અનુબોધ/મીરાંનાં પદોનું સૌંદર્ય
મધ્યકાલીન ભારતમાં ભક્તિભાવનાનું જે વિશાળ અને જોમવંતુ આંદોલન જન્મ્યું તેમાં કબીર, સૂર, તુલસી, જાયસી, ચૈતન્ય અને મીરાં જેવા અનેક ભક્તકવિઓની પ્રેરણા રહી છે. એ સૌ ભક્તકવિઓએ રચેલું ભક્તિસાહિત્ય આપણા ધાર્મિક અને સાંસ્કૃતિક જીવનનો ઘણો મોંઘેમૂલો વારસો બની રહ્યું છે. આપણા સંસ્કારજીવનમાં એની ચોક્કસ પ્રેરણા અને પ્રભાવ રહ્યાં છે. મીરાંની ભક્તિવૃત્તિ અને એમની પદરચનાઓ એ આખીય ભક્તિપરંપરામાં અલબત્ત અલગ પડી જાય છે. ભક્તિના માર્ગમાં મીરાં નિજી વૃત્તિથી ચાલી છે. જોકે મીરાંના જીવન વિશે અને પદરચનાની તેમની પ્રવૃત્તિ વિશે ઇતિહાસમાં પ્રમાણભૂત માહિતી ખાસ મળતી નથી. મીરાંના અનેકક સંનિષ્ઠ અભ્યાસીઓ અને સંશોધકોએ જોકે એ સમયના ઇતિહાસ ઉપરાંત અન્ય સાહિત્યસામગ્રીમાંથી જે કંઈ વિગતો મળી તેને આધારે મીરાંનું સાચું વ્યક્તિત્વ અને તેમની મનોઘટનાને સમજવાના અને એ રીતે મીરાંનું બને તેટલું પૂરું વૃત્તાંત રચવાના પ્રયત્નો કર્યાં છે. અને છતાં, નોંધવું જોઈએ કે, મીરાંની આખી છબી રચી શકાઈ નથી. તો ભલે. મીરાંની આખી છબી એ રીતે રચાય ત્યારે રચાય! પણ એક વાત આપણે સ્મરણમાં રાખવી જોઈએ કે આપણા દેશની ધર્મપરાયણ પ્રજાના હૃદયમાં મીરાંની એક લોકોત્તર પ્રતિમા પહેલેથી રચાઈ ચૂકી છે અને એ છે જનમજનમની વિજોગણ જનમજનમની વિરહિણી, જનમજનમની પ્યાસી નારી. કૃષ્ણ પ્રિયતમની ચિર પ્રતીક્ષામાં ઝૂરતી અને પ્રેમની સાધનામાં તપસી નારી. મધ્યકાલીન ભારતમાં અગ્રણી રાજવંશની એ ભક્તનારી. કૃષ્ણભક્તિની જ્યોત લઈને અવતરેલી એ રાજકુમારી અને પછી મેવાડની રાજરાણી – પોતાની ભક્તિમાં, ઉપાસનામાં, એવી તો મગ્ન બની કે રાજ્યકુળ અને લોક સર્વની ‘લાજ’ છોડી તેઓ પોતાના પ્રિયતમમાં ખોવાઈ ગયાં. ભક્તકવિઓની દીર્ઘહરોળમાં મીરાંનું જીવન અને કવન એ રીતે સાવ અનોખાં બની રહે છે. મીરાંનાં પદો આજે ય આપણા સમાજના ભક્તગણને તેમ કાવ્યરસિક વર્ગને ઊંડો આહલાદ અર્પે છે, ઊંડી શાતા અને સમાધાન અર્પે છે. એમાં આમ જુઓ તો ભક્તિ, સંગીત અને કાવ્ય, એ ત્રણ સત્ત્વોનો વિરલ યોગ થયો છે. મીરાંની અનેક રચનાઓ આજે શાસ્ત્રીય સંગીતના સૂરોમાં બાંધીને રજૂ થતી રહે છે, અને આજના કળારસિક વર્ગમાં તેનો જાદુઈ પ્રભાવ પથરાતો જોવા મળે છે. આ સંદર્ભમાં એક વાત એ ય સ્મરણમાં રાખવા જેવી છે, અને તે એ કે મધ્યકાળનું કાવ્ય સાહિત્ય મુખ્યત્વે ગેય પરંપરાનું છે. ખાસ કરીને પદરચનાઓમાં તેની ગેયતાને પોષક નીવડે એવા વર્ણસંગીતનો તેમ બીજાં સંગીતાત્મક તત્ત્વોની પૂરી માવજત કરવાનું વલણ દેખાય છે. મીરાંનાં પદોનું સૌંદર્ય ખરેખર ક્યાંથી નિષ્પન્ન થાય છે, અથવા એ પદોનો રસસ્રોત ક્યાં છે, એ પ્રશ્નનો વિચાર કરવા આપણે પ્રેરાઈએ, ત્યારે આપણે કદી ન ભૂલવું જોઈએ કે મીરાં સૌ પ્રથમ અને અંતે તો ભક્તજન છે. તેમનું સ્મસ્ત જીવન કૃષ્ણભક્તિમાં ઓતપ્રોત છે. છેક બાળપણમાં કૃષ્ણને તેઓ વર્યાં, તે પછી કૃષ્ણ જ તેમના એક માત્ર ઉપાસ્ય, એક માત્ર આરાધ્ય. કેટલાંયે પદોમાં ‘જનમોજનમની પ્રીત’નો તેમણે નિર્દેશ કર્યો છે. તેમનું પદ સાહિત્ય, તેમાંના પાઠભેદ ને ભાષાભેદના પ્રશ્નો છતાં, એટલું તો નિશ્ચિતપણે સૂચવે છે કે મીરાંની કૃષ્ણ પ્રત્યેની ભક્તિ તે મુખ્યત્વે કાન્તાભક્તિ છે. કૃષ્ણને તેમણે અનન્ય એકાંકિત ભક્તિભાવથી સેવ્યા છે. અને એના હાર્દમાં રહ્યો છે પ્રબળતમ અનુરાગ, સૂક્ષ્મ લોકોત્તર રતિભાવ, કૃષ્ણના મધુર મોહન રૂપની તેમણી શાશ્વત ઝંખના છે. અને આવી મધુરાભક્તિ જ તેમનાં પદોનો મૂળ પ્રેરણાસ્રોત છે. અલબત્ત, મીરાંના સમયમાં જ ઉત્તરભારતમાં અને દક્ષિણ ભારતમાં જુદા જુદા ભક્તિસંપ્રદાયો પ્રચારમાં આવી ગયા હતા. એમાં