અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉર્વશી મનુપ્રસાદ પંડ્યા/નવું નામ આપવું છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નવું નામ આપવું છે

ઉર્વશી મનુપ્રસાદ પંડ્યા

આ રાતના મુશળધાર વરસાદની સાખે
નવું નામ આપવું છે
મારી સાવ અડોઅડ વણથંભ વહેતી નદીને.
હજારો માણસોને ચિરપરિચિત એવું,
મારે માટેની અટકળો, સંશયનાં વમળો અને
દંતકથાઓને વ્યાખ્યાયિત કરનારું,
દરેકને પોતાની આગવી રીતે મને સમજી શકવાની
સરળતા કરી આપનારું,
મારી સાવ અડોઅડ વણથંભ વહેતી નદીનું નામ
કદાચ કાલે ભૂંસાઈ જાય,
કદાચ
સાવ અચાનક કોઈનેય જાણ ન થાય એમ
આપમેળે જ બદલાઈ જાય,
દિશા બદલે એનાં વહેણ તો ફરી પાછાં
અનેકાનેક ડરામણાં પૂતળાં રાતોરાત ઘડાય એની ફળદ્રુપ માટીમાંથી
ને એ મારા હરિત વર્ણને ભૂખરો કરી,
આખા ધરાતલને સમૂળગું બદલી ખોડી દે
મારાં હાડકાંના પોલાણમાં
જ્યાં માળો બાંધી રહેલાં પંખીઓના શ્વાસ
હજી આથમ્યા નથી.
આ અનરાધાર પાણી અને આંજી દેનારા અજવાસમાં
તેથી જ
બદલી દેવાં છે ગોપિત વ્રણમાં નામ
જેણે બદલી નાખ્યું છે મારું હલનચલન,
મારા શરીરના એકેએક વળાંક
ને
મુખરેખા સુધ્ધાં.
પતંગિયાના વેશમાં છાતીએ અંકાયેલી છાપ પારખવા
લોહીના તીણા ઝીણા રવની ધારે ધારે રેલાતાં ઝાંઝવાંને
અંધાર વડે પૂરી દઈ
નવું નામ આપવું છે રોમમાં સેલ્લારાતા સરુવનને.
રાતને સમે ચોપાસથી ભરડો લેતી ધારદાર વીજરેખમાં
ભળાતા આકાર ને અવાજ
ત્વચા પરનાં છિદ્રોમાં જડ ઘાલી મનેય વરસાદી બનાવી મૂકે
એ પહેલાં
ખુલ્લા આકાશ ને મેઘધનુષના રંગની ઝાંય મારી કરી લઈ
બદલવું છે નામ મને સારી મૂકતા ચોમાસાનું.
કોકિલ અને ભારદ્વાજના વ્યાકુળ કરી મૂકતા ટહુકામાં
ઊઘડતી સવારે રાતનાં થીજેલાં ચોસલાં પીગળતાં રહેવા છતાં
દિવસ આથમતાં સુધીમાં
અંધારાના ઢગ કદી
વિખેરાતા નથી.
તેથી જ મને ઘેરી રહેલાં

વાદળાં,
વરસાદ,
વીજરેખ,
અંધારાં,
અજવાળાં
ને
પતંગિયાં
— બધાંનાં નામ, રંગ, ઘાટ ને અર્થ બદલી
આ ચોપાસ ફેલાયેલી લીલાશની સાખે
નવું નામ આપવું છે
મારી સાવ અડોઅડ વણથંભ વહેતી નદીને.
એતદ્, જુલાઈ-સપ્ટેમ્બર, પૃ. ૮-૯