અમાસના તારા/અનિવાર્ય અસબાબ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અનિવાર્ય અસબાબ

નરેન્દ્રમંડળના અધિવેશનમાં ભાગ લેવા અમે દિલ્હી જતા હતા. અમારું સ્ટેશન નાનું હતું એટલે દિલ્હીમેલ ત્યાં ઊભો રહેતો નહોતો. એટલે એક ગાડી વહેલા જઈને અમારે એ મેલગાડી ઝાંસીથી પકડવાની હતી. એ નાના સ્ટેશન ઉપર એ સવારે ત્રણચાર રાજાઓનો અસબાબ ભેગો થયો હતો. મહારાજાસાહેબો તો બધા મોટરોમાં જવાના હતા. માત્ર સામાન, સિપાઈઓ, અંગત સેવક અને કારકુનો અને વધારામાં એ સૌની સંભાળ માટેનો એકાદ અમલદાર એમ મેળો જામ્યો હતો. રાજામહારાજાઓના ગંજાવર અને નકામા સામાનના ઢગલાઓથી હું વાકેફ હતો એટલે સામાનના આ પર્વતો એ મારું આશ્ચર્ય નહોતું. પરંતુ એક મહારાજાના સામાનમાં પડેલા વીસપચીસ મણના લીસા પથ્થરે મારું ધ્યાન ખેંચ્યું. એક દાઢીવાળો દરવાન એ સામાનની રખેવાળી કરતો હતો. મેં એને પૂછ્યું: ‘ક્યોં ભાઈ, યહ પથ્થર કિસ કામ કે લિયે હૈ?’ દરવાને ઝૂકીને સલામ કરી અને બોલ્યો: ‘સરકાર હુઝુર કે સંગ ધોબી જાત હૈ દેહલી, વહાં ઉસે કપડે ધોને કે લાને પથ્થર મિલો ના મિલો તો ઘર સે લે જાત હૈ.’

આ અનિવાર્ય અસબાબને જોઈ મને થયું કે હિંદુસ્તાનના નકશામાં આ પીળા રંગની દુનિયાએ પણ ગજબ કર્યો છે.