સગુણ-નિર્ગુણ જેવી અલગ ધારાઓ હતી. પણ મીરાં એવા કોઈ એક સંપ્રકદાયને અનુસરી નથી કે તેમાં બંધાઈ નથી. તેમનું સરળ વિશાળ અને મુક્ત હૃદય સંસારની સાંકડી સીમાઓને સ્વીકારી શકે એમ નહોતું. એટલે કોઈ એક સાંપ્રદાયિક દર્શનને કે વાદને તેઓ અનુસર્યાં નથી. મૂળ વાત એ છે કે તેમના હૃદયમાં ભક્તિવૃત્તિ અસાધારણ આવેશ અને ઉત્કટતા સાથે સક્રિય બની હતી. એટલે કૃષ્ણ પ્રિયતમને તેઓ હૃદયની ઊંડી સહજ લગનથી ચાહતાં રહ્યાં. તેમનું હૃદય કૃષ્ણ પરત્વે અસાધારણ વ્યાકુળતા સાથે ગતિ કરતું રહ્યું. એ કારણે તેમનાં પદોમાં આ કે તે સંપ્રદાયની દાર્શનિક વિચારણા કે તેનાથી મર્યાદિત થતા અનુભવોનો પ્રશ્ન સર્વથા ગૌણ બાબત બની જાય છે. જો કે એ સમયે પ્રચારમાં આવેલા ભક્તિસાહિત્યનો તેમને પરિચય હશે, એટલે એ સાહિત્યના અમુક સંસ્કારો તેમના ભક્તિભાવમાં ન જ ઝીલાયા હોય એમ પણ અહીં અભિપ્રેત નથી. પણ મીરાંએ ગાયેલાં પદોમાં વધુ તો મીરાંનું આંતરસત્ત્વ જ પ્રબળપણે છતું થઈ ઊઠ્યું છે. મીરાંનાં પદોમો મીરાંના નિજી વ્યક્તિત્વની પૂર્ણ મુદ્રા અંકિત થયેલી છે, તે અત્યંત ધ્યાનપાત્ર હકીકત છે. મીરાંની પદરચનાઓ, ખરેખર તો, તેમની અતિ ઉત્કટ, ભાવોદ્રેકભરી, ભક્તિની ક્ષણોમાં અનાયાસ જન્મેલા ઉદ્ગારો સમી છે. ચાહીને, સંપ્રજ્ઞપણે, કાવ્યની કળા સિદ્ધ કરવા પ્રવૃત્ત થવું, પ્રચલિત કાવ્યશાસ્ત્રને, અભિમત રચનાકળાની વિવિધ યુક્તિઓ યોજવી એ અલંકારોની રચના કરીને કવિતાને શણગારવી – એવી કોઈ દેખીતી વૃત્તિ મીરાંમાં નહિ હોય. તેમની પરમ ઝંખના, પરમ લક્ષ્ય જ, પરમ સુંદર કૃષ્ણ હોય, અનેએ મનમોહક સાંવરિયાનું મિલન તેમની પરમ પ્રાપ્તિ હોય તો પછી સંસારી કવિની જેમ શબ્દલીલામાં તેમનું મન રોકાય ખરું? કૃષ્ણ સમી પરમ વિભૂતીની ક્ષણાર્ધ માટે ય ઝાંખી થઈ હોય તેમને શબ્દપ્રપંચમાં આસક્તિ રહે ખરી? જો કે મીરાંએ રચેલાં પદો સાવ આકસ્મિક ઘટના ય નથી. ભક્તકવિઓના પદસાહિત્યની વિશાળ પરંપરામાં એક એક વિશિષ્ટ ઉન્મેષ છે. એ યુગમાં પ્રચારમાં આવેલી અન્ય ભક્તકવિઓની પદરચનાઓનો – એ પરંપરાનો મીરાંને ઓછોવત્તો ય પરિચય હશે જ, એટલે પદરચનાના બંધ, રાગ, ઢાળ, બાની, રીતિ, પરત્વે અન્ય કવિઓના સંસ્કારો જાણ્યેઅજાણ્યે ય તેમના ચિત્તમાં બેઠા હોય એ સમજાય તેવું છે. પણ, મીરાંનાં પદોમાં તેમના તીવ્ર અને પ્રબળ અનુભવો સહજ રીતે વર્ણવાતા રહ્યા છે, અને પરંપરાગત કાવ્યસંસ્કારો એ અનુભવોમાં સહજપણે ઓગળી ગયા છે. મીરાંની નિજી અનુભૂતિ જ તેમનાં પદોમાં પ્રવર્તી રહે છે. ભાવાનુભૂતિ અને વર્ણનરીતિમાં આ કારણે નિજ વૈયક્તિકતા જ નિખરી આવે છે. મીરાંનાં પદોમાં વિલસતું, નિખરતું સૌંદર્ય એ ભક્તનારીના હૃદયના તીવ્ર અને ગહન ભાવોમાંથી નિષ્પન્ન થયું છે. એમાં નિર્વ્યાજ સરળતા અને સચ્ચાઈ સતત રણકતાં સંભળાય છે. આપણે આગળ જોઈશું કે કૃષ્ણને જ વરી ચૂકેલી આ ભક્તનારીનાં વિભિન્ન ભાવો, લાગણીઓ, સંવેદનાઓ પાછળ ચોક્કસ આધ્યાત્મિક આસ્થા રહી છે, વિશ્વાસનો તંતુ રહ્યો છે. મીરાંનાં અંતરની ગહનતમ લાગણીઓ અને અનુભવોમાં નારીને સહજ એવી આરત, અભિલાષ, ઝંખના, કોડ, ઉમંગ, અવસાદ, નિરાશા જોડાતાં રહ્યાં છે અને નારીહૃદયમાં જોવા મળે એવી સુકુમારતા, ભાવાર્દ્રતા, વિહવળતા, અભિજાત રુચિ એમાં વિશેષ રંગ, વિશેષ સંસ્કાર આણે છે. પણ એ કંઈ લૌકિક ભાવો નથિ. ધર્મભાવના અને આધ્યાત્મિકતાની ઊર્ધ્વ ભૂમિકાએ એ ભાવસૃષ્ટિ મંડાયેલી છે. એટલે જ, સંપ્રદાયોથી મુક્ત ભક્તોને તેમ કાવ્યરસિકોને એ રચનાઓ લગભગ સમાન અપીલ કરે છે. આધ્યાત્મિક અનુભવોના હાર્દમાં ય અહીં કેટલાંક ચિરંતન માનવીય તત્ત્વોનો સઘન અનુભવ થાય છે. એ ચિરંતન તત્ત્વો જ માનવહૃદયને સર્વત્ર સ્પર્શી રહે છે અને ભીંજવી જાય છે.
