અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`પતીલ'/સદ્ ભાવના

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સદ્ભાવના

પતીલ

ના મારે તુજ ભેટ બક્ષિસ ન વા તારી કૃપા જોઈએ;
છું એવો નહિ રંક કે અવરની મારે કૃપા જોઈએ.
આવ્યો છું લઈ નગ્દ હાથ, કરવા સોદો મને ભાવતો,
થા મારી, જન આ નિખાલસ તણી જો ચાહના જોઈએ.

જો તું દાન કરે મને, ભગવતી! દે દાન હૈયા તણું —
હૈયું સાફ પરંતુ કાચ સરખું તે હોવું, હા જોઈએ!
જેમાં જોઈ શકું મુહબ્બત તણી તસવીર ફેંકાયલી;
રાજા, ચોર લિયે હરી નહિ નહીં એવી મતા જોઈએ.

આપે તો ગુજરાન આપ મુજને, મારી લઈ ખાતરી,
થોડા આપ દિનો વળી સુખ તણા — ના વાસના જોઈએ.
તે મારી નથી માગણી તુજ કને, સંકોચ જેનો તને
ઝાઝું જો તુજ પાસ હોય નહિ તો સદ્ભાવના જોઈએ.

(પ્રભાતનર્મદા, ૧૯૪૦, પૃ. ૩૫)



આસ્વાદ: સદ્ભાવના કાવ્ય વિશે – મનસુખલાલ ઝવેરી

નાજી, મારે નથી જોઈતું કશું પણ ભેટ કે સોગાદ રૂપે ને નથી જોઈતી મારી કૃપા. હું તાલેવર ન હોઉં તો કંઈ નહિ, પણ હું એવો મુફલિસ કે ગરીબ પણ નથી કે બીજાની દયા પર નભવા ચાહું. નથી મારે દયાદાન રૂપે કશું જોઈતું કે નથી જોઈતું ઉધાર. હું તો આવ્યો છું ખણખણતા કલદાર લઈને, મને જચી જાય તેવી વસ્તુનો સોદો કરવાને, મારી પાસે છે પ્રતિભા, સોએ સો ટચના સોના જેવી કવિત્વશક્તિ. અને તે લઈને હું આવ્યો છું તને મારી બનાવવાને, જો તારું મન માને તો. મારું દિલ છે નિખાલસ, નિર્ભેળ કવિનું. હું તને ચાહું, મન, વચન અને કર્મથી હું તારો જ બની રહું ને તમે જ મારા જીવનના કેન્દ્રસ્થાને રાખું એ જો તને જોઈતું હોય તો થઈ જા મારી, ઓતપ્રોત થઈ જા મારામાં.

તું તો છે વાગીશ્વરી, निःशेष जाडयापहा ભગવતી સરસ્વતી, મારી શક્તિ અને સાધના, નિષ્ઠા અને સહૃદયતાથી પ્રસન્ન થઈને તું મને વરદાન આપવા પણ કદાચ પ્રેરાય, તો વર રૂપે હું માગું છું તારું હૈયું, તું હૃદયપૂર્વક મારી થા તે. શરત માત્ર એટલી કે એ હૈયું કાચ જેવું, દર્પણ જેવું સ્વચ્છ અને નિર્મળ હોય, ને તેમાં મારો પ્રેમ સાંગોપાંગ ઝિલાયો હોય. જેવો મારો પ્રેમ છે તારા પ્રત્યે તેવો જ તારો પ્રેમ હોવો જોઈએ મારા તરફ. તારો આ પ્રેમ એ જ છે મારી મોટામાં મોટી મતા, મારું મોટામાં મોટું દ્રવ્ય. બીજી કોઈ મતા, પૈસોટકો, દરદાગીના કે જરજવાહિર હોય તો રાજા રૂઠે ત્યારે તેને હરી પણ લે કે ગાફેલ રહીએ તો ચોર ચોરી પણ જાય. મારે એવી ક્ષણભંગુર મતા નથી જોઈતી, નથી જ જોઈતી.

તારું નિર્મળ હૃદય મને પૂરેપૂરું આપી દેવા ઉપરાંત પણ જો કશુંક વધારે આપવાને પાત્ર તું મને ગણે તો આપજે મારો દાળ રોટલો આબરૂભેર નીકળે તેટલું, અને તે પણ મારી સેવા સ્વીકારીને, મારે મફત કંઈ પણ નથી જોઈતું, તારી પાસેથી પણ નહિ. તું તો છે માનવનાં શ્રેય અને પ્રેયોની અખંડધાર અમીવર્ષા! ક્યાંય હાથ લંબાવ્યા વિના કે બાપડાબિચારા થયા વિના હું મારું યોગક્ષેમ ચલાવી શકું તેટલું મને આપવા ઉપરાંત પણ તું જો મને કંઈક વિશેષનો અધિકારી ગણે તો આપજે મને થોડાક સુખના દિન, થોડો સમય હું સુખપૂર્વક જીવી શકું તેવી અનુકૂળતા. સ્થૂળ શરીર-વાસનાની તૃપ્તિતન, આંધળા ને અમર્યાદ ભોગવિલાસને, હું સુખ નથી ગણતો. લેશ પણ ચિત્તક્લેશ અનુભવ્યા વિના, બાહ્યાભ્યંતર શાન્તિથી હું થોડો સમય પણ જીવી શકું એવી અનુકૂળતા તું કરી આપે તો તેથી વિશેષ મારે કશું પણ નથી જોઈતું. ને આટલું પણ જોઈએ છે, જો આપતાં તને સંકોચ ન થતો હોય તો જ. મારી આ માગણી વધારે પડતી છે એમ તને લાગતું હોય કે તારી પાસે મને આપવા યોગ્ય કંઈક વિશેષ હોય નહિ, તો કંઈ નહિ, તું મારા પ્રત્યે સદ્ભાવના રાખશે તો પણ ઘણું છે.

