અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રભાશંકર પટ્ટણી/ઉઘાડી રાખજો બારી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઉઘાડી રાખજો બારી

પ્રભાશંકર પટ્ટણી


દુ :ખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને,
વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી.

ગરીબની દાદ સાંભળવા, અવરનાં દુ :ખને દળવા,
તમારાં કર્ણનેત્રોની ઉઘાડી રાખજો બારી.

પ્રણયનો વાયરો વાવા, કુછંદી દુષ્ટ વા જાવા,
તમારાં શુદ્ધ હૃદયોની ઉઘાડી રાખજો બારી.

થયેલાં દુષ્ટ કર્મોના છૂટા જંજીરથી થાવા,
જરા સત્કર્મની નાની, ઉઘાડી રાખજો બારી.
(‘મિત્ર’, ૧૯૭૦, પૃ. ૧)




આસ્વાદ: સંકોરવાનું દાક્ષિણ્ય – વેણીભાઈ પુરોહિત

આપણે કેટલીક વ્યક્તિઓ માટે એમ કહીએ છીએ કે આ તો ‘એકે હજારા’… (એકલો હજાર બરાબર છે.) કવિતાના ક્ષેત્રમાં પણ કોઈ વાર એવું બને છે. ‘એક જ દે ચિનગારી’ના કવિ શ્રી હરિહર ભટ્ટ આ એક જ કવિતાથી આજે ય લોકજીભે છે. અને તે ત્યાં સુધી કે લોકો કદાચ કવિનું નામ ભૂલી ગયા હશે પણ કવિતા એમના જીવનમાં વણાઈ ગઈ છે.

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો,
      સળગી આભ અટારીઃ
ના સળગી એક સગડી મારી,
      વાત વિપતની ભારીઃ
મહાનલ! એક જ દે ચિનગારી…

એથી પણ વધારે હૈયે અને હોઠે રમતી થયેલી કવિતા તે સર પ્રભાશંકર પટણીની ‘ઉઘાડી રાખજો બારી’ને ગણી શકાય.

આજે ય આ કવિતા એટલી જ તાજી છે, પ્રેરક છે. ઉદ્બોધક છે. એનું કારણ એ છે કે આ કવિતા પાસે સરળતા છે, સાહજિકતા છે અને સર્વસાધારણ અપીલ છે. કથનની સચ્ચાઈ તો છે જ.

બારણાં ઉઘાડાં રાખવાં એ તો દુર્લભ વાત છે. પરમહંસની કોટિએ પહોંચ્યા પછી તો બારી નહિ પણ બારણાં ઊઘડી જશે. આકાશ ખુલ્લે સંસારીઓ ભેદભાવથી એટલા બધા પર નથી. આપણે તો રાજમહેલની જેમ જીવનમાં, વ્યવહારમાં ઘણી દોઢીઓ રાખીએ છીએ. દોઢીએ દરવાન બેસાડીએ છીએ. કોઈ અણગમતું અંદર પ્રવેશે નહિ તેની ચોકી રાખીએ છીએ. એટલે તો કંઈ નહિ, પણ છેવટે બારી તો ઉઘાડી રાખજો. કોઈનું દુઃખ દૂર કરવા, તો કોઈનું દર્દ મટાડવા, કોઈને સાચો માર્ગ ચીંધવાતમારા ઘરની એટલે જીવતરની અને જીવતરને જે લીલુંછમ રાખે છે એવા હૃદયની બારી ઉઘાડી રાખજો.

કોઈનાં દુઃખનો ભાર હળવો થાય, કોઈના મનનો ભાર હળવો થાય એટલા માટે તમે સહાનુભૂતિથી તેના વાત સાંભળવા કાન રૂપી અને આંખ રૂપી બારી ઉઘાડી રાખજો.

કોઈના પ્રેમની લહેરખી હરખપદૂડી થઈને દોડી આવે તે માટે અને સામે પક્ષે કુવિચારો, દુષ્ટતા વગેરે બહાર નીકળી જાય તે મારે હૃદયની બારી ઉઘાડી રાખજો.

સુકૃત તો થતાં થાય પણ દુષ્કૃત તો ઘણાં થઈ જાય છે. એ દુષ્કર્મોની બેડીમાંથી છૂટવા સત્કાર્યો રૂપી નાનકડી બારી ઉઘાડી રાખજો.

સુકૃત તો થતાં થાય પણ દુષ્કૃત તો ઘણાં થઈ જાય છે. એ દુષ્કર્મોની બેડીમાંથી છૂટવા સત્કાર્યો રૂપી નાનકડી બારી ઉઘાડી રાખજો.

ગઝલના વાઘા પહેરીને રચાયેલી આ કવિતાનો ગુણ અનુભવનો છે. સૌજન્યથી સદ્બુદ્ધિને સંકોરવાનો છે.

સાધારણ કારકુન અને શિક્ષણમાંથી ભાવનગરના દીવાન બનેલા, રાજ ખટપર અને સુરાજ્યનીતિ વચ્ચે રહેતા તથા ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સૂર્યોદયનો પ્રકાશ ઝીલતા એ પ્રભાશંકર પટણીમાં એક ફિલસૂફ બેઠો હતો, એક જ્ઞાની બેઠો હતો. એક પરગજુ ભાવિક બેઠો હતો. એક ક્ષમાશીલ સંત બેઠો હતો. એ બધાંએ પટણીજીના હૃદયને રણઝણતું રાખ્યું અને તેમાંથી જીવનનું સંગીત પ્રગટ્યું. જલસાઓમાં જઈને બજાવનાર ન હોય છતાં ઘર આંગણે સિતારવાદન કરતા હોય એવા ઘણા સૂર અને સંગીતના આરાધકો છે. પટણીજી પણ કવિની કારકિર્દી માટે કવિતા લખતા નહોતા. પણ એકલા એકલા તાર ઝણઝણાવી લેતા હતા. એ રણઝણાટીમાંથી જન્મેલી અને કહેવત રૂપ થઈ ગયેલી કવિતા તે આ ‘ઉઘાડી રાખજો બારી’ છે. સહાનુભૂતિની, પરગજુપણાની, ક્ષમાની, ભક્તિની, ભાવનાની બારી ઉઘાડી રાખજો. એ બારી પર કલાત્મક રંગબેરંગી ડિઝાઇનના પડદા ટીંગાડશો નહિ, એમ પણ આ કવિતા કહ્યા વિના કહે છે.

(કાવ્યપ્રયાગ)