અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`સ્નેહરશ્મિ'/પળ સફરની

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પળ સફરની

સ્નેહરશ્મિ

હવે આવી પહોંચી પળ સફરની : સાથ ન કશો,
હતું જે કૈં પાસે વીસરી બધું તે છોડી સઘળું
જવાનું ક્યાં તેયે સ્મરણપટમાં આંકી જરી ના,
બધા સંબંધોથી વિમુખ બનવું : સદ્ય પળવું.

હવે ભૂકંપો કે મનુજસરજી ભીષણ વ્યથા
વિસારીને એવું ઘણુંક ઘણું ને ભાવિ ઘટના
અજાણ્યા તારાનાં અદીઠ કિરણો જેવી અકળ
તમા ના તેનીયે કશીય કરવી : વિસ્મૃત થવું.

હવે આવી પહોંચી પળ અગમ તે : શબ્દ વિરમ્યા,
શમ્યા આવેગો સૌ : વિરહ નિજ નીડે ઠરી ગયાં,
ન કો ચિહ્નો ક્યાંયે : પથ ન નજરે કોઈ પડતા,
સરે દૂર દૂરે પરિચિત પુરાણી સ્મૃતિ બધી,
અજાણી આવે કો લહર કહીંથી વીંટી વળતી
ન જાણું ક્યાં દોરે સ્થળસમયસીમારહિતમાં!

(સકલ કવિતા, પૃ. ૩૭૫)