અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નરસિંહરાવ દિવેટિયા/મંગલ મન્દિર ખોલો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મંગલ મન્દિર ખોલો

નરસિંહરાવ દિવેટિયા

મંગલ મન્દિર ખોલો,
                  દયામય!
         મંગલ મન્દિર ખોલો,

જીવનવન અતિ વેગે વટાવ્યું
         દ્વાર ઊભો શિશુ ભોળો;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
         શિશુને ઉરમાં લો, લો,
                  દયામય!
         મંગલ મન્દિર ખોલો!

નામ મધુર તમ રટ્યો નિરંતર
         શિશુ સહ પ્રેમે બોલો;
દિવ્યતૃષાતુર આવ્યો બાલક,
         પ્રેમ-અમીરસ ઢોળો,
                  દયામય!
         મંગલ મન્દિર ખોલો!

(સ્મરણસંહિતા, ત્રીજી આ. ૧૯૪૦, પૃ. ૧૩-૧૪)



નરસિંહરાવ દિવેટિયા • મંગલ મન્દિર ખોલો • સ્વરનિયોજન: પં. નારાયણ મોરેશ્વર ખરે • સ્વર: અમર ભટ્ટ