મીરાંનાં પદોમાં વિસલી રહેલા સૌંદર્યતત્ત્વનું ભાવન, આકલન કે વિવેચન કરવા ઇચ્છતા આજના કાવ્યરસિક સામે, અલબત્ત, એક મોટો વિકટ પ્રશ્ન તે મીરાંની ખરેખરી પદરચનાઓને ઓળખવાનો અને અલગ તારવવાનો છે. મીરાંનાં પદોના ગુજરાતી અને હિંદીમાં અત્યારે જે જે સંચયો મળે છે તેમાં મીરાંના કર્તૃત્વવાળી રચનાઓની સાથોસાથ મીરાંને નામે ચઢેલી રચનાનો ય ભેગી થયેલી છે. હકીકતમાં બન્યું છે એમ કે મીરાંના પદસાહિત્યના આરંભકાળના અભ્યાસીઓ, સંશોધકોએ દેશના જુદાજુદા ભાગોમાંથી મીરાં નામના ઉલ્લેખવાળી બધી જ કૃતિઓ સંગ્રહિત કરી લેવાનું વલણ દાખવ્યું છે. તેમને મળેલી જુદા જુદા કેન્દ્રની જુદા જુદા સમયની હસ્તપ્રતોમાં ભાષાકીય ભિન્નતાઓ તો છે જ, પણ પાઠભેદો ય મોટા છે. આજે મીરાંના બધા જ અભ્યાસીએ, સંશોધકો એ વાતમાં પૂરા સંમત છે કે મીરાંને નામે એકત્ર થયેલી આ બધી રચનાઓ મીરાંની નથી જ. પાછળના અન્ય ભક્તકવિઓએ ‘મીરાંભાવ’થી પ્રેરાઈને રચેલી અને મીરાંને નામે ચઢાવેલી રચનાઓ એમાં ભળી ગયેલાં છે. બીજી બાજુ અન્ય સંપ્રદાયના ભક્તોએ મીરાંનાં પદોમાં ક્યાંક વિચારવર્ણનની વિગતો બદલી હોવાની પણ સંભાવના છે. એ રીતે, મીરાંની સૌથી પ્રામાણિક અને શ્રદ્ધેય કૃતિઓ અલગ તારવવાનું અત્યારે તો મહામુશ્કેલ છે. ડૉ. ભગવાનદાસ તિવારી જેવા હિંદીના વિદ્વાને આ દિશામાં પ્રશંસનીય પ્રયત્ન કર્યો છે, પણ તે સીમિત સ્વરૂપનો છે. મીરાંની ગુજરાતી રાજસ્થાની અને વ્રજ રચનાઓના જે સંચયો અત્યારે આપણને ઉપલબ્ધ થયા છે, તેમાં જુદીજુદી હસ્તપ્રતોનો અને ક્વચિત કંઠ્ય પરંપરાનો આધાર છે. એટલે ગુજરાતીમાં ઉપલબ્ધ થતી કૃતિઓ પૈકીની અનેકકલ રચનાઓ રાજસ્થાની કે વ્રજના સંગ્રહોમાં મળતી નથી. તો, રાજસ્થાની કે વ્રજની કેટલીયે રચનાઓ ગુજરાતીમાં મળતી નથી. અને જે રચનાઓ એ ત્રણેય ભાષાઓમાં ઊતરી આવેલી મળે છે, તેમાં પાઠભેદો ય ઘણા છે. દા.ત. ‘મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરો ન કોઈ’, ‘સખી રી મૈં તો ગિરધર કે રંગ રાતી’, ‘માઈ મૈંને ગોવિન્દ લીન્હો વણમોલ’, ‘માઈ મેં તો સપનામાં પરણી ગોપાલ’, ‘મેં તો સાંવરે કે રંગ રાચી’, ‘ઘૂંઘરું બાંધ મીરાં નાચી રે’, ‘બસો મોરે નૈનનમેં નન્દલાલ’– એ સર્વ લોકપ્રિય રચનાઓમાં ઘણા પાઠભેદો છે એટલે આજના કાવ્યરસિકે કયા પાઠને લક્ષમાં લેવો એ પણ મોટો મૂંઝવનારો પ્રશ્ન રહે છે. મીરાંનાં પદોની ભાષાકીય ભિન્નતાઓ પણ કાવ્યરસિકો માટે પ્રશ્ન બને જ છે. કેમકે, ગુજરાતી રાજસ્થાની કે વ્રજની રચનાઓમાં જ્યાં પદાવલિમાં ફરે છે ત્યાં વર્ણસંગીત કે ગેયતાસાધક તત્ત્વોમાં ય ફેર પડે છે. ડૉ. ભગવાનદાસ તિવારીના મતે ડાકોર અને કાશીમાંથી પ્રાપ્ત થયેલી હસ્તપ્રતો જૂનામાં જૂની અને સૌથી શ્રદ્ધેય છે. એમાંનાં પદોની ભાષા રાજસ્થાની છે. મીરાંની મૂળ ભાષાની કદાચ એ સૌથી નિકટની ભાષા સંભવે છે. ગમે તે હો, એટલું તો સ્પષ્ટ છે કે મીરાંના યુગમાં સમગ્ર પાશ્ચાત્ય ભારતની ભાષા લગભગ સમરૂપ હતી. એ ભાષાને પ્રાચીન પશ્ચિમી રાજસ્થાની તરીકે કે મારુ-ગુર્જર તરીકે કોઈ પણ નામથી ઓળખાવો. આજના જેટલી ભાષાભિન્નતા તેમાં નહોતી જ. પણ મીરાંનાં પદો વિશાળ લોકસમુદાયને હૃદયસ્પર્શી નીવડ્યાં, એટલે સમય જતાં કંંઠોપકંઠ તેનો પ્રચાર વધતો ગયો. અને એ સાથે જુદા જુદા વિસ્તારમાં જાણ્યેઅજાણ્યે ય તેમાં ભાષાસ્તરેેથી પરિવર્તનો આવતાં ગયાં. તાત્પર્ય કે, મીરાંની પદરચનાઓના ભાવન-આસસ્વાદનની બાબતમાં કાવ્યરસિકોને કેટલાક કૂટ પ્રશ્નોનો સામનો કરવાનો આવે જ છે. અને છતાં ગુજરાતી વ્રજ કે રાજસ્થાની પદોમાંથી મીરાંની કેટલીક રચનાઓ વિશે ચોક્કસ અનુમાન બાંધવામાં મુશ્કેલી નથી. ખાસ કરીને, પ્રેમભક્તિના ભાવમાં પ્રબળતા, ઉત્કટતા અને સાથે સુકુમારતાનો અનુભવ થાય છે, ઊંડી વિરહવ્યથાનો સચ્ચાઈભર્યો રણકો સંભળાય છે, ત્યાં મીરાંના કર્તુત્વ વિશે ઝાઝી દ્વિધા રહેતી નથી. જરા જુદી રીતે કહીએ તો પનઘટ, દાણલીલા, મીરાંવૃત્તાંત જેવા વિષયોની રચનાઓ પરત્વે કર્તુત્વનો પ્રશ્ન વધુ ગૂંચવાડાભર્યો બની રહે છે. જ્યારે મીરાંના વ્યાકુળ હૃદયના સરળ નિર્વ્યાજ ભાવો પરત્વે એ એટલો મુશ્કેલ રહેતો નથી.
