અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કલાપી/ગ્રામ્ય માતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ગ્રામ્ય માતા

કલાપી

ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમન્તનો પૂર્વમાં,
ભૂરૂં છે નભ સ્વચ્છ, સ્વચ્છ દિસતી એકે નથી વાદળી;
થંડો હિમભર્યો વહે અનિલ શો ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દિસે શુક ઉડી ગાતાં મીઠાં ગીતડાં!

         મધુર સમય તેવે ખેતરે શેલડીના,
         રમત કૃષીવલોનાં બાલ ન્હાનાં કરે છે!
         કમલવત ગણીને બાલના ગાલ રાતા,
         રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે!

વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી,
અહો! કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દિસે!

         ત્યાં ધૂળ દૂર ઉડતી નજરે પડે છે,
         ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે;
         ટોળે વળી મુખ વિકાસી ઊભાં રહીને,
         તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતાં!

ધીમે ઉઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી,
વૃદ્ધા માતા નયન નબળાં ફેરવીને જુવે છે;
ને તેનો એ પ્રિય પતિ હજુ શાન્ત બેસી રહીને,
જોતાં ગાતો શગડી પરનો દેવતા ફેરવે છે!

ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં;
કૃષિક એ ઉઠી ત્યારે, ‘આવો, બાપુ!’ કહી ઊભો.

‘લાગી છે મુજને તૃષા, જલ ભરી દે તું મને’ બોલીને,
અશ્વેથી ઉતરી યુવાન ઉભીને ચારે દિશાઓ જુવે;
‘મીઠો છે રસ ભાઈ! શેલડી તણો’ એવું દયાથી કહી,
માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી શેલડી!

         પ્યાલું ઉપાડી ઉભી શેલડી પાસ માતા,
         છૂરી વતી જરીક કાતળી એક કાપી;
         ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા
         ને કૈં વિચાર કરતો નર તે ગયો પી.

‘બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુજને તૃષા’,
કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું.

કાપી કાપી ફરી ફરી અરે કાતળી શેલડીની,
એકે બિંદુ પણ રસ તણું કેમ હાવાં પડે ના?!
‘શું કોપ્યો છે પ્રભુ મુજ પરે?’ આંખમાં આંસુ લાવી,
બોલી માતા વળી ફરી છુરી ભોંકતી શેલડીમાં,

‘રસહીન ધરા થૈ છે; દયાધીન થયો નૃપ;
‘નહીં તો ના બને આવું,’ બોલી માતા ફરી રડી.

         એવું યુવાન સુણતાં ચમકી ગયો ને,
         માતા તણે પગ પડી ઉઠીને કહે છે  :
         ‘એ હું જ છું નૃપ, મને કર માફ બાઈ!
         ‘એ હું જ છું નૃપ; મને કર માફ ઈશ!

‘પીતો’તો રસ મિષ્ટ હું, પ્રભુ! અરે ત્યારે જ ધાર્યું હતું –
‘આ લોકો સહુ દ્રવ્યવાન નકી છે એવી ધરા છે અહીં;
‘છે ત્હોયે મુજ ભાગ કૈં નહિ સમો તે હું વધારું હવે,
‘શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની પાસેથી લેવું નહિ?

         ‘રસે હવે દે ભરી પાત્ર બાઈ,
         ‘પ્રભુકૃપાએ નકી એ ભરાશે;
         ‘સુખી રહે બાઈ! સુખી રહો સૌ,
         ‘ત્હમારી તો આશિષ માત્ર માગું!’

પ્યાલું ઉપાડી ઉભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરી જ કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
બ્હોળો વહે રસ, અહો! છલકાવી પ્યાલું!



