અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રકાન્ત શેઠ/નીલ ધરાની પહોળી છાતી પર સૂરજ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નીલ ધરાની પહોળી છાતી પર સૂરજ

ચંદ્રકાન્ત શેઠ

પેલા સૂરજને
નીલ ગગન કરતાંયે
સવિશેષ ખેંચે છે પોતાના પ્રતિ
નીલ શ્યામ ધરા —
જે
જોવનાઈએ મદમસ્ત
એમ જ બિનધાસ્ત પહોળાઈએ પડેલી છે
પીળચટ્ટા ઘાસલિયા રેશમને લહેરાવતી!
ઘાસના એક એક તણખલાએ
પરોવાતા કિરણે કિરણે
સૂરજ જાણે વવાતો જાય છે
નીલ ધરાના રોમેરોમમાં!
તીરકામઠું લઈને ધસી આવેલો માઈલબાલ
વાદળે ચડીને
વેરવિખેર કરે છે
સૂરજના તડકીલા વાઘાને
સૂરતશ્રમના બુન્દે બુન્દે શ્રાન્ત સૂરજ
નીલ ધરાની પહોળી છાતી પર
લેટે છે આમતેમ!
પવનમાંથી છૂટવા લાગ્યા છે પહાડી સૂર!
કોઈ રજનીગન્ધાશી
શ્યામ સુન્દરીને તેડાવો અબઘડી
જે વાંસ વાંસ ચડતા સૂરજની
જોવનાઈનો રંગ, નિચોવીને ચખાડે
આ હવાઈ ગયેલા શાહમૃગી મનખાને!



આસ્વાદ: વાર્ધક્યની નીરસતા ને ભગવાનનો વિશિષ્ટ ઉપક્રમ… – રાધેશ્યામ શર્મા

કૃતિના શીર્ષકમાંનો નીલ શબ્દ કાળાશ, વાદળી, આસમાની વર્ણના વિવિધ શેડ્ઝ સૂચવે છે. ધરા નીલ છે. એની પહોળી છાતી પર સૂરજ છે. કાળી, શ્યામ ધરા પરના સૂરજનો રંગ સુવર્ણસદૃશ પીળો છે.

પીતરંગી સૂરજ હોય ગગનમાં, ગગનનો વર્ણ પણ ધરણી સમો નીલ છતાં એને કર્ષે છે કોણ? નીલ શ્યામ ધરા. ગગનના નીલ કરતાંયે ધરાનો નીલ વર્ણ સૂરજના પ્રખર પૌરુષને સવિશેષ આકર્ષક પ્રતીત થાય છે.

વૈશ્વિક ભૌગોલિક સ્થિતિની દૃષ્ટિએ સૂરજ ઊર્ધ્વ ગગનમાં બિરાજમાન શિરોબિન્દુસ્થિત ‘વર્ટિકલ’ છે, જ્યારે ધરા પહોળાશમાં પ્રસરેલી પથરાયેલી હૉરિઝૉન્ટલ’ ક્ષિતિજ સ્પર્શતી છે. ઉભયનું હોવું ઉચ્ચાવચ, અણસરખું છે. સૂર્ય ઉપર નભમાં અને પૃથ્વી નીચે. છતાં, એ શ્યામાંગના સૂરજને ગગનગાદીપીઠથી પદચ્યુત કરવાને સમર્થ છે. શાથી? તે જોવનાઈએ મદમાતી અને બિનધાસ્ત પહોળાઈએ પડેલી છે.

આ કવિએ અહીં ધરાને રચનાના આ પદમાં શણગારી છે: ‘પીળચટ્ટા ઘાસલિયા રેશમને લહેરાવતી!’ ‘લહેરાવતી’ ક્રિયાપદ ધરાનું વસન સંકેતે તો ‘ઘાસલિયા રેશમ’ શબ્દથી પૃથ્વીપટનાં મેદાનો પર ઊગેલા પીળચટ્ટા ઘાસને કારણે ધરાની મસૃણ રોમરાશિ વર્ણનાંકિત થયાનું લાગે. ગતિશીલ કલ્પનનો સદ્ય એહસાસ અહીં થાય:

ઘાસના એક એક તણખલાએ
પરોવાતા કિરણે કિરણે
સૂરજ જાણે વવાતો જાય છે
નીલ ધરાના રોમેરોમમાં!