મધ્યકાલીન પદસાહિત્યની સમૃદ્ધ પરંપરામાં મીરાંના પદો આગવું સ્થાન ધરાવે છે. અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, મીરાંની પદરચનાઓ વિશેષત : તેમણી ઉત્કટ ભક્તિના આવેશમાં સહજ રચાઈ આવ્યાં છે. મોટી સંભાવના તો એ છે કે કૃષ્ણભક્તિમાં ઘેલું બનેલું હૃદય સંગીતના સહારે ગાઈ ઊઠ્યું હોય. સ્વાભાવિક રીતે જ, એ રચનાઓ ઉત્કટ અનુભૂતિમાંથી જન્મી આવી હોય, રચનાબંધની દૃષ્ટિએ ઘણી ટૂંકી અને લાઘવયુક્ત હોય. મીરાંની પ્રામાણિક લેખવાયેલી પદરચનાઓ ઘણુંખરું નાની છે. ભાવની ઉત્કટતા, પ્રબળતા, આવેશ, અને ઘનિષ્ઠતા એમાં તરત સ્પર્શી જાય છે. મીરાંનાં પદોનું સૌંદર્ય, તેની રસસમૃદ્ધિ, તેમની નિજી ગહનતમ અનુભૂતિઓમાંથી જન્મ્યાં છે. મીરાંના સમગ્ર પદસાહિત્યમાં, આમ તો, કૃષ્ણભક્તિ નિમિત્તે ભિન્નભિન્ન ભાવદશાઓ વર્ણવાયેલી છે. પણ એમાં મીરાંની સાચી રચનાઓમાં સતત કશુંક અવ્યાખ્યેય પણ નિજી તત્ત્વ ભળતું રહેલું જોઈ શકાશે. ગોપીઓ અને કૃષ્ણ કે રાધા અને કૃષ્ણ વચ્ચેના અનુરાગને તટસ્થપણે, કે કશુંક અંતર કેળવીને, વર્ણવવાનો તેમનો કોઈ ખાસ આશય જણાતો નથી. જે કંઈ તીવ્ર સંવેદનાઓ લાગણીઓ ભાવનાઓ પોતે અનુભવી તેને ગાવાનું તેમનું પ્રબળ વલણ દેખાય છે. એ રીતે અનુભવની સચ્ચાઈ અને પારદર્શિતા તેમની સંવેદનામાં પ્રતીત થાય છે. અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, મીરાંની કૃષ્ણભક્તિ એ સવિશેષે મધુરાભક્તિ છે. કૃષ્ણને તેમણે પોતાના આરાધ્યદેવ અને પ્રિયતમ લેખવ્યા છે. કૃષ્ણની પ્રિયા રૂપે તેમણે પોતાનો હૃદયભાવ વ્યક્ત કર્યો છે. કૃષ્ણમાં જ તેમનો પૂર્ણ વિશ્વાસ ઠર્યો છે, અને કૃષ્ણ જ તેમનો સાચો આધાર છે. કેવળ કૃષ્ણ, ન અન્ય કોઈ, અર્થાત્ કૃષ્ણમાં તેમની અનન્ય એકાન્તિક નિષ્ઠા રહી છે. તન, મન, પ્રાણ, આત્મા, સર્વસ્વ અર્પણ કરીને તેમણે આત્મલોપન સ્વીકાર્યું છે. પૂરેપૂરું આત્મસમર્પણ અને આત્મનિવેદન તેમના ભક્તિભાવના હાર્દમાં રહ્યાં છે. વાસ્તવમાં મીરાંની ભક્તિવૃત્તિ અને ભક્તિભાવનામાં સાધનાને માર્ગે ગતિ કરતી અતિ તેજસ્વી અને કુલીન નારીનું કોમળ હૃદય છતું થાય છે. કૃષ્ણ પ્રિયતમને સર્વસ્વ અપર્ણ કરીને તેઓ અમર સૌભાગ્ય પામવા ઝંખે છે. કૃષ્ણ પરમાત્માને ‘મેરે ગિરિધર ગોપાલ’, ‘ગિરિધર નાગર’, ‘સાંવરિયા’, ‘શામળો’, ‘નાગરનંદા’, ‘બાલમુકુંદા’, ‘સુંદરશ્યામ’, ‘વિઠ્ઠલ’, ‘મોહન’, ‘હરિવર’, ‘કહાના’ જેવાં સંબોધનોથી તેઓ ઓળખે છે. કૃષ્ણ પ્રભુના ચરણકમળમાં પોતાને શાશ્વત સ્થાન મળે એવી તેમની ગહનતમ ઝંખના અને આરત રહી છે. મીરાંએ પિયુમિલનનાં અને મિલનની ઉત્કંઠાનાં પદોય રચ્યાં છે, પણ તેથી ય વધુ તો વિરહભાવનાં, વિરહદર્દનાં, પદો રચ્યાં છ. મીરાંના નારીહૃદયનું ઊડું સત્ત્વ એ વિરહની રચનાઓમાં પ્રગટ થયું છે. ભાવની ગહરાઈ, સૂક્ષ્મતા, અને સુકુમારતા વધુ તો વિરહગાનમાં પ્રત્યક્ષ થાય છે. નારીસહજ હૃદયવૃત્તિની વ્યાકુળતા વિહવળતા અને ભાવાદ્રેકને કારણે પદરચનાઓ આજના ભક્તહૃદયને તેમ કાવ્યરસિકને જેટલી જ પ્રભાવક બની રહે છે. એમાં તીવ્ર અનુભૂતિની નિબિડતા છે, સઘનતા છે, જીવંતતા અને જોમ છે. મીરાંના મિલન અને વિરહના વિવિધ ભાવોમાં કૃષ્ણપરત્વેની તેમની અડગ નિશ્ચલ શ્રદ્ધા રણકી રહે છે. અભિજાત સંવેદનપટુ નારીનું સૌમ્ય પણ પ્રતાપી વ્યક્તિત્વ એમાં નિજી મુદ્રા સાથે છતું થાય છે. કેટલીક વાર એવી ટીકાટિપ્પણ કરવામાં આવે છે કે મીરાંનાં પદોમાં વર્ણવાયેલું ભાવજગત સીમિત છે. પણ આ રીતની ટીકા પાછળ ટીકાકારની ક્યાંક ગેરસમજ થતી હોય એમ મને લાગે છે મીરાં તો ભક્ત હતાં. સંસારના અન્ય કવિઓની જેમ લૌકિક વિશ્વના અનુભવો ગાવામાં તેમને ભાગ્યે જ કશો રસ હોય. પ્રાકૃત અને લૌકિક સ્તરના વિશ્વમાં કાવ્યના માધ્યમ દ્વારા અવનવા અનુભવો પ્રાપ્ત કરવા કે અવનવા અનુભવોની ખોજમાં કાવ્ય સિદ્ધ કરવું એવી કોઈ પ્રવૃત્તિ તેમને ઇષ્ટ નહોતી. કૃષ્ણ પ્રભુ જ તેમના પરમ ઉપાસ્ય, અને એ જ તેમનું પરમ પ્રાપ્તવ્ય. એટલે એ વિભૂતિરૂપ કૃષ્ણની લગન લાગી તે પછી સંસારી જીવન તેમને સર્વથા મિથ્યા લાગ્યું. ‘મુખડું મે જોયું તારું, સર્વ જગ થયું ખારું’, ‘સંસારસાગર આ મોહજળ ભરિયો રે હાં, મારે તારે ભરોસે તરવું છે રે હાં, હાં....’, ‘લક્ષ ચોરાસી મારો ચૂડલો રે, મેં તો વર્યા શ્રી અવિનાશ’ – એવું રટણ કરતી મીરાંને સ્વાભાવિક રીતે જ લૌકિક, સાંસારિક અનુભવોમાં મિથ્યાપણું સમજાઈ ચૂક્યું હોય. એટલે, મીરાંને પોતાના આરાધ્યદેવ કૃષ્ણ, કૃષ્ણપ્રીતિ, વિશ્વાસનું આલંબન કૃષ્ણ, કૃષ્ણમિલનની તાલાવેલી અને કૃષ્ણ વિરહની ગૂઢતમ વ્યથા – એ જ મુખ્યત્વે વર્ણ્યવિષય બન્યાં છે. જો કે સૂક્ષ્મ દૃષ્ટિએ જોનારને પ્રતીત થશે કે મિલન અને વિરહના ભાવો અને ભાવસંદર્ભોમાં, ઉપલક નજરને દેખાય, તે કરતાં ઘણું વધારે વૈવિધ્ય સધાયું છે. મીરાંએ સંગીત અને નૃત્યની શાસ્ત્રીય પદ્ધતિએ તાલીમ લીધી હતી કે કેમ એ વિશે નિશ્ચિતપણે કહેવાનું મુશ્કેલ છે. પણ ભક્તિના આવેશની ક્ષણોમાં પગે ઘૂંઘરાં બાંધીને મીરાંએ નૃત્ય કર્યું હશે એમ માનવાને કેટલાક નિર્દેશો મળે છે. વળી, મીરાંનાં ઘણાંએક પદો શાસ્ત્રીય રાગરાગિણી સાથે જોડાયાં છે. કહેવાય છે કે મીરાંનાં પદોનાં જાળવણી આરંભકાળમાં કેટલાક સંગીતજ્ઞોએ કરી હતી. ગમે તેમ, મીરાંનાં પદો શાસ્ત્રીય સંગીતને જરૂર ઉપકરાક નીવડ્યાં છે. ધ્રુવપંક્તિની હૃદયંગમ યોજના, અંતરાની મર્યાદિત ગોઠવણી, મંજુલ કોમળ બાની, અને ટુંકા રચનાબંધ – એવી એવી બાબતોને લક્ષમાં લઈએ તો એ રચનાઓ રાગરાગિણીને અનુરૂપ નિર્માણ થઈ હોય એવા અનુમાન પર આવવામાં ઝાઝું જોખમ નથી.
અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, મીરાંનો માર્ગ મધુરાભક્તિનો છે. કૃષ્ણનું મધુર મોહક રૂપ જ તેમને સૌથી વહાલું રહ્યું છે. કુરુક્ષેત્ર પર બ્રહ્મવિદ્યાની તાત્ત્વિક ચર્ચા કરતા મહામનીષી કૃષ્ણ કે નંદયશોદાના વાત્સલ્યમાં મગ્ન બાલકૃષ્ણ કરતાં યે મોહનમૂર્તિ કૃષ્ણ જ તેમના ઉપાસ્ય દેવ અને પ્રિયતમ રહ્યા છે. એ પરમ સૌંદર્યમૂર્તિની એકાદ ઝલક મીરાંએ જોઈ છે, એટલે એ મૂર્તિને પામવાની અબૂઝ પ્યાસ તેમના અંતરમાં જન્મી પડી છે. એક મોહનમૂર્તિના વિરહમાં મીરાં જાણે કે જનમોજનમની વિજોગણ બનીને ઝૂરતાં રહ્યાં છે, ભવાટવિમાં ભટકતાં રહ્યાં છે. એવી એ કામણગારી મધુર મૂર્તિનું અનેક પદોમાં તેમણે વર્ણન કર્યું છે :
મોર મુગટ સોહામણો રે, ગળે ગુંજાનો હાર
મુખ મધુરી, તારે હો મોરલી રે,
તારી ચાલ તણી છે બલિહાર
*
મોર મુગટ પીતાંબર પહેર્યાં
કુંડલ પર ચિત્ત લગિયાં રે
*
પીળાં પીતાંબર જરકસી જામા
પીળો તે પટકો બિરાજે છે
કાને તે કુંડળ મસ્તકે મુગટ
મુખ પર મોરલી બિરાજે છે
*
બસો મેરે નેનન મેં નંદલાલ
મોહની મૂરતિ સાંવરિ સૂરતિ
બને નૈન બિસાલ
અધર સુધા રસ મુરલી રાજતિ
ઉપ બૈજન્તી માલ
છુદ્ર ઘંટિકા કટિતટિ સોભિત
નુપૂર સબ્દ રસાલ
મીરાં પ્રભુ સંતન સુખદાઈ
ભક્ત બછલ ગોપાલ.
મીરાંની ભક્તિવૃત્તિની એક મુખ્ય લાક્ષણિકતા તે કૃષ્ણ પ્રિયતમના શાશ્વત સાન્નિધ્યની તીવ્રતમ ઝંખના. કૃષ્ણનો વિરહ તેમને નિરંતર દહી રહ્યો છે. અને કૃષ્ણ સાથેના મિલનની તેમના હૃદયમાં અપૂર્વ ઉત્કંઠા અને વિહવળતા જન્મી છે. પોતાનું સ્થાન ગિરિધરના સાન્નિધ્યમાં હોય, ચરણકરમણમાં હોય, એવી ગૂઢ કામના તેમણે સતત સેવી છે. ‘બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરનાગર ચરણકમળ બલિહારી,’ ‘મીરાંબાઈ કહે પ્રભુ ગિરિધરનાગુણ, ચરણકમળ ચિત્ત રાખું,’ ‘મીરાં કે પ્રભુ ગિરિધરનાગર, ચરણ કમળ પર વારી’ – એમ મીરાં નિરંતર રટણ કરતી રહી છે. આત્મસમર્પણ અને આત્મનિવેદન એ તેમની રચનાઓનો સ્થાયિ ભાવ છે. કૃષ્ણની મોહનમૂર્તિમાં ય દિવ્યપ્રભાથી મંડિત મુખ અને તેના પર ઝળકતા મધુર સ્મિતનો મીરાંનો વારંવાર ઉલ્લેખ કર્યો છે. એ મોહક મુખના દર્શનમાં તેઓ જીવનની પૂર્ણ કૃતાર્થતા અને ધન્યતા અનુભવે છે. એક પદમાં મીરાં ગાય છે :
મુખડાની માયા લાગી રે
મોહન! તારા મુખડાની માયા લાગી રે.
કૃષ્ણની લોકોત્તર વિભૂતિ અહીં માનવીય દૃષ્ટિના તેજમાં અનન્ય ઉષ્મા અને આત્મીયતાથી રજૂ થઈ છે. કૃષ્ણના મુખની મીરાંને માયા લાગી, તે સાથે જ સંસારસુખની ક્ષણભંગુરતા અને તેના મિથ્યાપણાનું ઉત્કટ ભાન પણ તેમના અંતરમાં જન્મી પડ્યું.
મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું,
મન મારું રહ્યું ન્યારું રે
સંસારીનું સુખ કાચું એવું, ઝાંઝવાનાં નીર જેવું
તેને તુચ્છ કરી દેવું રે
સંસારીનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું,
તેને તો હું શીદ જાચું રે.
પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો
મેં તો કર સાહ્યો તારો રે.
મીરાંબાઈ બલિહારી, આશા મને એક તારી
સંસારથી રહી ન્યારી રે.
કેટલીય રચનાઓમાં સંસારજીવનની તુચ્છતા અને મિથ્યાપણાના ભાન સામે કૃષ્ણદર્શનની અનન્ય સાર્થકતા અને ધન્યતાનો ભાવ રજૂ થતો જોવા મળશે. મીરાંની આધ્યાત્મિક સાધનાનો ચોક્કસ વિકાસ એમાં પ્રર્ત ત થાય છે. ઉપરના પદમાં બીજી બે બાબતો ય ધ્યાન માગે છે : એક, કૃષ્ણ પ્રિયતમને વરીને મીરાં અખંડ સૌભાગ્યની ઝંખના જે રીતે વ્યક્ત કરે છે તેમાં નારીહૃદયની સૂક્ષ્મત્તર એષણાનું ઊર્ધ્વ રૂપ જોવા મળે છે. બીજું, મેં તો કર સાહ્યો તારો રે’– જેવી પંક્તિમાં એ ભક્તના રીનો કૃષ્ણમાં અખૂટ વિશ્વાસ છતો થાય છે. કૃષ્ણના અલૌલિક રૂપમાં મીરાંને અપૂર્વ શાતા અને સમાધાન મળ્યાં છે. તેમના અંતરમાં, આથી, સ્વાભાવિકપણે કૃષ્ણની મૂર્તિને નિરંતર પોતાનાં નયનોમાં સમાવી લેવાની ઇચ્છા જન્મે છે. અનેક પદોમાં મીરાંએ રૂપદર્શનની ઝંખના વ્યક્ત કરતાં પોતાનાં નયનોને વચ્ચે આણ્યાં છે. આરાધ્યદેવ દૃષ્ટિ સમક્ષ ઉપસ્થિત રહે, પ્રત્યક્ષપણે સાન્નિધ્યમાં રહે, બલકે દૃષ્ટિમાં પૂરેપૂરા છવાયેલા રહે એવી તેમના કામના રહી છેઃ
મારી નજરું આગળ રહેજો રે, નાગરનંદા
મારાં નેણાં સન્મુખ રહેજો રે, બાલમુકુંદા
*
બસો મારે નૈનન મેં નંદલાલ
*
અંખિયાં શ્યામ મિલનકી પ્યાસી
*
દરસ બિન દુખન લાગે નૈન
આ રીતના ભાવિનવેદનમાં હૃદયની આરત, અભિલાષા, એષણા, અને આશા વ્યક્ત થાય છે. વારંવાર એમાં વ્યાકુળતા, વિહવળતા અને વિવશતાનો હૃદયસ્પર્શી અનુભવ થાય છે. કૃષ્ણ પ્રત્યે મીરાંની ભક્તિ એક નારી હૃદયની અનન્ય ઘટના છે. કૃષ્ણ માટેની તેમની પ્રીતિ કોઈ સામાન્ય સંસારીની સામાન્ય મનોવૃત્તિ નથી. સમગ્ર જીવનગતિને બદલી નાંખતો અસાધારણ ભાવ છે. એ ભાવના મૂળમાં અબૂઝ તરસ છે, વ્યથા છે, તડપન છે. મન પ્રાણ અને આત્માને શારી નાખે એવી એ વેધક ઘટના છે.
