્વદેશી વિશે એ અખંડ પ્રયત્નશીલ રહેતા તેનું મુખ્ય કારણ એ હતું કે તેઓ સહજ સ્વભાવથી જ એમ માનતા કે હજી મારે લાંબી વાટ કાપવાની બાકી છે.

મહાદેવભાઈની નમ્રતા તેમને સાથીઓ પ્રત્યે પ્રેમ આપતી અને ગાંધીજી પ્રત્યે ભક્તિ. ભક્તિને કારણે, અને બીજી પણ અપાર ગુણસંપત્તિ તેઓ સાથે લઈ ચાલતા હતા, તેથી તેમને આશ્રમવાસીઓમાંયે ઉપર જણાવ્યું તેવું આગવું સ્થાન પ્રાપ્ત થયું હતું. અને એમનો પ્રેમ એટલો પ્રબળ હતો કે એના ધોધમાં એમનો અહંકાર ધોવાઈ જતો. પરિણામે ગાંધીજીની પાસે એમનું વિશિષ્ટ સ્થાન હતું. દેશના આંદોલનમાં તેમને કોઈ કોઈ વાર તો કદી ઇચ્છી ન હોય એટલી પ્રસિદ્ધિ કે માનપાન મળતાં તોયે કોઈ આશ્રમવાસી કે રાજકારણી લોકો સુધ્ધાં મહાદેવભાઈની ઈર્ષ્યા કરતા જોવામાં આવતા નહીં. ગાંધીજી પાસે જોડાયા પછી બહુ થોડા જ સમયમાં સાથીઓએ અને દેશે એમણે પ્રાપ્ત કરેલા અજોડ સ્થાનને ‘એ તો મહાદેવભાઈનું જ સ્થાન’ એમ સ્વીકારી લીધેલું. એ નમ્રતા એમને આગળ જતાં ગાંધીજીના કટ્ટર વિરોધીઓના હૃદયમાં પણ એક કુમળું સ્થાન અપાવવાની હતી, એ આપણે જોઈશું.

સાબરમતીનો આશ્રમ એક નવી છતાં જૂની પરંપરાનું પ્રતીક હતો. ૧૯૦૯માં हिंद स्वराजમાં ‘પશ્ચિમી સુધારાવાદ’વાળી સભ્યતાની આકરામાં આકરી ટીકા કરીને હિન્દ સ્વરાજને વિશે તેમણે એક એવી સભ્યતા લાવવા અંગે ઇશારો કર્યો હતો કે જેનાં મૂળિયાં પ્રાચીન ભારતીય સભ્યતામાં હોય અને જેની ડાળીઓ ભવિષ્યની માનવીય સભ્યતા સુધી પહોંચે. સાબરમતી આશ્રમ એવાં જૂનાં મૂળિયાં પર ઊભેલું નવું વૃક્ષ હતું. આશ્રમ વિશે બોલતાં એક વાર ગાંધીજીએ કહ્યું હતું:

‘દક્ષિણ આફ્રિકામાં મારી મોટામાં મોટી કૃતિ ફિનિક્સ છે, એ ન હોત તો દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ ન હોત. આ આશ્રમ ન હોય તો હિંદમાં સત્યાગ્રહ ન થઈ શકે. આમાં મારી ભૂલ હોય. પણ ભૂલ હોય તો હું ત્યાજ્ય છું. હું તો દેશને કહેવાનો છું કે મારી ગણના ચંપારણથી કે ખેડાથી નહીં કરશો, પણ આશ્રમથી કરશો…’૧૨

એ આશ્રમના સંસ્કાર ઝીલીને મહાદેવભાઈ પણ પ્રાચીન સંસ્કૃતિનો આધાર લઈને ગાંધીવિચારોને એવી ભાષામાં સમજાવતા જોવામાં આવે છે કે, આજે સિત્તેર વર્ષ પછી પણ આધુનિકમાં આધુનિક અને ભવિષ્યના વિચારક સારુ સમર્પક હોય.

નોંધ:

૧. महादोवभाईनी डायरी – ૪ : पृ. ૨૮–૨૯

ર. શ્રી સાંકળચંદ શાહ.

૩. મહાદેવભાઈની ડાયરી – ૪ : પૃ. ૨૯.

૪, વનમાળા દેસાઈ: नरहरिभाई: પૃ. ૨૨૫-૨૨૬.

પ. એજન, પૃ. ૨૨૭-૨૨૮.

૬. महादोवभाईनी डायरी – ૪ : પૃ. ૬૮.

૭. એજન, પૃ. ૮૪.

૮. महादोवभाईनी डायरी: પૃ. ૧૧૫-૧૧૬.

૯. महादोवभाईनी डायरी પૃ. ૩૧.

૧૦. કિશોરલાલ ઘ. મશરૂવાળા: गांधी विचारदोहन: પૃ. ૧૯.

૧૧. હરિજન: સેવાગ્રામ: ૧૨–૮–૪૬.

૧૨. गांधीजीनो अक्षरदेह – ૧૫ : પૃ. ૮૯.