અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુંદરજી બેટાઈ/જન્મની ફેરશિક્ષા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જન્મની ફેરશિક્ષા

સુંદરજી બેટાઈ

પીઠે બાંધ્યા મણમણ તણા બોજ, ને ચાલવાનું
વાંકાચૂંકા ચઢ ઉતરના દીર્ઘ માર્ગો પરે હ્યાં;
હૈયા કેરા અમૃતરસમાં ઘોળવાં ઝેર ઝાઝાં,
ને એ સૌને અમૃતમય દેવાં બનાવી કલાથી!
આવી મોંઘી કઠિન કપરી જીવને એક દીક્ષા
જો ના દે તું જગતગુરુ! તો માગું શી અન્ય ભિક્ષા?

જન્મી આહીં કુટિલ વ્યવહારે શકું કેડી કોરી,
જો વૈષમ્યે અકુટિલ રહું સાચવી સાચદોરી,
સીંચી સીંચી જલ હૃદયનાં પથ્થરાળી ધરામાં
કૈં ઊગાડું, કંઈ વહી શકું ઉપરે અંતરે વા,
છો ને રેલો મુજ જીવનનો અન્ય આંખો ન દેખે,
તો યે જન્મ્યું મુજ હું સમજું લાગિયું કાંક લેખે.

જો તું ના દે જગતગુરુ ઓ! આટલી એક ભિક્ષા,
તો હું યાચું, દઈશ ન કદી જન્મની ફેરશિક્ષા.



આસ્વાદ: જન્મની ફેરશિક્ષા કાવ્ય વિશે – મનસુખલાલ ઝવેરી

પીઠે બાંધ્યા મણમણ તણા બોજ, ને ચાલવાનું

સંસાર બડો જટિલ છે. જન્મ મળ્યો, એટલે જીવી તો શકાય ગમે તેમ કરીને. પણ સારા માણસ તરીકે એમાં જીવવું ઘણું કપરું છે. અને તેમ છતાં જો એ રીતે જીવી ન શકાય તો જીવન અર્થશૂન્ય છે એ કવિને લાગે છે.

સારા માણસ તરીકે જીવવું એટલે કઈ રીતે જીવવું? અને એમ જીવી શકાય શી રીતે? સંસાર પોતે મોટો ગુરુ છે એમ કહેવાય છે. ગમે તેવા અકોણા માણસને પણ એ થોડા સમયમાં પાંસરો દોર કરી દે છે. ગમે તેવા અકોણા માણસને પણ એ થોડા સમયમાં પાંસરો દોર કરી દે છે, વાસ્તવજીવન છે જ એવું કે એમાં અથડાતાં કુટાતાં માણસના ખૂણાખાંચરા ઘસાઈને એ લીસોલસટ થઈ જાય છે ને ‘નદી નાવ સંજોગ’ સૌની સાથે હળીમળીને રહેતાં શીખીજાય છે. પણ એ તો વ્યવહારુ માણસની વાત થઈ. અને સંસારનો અનુભવ માણસને બહુ બહુ તો વ્યવહાર બનાવી શકે છે. વ્યવહારુ માણસ, સમાજની દૃષ્ટિએ બહુ બહુ તો મોટો માણસ બની શકે, સારો માણસ નહિ, અને પુરષાર્થ કરવા જેવો છે સારા માણસ બનવાની દિશામાં. કવિની દૃષ્ટિએ આ વાતનું મહત્ત્વ એટલું બધું છે કે કોઈની પણ પાસે કશું પણ માગીને પોતાની સોનાની જાળને પાણીમાં નાખતાં સંકોચ અનુભવનાર કવિ આ પ્રકારના જીવનની દીક્ષા આપવા માટે માત્ર વિનંતી કે કાલાવાલા જ નથી કરતો, ભીખ માગવાની હદ સુધી જાય છે. એ ભિક્ષા, અલબત્ત, એ માગે છે જગતગુરુ દેવ જગદીશની પાસે અને એની પાસે પણ માગે છે, પ્રચ્છન્ન ખુમારીપૂર્વક, ભિક્ષારૂપે પણ મારે માગવાનું છે આ ને આટલું જ, બીજું કશું નહિ.

