અભિમન્યુ આખ્યાન/કડવું ૩૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કડવું ૩૫
[અભિમન્યુને યુદ્ધ નહિ ચડવા ઉત્તરા વિનંતી કરે છે. પણ એની દલીલો એના વ્યક્તિત્વને ઝાંખું કરનારી-પ્રાકૃત લાગે છે. ઉત્તરાને યુયુત્સુ અભિમન્યુ વીરત્વ અને મર્દાનગીભર્યો પ્રત્યુત્તર વાળે છે.]


રાગ કેદારો

એમ બોલ્યાં ઉત્તરા નારી, ‘સ્વામી, વાત સાંભળો મારી;
મારાં પ્રગટ્યાં કરમનાં કર્તુ, હું રાંક ને તમો ભર્તુ.          ૧

પાતળિયા પિયુજી મારા, તમ જોગ નથી હું દારા;
રહી પ્રીતડી લાગી થાવા, તો કેમ દેઉં તમને જાવા?          ૨

નારીને તે નાથજી ધન્ય, સુખે પાળે ને આપે અન્ન;
ભાઈ બાપ ને જે માડી, ઘણું કરે તો પહેરાવે સાડી.          ૩

સાસુ, સસરો તે ધણી માટે, બાકી નહિ કો’ સાસરિયાની વાઢે;
થનાર હશે તે દેઈશ થાવા, પણ નહિ દેઉં તમને જાવા.          ૪

બીજા જુદ્ધ કરીને થાક્યા? રાજ કરશે પરભારું કાકા;
તો તમારે શું વઢવું? બાંધી બાકરી કૌરવ પર ચઢવું.’          ૫

એમ કહ્યું મસ્તક નામી, ત્યારે બોલ્યા અભિમન સ્વામી;
‘મિથ્યા કરવી અભિલેખા, નહિ ટળે કરમની રેખા.          ૬

ફરી પેસે કુંજરના દંત, તોયે રણ ન મૂકે બળવંત;
શરીર થાય જો ચૂરાચૂર, તોયે રણ ન મૂકે શૂર.          ૭

મહિલા, એક વાર છે મરવું તો રણથી શું ઓસરવું?
માટે પ્રેમદા પાલવ મૂકો, તમો ચતુર થઈ કાં ચૂકો?’          ૮

વલણ
‘ચૂકો મા ચતુરાં થઈને,’ એવું કહી ચાલ્યો નાથ રે;
ત્યાં મત્સ્યસુતા એમ ઓચરે, ઝાલી અભિમનનો હાથ રે.          ૯