(‘આપણો કવિતા-વૈભવ’)



આસ્વાદ: – સુરેશ હ. જોષી

આ કાવ્ય આમ તો યાચનાનું કાવ્ય લાગે છે. યાચના કરનાર કવિ છે. પહેલી છ પંક્તિ કવિએ પોતાની માભોમકા ગુજરાતને ઉદ્દેશી છે ને પછીની છ માતા સરસ્વતીને. બ.ક.ઠાકોર આખું કાવ્ય સરસ્વતીને ઉદ્દેશીને લખાયું છે એમ કહે છે, પણ ‘ભગવતી’ સમ્બોધન પહેલી વાર સાતમી પંક્તિમાં જ આવે છે અને પહેલી છ પંક્તિમાં મુખ્ય વાત તે ગુજરાનની, મતાની ને ભેટબક્ષિસની છે. એની માગણી ગુજરાતની કદરદાન પ્રજા પાસે કવિ કરે તે જ વધારે બંધબેસતું લાગે છે. બીજી છ પંક્તિમાં હૈયાના દાનની અને મુહબ્બતની વાત છે. કવિ સરસ્વતીનો યાચક હોઈ સરસ્વતી પાસે એની યાચના કરે તે ઉચિત જ છે.

કાવ્યનો વિષય યાચના હોવા છતાં ખૂબી એ છે કે યાચના સાથે સંકળાયેલો દીનતાનો ભાવ અહીં દેખાતો જ નથી. એથી ઊલટું, અહીં તો પહેલી પંક્તિથી જ કવિનાં સ્વમાન, બેપરવાહી અને ખુમારીનો રણકો સંભળાય છે. જુઓ ને, પહેલી પંક્તિની શરૂઆત જ ‘ના’થી થાય છે. એ સૂચવે છે કે આ યાચના કરનાર કોઈ ગરજુ નથી પણ જેને આપીને આપનાર ગૌરવ અનુભવી શકે એવું કોઈક છે. આ વાત બીજી પંક્તિમાં કવિ ‘હું એવો નહિ રંક’ કહે છે ત્યાં સ્પષ્ટ થાય છે. ભેટબક્ષિસ તો કોઈ ખુશ થઈને જ આપે પણ એમાંય કૃપા કરવાનો ભાવ ન ભળી ગયો હોય એની શી ખાતરી? ને કૃપા દયા લાવીને જ કરવામાં આવે ને? આમ ભેટબક્ષિસથી તે દયા સુધીનો ઢાળ કવિએ સ્વાભાવિક રીતે બતાવી દઈને કહ્યું: ના, મારે કોઈની દયા ખપતી નથી, કારણ કે જે બીજાની દયા પર જીવે છે તેના જેવો કોઈ રંક નથી ને હું એવો રંક નથી.

‘હું રંક નથી’ કહ્યા પછી કવિ પોતાનો વધુ પરિચય આપતાં કહે છે કે મારી પાસે તો નગદ મૂડી છે ને મારી મુનસફી પ્રમાણે મને રુચે એવો ‘સોદો’ મારે કરવો છે. આ ‘સોદો’ શબ્દ સૂચવે છે કે આ વ્યવહાર એકતરફી નથી. કવિની પાસે જે નગદ મૂડી છે તે એની સર્જકપ્રતિભા. એનું મૂલ્ય ઓછું આંકવાનું નથી. એ કોઈ આસમાની કે હવાઈ વસ્તુ નથી, પણ ‘નગદ’ વસ્તુ છે. એ દુનિયાની સુખસગવડ આપનારી આધિભૌતિક વસ્તુની સરખામણીમાં ઊણી ઊતરે એવી નથી, એનું કવિને ભાન છે. માટે તરત જ પૂછે છે કે એના બદલામાં આપવા જેવું તમારી પાસે છે શું? આધિભૌતિક ધનસમ્પત્તિ તો લૂંટી લેવાય એવી વસ્તુ છે. રાજા કર નાખીને લૂંટી લે, ને એ સિવાય અનેક પ્રકારે એની ચોરી થઈ શકે! પ્રતિભાને કોઈ ચોરી શકે નહીં; માટે એના બદલામાં તુલ્યગુણ ‘મતા’ જ કવિને જોઈએ છે. પણ જાણે કવિ પોતે જ સમજી જાય છે કે એવું તો સમાજ પાસે કવિને આપવાનું શું હોય? એટલે જાણે એવા સમાજ પર દયા લાવીને કહે છે: મારે બીજું કશું જોઈતું નથી, કેવળ મારી આજીવિકા ચાલે એવી નિશ્ચિન્તતા આપી શકાતી હોય તો તે આપો. પણ તેય ભેટ રૂપે નહીં; કવિ પાસે જે ‘નગદ’ છે તે સાચું ‘નગદ’ છે કે નહીં તેની ખાતરી કરીને. કવિ વગર સમાજને ક્યારે ચાલ્યું છે? પરણવા જાય ત્યારે લગ્નગીત ગવાય, મરણ સમયે રાજિયા, યુદ્ધમાં સિન્ધુડો. વધારામાં કવિ કહે છે કે મારે હરકોઈની જેમ થોડાક સુખના દિવસો જોઈએ છે. અહીં કવિ વાસ્તવિકતાને બરાબર પિછાને છે તેની આપણને ખાતરી થાય છે. મોહમાં કે લોભથી બીજા કોઈને બધા જ દિવસો સુખના મળે એમ માગવાનું મન થઈ ગયું હોત. પણ કવિનાં મૂલ્યો જુદાં છે. એથી વિશેષની કશી ઇચ્છા રાખવી તે વાસના જ કહેવાય અને કવિ એવી વાસના સેવે નહીં.