ભિક્ષારૂપે પણ કવિ માગે છે ધન કે માન, જીવનવ્યવહારની સરળતા કે સુતરતા નહિઃ પણ જીવનદીક્ષાઃ એ જીવનદીક્ષા ‘મોંઘી’ ‘કઠિન’ અને ‘કપરી’ છે એ કવિ જાણે છે. અને તેથી જ તો એ જગતગુરુદેવ જગદીશ પાસે યાચે છે. યાતના કરવાની હોય જ તો માત્ર જગદીશ્વર પાસે કરવી જોઈએ, અને તે પણ એવી વસ્તુ માટે, જે કેવળ માનવપુરુષાર્થ દ્વારા જ સિદ્ધ ન થઈ શકે, ને જે દાતા અને ગ્રહીતા, બન્નેની શોભા વધારે.

શી છે એ જીવનદીક્ષા? બેવડા વળી જવાય એવડા બોજા અનેક પ્રકારની જવાબદારીના ઉઠાવવાના, માત્ર પોતે જ ઊભી કરેલી જવાબદારીઓના નહિ. પણ માનવસંબંધોની સંકુલતાને લીધે બીજાંઓએ કરેલાં કર્મોનાં ફળ રૂપે પણ, આપણા પણ આવી પડતી જવાબદારીના બોજા પણ ઉઠાવવાના, માત્ર ઉઠાવવાના જ નહિ, પણ ઉઠાવતાં ઊઠાવતાં ચાલવાનું, આગળ વધવાનું, ને તેપણ સીધા ને સરળ માર્ગે નહિ, પણ વાંકાચૂકા ને ઊંચાનીચા માર્ગો પર, એવા માર્ગો પર, જે લંબાવે જ જતા હોય ને મંજિલ જેમ જેમ આગળ વધીએ તેમ તેમ દૂર ને દૂર જતી હોય. આટલું જાણે ઓછું હોય તેમ ડગલે ડગલે દુનિયાની, અને તેમાંયે ખાસ કરીને આપણે જેમને આપણાં પોતાનાં ગણ્યાં હોય તેમની કૃતઘ્નતા, ઈર્ષ્યા, નિન્દ્રા, વિરોધ વગેરેના પરચા અનુભવતા જવાના. તે શઠ પ્રત્યે શાઠ્ય બતાવીને સામું ઝેર ઓક્યા વિના, ઝેરના ઘૂંટડા મળ્યે જવાના, માત્ર મળ્યે જ જવાના કે જીરવી જ લેવાના નહિ, જીરવી તો હજી કદાચ લઈ શકાય, પણ એ એને આપણા પોતાના હૃદયના ઝેરની સાથે નહિ, આપણા પોતાનાં ઈર્ષ્યા, દ્વેય, વેરવૃત્તિ વગેરેની સાથે નહિ, પણ આપણા હૃદયના અમૃતની સાથે-સ્નેહ. આ, ઔદાર્ય વગેરેની–સાથે ઘોળીને એકરસ કરી દઈને અમૃતમય બનાવી દેવાનાં પ્રાશ્યું હોય, ઝેર, પણ હૃદયના રસાયણથી એને બનાવી દેવાનું અમૃત, જેથી ન આપણા હૃદયમાં કડવાશ રહે, ન આપણા બોલવાચાલવામાં કે સર્જન-લેખન આદિમાં ક્યાંય કડવાશ પ્રકટ થાય. અને આ પણ માત્ર કુનેહ, યુક્તિપ્રયુક્તિ કે સાવધાની દ્વારા જ નહિ, પણ હૃદયના સહજસુંદર ભાવથી, અનાયાસલીલાએ અને નિરતિશય આનંદપૂર્વક કરવાનું!

આ જાતનું જીવન જીવવું કેમ એ તો જગતગુરુદેવ જગદીશ શીખવે ત્યારે, ને આપણા પુરુષાર્થ પર પ્રભુકૃપાની અમીવૃષ્ટિ થાય ત્યારે.

