અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/સમરકંદ-બુખારા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સમરકંદ-બુખારા

ઉમાશંકર જોશી

કેમે ના લોપાય સ્મરણથી સમરકંદ-બુખારા :
મધરાતે મધુ નીંદરમાંયે સમરકંદ-બુખારા!

મહેતાજી ભૂગોળ શીખવે, નકશો મોટો ખોલી,
અમે કરી ભૂંગળ કાગળની દેતા કંઈ કંઈ બોલી :
`શીખી રહ્યા ભૂગોળ હવે, કરની ભૂંગળ નકશાની!'
ચૂપ કરી દેતી પણ ભોગળશી સોટી શયતાની.
ભલે ભાઈ, ભૂગોળ ભણીશું, બે કર લમણે મેલી,
મહેતાજીએ નદી અને ડુંગરની વાત ઉકેલી.
મુસાફરીઓ કૈંક કરાવી, ધરતી પર, દરિયામાં :
પગે, ગાડીએ, વ્હાણે નહિ, પણ આંગળીએ નકશામાં.
—નકશામાં જોયું તે જાણે જોયું ક્યાં? ન કશામાં!—
શ્હેર હથેળી જગા ઉપર તો કંઈનાં કંઈ જ બતાવ્યાં;
ઊભો કરીને પૂછ્યું મને કે, `કહે શ્હેર એ શાં શાં?'
`નિશાળ નાની! ટિચૂકડો આ નકશો! એમાં શ્હેરાં?'—
બોલું ત્યાં તો તરત હથેળીમાં દેખાડ્યા તારા!
રોતાં રોતાં ઝટપટ વાંચી, બોલી શ્હેર જવાયાં :
`કાબુલ, બલ્ખ, કંદહાર ને સમરકંદ-બુખારા!'
કદી ભુલાશે નહિ બાપલા! સમરકંદ-બુખારા!
—સોય તણી ના ઠરે અણી પણ, ત્યાં એ શ્હેર વસેલાં?!
સોયઅણીપુર કુમારિકા જગ્યા પર કર્ણ સૂતેલા!—
હા, હા! એવું હશે કૈંક આ! ત્યાં સોટીચમકારા.
`સા'બ, બરાબર યાદ મને છે સમરકંદ-બુખારા.'

કૉલેજમાં પ્રોફેસર આવી કવિતા કૈંક શિખાવે,
નવી વાતથી રીઝવી સૌને, પોતાનેય રિઝાવે;
ચીપી ચીપી વાત કરે, —એ વાત બધીય ગુલાબી.
કહે : `એક ઇશ્કી પૂર્વે ક્‌હેતો'તો શાહ શરાબી :
બદન પરે કાળા તલવાળી સનમ રીઝે, તો સારા
દઈ દઉં એ તલ પર વારી સમરકંદ-બુખારા.'
સમજાયું ના, તલની લતમાં આવા તે શું બખાળા?

—પગ આગળ વૈકુંઠ હોય પણ વૃંદાવનને માટે
ગોપી એ છોડી દે, તલની વાત હશે એ ઘાટે?—
પણ આલમમાં ગૌર ડિલે તલ હશે જેટલા કાળા,
હશે તેટલાં વારી દેવા સમરકંદ-બુખારા?
થંભી મારી ત્યાં જ મૂંઝાઈ નવરી વિચારમાળા,
પણ સાંભરતાં ના થંભ્યાં રે સમરકંદ-બુખારા!

હથેળી બળવા લાગી ચમચમ, સુણ્યા જૂના હોંકારા,—
`મારો ના, સાહેબ! યાદ છે સમરકંદ-બુખારા!'
આજે આંખ જરીક મીંચતાં સ્મરણ થાય કંઈ તાજાં,
નજર આગળે તરવરતા ખુલ્લા જંગી દરવાજા;
જોતાં સાથે લીધ પિછાણી સમરકંદ-બુખારા.
ઊંટપીઠે નોબત ગડગડતી, કંઈ પડછંદ નગારાં
શોર કરે, ને પડઘમ ગાજે, બાજે કંઈ રણશિંગાં;
એક પછી બીજાં સૌ નીકળી ચાલ્યાં લશ્કર ધિંગાં.
ધીમે ધીમે સરી જતી પળમાં એ જંગસવારી,
આંખ ઉઘાડું તો સામે દેખું અધખૂલી બારી.
જોયા ત્યાં ગગને તગતગતા ધોળે દિવસે તારા,
અરે! પડ્યાં છે પાછળ મારી સમરકંદ-બુખારા!

પૂનમચાંદનીમાં સૂતો'તો અગાશીએ એકાકી,
સ્વપ્નામાં ઓચિંતો શાથી ઝબકી ઊઠ્યો જાગી!
પુરબહાર જ્યોત્સ્ના નીરખીને સહજ દિલડું મોહ્યું,
ને કલંક જાણે તલ જેવું ચંદરમા પર જોયું!
ક્યાંથી ત્યાં તો થઈ રહ્યા રે સ્મરણોના ઠમકારા,
શરાબ છલછલ પ્યાલીભર એ સમરકંદ-બુખારા!

એ શરાબની ભરભર પ્યાલી, કે એ જંગસવારી,
કે કાળા તલવાળી પેલી માશૂક તુર્ક-શિરાઝી,
પોતા પર આલમ આખી ચકચૂર હશે કરનારાં
ભલે! પરંતુ મને સાંભરે સોટીના ચમકારા;
ને ચમકારે મહેતાજીએ નક્શાનાં પરભારાં
ભેટ દીધેલાં શ્હેર એ બે સમરકંદ-બુખારા!

ભણ્યો હતો હું કંઈક `ગામડાં', યાદ રહ્યાં આ બે કાં?
સૂતાં, સ્વપ્ને કે જાગરણે, ઘડી ઘડી પજવે કાં?
ઇસ્પહાન, તેહરાન હતાં શાં ખોટાં? કેમ ભુલાયાં?
કંચનજંઘા, ઉમાશિખર વા કેમ હશે વીસરાયાં?
ને એથીયે સંગીતમય છે કેન્યા-કિલિમાન્જારો,
શે તોયે આ બે જ સાંભરે? મૂકે ન કેડો મારો!
જરી ભૂલવા કરું તહીં તો વાગે છે ભણકારા,
મગજ-બારણે બજે ટકોરા સમરકંદ-બુખારા!

મધરાતે મધુ નીંદરમાંયે સમરકંદ-બુખારા!
નિશદિન મારે સ્મરણે રણકે સમરકંદ-બુખારા!

વીસાપુર જેલ, ૧-૭-૧૯૩૨


વિનોદ અને વેદનાનું સંતુલન — રાજેન્દ્રસિંહ જ. ગોહિલ