અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગોવિન્દ સ્વામી/કાજળકાળા આભ મહીંથી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કાજળકાળા આભ મહીંથી

ગોવિન્દ સ્વામી

કાજળકાળા આભમહીંથી
         તારલા વાટે તેજ ચૂવે છે.

રજનીકેરાં શ્યામલ ચીરને
         તારલા કેરું તેજ ધૂવે છે.

વલ્લરીનાં વૃન્દ આજ વસન્તે
         જોબનના શણગાર સજે છે;

સૌરભની પિચકારી ભરી ભરી
         ફૂલડાં રંગે હોળી રમે છે!

આજ જામી મધરાત; અટારીએ
         એકલું એકલું હૈયું રડે છે;

અંતરના કોઈ સાથી વિહોણું
         અંતર આજ ચોધાર રડે છે!

મદભર્યાં મુજ જોબનગીતો
         ઝીલવા આજે કોઈ નથી રે;

ફાગણના મધુ–ફૂલ હિંચોળે
         ઝૂલવા સાથે કોઈ નથી રે!