સરસ્વતીની પણ કૃપા કવિને ખપતી નથી. અહીં પણ કવિ હાથ જોડીને દાસની જેમ યાચના કરતો ઊભો નથી; પણ સમાન કક્ષા પર રહીને હૈયાનું દાન જ માગે છે, ને તેય જો સરસ્વતીને આપવાની ઇચ્છા થતી હોય તો. પણ અહીંય કવિ શરત મૂકે છે: એ હૈયું જેવુંતેવું હોય તે ન ચાલે. એ પારદર્શી હોવું જોઈએ, એમાં પે્રમની છબિ નિષ્કલંક ને સ્પષ્ટ દેખાવી જોઈએ, નહીં તો એવા હૈયાને લઈનેય શું? માટે કવિએ કહ્યું કે કાચ જેવું સાફ હોવું જોઈએ.

અહીં ‘કાચ’ શબ્દ પૂરેપૂરો યથાયોગ્ય નથી લાગતો. કાચ પારદર્શી હોય એ સાચું પણ સાથે બરડ પણ હોય છે. કવિને જે કહેવું છે તે એ કે હૈયું નિર્મળ ને નીતર્યું હોવું જોઈએ. આટલાથી કવિને સન્તોષ નથી; એ તો સરસ્વતીને પૂરેપૂરી અનુગત કરી લેવા ઇચ્છે છે. આથી અસન્દિગ્ધ શબ્દોમાં સરસ્વતીને કહી દે છે: ‘થા મારી.’ ને તરત જ એને માટેની પોતાની વિશિષ્ટ યોગ્યતાનો ઉલ્લેખ કરતાં કહે છે કે મારું હૃદય નિખાલસ છે ને સાચો પ્રેમ નિખાલસ હોય તેની જોડે જ થઈ શકે. પણ આ બાબતમાં કવિનો કશો દુરાગ્રહ નથી કારણ કે પ્રેમમાં એવી કશી ખેંચાખેંચને અવકાશ નથી. ખાનદાનીને છાજે એવી રીતે કવિ કહે છે કે જે આપતાં તને સંકોચ થાય તે હું પહેલેથી જ સમજી જઈને તારી પાસેથી માગીશ નહીં. આથી આખરે કહે છે કે જો આ બધાંમાંનું કશું જ તારી પાસે નહીં હોય તો કેવળ મારી પ્રત્યે સદ્ભાવ રાખે તોય પૂરતું છે.

કવિએ આખી રચના કેવી કુશળતાથી કરી છે! સદ્ભાવનાનું મૂલ્ય કવિને મન સૌથી વિશેષ છે; આથી સૌથી છેવટે શિખર પર સદ્ભાવનાની સ્થાપના કવિએ કરી છે. આમ કાવ્યના સ્થાપત્યનો આકાર શંકુના જેવો છે. છેક ઉપરની ટૂંક પર સદ્ભાવના આવે છે. વળી જે કહેવાનું છે તેને તેનાથી છેક સામે છેડે જઈને કહેવાથી એ વધુ ચોટદાર બને છે. યાચનાની વાત ‘ના જોઈએ’થી જ કવિ કાવ્યના પૂર્વાર્ધમાં કરે છે. જો સીધી યાચના કરી હોય તો કાવ્ય આવું અસરકારક થયું ન હોત. કાવ્યનો શાર્દૂલવિક્રીડિત છન્દ પણ કાવ્યના હાર્દરૂપ ખુમારીના ભાવને ઝીલવા જેટલો ગર્વીલો છે.

આમ કાવ્યના વિષયમાં કશું અસાધારણ નથી. છતાં કવિની કહેવાની રીતની વિશિષ્ટતાને કારણે કાવ્ય આસ્વાદ્ય બને છે. (ગુજરાતી કવિતાનો આસ્વાદ)