મીરાં કે પ્રભુ ગિરિધરનાગર,
પ્રેમની કટારી મુને મારી
*
પ્રેમની પ્રેમની પ્રેમની રે
મને લાગી કટારી પ્રેમની
કટારી લાગી આરપાર રે, મનડું તો ઘાયલ થયું.
હિરના પ્રેમની કટારી મારી રે,
લાગી મારાં પાંસિળયામાં પાર રે
કૃષ્ણને વરીને પોતે અખંડ સૌભાગ્ય પામી છે, એવી મીરાંના અંતરની ઊંડી પ્રતીતિ છે. પણ કૃષ્ણ પ્રિયતમની ચિરપ્રતીક્ષાનો અંત આવ્યો નથી. જનમોજનમની વિજોગણ કૃષ્ણમિલનની રાહ જોતી રહી છે. મીરાંની એ સોહાગણમૂર્તિ સ્વયં એક અલૌકિક ઝાંયવાળી મૂર્તિ છે. મીરાંનાં અસંખ્ય પદોમાં એ સોહાગણના અંતરની કોમળ મધુર ઝંખના, આરત, અભિલાષ અને કોડીલા ભાવ વ્યક્ત થયા છે. નારીના અંતરમાં જ જન્મે એવી ગહન સૂક્ષ્મ વાસના એમાં જોવા મળે છે. એમાં હ્રદયની અભિજાતવૃત્તિ ભળતી રહી છે.
હું તો પરણી મારા પ્રીતમની સંગાથ,
વહાલમજી!
બીજાનાં મીંઢળ નહિ રે બાંધું.
*
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ રાણા
અમર ચૂડલો પહેરીને મારે વરવું છે.
મુજ અબળાને મોટી મિરાત, બાઈ,
શામળો ઘરેણું મારે સાચું રે.
કૃષ્ણમિલનની ઝંખના કેટલાંક પદોમાં લગ્નોત્સવના રૂપમાં સાકાર થઈ છે.
મારી દસ આંગળીઓ થઈ છે લાલ,
હું તો સપનામાં પરણી શ્રીગોવિંદને
કાશી ગામના રૂડા જોશી તેડાવું.
હું તો રૂડા જોશ જોવડાવું
વાંસ મંગાવું હરિયા બાગના
હું તેના રૂડા મંડપ રચાવું.
ગંગાજમનાની રૂડી ગોરમટી મંગાવું
હું તો તેની રૂડી ચોરીઓ ચીતરાવું.
અટપટી પાઘ કેસરિયા વાઘ,
રેશમી સુરવાલી સીવરાવું.
કેસરી તિલક કરું લાલ, મારા વા’લા,
હાથે બાજુબંધ પહેરાવું.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરધિરના ગુણ,
ચરણકમલ ચિત્ત લાવું.
લગ્નોત્સુક કુમારિકાના અંતરમાં ઊઠતા મૃદુકોમળ ઓરતા, પિયુમિલનનો અભિલાષ, ઉમંગ, ઉલ્લાસ – એવી સૂક્ષ્મ ભાવરેખાઓ આ પદમાં અંકિત થઈ છે. લગ્નની વેદી સ્વયં આ ભાવદશામાં માંગલ્ય પૂરે છે. આવા જ ભાવનું વ્રજ ભાષાનું પદ પણ જોવા જેવું છેઃ
માઈ મ્હાણે શુપણામાં પરણ્યાં દીણાનાથ
છપ્પણ કોટાં જણાં યથાર્યાંં
દૂલ્હો સિરી વ્રજનાથ
શુપણામાં તોરણ બંધ્યા રી,
શુપણામાં ગહ્યા હાથ.
શુપણામાં મ્હારો પરણ ગયા
પાયાં અચળ શુહાગ
મીરાં રો ગિરધર મિળયારી
પુરબ જણમ રો ભાગ
અહીં લગ્નોત્સવનું ચિત્ર એક સ્વપ્નની ઘટનારૂપે આવ્યું છે. એથી કેટલાક અભ્યાસીઓ એમાં મીરાંની રહસ્યવાદી વૃત્તિ જોવા પ્રેરાયા છે. ગમે તે કહો, કુમારિકાના અંતરના કોમળ અભિલાષ અને પરમ આરાધ્યને પામ્યાની ઊંડી પ્રસન્નતા અને ધન્યતા એ સર્વ એક સંકુલ ભાવ રૂપે પ્રત્યક્ષ થાય છે. મીરાંએ કૃષ્ણ સાથેના પ્રેમસંબંધને, અગાઉઅનિર્દેશ કર્યો છે તેમ, જનમોજનમની ઘટના લેખવી છે. એટલે એ પ્રીતમને આત્મસમર્પણ કરતાં તે પોતાની પૂર્વ જન્મની સ્મૃતિને તાજી કરે છેઃ
મીરાં કુ પ્રભુ દરસણ દીજ્યાં
પૂરબ જનમ કો કોલ
*
મીરાં કે પ્રભુ કબ રે મિલોગે
પૂરબ જનમકા સાથી
*
પૂર્વજન્મકી પ્રીત પુરાણી
સો ક્યૂ છોડી જાય
*
મીરાં કૂં પ્રભુ દસણ દીજ્યો
જનમજનમકી ચેલી
*
મેરી ઉણકી પ્રીત પુરાણી
ઉણ બિન પલ ન રહાઉ
*
ચરણ સરણ રી દાસી મીરાં
જણમ જણમ રી ક્વાઁરી
કૃષ્ણ પ્રભુએ જ ભક્ત મીરાં પર અમીકૃપા વરસાવી છે. સ્વયં પ્રભુએ જ એમાં પ્રારંભ કર્યો છે. આ પ્રકારની હૃદયવૃત્તિ પણ મીરાંમાં જોવા મળે છેઃ
રામ રમકડું જડિયું રે રાણાજી!
કારજ મારું સરીયું, રાણાજી, મુને રામ રમકડું જડિયું
રુમઝુમ કરતું મારે મંદિરે પધાર્યું,
કોઈ ના હાથેથી નથી ઘડયું.
રમતા ને ભમતા જોગી આવ્યા આંગણિયે મારે
દાસી જાણીને દર્શન દીધાં.
મહામંત્ર સુણાવ્યો મારા કાનમાં રે
હું તો સમજી મોહનજીની સાનમાં રે
*
પ્રભુજી મુને કંઠે રે વળગ્યા, પળ કોરે ન થાઉં
*
પિયુજી હમારો પારધી ભયો દો
મેં તો ભઈ હરણી શિકાર રે.
*
ઊંડે કૂવે ઊતર્યાં વહાલા
છેહ આમ શું દ્યો છો રાજ?
કૃષ્ણ સાથેની પોતાની પ્રીત અતૂટ છે, કૃષ્ણમાં મૂકેલો વિશ્વાસ અતૂટ છે, અને મીરાંનો એ પ્રીતિભાવ અને વિશ્વાસ જુદાં જુદાં પદોમાં જુદીજુદી રીતે વ્યક્ત થાય છે. ક્યારેક પોતાની વિહરવ્યથા ગાવામાં મીરાં રોકાય છે. ક્યારેક પોતાની લાજ સચવાય તે માટે વિનંતિ કરે છે, ક્યારેક પોતાની આત્મશ્રદ્ધા વ્યક્ત કરે છે, ક્યારેક ધન્યતાની લાગણી ઉલ્લાસમાં ગાય છે, ક્યારેક પોતાની ભક્તિવૃત્તિની નિશ્ચલતા પ્રગટ કરે છે.