કિરણાવલિ એકેએક તણખલાના મણકામાં પરોવાઈને સાક્ષાત્ સૂર્ય, નીલ ધરાના રોમરોમમાં શુક્રનિક્ષેપ કરતો હોવાનું વર્ણન સમાગમશૃંગારનું રસાવહ ઉદાહરણ બને. ઘાસનાં તણખલાં જમીન પર ત્યાં ‘વવાતો જાય છે’ ક્રિયાપદ પ્રયોજી કૃષિકૃતિનેય કર્તાએ ઔચિત્યથી નવાજી.

અહીં સુધી પ્રકૃતિનું વર્ણન ચાલ્યું પણ પછી માનવજાતિપ્રવેશ મસાઈમારાના મસાઈબાલના ઉલ્લેખથી થયો. આદિવાસી મસાઈબાલ તીરકામઠું લઈને ધસી આવી શું કરે છે? ‘વાદળે ચડીને વેરવિખેર કરે છે સૂરજના તડકીલા વાઘાને.’ સૂરજના વાઘાને ‘તડકીલા’ મજાનું વિશેષણ અર્પ્યું છે તો બરાબર, પણ બાલને વાદળ ઉપર ચડાવી સૂરજદેવતાના વાઘાને તિતરબિતર કરવાનું શહૂર આરોપવામાં કુદરતના મહિમાવંત તત્ત્વ પર મનુજ પ્રભુત્વ સ્થાપિત કર્યું છે. અનુગામી પંક્તિ અભિધાસ્તરે સૂરતશ્રમથી શ્રાન્ત સૂરજને પ્રદર્શિત કરી, પ્રાકૃતિક તત્ત્વને નિરૂપે છે: ‘પવનમાંથી છૂટવા લાગે છે પહાડી સૂર.’ (જેમને રાગોની જાણકારી છે એમને ‘પહાડી’ રાગ રણકાવી જશે અહીં) છેલ્લી પાંચ પંક્તિમાં કવિના ઍટિટ્યૂડની, ઍલિયટકથિત વૉઇસની અધિકૃત પ્રતીતિ થાય છે, કોઈ રજનીગન્ધાશી / શ્યામ સુન્દરીને તેડાવો અબઘડી / જે વાંસ વાંસ ચડતા સૂરજની –

જોવનાઈનો રંગ, નિચોવીને ચખાડે
આ હવાઈ ગયેલા શાહમૃગી મનખાને!

કવિશ્રી ચંદ્રકાન્ત શેઠે સૂર્ય–ધરાના સં–ભોગશૃંગાર સાથે અંત્ય કડીમાં ‘આ હવાઈ ગયેલા શાહમૃગી મનખાને’ જોડી વાર્ધક્યની શુષ્ક નીરસતાને ભગવાનનો વિશિષ્ટ ઉપક્રમ રચનાસિદ્ધ કર્યો છે. મનખો હવાઈ ગયાનો વિરતિ ભાવ સ્વાભાવિક મનાય પણ ‘શાહમૃગી’ કથવું એમાં કેવળ આફ્રિકા પ્રવાસનો અધ્યાસ જ નહીં, પરંતુ તોફાની વંટોળ આવે ત્યારે માન્યતા મુજબ શાહમૃગ ઊગરી જવા રેતમાં માં સંતાડી દેવાની ભીરુવૃત્તિના સ્વીકાર સાથે જ ઇનકાર રોપે છે. યુવાવયે પણ રસશુષ્કતા અનુભવવી એય વૃદ્ધત્વનો મનોપર્યાય નથી શું? એવી સ્થિતિનો વંટોળ એક ઇઝરાયેલી સૂક્તિમાં પ્રસ્તુત કરું:

Old age is like a plane flying
through storm.
once you’re aboard there’s
nothing you can do.

–  Golda Meir


(રચનાને રસ્તે)