કાવ્યપઠન • વિનોદ જોશી



આસ્વાદ - ઉદયન ઠક્કર

ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમન્તનો પૂર્વમાં, ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી; ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો, જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠાં ગીતડાં! આ પંક્તિઓથી કલાપીના ખંડકાવ્ય ‘ગ્રામ્ય માતા’નો ઉઘાડ થાય છે. ‘સુરખી’ શબ્દ ફારસી ‘સુર્ખ’માંથી આવ્યો છે અને એનો અર્થ થાય છે ‘લાલી’. માગશર અને પોષ મહિનાની — શિયાળાની — ઋતુ તે હેમન્ત. ગ્રીષ્મનો વઢકણો સૂરજ હેમન્તમાં મળતાવડો લાગે. સૂડાપોપટ મીઠાંમધુરાં ગીતો ગાઈને સૂરજનું સામૈયું કરે છે. મળસકાના મંગળ મુહૂર્ત માટે કવિએ પસંદ કર્યો છે ‘ઉત્સાહને પ્રેરતો’ શાર્દૂલવિક્રીડિત છંદ, જેમાં મંગળાષ્ટક ગવાતાં હોય છે. ‘ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી’ — આ સ્વચ્છ વાતાવરણમાં એકાએક ધૂળની ડમરી ચડી આવવાની છે. મધુર સમય તેવે ખેતરે શેલડીના, રમત કૃષિવલોનાં બાલ ન્હાનાં કરે છે. શેલડીના ખેતરમાંથી પસાર થઈ થઈને સમય ‘મધુર’ બન્યો છે. આ કાવ્ય સંસ્કૃત વૃત્તોમાં રચાયું છે, (શાર્દૂલવિક્રીડિત, માલિની, અનુષ્ટુપ, વસંતતિલકા, મંદાક્રાન્તા અને ઉપજાતિ), અને તેની પદાવલિ પણ સુ–સંસ્કૃત છે. (કવિ પોપટને ‘શુક’, બાપને ‘તાત’ અને ખેડૂતને ‘કૃષિવલ’ કહે છે.) વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી, અહો! કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દીસે! કવિની દૃષ્ટિ આદરયુક્ત છે. તેઓ કાવ્યનાયિકાને ‘ઘરડી સ્ત્રી’ નહીં પરંતુ ‘વૃદ્ધ માતા’ તરીકે ઓળખાવે છે. જોડજોડે તાપતાં માતા અને તાતને હૂંફ શું કેવળ સગડીની હશે? ત્યાં ધૂળ દૂર નજરે ઊડતી પડે છે, ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે. સ્વચ્છ વાતાવરણ હવે ધૂળિયું બને છે. આગંતુકના પગ ધરતી પર નથી, એ તો ઘોડે ચડીને આવે છે. ટોળે વળી મુખ વકાસી ઊભાં રહીને, તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતાં! બાળકો મોં વકાસી આગંતુકને જોઈ રહે છે. (‘વકાસી’ શબ્દ ‘વિકાસી’ પરથી આવ્યો છે.) તેમણે આ પહેલાં અશ્વને જોયો પણ હશે કે કેમ. ‘લાગી છે મુજને તૃષા, જલ જરી દે તું મને’ બોલીને અશ્વેથી ઊતરી યુવાન ઊભીને ચારે દિશાઓ જુએ યુવાન દેવા નહીં પણ લેવા આવ્યો છે. આવતાંવેંત જલની માગણી કરે છે. યજમાન એવાં છે કે પાણી માગો ત્યાં દૂધ હાજર કરે! માતા કહે છે, ભાઈ, શેલડીનો મીઠો રસ પિવડાવું. શેલડી પીલવાની જરૂર પડતી નથી. ‘છૂરી વતી જરીક કાતળી એક કાપી, ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા…’ યુવાને કહ્યું, હજી તરસ્યો છું, બીજું પ્યાલું ભરી દે. કાપી કાપી ફરી ફરી અરે! કાતળી શેલડીની, એકે બિંદુ પણ રસ તણું કેમ હાવાં પડે ના? ‘શું કોપ્યો છે પ્રભુ મુજ પરે?’ આંખમાં આંસુ લાવી, બોલી માતા વળી ફરી છૂરી ભોંકતી શેલડીમાં આ શું થયું? શેલડી કાં સુકાઈ ગઈ? માતાની ક્રિયાઓનું વર્ણન ફરી વાંચીએ : ‘કાપી કાપી ફરી ફરી અરે!’ ‘વળી ફરી છૂરી ભોંકતી શેલડીમાં’ માતા વડે શેલડી કપાય છે? કે રાજા વડે પ્રજાનુ શોષણ કરાય છે? ‘રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ; નહીં તો ના બને આવું;’ બોલી માતા ફરી રડી. કેમ ધરાનાં ધાવણ સુકાઈ ગયાં? રાજા દયાહીન થયો? અશ્વ ઉપર ચડીને આવેલો નર પોતે જ રાજા હતો. તે પસ્તાઈને બોલી ઊઠ્યો : ‘એ હું જ છું નૃપ, મને કર માફ, બાઈ! એ હું જ છું નૃપ, મને કર માફ, ઈશ!’ રાજાના હૈયામાં કેવું વલોણું ફર્યું, કયા તર્કવિતર્કો પછી તેનું હૃદયપરિવર્તન થયું, એનું આલેખન કલાપી કરતા નથી. તેમને તો બસ વાચકને રસક્ષતિ ન થાય તેમ વેગપૂર્વક વાર્તા કહેવી છે. કથાકાવ્યની આ શક્તિ છે અને મર્યાદા પણ. રાજા કબૂલે છે : મિષ્ટ રસ પીતાં મેં વિચારેલું કે આવા માલેતુજારો પાસેથી વધુ કર કાં ન લેવો? પરંતુ બાઈ, તમારી પાસેથી મારે માત્ર આશીર્વાદ જોઈએ. માતા પ્યાલું ઉપાડીને ફરી શેલડી પાસે જાય છે, છૂરી વતી જરીક કાતળી કાપે છે. ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા, બ્હોળો વહે રસ અહો! છલકાવી પ્યાલું! રસધાર છૂટે છે, માતાના હૈયામાંથી મમતાની, અને રાજાના હૈયામાંથી દયાની. લાભશંકર પુરોહિતે ‘ગ્રામ્ય માતા’ના વસ્તુ સંદર્ભની લગભગ સમાંતરે ચાલતી વાર્તા ‘જહાંગીરનામા’માંથી ટાંકી છે. બપોરની ગરમીના સમયે કોઈ બાદશાહ બગીચાના દરવાજે આવ્યો. એણે વૃદ્ધ બાગવાનને પૂછ્યું, દાડમ છે? બાગવાને પોતાની સુંદર દીકરીને દાડમના રસનો પ્યાલો લાવવાનું કહ્યું. બાદશાહ પીને સંતુષ્ટ થયા. પછી એમણે બાગવાનને પૂછ્યું: બગીચામાંથી દર વર્ષે કેટલી કમાણી થાય છે? દીવાનને શું ચૂકવો છો? બાદશાહે કરવેરો વધારવાનો મનોમન નિશ્ચય કર્યો. પછી એમણે કહ્યું, દાડમનો થોડો રસ હજી લાવો. પાંચ-છ દાડમ નિચોવવા છતાં રસ ન મળ્યો. બાગવાને ચોખવટ કરી કે પેદાશની અધિકતાનો આધાર બાદશાહની સાફ દાનત પર હોય છે. શું આપ પોતે જ બાદશાહ છો? બાદશાહે તરત નિર્ણય કર્યો કે કરવેરો વધારવો નથી. ત્યાર પછી પ્યાલો દાડમના રસથી છલકાઈ ગયો. બાદશાહે બાગવાનની પ્રશંસા કરી અને તેની પુત્રી સાથે શાદી કરી. કથાવસ્તુ મૌલિક હોય એ કાવ્ય માટે જરૂરી નથી, માવજત મૌલિક હોય એટલું પૂરતું છે. ઈ. સ. ૧૮૯૫માં રચાયેલું ‘ગ્રામ્ય માતા’ આપણી ભાષાનાં ઉત્તમ કાવ્યોમાંનું એક છે. (આમંત્રણ)