નંદકુંવર સાથે નેડબો બંધાયો
પ્રાણ ગયે ન છુટાય
*
સંસાર સાગર આ મોહજળ ભરિયો રે હાં
મારે તારે ભરોસે તરવું છે રે, હાં હાં રે,
*
સાસરવાસો સજીને બેઠી હવે નથી કાંઈ કાચું રે
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
હિરને ચરણે જાચું રે
*
બાંહ્ય ગ્રહ્યાની લાજ રાખજો દયાળુ
સ્નેહીને દુઃખ ન દેવાય
*
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર
તુજ ચરણે મુજ જોર છે.
*
અબ તો બાત ફૈલ ગઈ, જાણે સબ કોઈ.
દાસી મીરાં લાલ ગિરધર, હોનીસો સો હોઈ,
*
જો તુમ તોડો પિયા, મૈં નહિ તોડું રે
તોસો પ્રીત તોડ, કૃષ્ણ, કૌન સંગ જોડું?
*
પાયોજી મૈંને રામરતન ધન પાયો
*
સાંવરે, મ્હરી પ્રીત નિભાજ્યોજી
*
આદ્ય વૈરાગણ છું, રાણાજી, મૈં આદ્ય વૈરાગણ છું.
ક્યાં વસીએ ભાઈ, અમે ક્યાં ફરીએ, દવ લાગ્યો રે ડુંગરમાં
ઊડતાને જઈએ અમે ઊડી ન શકીએ વા’લા
બેસી રહીએ તો અમે બળી મરીએ
*
પ્રેમ પિયાલો મેં પીધો રે, જિયો સંતો
પ્રેમ પિયાલો મેં પીધો.
*
પિયા કારણ રે પીળી ભઈ રે,
લોક જાણે ઘટરોગ
છપછપતાં મેં કંઈઅકરું
મોહિ પિયુને મિલન લિયો જોગ રે.
મીરાંની રચનાઓમાં વિરહવ્યથા અને વિરહદર્દના ભાવો, કદાચ, વધુ હૃદયસ્પર્શી બન્યાં છે. જો કે મીરાંના જીવનમાં આરાધ્ય કૃષ્ણની ઝાંખી થઈ છે, અને કૃષ્ણમાં પોતાની અનન્ય શ્રદ્ધા ઠરી છે, એટલે જ વિરહભાવની રચનાઓમાં ય કશીક સભરતા પ્રતીત થયા છે. પણ પ્રિયતમને પ્રત્યક્ષ કરવાની ઉત્કટ ઝંખના, વ્યાકુળતા, વિવશતાની સાથોસાથ પ્રિયતમથી વિખૂટાં પડી ગયાનું તીવ્રતમ દર્દ પણ એમાં ઘૂંટાતું રહ્યું છે. પ્રિયતમની પ્રતીક્ષા કરતી વિરહિણી નારીનો કોમળ આર્દ્ર અને વિહ્વળ સ્વર એમાં ભિન્ન ભિન્ન ભાવપરિવેશ સાથે ર જૂ થાય છે. ભાવોની તીવ્રતા ગહરાઈ અને સચ્ચાઈ ભાવકના અંતરને એકદમ નિબિડપણે સ્પર્શી જાય છે. કૃષ્ણ પ્રિયતમની પ્રતીક્ષા કરતી મીરાંની વ્યાકુળતા નીચેની પીક્તઓમાં ચિત્રાત્મક રૂપ લે છે.
ઊંચી ઊંચી મેડી સાહેબા, અજન ઝરૂખા,
ઝરૂખે ચઢી ચઢી ઝાંખું રે
*
કબ કી ઢાઢી પંથ નિહારું, અપને ભવન ખડી.
પણ મીરાં માટે મધુર રસિક મૂઝવણ ઊભી થાય છે.
જિણો પ્રિયાં પરદેસ બાંરિ લિખલિખ ભેજ્યાં પાતી
મ્હારા પ્રિયાં મ્હારે હિયડે બસતાં
ણાં આવાં ણાં જાતા.
આ અનુભવ મીરાં કેટલીક વાર સાધકની પિરભાષામાં રજૂ કરે છે,
પલ પલ ભીતર પંથ નિહારું
દરસણ મ્હાંને દીજો જી.
મીરાંને પોતાના હૃદયને તાવી રહેલા રોગની પૂરી જાણ છે. ‘હેરી મૈં તો પ્રેમદિવાની મેરા દરદ ન જાણે કોઈ’ એ રીતે પોતાના અંતરની ઘનગૂઢ વ્યથાનો નિર્દેશ કરે છે, તે સાથે એનું નિવારણ ‘બઈદ સાંવરિયા’જ કરી શકે એ વાતની ય તેમને પૂરી ખાતરી છે. પણ સાંવરિયાનું દર્શન થતું નથી. એટલે ભક્તહૃદય આર્ત્ત સ્વરે પોકારી ઊઠે છેઃ
પિયા તે કહાં ગયો, નેહરા લગાય.
*
પિયા બિન રહ્યો ન જાઈ
*
તુમ બિન મોરી કોન ખબર લે,
ગોવરધન ગિરધારી.
– વિજોગણ નાયિકાના રૂપમાં મીરાંએ પોતાના હૃદયની વિરહવ્યથા ગાઈ, તેમાં અસાધારણ ઉત્કટતા અને આર્દ્રતા વ્યક્ત થયાં છે. નીચેની રચના એ પ્રકારનું અનન્ય દૃષ્ટાંત છે.
મૈં બિરહન બૈઠી જાણું
જગત સબ સોવૈરી આલી
બિરહન બૈઠી રંગ મહલમેં
મોતિયન કી લડ પોવૈ
ઈંક વિરહીન હમ એસી દેખી
અંસુવન કી માલા પોવૈ
તારા ગિણગિણ રૈણ બિહાની
સુખ કી ઘડી કબ આવૈ
મીરાં કે પ્રભુ ગિરધરનાગર
મિલન કે બિચ્છુડ ન જાવૈ.
વિજોગણ નાયિકાને પિયુના આગમનના ભણકારા સંભળાય છે. આગમનના એંધાણ તેને પ્રકૃતિના વિલાસમાં જ પ્રત્યક્ષ થઈ જાય છે.
સુનિ મૈં હિર આવન કી આવાજ
મહલ ચિઢે ચિઢ જોઉં મારી સજની
કબ આવે મ્હરાજ
દાદુર મોર પપીહા બોલે
કોઈલ મધુરે સાજ
ઊમંગ્યો ઇન્દ્ર ચકું દિસે વરસે
દામિની છોડી લાજ
ધરતી રૂપ નવા નવા ધરિયા
ઇન્દુ મિલન કે કાજ
મીરાં કે પ્રભુ ગિરધર નાગર
બેગે મિલો મ્હરાજ.