પણ એ થાય ત્યાં સુધીમાં પણ, જન્મ્યાં છીએ એટલે જીવવાનું તો છે જ. અને એ પણ એવી રીતે જીવવાનું છે કે જન્મીને આપણે પૃથ્વીને માત્ર ભારે જ મારી છે એમ નહિ. પણ આપણું જન્મ્યું કંઈક લેખે લાગ્યું છે એવો સંતોષ આપણા પોતાના અન્તરાત્માને થાય. એ રીત જીવવું એટલે ઋજુ, સત્યનિષ્ઠ અને સદ્ભાવસભર જીવન જીવવું તે. સંસારનો વ્યવહાર તો કુટિલ જ, એવો કુટિલ કે સીધો ને સરળ માણસ કાં લાગે ધૂર્ત ને દંભી, ને કાં લાગે મૂરખનો પીર. આવી આંટીઘૂંટીવાળા વ્યવહારમાં પણ સરળ, નિર્દંભ ને નિખાલસ જીવન જો હું જીવી શકું ને એમ કરીને એવું જીવન સાવ અશક્ય નથી એટલું જો હું બીજાઓને બતાવી શકું, વિષમ વ્યવહારજીવનમાં બીજા ઘણા ભલે अस्तः शाक्ताः वृद्धिः शैवाः सभामध्ये च वैष्णवाः થઈને ફાવતા હોય ને ફાવતા હોય એટલે વખણાતા હોય, પણ હું લેશ પણ કુટિલ બન્યા વિના, સત્યનિષ્ઠ રહી શકું ને મારાં મન, વચન અને કર્મની એકરૂપતાને સાચવી શકું, છેવટ સુધી સાચવી શકું ને જડ અને તદ્દન સંવેદનશૂન્ય, કેવળ સ્વાર્થેકપરાયણ ને માત્ર પશુદશા પર જ જીવતાં મનુષ્યોનાં હૃદયને હું મરા હૃદય-ભાવની ઊર્મિઓથી જરાતરા પણ પલાળી શકું ને તેમાં વિદ્યા, ભક્તિ, રસિકતા, સાચી સૌન્દર્યપ્રીતિ અને બીજાઓના પણ સુખ-દુઃખનો થોડોઘણો વિચાર કરવાની વૃત્તિ કે શક્તિ જેવા માનવભાવોને જાગ્રત કરી શકું કે એવાં સંવેદનશૂન્ય હૃદયોની અંદર વહીને એમને સહેજસાજ રસાર્દ્ર કરી શકું કે એમની ઉપર વહીને એમની ચેતનાને સહેજ પણ સ્ફુરામાણ કરી શકું, મારા જીવન પર કે જીવનકાર્ય પર બીજાઓનું ધ્યાન ભલે ન જાય, પણ આટલું જો હું કરી શકું, તો મારું જીવન કંઈક લેખે લાગ્યું ગણું. જીવન લેખે લાગ્યું કે નહિ તે, અન્તે તો, આપણા પોતાના અન્તરાત્માએ નક્કી કરવાનું હોય છે. મનુષ્યે છેલ્લો જવાબ આપવાનો હોય છે પોતાના અન્તરાત્માને. બીજાંઓને હજી છેતરી શકાય; હૃદયમાં રહેલા રામજીને નહિ. એટલે કવિ ભિક્ષારૂપે જગતગુરુ પાસે આટલું માગે છે–અને ઉમેરે છે કે જો તું આટલું આપી ન શકે–તારા સામર્થ્યની મર્યાદાને લીધે નહિ, પણ મારી પોતની પાત્રતાની મર્યાદાને લીધે તને હું આટલું આપવાયોગ્ય ન લાગતો હોઉં તો મારી યાચના છે એક જઃ જીવવું કેવી રીતે જોઈએ તે હું જાણું છું, અને તેમ છતાં એ રીતે જીવી ન શકવાની સજા હું આ જન્મે તો ભોગવી રહ્યો છું; આ કંઈ ઓછી સજા નથી, આપણા સંતો અને ભક્તો કહે છે કે મનુષ્યજગત અનેકાનેક જન્મોના પુણ્યના પરિપાકરૂપે મળે, એ વાત સાચી છે, પણ મનુષ્યે જન્મીને જો કુટિલ, અસત્યનિષ્ઠ અને હૃદયશૂન્ટ જીવન જીવવાનું હોય તો એ પરમાત્માની કૃપા નહિ, પરમાત્માએ ફટકારેલી સજા જ ગણાય. આ એજ જનમ તો એ સજા ભોગવતાં ભોગવતાં ગાળ્યો. હવે આવતો જન્મ પણ મારે જો આ જ રીતે ગાળવાનો હોય તો જન્મ જ આપતો મા મને ફરીથી. ફરી વાર જન્મ લઈને મારે ફરી વાર સજા નથી ભોગવવી.

(‘આપણો કવિતા-વૈભવ’)