અભિમન્યુ આખ્યાન/કડવું ૧૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કડવું ૧૬
[શ્રીકૃષ્ણ અને બલરામ સુભદ્રાના સીમંત પ્રસંગે મોસાળું લઈ ગયા. પ્રેમાનંદે તત્કાલીન સીમંતવિધિ અને રિવાજોનો ઉપયોગ આ પ્રસંગમાં કર્યો છે. આ પ્રકારનું સમકાલીન સમાજદર્શન એનાં આખ્યાનોને ગુજરાતીપણાના સ્પર્શવાળાં બનાવી મૂકે છે.]


રાગ રામગ્રી

સંજય કહે : રાય સાંભળો, એ અટપટી વાત;
મર્મ જ કો પ્રીછે નહિ, જાણે છે જુગ-તાત.          સંજય૦ ૧

તે સમે અર્જુન ત્યાં હતા, સાસરડે મહાલે;
પંચ માસ ત્યાં રાખિયા વિઠ્ઠલજી વહાલે.          સંજય૦ ૨

સુભદ્રાને સીમંત આવિયું, ભાવિયું સર્વ સાથ;
પારથ પ્રત્યે બોલિયા, કુશસ્થળીના નાથ.          સંજય૦ ૩

‘ઇન્દ્રપ્રસ્થ જાઓ ઉતાવળા, અર્જુનજી તમો;
મોસાળું લઈ આવું છું, પૂંઠળથી અમો.’          સંજય૦ ૪

સવ્યસાચી પછે સંચર્યા, સાથે સુભદ્રા નારી;
નકુળ-સહદેવ સામા આવિયા, મળ્યા ગાંડિવધારી.          સંજય૦ ૫

જયજયકાર વરતી રહ્યો, હરખ્યા રાજા ધર્મ;
શાસ્રે કહ્યાં સીમંતનાં જે, કીધાં તે તે કર્મ.          સંજય૦ ૬

મોહન મોસાળું લાવિયા, આવ્યા તે સાથે રામ;
જેને ઘટે તેવું આપિયું, ખરચ્યા બહુ દામ.          સંજય૦ ૭

દુુઃશલાએ બાંધી રાખડી, થયો નકુળ બુસટિયો;
વેવાઈ થઈને માગતો વૃકોદર મહાહઠિયો.          સંજય૦ ૮

‘કહો જાદવ, તમો આવિયા, લેઈને મોસાળું;
પૂરું પડે તો આંહીં રહો, નહિ તો કાઢો કરવાળું.          સંજય૦ ૯

‘કૃપા કરો,’ કહે કૃષ્ણજી, ‘રામ પાડશે પૂરું;
તમ સરખા સગા છો, ક્યમ રહેશે અધૂરું?’          સંજય૦ ૧૦

વલણ
અધૂરું કાંઈ રહેશે નહિ, રામ આપશે તે લેઈ નહિ શકો રે;
બળભદ્ર કહે, ‘સહુ ઊભા રહો, જોઈએ તે કાગળમાં લખો રે.’          ૧૧