આસ્વાદ: આર્દ્રતામાં એકરૂપતા - જગદીશ જોષી

જે પંક્તિઓ લગભગ કહેવતની કક્ષાએ પહોંચીને લોકજીભે ચડી હોય (પંક્તિ ૯થી ૧૨) તે વિશે લખવું? પણ ઘણી વાર આ પંક્તિઓનું સત્ય અને એ સત્ય દ્વારા પ્રકટતું સૌંદર્ય અવતરણચિહ્નોેની વચ્ચે ભીંસાઈ જતું હોય છે — સમજણ વિનાના અતિ ઉપયોગને કારણે. utilisation દૃષ્ટિકોણથી સૌંદર્યનો ઉપભોગ કરી લેવો અને એના પોષણ દ્વારા સૌંદર્યનો ઉપભોગ કરવો એ બંને વચ્ચે રહેલી સૂક્ષ્મ ભેદરેખા અહીં કવિ કલાપી દોરી આપે છે. પણ કવિના મનોમંથનને પામવા, એમના મંથનકાળનો સાક્ષાત્કાર કરવા માટે થોડી આડવાત કરીને પણ એકાદ નજર તારીખો ભણી નાખી લેશું? ૧૮૯૧માં કવિ લખે છે: ‘ઘટે ના ક્રૂરતા આવી…’ તેઓ ૧૮૯૬માં લખે છે: ‘તે પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો.’ એ જ સાલમાં એક બીજું કાવ્ય પ્રારંભાય છે, આ રીતે: ‘તે હૈયાની ઉપર નબળા હસ્તથી ઘા કર્યો’તો.’ અને ‘મને જોઈને ઊડી જતાં પક્ષીઓને’ તેઓ ધરપત આપે છે: ‘ના પાડી છે તમ તરફ કૈં ફેંકવા માળીને મેં…’ આ કલાપી ભવિષ્યમાં આવું લખવાના હતા તેના બીજ રૂપે ૧૮૯૧માં — પાંચ વર્ષ પહેલાં — આ કાવ્યમાં સૌંદર્યને પામવાનો કીમિયો આપે છે. દેહની અને દેહીની ઉઘાડી ચર્ચા કર્યા વગર સીધું જ કહી દે છે કે તીર મારવાથી પક્ષીનો દેહ મળશે, પક્ષી નહીં; સ્થૂળ મળશે, સૂક્ષ્મ નહીં. પંખી શું છે, ક્યાં છે. ક્યાં રહે છે? એને આપણા બાહુપાશમાં–સકંજામાં–કેમ લેશું? એને ખૂંચવી નથી લેવાનું, પામવાનું છે. પક્ષીનો પ્રભુ, એનું પ્રભુત્વ એના ગીતમાં છે. એ જો પામવું હોય તો ‘છાના’ રહીને એ ગીત સાંભળવાં પડે છે. વર્ડ્ઝવર્થની પંક્તિ: ‘Stop here, or gently pass.’ યાદ નથી આવતી? ‘અહિંસા’ શબ્દને ગાંધીજીએ પ્રચલિત કર્યો, પણ કાવ્યમાં તો કલાપી નામ વિના કદાચ પોતાને જ કહેતા હોય એમ કહે છે કે આ સૃષ્ટિ સંહાર માટે નથી. સમગ્ર વિશ્વની કલ્પના ‘સંતના આશ્રમ’ જેવી કરવી, કણ્વ ઋષિના અભયારણ્ય જેવી કરવી, એ તો લાગણીથી છલોછલ છલકાતા કલાપીને જ સૂઝે. સૌંદર્ય પાસે જવાની, સૌંદર્ય પામવાની, ખુદ સૌંદર્યત્વ પામવાની પહેલી શરત એ કે તમારે પોતે નાજુક થવું પડે. આપણે ઘણી વાર સૂક્ષ્મ હિંસા આચરતા હોઈએ છીએ. વિશ્વની શ્રી ઉપર આપણી દૃષ્ટિ–કુદૃષ્ટિથી કેટલીયે વાર ઉઝરડા પડ્યા હશે. ઉમાશંકર ‘વિશ્વશાંતિ’નો પ્રારંભ આ રીતે કરે છે: વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી પશુ છે પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ! એક મિત્રે હમણાં વાત કહી. ગાંધીજીના એક અંતેવાસીએ કહેલું, ‘પહેલાં મારે માટે માત્ર બે જ હતા; ઈશ્વર અને બાપુ. હવે તો બંને એક જ થઈ ગયા છે…’ વિશ્વમાં જ્યાં સર્વત્ર આર્દ્રતા છવાઈ હોય ત્યાં ક્રૂર કે કઠોર થવાનો કોઈ અર્થ ખરો? આર્દ્રતામાં આર્દ્ર થઈને, એકરૂપ થઈને, ભળવું એમાં જ ભલું છે — આપણું ને જગતનું. ‘સૌંદર્યો પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે…’ આવી પંક્તિ લખનાર કલાપી જ ભવિષ્યમાં લખી શકે — જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની.

૧૯–૧૦–’૭૫

(એકાંતની સભા)