મીરાંએ પ્રકૃતિની શોભા વર્ણવતાં કે ઋતુઓની રમણાઓનું ચિત્રણ કરતાં સ્વતંત્ર અલગ પદો રચ્યાં નથી. ભક્તહૃદયને એવી કાવ્યરચનાની ઝાઝી વૃત્તિ ન હોય એ સમજાય તેવું છે પણ મીરાંનાં કેટલાંક પદોમાં ઉદ્દીપન વિભાવના રૂપમાં પ્રકૃતિનાં સત્ત્વો સ્થાન લે છે. ખાસ કરીને વિરહભાવના વર્ણનમાં વર્ષાનાં દશ્યો ખાસ ધ્યાન ખેંચે છે. ઉપરની રચનામાં કૃષ્ણ પ્રિયતમના આગમનના સંકેત નાયિકાએ વિરાટ પ્રકૃતિમાં વાંચ્યા છે. કૃષ્ણ સાંવરિયાનું શ્યામલ મેઘઘટામાં દર્શન થાય – એ અનુભવ જ રોમાંચક છે. હવે નીચેનું પદ જુઓ. ‘સાવન’ની ‘બરિયા’ને ઉદ્દેશીને નાયિકા હ્રદયના ઉમંગ-ઉલ્લાસ ગાય છેઃ
બરસાં રી બદિરયાં સાવન રી
સાવન રી મન ભાવણ રી
સાવનમાં ઉ મંગ્યો હારો મણ રી
ભણ સુણ્યા હિર આવન કી
ઉમડ ઘુમડ વણ મેઘ આયાં
દમણ ઘણ ઝટ લાવત રી.
બીજાં બૂંદાં મેહ આયાં બરસાં સીતલ
પવણ સુહાવણ રી
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર.
બેલા મંગલ ગાવણ કી.
નીચેના પદમાં વિરહિણીની સરલ નિર્દોષતા જ ભાવકને સીધી સ્પર્શી જાય છે :
જાણ્યાં ણા પ્રભુ મિલન વિધ ક્યાં હોય
આયા મ્હાંરે આંગણાં
ફિર મૈં જાણ્યાં ખોય
જોવતાં મગ રૈણ બીતાં
દિવસ બીતાં જોય
હિર પધારાં આગજાં ગયા
મૈં અભાગણ સોય
વિરહ વ્યાકુલ અનલ અન્તર
કલણાં પડતા હોય
દાસી મીરાં લાલ ગિરધર
મિલ ણા બિછડ્યા કોઈ
વ્યાકુળ વિરહિણીને બપૈયાનો સ્વર પણ હ્રદય વીંધી નાંખે છે. નીચેના પદમાં મીરાં પૈયા પ્રત્યે રોષભાવ વ્યક્ત કરે છેઃ
પપઈયા મ્હારી કબ રો વૈર ચિતાર્યાં
મ્હા સોલૂં છું અપણે ભતણમા
પિયુ પિયુ કરતાં પુકાર્યા
દાધ્યા ઉપર લૂણ લગાયાં હિવડો કરવત સાર્યાં
ઊભા બૈઠઠ્યાં બિછરા ડાલી,
બોલા કંઠણા સાર્યાંં
મીરાં કે પ્રભુ ગિરધર નાગર
હરિ ચરણાં ચિત્ત ધાર્યાં
કૃષ્ણ પ્રીતમની ચિર પ્રતીક્ષામાં ક્ષણો વીતાવતી મીરાંએ પોતાનાં પદોમાં અંતરના અનલને ફરી ફરીને ગાયો છે. પ્રીતમને પોતાના ભવનમાં આરતથી આમંત્રણ આપે છે, પણ રતિવિહારનાં ચિત્રો મીરાંએ વિવેકપૂર્વક ટાળ્યાં છે. ક્યારેક તેઓ કહે છે ખરાં ‘ચૂણિ ચૂણી કલિયાં સેજ બિછાઈ નખસિખ પહેર્યો સાજ’પણ સ્થૂલ પીડાના વર્ણનમાં તેઓ રાચતાં નથી. નારીહૃદયનું આભિજાત્ય, સંયમ, અને મર્યાદા એમાં રહ્યાં છે. અને, નોંધવું જોઈએ કે, મીરાંના પદોનું સૌંદર્ય એથી વધ્યું છે. ઘટ્યું નથી. મીરાંના પદસાહિત્યમાં તેમના વ્યક્તિગત જીવનપ્રસંગોનો ઓછોવત્તો ઉલ્લેખ કરતીય અનેક રચનાઓ મળે છે. એમાં મીરાંની પોતાની રચનાઓ કેટલી એવા પ્રશ્નને અવકાશ રહે છે. કૃષ્ણના લીલામય રૂપને અનુલક્ષીને રાધાકૃષ્ણના અને ગોપીઓના ભાવો પણ મીરાંએ ગાયા હોય એ શક્યતા સ્વીકારવી પડે છે. એમાં મીરાંના નિજી ભાવો રાધા કે ગોપીના આલંબન દ્વારા રજૂ થાય છે. આ વિષયની રચનાઓમાં
મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું.
નીચેનું પદ અત્યંત રમણીય બન્યું છે.
લોકોત્તર ઘટનાની ચમત્કૃતિ પાછળ ભક્તહૃદયની આગવી કલ્પના રહી છે.
હાંરે કોઈ માધવ લ્યો માધવ લ્યો,
વેચંતી વ્રજનારી રે.
માધવને મટુકીમાં ઘાલી
ગોપી લટકે લટકે ચાલી રે.
ગોપી ઘેલું શું બોલતી જાય
કા’ન મટુકીમાં નવ સમાય રે.
નવ માનો તો જુઓ ઉતારી
માંહી જુઓ તો કુંજવિહારી રે.
વૃંદાવનમાં જાતાં દાડી
વા’લા ગૌ ચારે ગિરિધારી રે
ગોપી ચાલી વૃંદાવન વાટે
સહુ વ્રજની ગોપીઓ સાથે રે
મીરાં કહે પ્રભુ ગિરધર નાગર
જેના ચરણ કમળ સુખ સાગર રે.
રાધાને ઉદ્બોધન રૂપે લખાયેલા નીચેના પદમાં મીરાંએ પિયુની ઉપસ્થિતિનો સાંકેતિક નિર્દેશ કર્યો છે.
બોલે ઝીણા મોર રાધે!
તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર.
એ મોર હી બોલે પપૈયા હી બોલે
કોયલ કરે કલશોર.
કાલી બદરિયામાં બિજી ચમકે
મેઘ હુવા ઘનઘોર
ઝરમર ઝરમર મેહૂલો વરસે
ભીંજે મારા સાળુડાની કોર.
બાઈ મીરાં કે પ્રભુ ગિરધર નાગર
પ્રભુજી મારા ચિતડાનો ચોર છે.
મીરાંની કેટલીક રચનાઓમાં સંતમતની પ્રેરણા હોવાનું અભ્યાસીઓએ નોંધ્યું છે. મીરાંનાં એ રીતનાં પદોમાં સંત કે સંતોનો મહિમા થયો છે. પણ આ વિષય વિવાદમુક્ત નથી. અહીં એટલું જ નોંધવું છે કે આ પ્રકારની રચનાઓમાં ય હૃદયસ્પર્શી ભાવો વ્યક્ત થયેલા જોવા મળે છે. નીચેનું જાણીતું પદ જુઓઃ
જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું,
મારો હંસલો નાનો રે દેવળ જૂનું તો થયું
જોગી મત જા, મત જા, મત જા,
પાંવ પરૂં મૈં તેરી ચેરી
ગોવિંદ કબહું મિલૈ પિયા મેરા
પિય બિન સૂનો છૈ જી મ્હારો દેસ.
ચાલાં અગમ વા દેસ, કાલ દેખ્યાં ડરાં.
મીરાંનાં પદોની અનન્યભાવસમૃદ્ધિનો ઉલ્લેખ કરતાં કોઈ અંત દેખાતો નથી. રસિકજન મીરાંના પદોમાં સ્વયં લીન બની રહે, એજ સાચો માર્ગ છે.
* * *